પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના નવી મુંબઈમાં 12,700 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો


અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્‌ઘાટન કર્યું

ઈસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટને મરીન ડ્રાઇવ સાથે જોડતી ભૂગર્ભ રોડ ટનલનો શિલાન્યાસ કર્યો

એસઇઈપીઝેડ સેઝ ખાતે 'ભારત રત્નમ્‌’ અને ન્યૂ એન્ટરપ્રાઇઝ એન્ડ સર્વિસીસ ટાવર (એનઇએસટી)-1નું ઉદ્‌ઘાટન કર્યું

રેલ અને પીવાનાં પાણી સાથે સંબંધિત બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી

ઉરણ રેલવે સ્ટેશનથી ખારકોપર સુધીની ઇ.એમ.યુ. ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી

નમો મહિલા સશક્તીકરણ અભિયાનની શરૂઆત કરી

જાપાન સરકારનો આભાર માન્યો અને શિન્ઝો આબેને યાદ કર્યા

“અટલ સેતુનું ઉદ્‌ઘાટન ભારતનાં માળખાગત કૌશલ્યનું ઉદાહરણ છે અને 'વિકસિત ભારત' તરફના દેશના માર્ગને રેખાંકિત કરે છે”

"અમારા માટે દરેક પ્રોજેક્ટ નવા ભારતનાં નિર્માણનું માધ્યમ છે"

"અટલ સેતુ વિકસિત ભારતનું ચિત્ર રજૂ કરે છે"

"પહેલા લાખો કરોડનાં કૌભાંડો ચર્ચાનો ભાગ હતાં, આજે ચર્ચા હજારો કરોડનાં પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાની થાય છે"


“જ્યાં અન્ય લોકો પાસેથી અપેક્ષાઓ પૂરી થાય છે ત્યાં મોદીની ગૅરંટીની શરૂઆત થાય છે”


"મહિલા

Posted On: 12 JAN 2024 7:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં 12,700 કરોડથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો હતો. દિવસની શરૂઆતમાં પ્રધાનમંત્રીએ નવી મુંબઈમાં 17,840 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આજે જે વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમાં માર્ગ અને રેલ સંપર્ક, પીવાનું પાણી, રત્નો અને ઝવેરાત અને મહિલા સશક્તીકરણનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ માત્ર મુંબઈ અને મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ 'વિકસિત ભારત'ના સંકલ્પ માટે પણ ઐતિહાસિક દિવસ છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભલે આ વિકાસલક્ષી યોજનાઓ મુંબઈમાં થઈ રહી છે, પણ સમગ્ર દેશની નજર તેની પર ચોંટેલી છે". ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનાં ઉદ્‌ઘાટનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તે ભારતના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ 24 ડિસેમ્બર, 2016ના રોજ એમ.ટી.એચ.એલ. અટલ સેતુના શિલાન્યાસને યાદ કરતાં કહ્યું હતું કે, આજનો પ્રસંગ સંકલ્પ દ્વારા સિદ્ધિનું પ્રતીક પણ છે. તેમણે મોટા પાયે પરિયોજનાઓ પૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને  ધ્યાન દોર્યું હતું કે ભૂતકાળમાં અગાઉની સરકારો દરમિયાન પ્રચલિત બેદરકારીભર્યાં વલણને કારણે નાગરિકો નિરાશ થઈ ગયા હતા. દેશ આગળ વધશે અને દેશ પ્રગતિ કરશે. આ 2016માં મોદીની ગૅરંટી હતી", પ્રધાનમંત્રીએ કહ્યું, "હું અટલ સેતુ મુંબઈગરાને સમર્પિત કરું છું અને રાષ્ટ્ર છત્રપતિ શિવાજી, મુંબા દેવી અને સિદ્ધિવિનાયક સમક્ષ રાષ્ટ્ર નમન કરે છે". તેમણે કોરોના વાયરસ મહામારી દરમિયાન સર્જાયેલા વિક્ષેપો છતાં એમ.ટી.એચ.એલ. અટલ સેતુ સમયસર પૂર્ણ થવાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, કોઈ પણ વિકાસ પરિયોજનાનું ઉદ્‌ઘાટન, લોકાર્પણ અથવા શિલાન્યાસ ફોટો ઓપ નથી પરંતુ તે ભારતનાં નિર્માણનું માધ્યમ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આવી દરેક યોજના ભવ્ય ભારતના વિકાસમાં યોગદાન આપે છે".

