પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજસ્થાનનાં બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું


અમૃતસર- જામનગર ઇકોનોમિક કૉરિડોરનો છ લેનનો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સેક્શન સમર્પિત કર્યો

ગ્રીન એનર્જી કૉરિડોર માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇનનો પ્રથમ તબક્કો સમર્પિત કર્યો

બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇનને સમર્પિત કરી

બિકાનેરમાં 30-પથારી ધરાવતી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હૉસ્પિટલનું લોકાર્પણ કર્યું

બિકાનેર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલારોપણ કર્યું

43 કિલોમીટર લાંબી ચુરુ – રતનગઢ સેક્શન રેલવે લાઇનને બમણી કરવા માટે શિલારોપણ કર્યું

"રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વાત કરવામાં આવે તો રાજસ્થાને બેવડી સદી ફટકારી છે"

"રાજસ્થાન અપાર ક્ષમતાઓ અને સંભાવનાઓનું કેન્દ્ર છે"

"ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવે સમગ્ર પશ્ચિમ ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓને મજબૂત બનાવશે"

"અમે સરહદી ગામોને દેશનાં 'પ્રથમ ગામો' જાહેર કર્યાં છે”

Posted On: 08 JUL 2023 6:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં આશરે રૂ. 11,125 કરોડના ખર્ચે નિર્મિત અમૃતસર-જામનગર ઇકોનોમિક કૉરિડોરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું લોકાર્પણ, આશરે રૂ. 10,950 કરોડનાં મૂલ્યનાં ગ્રીન એનર્જી કૉરિડોર માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, પાવર ગ્રિડ દ્વારા આશરે રૂ. 1,340 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનારી બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇનનું લોકાર્પણ અને બિકાનેરમાં નવી 30 પથારીવાળી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) હૉસ્પિટલનું લોકાર્પણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આશરે રૂ. 450 કરોડના ખર્ચે બિકાનેર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને 43 કિલોમીટરની લંબાઈ ધરાવતી ચુરુ-રતનગઢ સેક્શન રેલવે લાઇનને બમણી કરવા માટે શિલારોપણ કર્યું હતું.

અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ યોદ્ધાઓની આ ભૂમિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, રાજ્યના વિકાસ માટે સમર્પિત લોકો હંમેશા એવી તક પ્રસ્તુત કરે છે, જે તેઓને દેશને વિકાસલક્ષી પરિયોજનાઓ સમર્પિત કરવા માટે પોતાની જાતને ઉપલબ્ધ કરાવે છે. 24,000 કરોડથી વધુની કિંમતની આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, રાજસ્થાનને ગણતરીના મહિનાઓમાં જ બે આધુનિક છ લેનના એક્સપ્રેસવે મળ્યા છે. પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરીમાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ કૉરિડોરનાં દિલ્હી- દૌસા– લાલસોટ સેક્શનનાં ઉદ્‌ઘાટનને યાદ કરીને આજે અમૃતસર- જામનગર એક્સપ્રેસવેનાં 500 કિલોમીટરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું ઉદ્‌ઘાટન કરવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "એક રીતે જોઈએ તો નેશનલ હાઈવેની વાત કરીએ તો રાજસ્થાને બેવડી સદી ફટકારી છે." પ્રધાનમંત્રીએ ગ્રીન એનર્જી કૉરિડોર અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હૉસ્પિટલ માટે બિકાનેર અને રાજસ્થાનના લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાજસ્થાન હંમેશા ક્ષમતાઓ અને સંભવિતતાઓથી ભરેલું રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વૃદ્ધિની આ સંભવિતતાને કારણે જ રાજ્યમાં વિક્રમજનક રોકાણ થઈ રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ માટે અનંત સંભાવનાઓ હોવાથી કનેક્ટિવિટીને હાઈ-ટેક બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ફાસ્ટ સ્પીડ એક્સપ્રેસવે અને રેલવેથી પ્રવાસનની તકોને વેગ મળશે, જેનો લાભ રાજ્યના યુવાનોને મળશે.

આજે ઉદ્‌ઘાટન કરાયેલા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવેનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તે રાજસ્થાનને હરિયાણા, પંજાબ, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર સાથે જોડશે, ત્યારે જામનગર અને કંડલા જેવાં મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક બંદરો પણ બિકાનેર અને રાજસ્થાનથી સુલભ બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિકાનેર અને અમૃતસર અને જોધપુર વચ્ચેનું અંતર ઘટશે તેમજ જોધપુર અને ગુજરાત વચ્ચેનું અંતર પણ ઘટશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતો અને વ્યવસાયોને મોટો લાભ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓને મજબૂત કરશે." તેમણે ઓઇલ ફિલ્ડ રિફાઇનરીઓ સાથે વધેલી કનેક્ટિવિટી પર પ્રકાશ પાડ્યો હતો, જે પુરવઠો મજબૂત કરશે, જેથી દેશમાં આર્થિક વિકાસને વેગ મળશે.

રેલવે લાઇનને બમણી કરવા વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં રેલવેના વિકાસને પ્રાથમિકતા આપવા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે 2004-2014ની વચ્ચે રાજસ્થાનને રેલવે માટે દર વર્ષે સરેરાશ 1000 કરોડ રૂપિયાથી ઓછા મળ્યા હતા જ્યારે 2014 પછી, રાજ્યને દર વર્ષે સરેરાશ 10,000 કરોડ રૂપિયા મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માળખાગત સુવિધાને વેગ આપવાથી સૌથી વધુ લાભ નાના ધંધાર્થીઓ અને લઘુ ઉદ્યોગોને થશે. તેમણે બિકાનેરના આચાર, પાપડ, નમકીનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, વધુ સારી કનેક્ટિવિટી સાથે આ નાના ધંધાઓ તેમનાં ઉત્પાદનોને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવા સક્ષમ બનશે.

