આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

મંત્રીમંડળે નેશનલ રોપ-વે ડેવલપમેન્ટ પ્રોગ્રામ – પરવતમાલા પરિયોજના અંતર્ગત ઉત્તરાખંડ રાજ્યમાં સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિલોમીટર) સુધી રોપ-વે પ્રોજેક્ટનાં વિકાસને મંજૂરી આપી

Posted On: 05 MAR 2025 3:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઇએ)એ સોનપ્રયાગથી કેદારનાથ (12.9 કિલોમીટર)ની લંબાઈ ધરાવતા 12.9 કિલોમીટરના રોપ-વે પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (ડીબીએફઓટી) મોડ પર રૂ. 4,081.28 કરોડનાં કુલ મૂડી ખર્ચે વિકસાવવામાં આવશે.

રોપ-વેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપમાં વિકસાવવાની યોજના છે અને તે સૌથી અદ્યતન ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા (3એસ) ટેકનોલોજી પર આધારિત હશે. જેની ડિઝાઇન 1,800 પેસેન્જર્સ પ્રતિ કલાક, પ્રતિ દિશા(પીપીએચપીડી) છે, જે દરરોજ 18,000 મુસાફરોને લઇ જશે.

આ રોપ-વે પ્રોજેક્ટ કેદારનાથની મુલાકાતે આવતા યાત્રાળુઓ માટે વરદાનરૂપ બની રહેશે, કારણ કે તેનાથી પર્યાવરણને અનુકૂળ, આરામદાયક અને ઝડપી કનેક્ટિવિટી મળશે અને એક દિશામાં મુસાફરીનો સમય આશરે 8થી 9 કલાકથી ઘટીને 36 મિનિટનો થઈ જશે.

રોપ-વે પ્રોજેક્ટથી નિર્માણ અને કામગીરી દરમિયાન તેમજ આતિથ્ય, પ્રવાસ, ખાદ્ય પદાર્થો અને પીણાં (એફએન્ડબી) અને પ્રવાસન જેવા સંલગ્ન પ્રવાસન ઉદ્યોગોમાં પણ આખું વર્ષ રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન થશે.

રોપ-વે પ્રોજેક્ટનો વિકાસ એ સંતુલિત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં, પર્વતીય પ્રદેશોમાં છેલ્લા માઇલના જોડાણને વધારવા અને ઝડપી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

કેદારનાથ મંદિરની યાત્રા ગૌરીકુંડથી 16 કિ.મી.ની ઊંચાઈ પરની એક પડકારજનક યાત્રા છે અને હાલમાં તે પગપાળા અથવા પોની, પાલખીઓ અને હેલિકોપ્ટરથી થાય છે. પ્રસ્તાવિત રોપ-વેની યોજના મંદિરમાં આવતા યાત્રાળુઓને સુવિધા પ્રદાન કરવા અને સોનપ્રયાગ અને કેદારનાથ વચ્ચે તમામ હવામાનમાં જોડાણ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.

કેદારનાથ ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં 3,583 મીટર (11968 ફૂટ)ની ઉંચાઇ પર સ્થિત 12 પવિત્ર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર અક્ષય તૃતીયા (એપ્રિલ-મે) થી દિવાળી (ઓક્ટોબર-નવેમ્બર) સુધી એક વર્ષમાં લગભગ 6 થી 7 મહિના યાત્રાળુઓ માટે ખુલ્લું રહે છે અને મોસમ દરમિયાન વાર્ષિક આશરે 20 લાખ યાત્રાળુઓ દ્વારા તેની મુલાકાત લેવામાં આવે છે.

AP/IJ/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2108458) Visitor Counter : 70