રસ્તાઓ, રેલવે, મેટ્રો અને પાણી અને વેપાર સંબંધિત માળખાગત સુવિધાઓનાં ક્ષેત્રોમાં આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આમાંથી મોટાભાગની પરિયોજનાઓ ત્યારે શરૂ કરવામાં આવી હતી જ્યારે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર હતી અને તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને શ્રી અજિત પવારનાં નેતૃત્વમાં ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

મહિલાઓની હાજરી અને આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મોદી દ્વારા આપવામાં આવેલી દીકરીઓ અને બહેનોનાં સશક્તીકરણની ગૅરંટી મહારાષ્ટ્ર સરકાર દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે". તેમણે ધ્યાન દોર્યું હતું કે, મુખ્યમંત્રી મહિલા સક્ષમીકરણ અભિયાન, નારી શક્તિદૂત એપ્લિકેશન અને લેક લડકી યોજના જેવી યોજનાઓ તે દિશામાં પ્રયાસો છે. "મહિલાઓ સાથે આગળ આવવું અને વિકસિત ભારત માટે આંદોલનનું નેતૃત્વ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણી માતાઓ અને દીકરીઓના માર્ગમાં આવતા દરેક અવરોધને દૂર કરવા અને તેમના માટે ઈઝ ઑફ લિવિંગ-જીવનની સરળતા સુનિશ્ચિત કરવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે” એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ઉજ્જવલા, આયુષ્માન કાર્ડ, જન ધન ખાતાઓ, પીએમ આવાસ હેઠળ પાકાં મકાનો, માતૃ વંદના, 26 સપ્તાહની પ્રસૂતિ રજા અને સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ જેવી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જે મહિલાઓની જરૂરિયાતો પ્રત્યેની ચિંતાને સ્પષ્ટ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, "મહિલા કલ્યાણ એ કોઈપણ રાજ્યમાં કોઈ પણ ડબલ એન્જિનવાળી સરકારની સૌથી મોટી ગૅરંટી છે".

તેમણે કહ્યું કે અટલ સેતુ તેનાં કદ, ઈઝ ઑફ ટ્રાવેલ-મુસાફરીની સરળતા, ઇજનેરો અને વ્યાપ માટે દરેકને ગૌરવથી ભરી રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, આ પ્રોજેક્ટમાં વપરાયેલું સ્ટીલ 4 હાવડા બ્રિજ અને 6 સ્ટેચ્યુ ઑફ લિબર્ટીનું નિર્માણ કરવા માટે પૂરતું છે. પ્રધાનમંત્રીએ જાપાન સરકારનો તેમની સહાય બદલ આભાર માન્યો હતો અને પ્રધાનમંત્રી શિન્ઝો આબેને યાદ કર્યા હતા. પીએમ મોદીએ યાદ કરતાં કહ્યું, "અમે આ પુલનું નિર્માણ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાનો સંકલ્પ લીધો હતો.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "અટલ સેતુ એ સમગ્ર દેશે 2014માં કરેલી આકાંક્ષાઓનો પોકાર છે". જ્યારે પ્રધાનમંત્રીએ રાયગઢ કિલ્લાની મુલાકાત લીધી હતી અને શિવાજીની સમાધિ પર સમય પસાર કર્યો હતો એ 2014ની ચૂંટણી પહેલાના સમયને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, 10 વર્ષ પહેલાં જે સપનાઓ અને સંકલ્પો લેવામાં આવ્યા હતા, તે આજે સાકાર થયા છે. "અટલ સેતુ એ આ માન્યતાનું પ્રતિબિંબ છે અને તે વિકસિત ભારતનું ચિત્ર રજૂ કરે છે", એમ તેમણે એમ.એચ.ટી.એલ. અટલ સેતુ યુવાનોમાં નવી માન્યતાઓ સ્થાપિત કરે છે તેના પર ભાર મૂકતા કહ્યું હતું. "વિકસિત ભારતમાં તમામ માટે સેવાઓ અને સમૃદ્ધિ હશે. તેમાં ઝડપ અને પ્રગતિ હશે જે વિશ્વને નજીક લાવશે. જીવન અને આજીવિકાનો વિકાસ થતો રહેશે. આ અટલ સેતુનો સંદેશ છે", એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

