રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિએ ફરિદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 5માં પદવીદાન સમારંભમાં હાજરી આપી

Posted On: 21 AUG 2024 2:35PM by PIB Ahmedabad

ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે (21 ઓગસ્ટ, 2024) હરિયાણાનાં ફરીદાબાદમાં જેસી બોઝ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનાં 5માં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ચોથી ઔદ્યોગિક ક્રાંતિના યુગમાં છે. ભારત આ ક્રાંતિના પડકારોનો સામનો કરવા અને તેની તકોનો લાભ લેવા પણ તૈયાર છે. આ રાષ્ટ્રીય લક્ષ્યને પ્રાપ્ત કરવામાં જેસી બોઝ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવી સંસ્થાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે આ યુનિવર્સિટીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી ઔદ્યોગિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે કરાર કર્યા છે. ઘણી મલ્ટિનેશનલ કંપનીઓએ વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે આ યુનિવર્સિટીના કેમ્પસમાં સેન્ટર્સ ઓફ એક્સેલન્સની સ્થાપના પણ કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ તમામ પ્રયાસોના સકારાત્મક પરિણામો મળશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે, તકનીકીના વિકાસને કારણે પ્રગતિના ઘણા માર્ગો ખુલી ગયા છે. ઉદાહરણ તરીકે, અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટની સુલભતાએ ઓનલાઈન રોજગારીની ઘણી તકો ઊભી કરી છે. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે તકનીકીનો ઉપયોગ યોગ્ય અને ટકાઉ વિકાસ અને જાહેર હિત માટે થવો જોઈએ. તેનો ખોટો ઉપયોગ વિનાશક બની શકે છે.

રાષ્ટ્રપતિએ જેસી બોઝ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની યુવાનોને કુશળ અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ પ્રશંસા કરી હતી. તેમને એ જાણીને આનંદ થયો કે આ યુનિવર્સિટીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક પ્રભાવશાળી સૂચિ છે જે દેશ અને વિદેશમાં ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. તેમણે યુનિવર્સિટી વહીવટીતંત્રને એલ્યુમની એસોસિએશનના યોગદાનને વધુ અસરકારક બનાવવા માટે પગલાં ભરવાની સલાહ આપી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આ યુનિવર્સિટીનું નામ મહાન વૈજ્ઞાનિક અને આધુનિક વિજ્ઞાનના પ્રણેતા જગદીશચંદ્ર બોઝના નામ પર રાખવામાં આવ્યું છે, જેઓ કદાચ વિશ્વના પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું હતું કે વૃક્ષો અને છોડને પણ લાગણી હોય છે. તેમની ક્રાંતિકારી શોધે વનસ્પતિજન્ય વિશ્વને જોવાની આપણી રીત બદલી નાખી. તેમણે વિદ્યાર્થીઓને તેમના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લેવા અને તકનીકી દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા વિનંતી કરી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની સમૃદ્ધ વિરાસત હંમેશા આપણને ગર્વ અપાવે છે. યુવાનો આ સમૃદ્ધ વારસાનો એક ભાગ છે અને તેઓએ તેના ધ્વજવાહક બનવું પડશે. તેમણે વિદ્યાર્થીઓને તેમની યોગ્યતાઓ અને ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવાની અને તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ આપી.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો -

AP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2047259) Visitor Counter : 47