પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં યવતમાલમાં રૂ. 4,900 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું


પીએમ-કિસાન હેઠળ આશરે રૂ. 21,000 કરોડના 16મા હપ્તાની રકમ રીલિઝ કરી અને 'નમો શેતકરી મહાસંમાન નિધિ' હેઠળ લગભગ 3800 કરોડ રૂપિયાનો બીજો અને ત્રીજો હપ્તો

સમગ્ર મહારાષ્ટ્રમાં 5.5 લાખ મહિલા એસ.એચ.જી.ને રિવોલ્વિંગ ફંડના રૂ. 825 કરોડનું વિતરણ

સમગ્ર મહારાષ્ટ્રમાં 1 કરોડ આયુષ્માન કાર્ડનું વિતરણ શરૂ કર્યું

મોદી આવાસ ઘરકુલ યોજનાનો શુભારંભ કરાવ્યો

યવતમાલ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું ઉદઘાટન કર્યું

અનેક માર્ગ, રેલ અને સિંચાઈ યોજનાઓનું લોકાર્પણ કર્યું

"અમે છત્રપતિ શિવાજી પાસેથી પ્રેરણા લઈએ છીએ"

"મેં ભારતના દરેક ખૂણાને વિકસિત બનાવવાનો સંકલ્પ કર્યો છે. મારા શરીરનો એક એક કણ અને મારા જીવનની દરેક પળ આ સંકલ્પને સમર્પિત છે"

"છેલ્લા 10 વર્ષમાં જે કંઈ પણ કરવામાં આવ્યું છે તે આગામી 25 વર્ષનો પાયો નાખે છે"

"ગરીબોને આજે તેમનો લાયક હિસ્સો મળી રહ્યો છે"

"વિકસિત ભારતની રચના માટે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવું અનિવાર્ય છે"

"પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદયની પ્રેરણાસ્ત્રોત છે. તેમનું સમગ્ર જીવન ગરીબોને સમર્પ

Posted On: 28 FEB 2024 7:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રમાં યવતમાલમાં રૂ. 4900 કરોડથી વધારેનાં મૂલ્યનાં રેલવે, રોડ અને સિંચાઈ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું હતું. તેમણે કાર્યક્રમ દરમિયાન પીએમ કિસાન અને અન્ય યોજનાઓ અંતર્ગત લાભો પણ જાહેર કર્યા હતા. પ્રધાનમંત્રીએ સમગ્ર મહારાષ્ટ્રમાં 1 કરોડ આયુષ્માન કાર્ડના વિતરણની શરૂઆત પણ કરી હતી અને ઓબીસી કેટેગરીના લાભાર્થીઓ માટે મોદી આવાસ ઘરકુલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે બે ટ્રેન સેવાઓને પણ લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ યવતમાલ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું ઉદઘાટન પણ કર્યું હતું. દેશભરમાંથી ખેડૂતો મોટી સંખ્યામાં આ કાર્યક્રમ સાથે જોડાયા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજીની ભૂમિ સામે શિશ ઝુકાવ્યું હતું અને ધરતીપુત્ર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં અને વર્ષ 2019માં પણ 'ચાય પર ચર્ચા' કરવા આવ્યાં હતાં, ત્યારે તેમણે લોકોનાં આશીર્વાદને યાદ કર્યા હતાં. તેમણે ફરી એકવાર લોકોના આશીર્વાદ માંગ્યા. તેમણે માતા-બહેનોના આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

છત્રપતિ શિવાજીના શાસનને 350 વર્ષ પૂર્ણ થયાની નોંધ લેતા પ્રધાનમંત્રીએ તેમના રાજ્યાભિષેકને યાદ કરતા કહ્યું કે તેમણે રાષ્ટ્રીય ચેતના અને શક્તિને સર્વોચ્ચ મહત્વ આપ્યું અને અંતિમ શ્વાસ સુધી તેના માટે કામ કર્યું. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર તેમનાં આદર્શોને અનુસરે છે અને નાગરિકોનાં જીવનમાં પરિવર્તન લાવવાનાં અભિયાન પર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "છેલ્લાં 10 વર્ષમાં જે કંઈ પણ થયું છે, તે આગામી 25 વર્ષ માટે પાયો નાખે છે." પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મેં ભારતનાં દરેક ખૂણાને અને મારા જીવનની દરેક પળને વિકસાવવાનો સંકલ્પ લીધો છે અને મારા શરીરનો દરેક કણ આ સંકલ્પને સમર્પિત છે."