છેલ્લાં 10 વર્ષમાં ભારતમાં લાવવામાં આવેલાં પરિવર્તન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, જ્યારે 2014 પહેલાંના ભારતને યાદ કરવામાં આવે ત્યારે પરિવર્તિત ભારતની છબી વધુ સ્પષ્ટ થાય છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "અગાઉ લાખો કરોડ રૂપિયાનાં કૌભાંડો ચર્ચાનો ભાગ હતાં, આજે ચર્ચા હજારો કરોડ રૂપિયાની પરિયોજનાઓ પૂર્ણ થવાની આસપાસ ફરે છે". તેમણે પૂર્વોત્તરમાં ભૂપેન હજારિકા સેતુ અને બોગીબીલ પુલ, અટલ ટનલ અને ચિનાબ પુલ, બહુવિધ એક્સપ્રેસવે, આધુનિક રેલવે સ્ટેશનો, પૂર્વીય અને પશ્ચિમી માલવાહક કોરિડોર, વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત ટ્રેનોનું કામ પૂર્ણ થવા અને નવા હવાઇમથકોનાં ઉદ્‌ઘાટનનાં ઉદાહરણો આપ્યાં હતાં.

મહારાષ્ટ્રમાં તાજેતરની મેગા વિકાસ પરિયોજનાઓનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ બાલા સાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગનાં ઉદ્‌ઘાટન અને નવી મુંબઈ એરપોર્ટ અને કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પર ચાલી રહેલી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો, જે મુંબઈમાં જોડાણનો ચહેરો બદલવા માટે સજ્જ છે. તેમણે મુસાફરીની સરળતા વધારવા માટે પૂર્વીય ફ્રીવેના ઓરેન્જ ગેટને મરીન ડ્રાઇવ સાથે જોડતી ભૂગર્ભ રોડ ટનલનો પણ ઉલ્લેખ કર્યો હતો. "ટૂંક સમયમાં, મુંબઈને તેની પ્રથમ બુલેટ ટ્રેન પણ મળશે", એમ તેમણે ઉમેર્યું, "દિલ્હી-મુંબઈ આર્થિક કોરિડોર મહારાષ્ટ્રને મધ્ય અને ઉત્તર ભારત સાથે જોડશે. મહારાષ્ટ્રને તેલંગાણા, છત્તીસગઢ અને અન્ય પડોશી રાજ્યો સાથે જોડવા માટે ટ્રાન્સમિશન લાઇન નેટવર્ક પણ નાખવામાં આવી રહ્યું છે. ઓઇલ અને ગેસ પાઇપલાઇન, ઔરંગાબાદ ઔદ્યોગિક શહેર, નવી મુંબઈ એરપોર્ટ અને શેન્દ્રા-બિડકિન ઔદ્યોગિક પાર્ક જેવા મોટા પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્રનાં અર્થતંત્રને નવી ગતિ આપવા જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રીએ વર્ણવ્યું કે કેવી રીતે કરદાતાનાં નાણાંનો ઉપયોગ રાષ્ટ્રના વિકાસ માટે થઈ રહ્યો છે અને તેની સરખામણી અગાઉ થતા આ નાણાંના નિર્દય દુરુપયોગ સાથે કરી હતી. તેમણે નીલવાંડે ડેમ પ્રોજેક્ટ વિશે વાત કરી જે 5 દાયકા પહેલા શરૂ થયો હતો અને વર્તમાન સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો અને ઉરણ-ખારકોપર રેલવે લાઇન પર કામ 3 દાયકા પહેલા શરૂ કરવામાં આવ્યું હતું, જે ડબલ એન્જિન સરકાર દ્વારા ફાસ્ટ ટ્રેક કરવામાં આવ્યું હતું અને આજે પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કરાયો છે. એ જ રીતે, નવી મુંબઈ મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો લાંબા વિલંબ પછી પૂર્ણ થયો હતો. તેમણે માહિતી આપી હતી કે અટલ સેતુ પણ 5થી 6 દાયકા સુધી આયોજનમાં હતો. અને બાંદ્રા-વર્લી સી લિંક, 5 ગણી નાની આ પરિયોજનામાં 10 વર્ષથી વધુ સમય લાગ્યો હતો અને બજેટમાં 4થી 5 ગણો વધારો થયો હતો.

પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અટલ સેતુનાં નિર્માણમાં આશરે 17,000 મજૂરો અને 1500 ઇજનેરોને રોજગારી આપવામાં આવી છે, જ્યારે પરિવહન અને બાંધકામ ઉદ્યોગોમાં રોજગારીની તકોનું સર્જન પણ થયું છે. "અટલ સેતુ આ પ્રદેશમાં તમામ વ્યવસાયિક પ્રવૃત્તિઓને મજબૂત બનાવશે અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ અને ઈઝ ઑફ લિવિંગને પણ પ્રોત્સાહન આપશે", એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આજે ભારત બે મોરચે એક સાથે પ્રગતિ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે એક તરફ સરકાર ગરીબોની આજીવિકા સુધારવા માટે મોટાં અભિયાનો ચલાવી રહી છે, તો બીજી તરફ દેશના દરેક ભાગમાં મોટા પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ અટલ પેન્શન યોજના અને અટલ સેતુ, આયુષ્માન ભારત યોજના અને વંદે ભારત-અમૃત ભારત ટ્રેનો, પ્રધાનમંત્રી કિસાન સમ્માન અને પ્રધાનમંત્રી ગતિશક્તિની વચ્ચે તુલનાત્મક ભેદનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકો પ્રત્યે સરકારના ઇરાદા અને વફાદારીનો શ્રેય આપ્યો હતો, જ્યારે અગાઉની સરકારોના ઇરાદાઓ પર પણ સંતાપ વ્યક્ત કર્યો હતો, જેઓ સત્તાની ભૂખી હતી અને સામાન્ય જનતાને બદલે પોતાના પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. વિકાસના અભાવ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, વર્ષ 2014 પહેલાનાં 10 વર્ષમાં માળખાગત સુવિધાઓ માટે માત્ર 12 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું, જ્યારે વર્તમાન સરકારનાં 10 વર્ષમાં માળખાગત સુવિધાઓ માટે 44 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. "એકલા મહારાષ્ટ્રમાં, કેન્દ્ર સરકારે લગભગ 8 લાખ કરોડ રૂપિયાની માળખાગત યોજનાઓ પૂર્ણ કરી છે અથવા તેના પર કામ ચાલી રહ્યું છે. આ રકમ દરેક ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ વધારી રહી છે”, એમ તેમણે ઉમેર્યું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મોદીની ગૅરંટી ત્યાં શરૂ થાય છે જ્યાં અન્ય લોકો પાસેથી અપેક્ષાઓ સમાપ્ત થાય છે". તેમણે સ્વચ્છતા, શિક્ષણ, તબીબી સહાય અને કમાણી સંબંધિત યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી મહિલાઓને સૌથી વધુ ફાયદો થયો છે. પીએમ જન ઔષધિ કેન્દ્રો, સ્વનિધિ, પીએમ આવાસ અને સ્વ-સહાય જૂથોને મદદ 'લખપતિ દીદી' બનાવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2 કરોડ 'લખપતિ દીદી "બનાવવાનું લક્ષ્ય છે. મહારાષ્ટ્ર સરકારની યોજનાઓ પણ આ દિશામાં કામ કરી રહી છે. હું તમને ખાતરી આપું છું કે ડબલ એન્જિનવાળી સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે તે જ સમર્પણ સાથે કામ કરવાનું ચાલુ રાખશે. મહારાષ્ટ્ર વિકસિત ભારતનો મજબૂત આધારસ્તંભ બને તે સુનિશ્ચિત કરવા માટે અમે કોઈ કસર છોડીશું નહીં”, એમ પ્રધાનમંત્રી શ્રી મોદીએ સમાપન કર્યું હતું.

આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈસ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને શ્રી અજિત પવાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શ્ચાદભૂમિકા

અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ

પ્રધાનમંત્રીનું વિઝન શહેરી પરિવહન માળખું અને જોડાણને મજબૂત કરીને નાગરિકોની 'ઈઝ ઑફ મોબિલિટી-અવરજવરની સરળતા'માં સુધારો કરવાનું છે. આ વિઝનને અનુરૂપ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમ.ટી.એચ.એલ.)નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું નામ હવે 'અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ' રાખવામાં આવ્યું છે. આ પુલનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા ડિસેમ્બર 2016માં કરવામાં આવ્યો હતો.

અટલ સેતુનું નિર્માણ કુલ 17,840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. તે લગભગ 21.8 કિમી લાંબો 6 લેનનો પુલ છે, જેની લંબાઈ સમુદ્ર ઉપર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે. તે ભારતનો સૌથી લાંબો પુલ છે અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. તે મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક સાથે ઝડપી જોડાણ પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારત સુધીની મુસાફરીનો સમય પણ ઘટાડશે. તે મુંબઈ બંદર અને જવાહરલાલ નહેરુ બંદર વચ્ચે જોડાણમાં પણ સુધારો કરશે.