રાજસ્થાનના વિકાસ માટેના પ્રયાસો ચાલુ રાખતાં પ્રધાનમંત્રીએ લાંબા સમયથી ઉપેક્ષિત સરહદી ગામડાઓ માટે વાઇબ્રન્ટ વિલેજ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. "અમે સરહદી ગામોને દેશનાં 'પ્રથમ ગામો' જાહેર કર્યાં છે. આ વિસ્તારોમાં વિકાસ તરફ દોરી જાય છે અને આ વિસ્તારોની મુલાકાત લેવા વિશે દેશના લોકોમાં નવી રુચિ છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં કરણી માતા અને સાલાસર બાલાજીનાં આશીર્વાદ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, રાજ્ય વિકાસની ટોચ પર હોવું જોઈએ. એટલા માટે ભારત સરકાર પોતાની પૂરી તાકાતથી રાજસ્થાનના વિકાસ માટે કામ કરી રહી છે. તેમણે એવી આશા સાથે સમાપન કર્યું કે દરેકના સંયુક્ત પ્રયત્નોથી રાજસ્થાનનાં તમામ વિકાસ લક્ષ્યો સાકાર થશે.

આ પ્રસંગે રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર, કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કૈલાશ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ અમૃતસર-જામનગર ઇકોનોમિક કૉરિડોરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. રાજસ્થાનમાં 500 કિ.મી.થી વધુનો વિસ્તાર ધરાવતો આ વિભાગ હનુમાનગઢ જિલ્લાનાં ગામ જાખરાવાલીથી જલોર જિલ્લાનાં ગામ ખેતલાવાસ સુધી ચાલે છે, જે આશરે 11,125 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ એક્સપ્રેસવે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને મુખ્ય શહેરો તથા ઔદ્યોગિક કૉરિડોર વચ્ચેની કનેક્ટિવિટીમાં સુધારો કરશે. એક્સપ્રેસ વે ફક્ત માલનાં અસ્ખલિતપરિવહનની સુવિધા જ નહીં પરંતુ તેના માર્ગ પર પર્યટન અને આર્થિક વિકાસમાં પણ વધારો કરશે.

પ્રદેશમાં વીજ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા પ્રધાનમંત્રીએ આશરે રૂ. 10,950 કરોડનાં મૂલ્યનાં ગ્રીન એનર્જી કૉરિડોર માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું હતું.  આ ગ્રીન એનર્જી કૉરિડોર આશરે 6 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું સંકલન કરશે અને પશ્ચિમ વિસ્તારમાં થર્મલ ઉત્પાદન સાથે પુનઃપ્રાપ્ય ઊર્જાનું ગ્રિડ બેલેન્સિંગ કરવામાં મદદ કરશે અને આ રીતે ઉત્તર વિસ્તારમાં હાઇડ્રો ઉત્પાદન કરશે, જેથી નોર્ધન રિજન અને પશ્ચિમ ક્ષેત્ર વચ્ચે ટ્રાન્સમિશન ક્ષમતા મજબૂત થશે. પ્રધાનમંત્રીએ આશરે રૂ. 1,340 કરોડના ખર્ચે પાવર ગ્રિડ દ્વારા વિકસાવવામાં આવનારી બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇનને પણ સમર્પિત કરી હતી. બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇન રાજસ્થાનમાં 8.1 ગીગાવોટ સોલર પાવરને ખાલી કરાવવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ બિકાનેરમાં નવી 30-પથારીવાળી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હૉસ્પિટલ સમર્પિત કરી હતી. આ હૉસ્પિટલ 100 પથારીઓ સુધી અપગ્રેડ કરી શકાય તેવી ક્ષમતા ધરાવશે અને તે મહત્ત્વપૂર્ણ હેલ્થકેર સુવિધા તરીકે કામ કરશે, જે સ્થાનિક સમુદાયની તબીબી જરૂરિયાતો પૂર્ણ કરશે તથા સુલભ અને ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ સુનિશ્ચિત કરશે.

ઉપરાંત પ્રધાનમંત્રીએ બિકાનેર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે શિલારોપણ પણ કર્યું હતું. આશરે રૂ.૪૫૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર આ રિડેવલપમેન્ટનાં કામમાં તમામ પ્લેટફોર્મના રિનોવેશનની સાથે-સાથે ફ્લોરિંગ અને ટોચમર્યાદા પણ સામેલ હશે, સાથે સાથે રેલવે સ્ટેશનના હાલનાં માળખાના હેરિટેજ સ્ટેટસનું જતન સુનિશ્ચિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ 43 કિલોમીટરની લંબાઈ ધરાવતા ચુરુ–રતનગઢ સેક્શનનાં ડબલિંગ માટે શિલારોપણ પણ કર્યું હતું. આ રેલવે લાઇનને બમણી કરવાથી કનેક્ટિવિટી વધશે અને જીપ્સમ, ચૂનાના પત્થરો, અનાજ અને ખાતર ઉત્પાદનોને બિકાનેર વિસ્તારમાંથી દેશના બાકીના ભાગોમાં સરળતાથી પરિવહનની સુવિધા મળશે.

YP/GP/JD



(Release ID: 1938206) Visitor Counter : 183