પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેરળના થ્રિસુરમાં શ્રી સીતારામ સ્વામી મંદિરના કાર્યક્રમને સંબોધન કર્યું


"ભારત ભલે પ્રતીકોમાં દેખાય છે, તે તેના જ્ઞાન અને વિચારમાં જીવે છે. ભારત શાશ્વતની શોધમાં જીવે છે”

"આપણા મંદિરો અને તીર્થધામો સદીઓથી આપણા સમાજના મૂલ્યો અને સમૃદ્ધિના પ્રતિક છે"

Posted On: 25 APR 2023 9:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો સંદેશ દ્વારા ત્રિસુરમાં શ્રી સીતારામ સ્વામી મંદિરના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે ત્રિશૂર પુરમ ઉત્સવના શુભ અવસર પર સૌને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કેરળની સાંસ્કૃતિક રાજધાની તરીકે થ્રિસુરની સ્થિતિને સ્વીકારીને શરૂઆત કરી હતી જ્યાં સંસ્કૃતિ, પરંપરા અને કળા આધ્યાત્મિકતા, તત્વજ્ઞાન અને તહેવારોની સાથે ખીલે છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે ત્રિશૂર તેની વિરાસત અને ઓળખને જીવંત રાખી રહ્યું છે અને શ્રી સીતારામ સ્વામી મંદિર આ દિશામાં વાઇબ્રન્ટ સેન્ટર તરીકે કામ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ મંદિરના વિસ્તરણ પર તેમની ખુશી વ્યક્ત કરી અને નોંધ્યું કે સોનાનો ઢોળ ચડાવેલો ગર્ભ ગૃહ ભગવાન શ્રી સીતારામ અને ભગવાન અયપ્પા અને ભગવાન શિવને સમર્પિત કરવામાં આવી રહ્યો છે. તેમણે 55 ફૂટની ભગવાન હનુમાનની પ્રતિમાની સ્થાપનાની પણ પ્રશંસા કરી હતી અને સૌને કુંભાભિષેકની શુભેચ્છા પાઠવી હતી.

કલ્યાણ પરિવાર અને શ્રી ટી એસ કલ્યાણરામનના યોગદાનની પ્રશંસા કરતા અને તેમની અગાઉની મુલાકાત અને મંદિર વિશેની ચર્ચાને યાદ કરતા પ્રધાનમંત્રીએ આ પ્રસંગે તેઓ અનુભવી રહેલા આધ્યાત્મિક આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ત્રિશૂર અને શ્રી સીતારામ સ્વામી મંદિર માત્ર આસ્થાના શિખર નથી, તેઓ ભારતની ચેતના અને આત્માનું પ્રતિબિંબ પણ છે. શ્રી મોદીએ મધ્યકાલીન સમયગાળા દરમિયાન આક્રમણના સમયગાળાને યાદ કર્યો. જેમ જેમ આ આક્રમણકારો મંદિરોનો નાશ કરી રહ્યા હતા, પ્રધાનમંત્રીએ કહ્યું, તેઓ અજાણ હતા કે ભારત ભલે પ્રતીકોમાં દેખાય છે પરંતુ તે તેના જ્ઞાન અને વિચારમાં જીવે છે. ભારત શાશ્વતની શોધમાં જીવે છે, એમ તેમણે ઉમેર્યું. "ભારતની આત્મા શ્રી સીતારામ સ્વામી અને ભગવાન અયપ્પાના રૂપમાં તેની અમરતાની ઘોષણા કરી રહી છે. તે સમયના આ મંદિરો જાહેર કરે છે કે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નો વિચાર હજારો વર્ષોનો અમર વિચાર છે. આજે, સ્વતંત્રતાના સુવર્ણ યુગમાં, આપણે આપણા વારસા પર ગર્વ કરવાનો સંકલ્પ લઈને આ વિચારને આગળ લઈ જઈ રહ્યા છીએ, તેમ તેમણે કહ્યું હતું.

"આપણા મંદિરો અને તીર્થધામો સદીઓથી આપણા સમાજના મૂલ્યો અને સમૃદ્ધિના પ્રતીકો છે", પ્રધાનમંત્રીએ શ્રી સીતારામ સ્વામી મંદિર પ્રાચીન ભારતની ભવ્યતા અને વૈભવને જાળવી રાખતાં આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું. આ મંદિર દ્વારા ચલાવવામાં આવતા અનેક લોક કલ્યાણના કાર્યક્રમો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એક એવી વ્યવસ્થા છે જ્યાં સમાજ પાસેથી મળેલા સંસાધનો સેવા તરીકે પરત કરવામાં આવે છે. તેમણે મંદિર સમિતિને આ પ્રયાસોમાં દેશના વધુ સંકલ્પો ઉમેરવા વિનંતી કરી, પછી તે શ્રી અન્ના અભિયાન હોય, સ્વચ્છતા અભિયાન હોય કે કુદરતી ખેતી પ્રત્યે જનજાગૃતિ હોય. સંબોધનનું સમાપન કરતાં, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશના ધ્યેયો અને સંકલ્પોને સાકાર કરવાનું કાર્ય ચાલુ હોવાથી શ્રી શ્રી સીતારામ સ્વામી જીના આશીર્વાદ દરેક પર વરસશે.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1920114) Visitor Counter : 126