પ્રધાનમંત્રીએ ચાર સૌથી મોટી પ્રાથમિકતાઓ ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, "આ ચારનું સશક્તીકરણ દરેક પરિવાર અને સંપૂર્ણ સમાજની તાકાત સુનિશ્ચિત કરશે." તેમણે આજની ઇવેન્ટના પ્રોજેક્ટ્સને ચારેયના સશક્તીકરણ સાથે જોડ્યા હતા. તેમણે ખેડૂતો માટે સિંચાઈની સુવિધાઓ, ગરીબો માટે પાકા મકાનો, ગ્રામીણ મહિલાઓને નાણાકીય સહાય અને યુવાનોના ભવિષ્ય માટે માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો.

અગાઉની સરકારો દરમિયાન ખેડૂતો, આદિવાસીઓ અને જરૂરિયાતમંદોને અપાતી નાણાકીય સહાયમાં થયેલી ઉચાપત પર શોક વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ આજે એક બટન દબાવીને રૂ. 21,000 કરોડનાં મૂલ્યનાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનું વિતરણ કરવાનાં પ્રસંગે થયેલા વિરોધાભાસ પર પ્રકાશ પાડ્યો હતો અને આ ચેષ્ટાને મોદી કી ગેરંટી ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું, "ગરીબોને આજે તેમનો લાયક હિસ્સો મળી રહ્યો છે."

મહારાષ્ટ્રમાં ડબલ એન્જિન સરકારની ડબલ ગેરન્ટી પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ખેડૂતોને અલગથી રૂ. 3800 કરોડ મળ્યા છે, જેનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં આશરે 88 લાખ લાભાર્થી ખેડૂતોને લાભ થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશનાં 11 કરોડ ખેડૂતોને રૂ. 3 લાખ કરોડ મળ્યાં છે. જેમાંથી મહારાષ્ટ્રના ખેડૂતોને 30000 કરોડ રૂપિયા અને યવતમાલના ખેડૂતોના ખાતામાં 900 કરોડ રૂપિયા મળ્યા છે. પ્રધાનમંત્રીએ શેરડીની એફઆરપી વધારીને ક્વિન્ટલદીઠ રૂ. 340 કરવા વિશે પણ માહિતી આપી હતી. તેમણે ખાદ્યાન્ન સંગ્રહનું નિર્માણ કરવા માટે દુનિયાની સૌથી મોટી યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે તાજેતરમાં ભારત મંડપમમાં શરૂ કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિકસિત ભારતનાં નિર્માણ માટે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવું અતિ આવશ્યક છે." ગામડાઓમાં રહેતાં કુટુંબોને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમની સામે આવતી તમામ સમસ્યાઓનું સમાધાન કરવા સરકારનાં પ્રોત્સાહન પર ભાર મૂક્યો હતો. પીવા માટે પાણી હોય કે સિંચાઈ, પ્રધાનમંત્રીએ અગાઉની સરકારો દરમિયાન ગામડાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિને યાદ કરી હતી અને જાણકારી આપી હતી કે, વર્ષ 2104 અગાઉ દર 100માંથી માત્ર 15 પરિવારોને જ નળમાંથી પાણીનો પુરવઠો સુલભ થયો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "મોટા ભાગના ઉપેક્ષિત પરિવારો ગરીબો, દલિતો અને આદિવાસી સમુદાયોના છે." તેમણે પાણીની તંગીને કારણે મહિલાઓને જે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો તે પણ યાદ અપાવ્યું હતું અને તેમને મોદીની 'હર ઘર જલ' ની ગેરંટીની યાદ અપાવી હતી, જેના કારણે 100 માંથી 75 પરિવારોને 4-5 વર્ષમાં નળનું પાણી મળી ગયું હતું. તેમણે મહારાષ્ટ્રના આંકડા ૫૦ લાખથી ઓછાથી વધીને 1.25 કરોડ નળના પાણીના જોડાણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "મોદીની ગેરંટીનો અર્થ ગેરંટી પૂરી કરવાની ગેરંટી છે."