અન્ય વિકાસલક્ષી પરિયોજનાઓ

પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટને મરીન ડ્રાઇવ સાથે જોડતી ભૂગર્ભ રોડ ટનલનો શિલાન્યાસ કર્યો હતો. 9.2 કિલોમીટર લાંબી આ ટનલ 8700 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવશે અને તે મુંબઈમાં એક મહત્વપૂર્ણ માળખાગત વિકાસ હશે, જેનાથી ઓરેન્જ ગેટ અને મરીન ડ્રાઇવ વચ્ચે મુસાફરીનો સમય ઘટશે.

પ્રધાનમંત્રીએ સૂર્ય પ્રાદેશિક જથ્થાબંધ પીવાનાં પાણીની પરિયોજનાનો પ્રથમ તબક્કો રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. રૂ. 1975 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લામાં પીવાનાં પાણીનો પુરવઠો પૂરો પાડશે, જેનાથી લગભગ 14 લાખ વસ્તીને ફાયદો થશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આશરે 2000 કરોડ રૂપિયાની રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમાં 'ઉરણ-ખારકોપર રેલવે લાઇનનો તબક્કો 2' નું લોકાર્પણ સામેલ છે, જે નવી મુંબઈ સાથે જોડાણ વધારશે કારણ કે નેરુલ/બેલાપુરથી ખારકોપર વચ્ચે ચાલતી ઉપનગરીય સેવાઓને હવે ઉરણ સુધી લંબાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઉરણ રેલવે સ્ટેશનથી ખારકોપર સુધીની ઇ.એમ.યુ. ટ્રેનની પ્રારંભિક દોડને પણ લીલી ઝંડી બતાવી હતી.

અન્ય જે રેલ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે તેમાં થાણે-વાશી/પનવેલ ટ્રાન્સ-હાર્બર લાઇન પર નવું ઉપનગરીય સ્ટેશન 'દીઘા ગામ' અને ખાર રોડ અને ગોરેગાંવ રેલવે સ્ટેશન વચ્ચેની નવી છઠ્ઠી લાઇનનો સમાવેશ થાય છે. આ પરિયોજનાઓથી મુંબઈમાં દૈનિક હજારો મુસાફરોને લાભ થશે.

પ્રધાનમંત્રીએ સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન-સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEEPZ SEZ) ખાતે રત્નો અને ઝવેરાત ક્ષેત્ર માટે 'ભારત રત્નમ' (મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર)નું ઉદ્‌ઘાટન કર્યું હતું, જે 3D મેટલ પ્રિન્ટિંગ સહિત વિશ્વમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ મશીનો સાથે ભારતમાં આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. આ વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીઓ સહિત આ ક્ષેત્ર માટે કાર્યબળનાં કૌશલ્ય માટે એક તાલીમ શાળા હશે. મેગા સીએફસી રત્નો અને ઝવેરાતના વેપારમાં નિકાસ ક્ષેત્રમાં પરિવર્તન લાવશે અને સ્થાનિક ઉત્પાદનમાં પણ મદદ કરશે.

પ્રધાનમંત્રીએ SEEPZ-SEZ ખાતે ન્યૂ એન્ટરપ્રાઇઝ એન્ડ સર્વિસીસ ટાવર (NEST)-1નું પણ ઉદ્‌ઘાટન કર્યું હતું. NEST-01 મુખ્યત્વે રત્ન અને ઝવેરાત ક્ષેત્રનાં એકમો માટે છે, જે હાલની સ્ટાન્ડર્ડ ડિઝાઇન ફૅક્ટરી-Iમાંથી સ્થાનાંતરિત કરવામાં આવશે. નવો ટાવર મોટા પાયે ઉત્પાદન માટે અને ઉદ્યોગની માગ અનુસાર તૈયાર કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ નમો મહિલા સશક્તીકરણ અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ અભિયાનનો ઉદ્દેશ મહારાષ્ટ્ર રાજ્યમાં કૌશલ્ય વિકાસ તાલીમ અને ઉદ્યોગસાહસિકતા વિકાસનો સંપર્ક પ્રદાન કરીને મહિલાઓનું સશક્તીકરણ કરવાનો છે. આ અભિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારોના મહિલા વિકાસ કાર્યક્રમોના સમન્વય અને પરિપૂર્ણતા તરફના પ્રયાસો પણ હાથ ધરશે.

*****

CB/GP/JD



(Release ID: 1995742) Visitor Counter : 70