પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું


"આપણે ઉજ્જવળ આવતીકાલ માટે આજે સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવું પડશે"

"વિશ્વ સામૂહિક રીતે સ્થિતિસ્થાપક ફક્ત ત્યારે જ બની શકે છે, જ્યારે દરેક દેશ વ્યક્તિગત રીતે સ્થિતિસ્થાપક હોય"

"સહિયારી સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવા માટે, આપણે સૌથી વધુ નબળા લોકોને ટેકો આપવો જોઈએ"

Posted On: 24 APR 2024 9:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરની આંતરરાષ્ટ્રીય પરિષદના છઠ્ઠા સંસ્કરણને સંબોધન કર્યું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ તમામ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને કહ્યું કે, તેમની સહભાગિતા આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં મહત્ત્વપૂર્ણ મુદ્દા પર વૈશ્વિક ચર્ચા અને નિર્ણયોને મજબૂત કરશે. વર્ષ 2019માં કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસાયલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાથી લઈને અત્યાર સુધીમાં તેની પ્રભાવશાળી વૃદ્ધિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, હવે તે 39 દેશો અને 7 સંસ્થાઓનું વૈશ્વિક જોડાણ છે. તેમણે વધુમાં કહ્યું કે, "આ ભવિષ્ય માટે સારા સંકેત છે."

કુદરતી આપત્તિઓમાં જોવા મળતો વધારો અને તીવ્રતાની નોંધ લેતા, જ્યાં નુકસાનનું મૂલ્યાંકન સામાન્ય રીતે ડોલરમાં કરવામાં આવે છે, તે વાત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકો, પરિવારો અને સમુદાયો પર તેની વાસ્તવિક અસર આંકડાઓથી બહાર છે. શ્રી મોદીએ મનુષ્યો પર કુદરતી આપત્તિઓની અસર પર ધ્યાન દોર્યું હતું અને ઉલ્લેખ કર્યો હતો કે ધરતીકંપથી ઘરો નષ્ટ થાય છે, જેનાથી હજારો લોકો બેઘર બને છે અને કુદરતી આપત્તિઓને કારણે જળ અને ગટર વ્યવસ્થા ખોરવાઈ છે, જેનાથી લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાય છે. તેમણે કુદરતી આપત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો જે ઉર્જા છોડને અસર કરી શકે છે જે સંભવિત જોખમી પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, "આપણે ઉજ્જવળ ભવિષ્ય માટે આજે સ્થિતિસ્થાપક માળખાગત સુવિધામાં રોકાણ કરવું જોઈએ." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, નવા માળખાગત નિર્માણમાં સ્થિતિસ્થાપકતાને ધ્યાનમાં લેવી જોઈએ, જે આપત્તિ પછીના પુનર્નિર્માણનો પણ એક ભાગ હોવો જોઈએ. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે, આપત્તિ પછી રાહત અને પુનર્વસનના કામ હાથ ધરવામાં આવે તે પછી માળખાગત સુવિધાઓમાં સ્થિતિસ્થાપકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

પ્રકૃતિ અને આપત્તિઓને કોઈ સીમા હોતી નથી એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું કે, આપત્તિઓ અને વિક્ષેપો એકબીજા સાથે જોડાયેલા હોય છે જે દુનિયામાં વ્યાપક અસર પેદા કરે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, "દુનિયા સામૂહિક રીતે ત્યારે જ સ્થિતિસ્થાપક બની શકે છે, જ્યારે દરેક દેશ વ્યક્તિગત રીતે સ્થિતિસ્થાપક હોય." તેમણે સહિયારા જોખમોને કારણે સહિયારી સ્થિતિસ્થાપકતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે, સીડીઆરઆઈ અને આ કોન્ફરન્સ દુનિયાને આ સામૂહિક અભિયાન માટે એકસાથે આવવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે, "સહિયારી સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવા આપણે સૌથી વધુ નબળા લોકોને ટેકો આપવો પડશે." આપત્તિઓના ઊંચા જોખમ ધરાવતાં નાના ટાપુ વિકાસશીલ રાજ્યોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીએ આ પ્રકારનાં 13 સ્થળોની પરિયોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે સીડીઆરઆઈ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો. તેમણે ડોમિનિકામાં સ્થિતિસ્થાપક આવાસ, પાપુઆ ન્યૂ ગિનીમાં સ્થિતિસ્થાપક પરિવહન નેટવર્ક અને ડોમિનિકન રિપબ્લિક અને ફિજીમાં પ્રારંભિક ચેતવણી પ્રણાલીમાં વધારો કરવાના ઉદાહરણો આપ્યા. તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે, સીડીઆરઆઈ ગ્લોબલ સાઉથ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.

પ્રધાનમંત્રીએ ભારતના જી20ના અધ્યક્ષતા દરમિયાન તેની ચર્ચાના કેન્દ્રમાં નાણાકીય સહાય સાથે નવા આપત્તિ જોખમ ઘટાડા કાર્યકારી જૂથની રચનાને યાદ કરી અને કહ્યું કે, આ પ્રકારનાં પગલાં સીડીઆરઆઈની વૃદ્ધિની સાથે-સાથે વિશ્વને એક સ્થિતિસ્થાપક ભવિષ્ય તરફ લઈ જશે. તેમણે આગામી બે દિવસમાં આઇસીડીઆરઆઈમાં ફળદાયી વિચાર-વિમર્શ વિશે વિશ્વાસ વ્યક્ત કરીને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું.


AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2018677) Visitor Counter : 72