અગાઉના યુગની લાંબા સમયથી વિલંબિત 100 સિંચાઈ યોજનાઓનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ખેડૂતોને જણાવ્યું હતું કે, તેમાંથી 60 યોજનાઓ છેલ્લાં 10 વર્ષમાં પૂર્ણ થઈ ગઈ છે. આવી ૨૬ બાકી સિંચાઈ યોજનાઓ મહારાષ્ટ્રની હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વિદર્ભનાં ખેડૂતોએ એ જાણવું જરૂરી છે કે, તેમનાં કુટુંબોની મુશ્કેલીઓ પાછળ કોનો હાથ હતો." પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 26 પ્રોજેક્ટમાંથી 12 પ્રોજેક્ટ સરકારે પૂર્ણ કરી લીધા છે અને અન્ય પ્રોજેક્ટ્સ પર પણ કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રીએ નિલવંડે ડેમ પરિયોજનાનું ઉદાહરણ આપ્યું હતું, જે 50 વર્ષ પછી પૂર્ણ થયું હતું, ક્રિષ્ના કોયના અને ટેમ્ભુ પ્રોજેક્ટ્સ તથા ગોસીખુર્દ પ્રોજેક્ટમાં પણ વર્તમાન સરકાર દ્વારા દાયકાઓના વિલંબ પછી દિવસનો પ્રકાશ જોવા મળ્યો હતો. આજે પણ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ અને બલિરાજા સંજીવની યોજના અંતર્ગત વિદર્ભ અને મરાઠાવાડાને 51 પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગામડાઓમાંથી લખપતિ દીદી બનાવવાની મોદીની ગેરન્ટીનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 1 કરોડ મહિલાઓનો લક્ષ્યાંક હાંસલ થઈ ચૂક્યો છે અને આ વખતના બજેટમાં લખપતિ દીદીઓની સંખ્યા વધારીને 3 કરોડ કરવાની યોજના છે. તેમણે સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી 10 કરોડથી વધુ મહિલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમને બેંકમાંથી રૂ. 8 લાખ કરોડ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 40,000 કરોડનું વિશેષ ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જેનાથી મહારાષ્ટ્રની લાખો મહિલાઓને લાભ થાય છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, યવતમાલ જિલ્લામાં મહિલાઓને ઘણી ઇ-રિક્શા પણ આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ આ કામ માટે મહારાષ્ટ્ર સરકારને અભિનંદન આપ્યાં હતાં. તેમણે નમો ડ્રોન દીદી યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં મહિલાઓને સરકાર દ્વારા ડ્રોન પાઇલટ તરીકે તાલીમ આપવામાં આવી રહી છે અને કૃષિ ઉપયોગ માટે ડ્રોન પણ પ્રદાન કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની અંત્યોદય વિચારધારામાંથી પ્રેરણા લઈને પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષ દરમિયાન ગરીબોને સમર્પિત વિવિધ પ્રોજેક્ટની વિગતો આપી હતી, જેમ કે નિઃશુલ્ક રાશનની ગેરંટી અને નિઃશુલ્ક તબીબી સારવાર. આજે મહારાષ્ટ્રના 1 કરોડ પરિવારોને આયુષ્યમાન કાર્ડ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગરીબો માટે પાકા મકાનોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ઓબીસી પરિવારો માટે મકાનો માટેની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે અંતર્ગત 10,000 ઓબીસી પરિવારોને પાકા મકાનો મળશે, જે આજે શરૂ કરવામાં આવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મોદીએ માત્ર એ લોકોની જ દરકાર નથી કરી, જેમની ક્યારેય કાળજી લેવામાં આવી નથી, પરંતુ તેમની પૂજા પણ કરી છે." પ્રધાનમંત્રીએ રૂ. 13,000 કરોડનાં મૂલ્યનાં કારીગરો અને હસ્તકળાનાં માણસો માટે વિશ્વકર્મા યોજના અને રૂ. 23,000 કરોડનાં આદિવાસીઓ માટે પ્રધાનમંત્રી જનમન યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી જનમન યોજના મહારાષ્ટ્રનાં ઘણાં આદિવાસી સમુદાયોનાં જીવનને સરળ બનાવશે, જેમાં કાટકરી, કોલામ અને મડિયા સામેલ છે. સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબો, ખેડૂતો, યુવાનો અને નારી શક્તિને સશક્ત બનાવવાનું આ અભિયાન વધુ તીવ્ર બનશે અને આગામી પાંચ વર્ષમાં વિદર્ભમાં દરેક પરિવાર માટે વધુ સારા જીવનનું સર્જન કરીને વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળશે.

આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીઓ શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને શ્રી અજિત પવાર સહિત અન્ય સાંસદો, વિધાનસભા, વિધાન પરિષદ અને મહારાષ્ટ્ર સરકાર ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી અર્જુન મુંડાએ વર્ચ્યુઅલ રીતે પોતાની હાજરી આપી હતી.

પાર્શ્વ ભાગ

પ્રધાનમંત્રીની ખેડૂતોનાં કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ પ્રદર્શિત કરતું એક પગલું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) અંતર્ગત રૂ. 21,000 કરોડથી વધારેનાં 16માં હપ્તાની રકમ યવતમાલમાં જાહેર કાર્યક્રમમાં લાભાર્થીઓને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ મારફતે આપવામાં આવી હતી. આ ફાળવણી સાથે 3 લાખ કરોડથી વધુની રકમ 11 કરોડથી વધારે ખેડૂત પરિવારોને હસ્તાંતરિત કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ આશરે રૂ. 3800 કરોડનાં મૂલ્યનાં 'નમો શેતકરી મહાસંમાન નિધિ'નાં બીજા અને ત્રીજા હપ્તાનું વિતરણ પણ કર્યું હતું, જેનાથી સમગ્ર મહારાષ્ટ્રમાં આશરે 88 લાખ લાભાર્થી ખેડૂતોને લાભ થયો હતો. આ યોજના મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને દર વર્ષે ૬૦ રૂપિયાની વધારાની રકમ પ્રદાન કરે છે.

પ્રધાનમંત્રીએ સમગ્ર મહારાષ્ટ્રમાં 5.5 લાખ મહિલા સ્વસહાય જૂથો (એસએચજી)ને રૂ. 825 કરોડનાં રિવોલ્વિંગ ફંડનું વિતરણ કર્યું હતું. આ રકમ નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (એનઆરએલએમ) હેઠળ ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા રિવોલ્વિંગ ફંડમાં વધારાની છે. રિવોલ્વિંગ ફંડ (આરએફ) એસએચજીને વારાફરતી ધોરણે એસએચજીની અંદર નાણાં ધિરાણને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ સ્તરે મહિલાઓની આગેવાની હેઠળના સૂક્ષ્મ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને ગરીબ પરિવારોની વાર્ષિક આવકમાં વધારો કરવા માટે આપવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ તમામ સરકારી યોજનાઓની 100 ટકા સંતૃપ્તિના તેમના સ્વપ્નને સાકાર કરવા માટે કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવાના વધુ એક પગલા તરીકે સમગ્ર મહારાષ્ટ્રમાં એક કરોડ આયુષ્માન કાર્ડના વિતરણની શરૂઆત કરી હતી.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં ઓબીસી કેટેગરીના લાભાર્થીઓ માટે મોદી આવાસ ઘરકુલ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનામાં નાણાકીય વર્ષ 2023-24થી નાણાકીય વર્ષ 2025-26 સુધી 10 લાખ મકાનોનું નિર્માણ કરવાની કલ્પના કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આ યોજનાનાં 2.5 લાખ લાભાર્થીઓને રૂ. 375 કરોડનો પ્રથમ હપ્તો હસ્તાંતરિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં મરાઠાવાડા અને વિદર્ભ વિસ્તારને લાભ આપતી વિવિધ સિંચાઈ યોજનાઓ દેશને અર્પણ કરી હતી. આ યોજનાઓ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય) અને બલરાજા જલ સંજીવની યોજના (બીજેએસવાય) હેઠળ રૂ. 2750 કરોડથી વધારેનાં સંચિત ખર્ચ સાથે વિકસાવવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં રૂ. 1300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટનું ઉદઘાટન પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં વર્ધા-કુંમ્બ બ્રોડગેજ લાઇન (વર્ધા-યવતમાલ-નાંદેડ નવા બ્રોડગેજ લાઇન પ્રોજેક્ટનો ભાગ) અને ન્યૂ આશ્તી-અમલનેર બ્રોડગેજ લાઇન (અહમદનગર-બીડ-પરલી નવા બ્રોડગેજ પ્રોજેક્ટનો ભાગ) સામેલ છે. નવી બ્રોડગેજ લાઇનથી વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોની કનેક્ટિવિટીમાં સુધારો થશે અને સામાજિક-આર્થિક વિકાસને વેગ મળશે. પ્રધાનમંત્રીએ કાર્યક્રમ દરમિયાન બે ટ્રેન સેવાઓને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી પણ આપી હતી. તેમાં કાલામ્બ અને વર્ધાને જોડતી ટ્રેન સેવાઓ અને અમલનેર અને ન્યૂ આષ્ટીને જોડતી ટ્રેન સેવા સામેલ છે. આ નવી ટ્રેન સેવાથી રેલવે કનેક્ટિવિટીમાં સુધારો કરવામાં મદદ મળશે અને આ ક્ષેત્રના વિદ્યાર્થીઓ, વેપારીઓ અને દૈનિક મુસાફરોને લાભ થશે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં માર્ગ ક્ષેત્રને મજબૂત કરવા માટે કેટલીક પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પ્રોજેક્ટ્સમાં એનએચ– 930નાં વારોરા-વાની સેક્શનને ફોર લેન કરવાનો સમાવેશ થાય છે. સાકોલી-ભંડારા અને સલાઇખુર્દ-તિરોરાને જોડતા મહત્વના માર્ગો માટે રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ્સ. આ પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, મુસાફરીના સમયમાં ઘટાડો કરશે અને આ વિસ્તારમાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રીએ યવતમાલ શહેરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું ઉદઘાટન પણ કર્યું હતું.

AP/GP/JD



(Release ID: 2009942) Visitor Counter : 80