પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તુમાકુરુમાં HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું


તુમાકુરુમાં તુમાકુરુ ઔદ્યોગિક ટાઉનશિપ અને બે જલ જીવન મિશન પરિયોજનાનો શિલાન્યાસ કર્યો

“ડબલ એન્જિનની સરકારે કર્ણાટકને રોકાણકારોની પ્રથમ પસંદગીનું સ્થળ બનાવી દીધું છે”

“આપણે આપણી સંરક્ષણ ક્ષેત્રની જરૂરિયાતો માટે વિદેશ પરની નિર્ભરતા ઓછી કરવી પડશે”

“‘રાષ્ટ્ર સર્વોપરી’ની ભાવના સાથે સફળતા નિશ્ચિત મળે છે”

“આ ફેક્ટરી અને HALની વધી રહેલી તાકાતે જૂઠ્ઠાણા ફેલાવનારા ભેદીઓને ખુલ્લા પાડી દીધા છે”

“ફૂડ પાર્ક અને HAL પછી ઔદ્યોગિક ટાઉનશિપનું નિર્માણ એ તુમાકુરુ માટે એક મોટી ભેટ છે, જે તુમાકુરુને દેશના મોટા ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસવામાં મદદ કરશે”

“ડબલ એન્જિનની સરકાર સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એકસરખું ધ્યાન આપી રહી છે”

“આ અંદાજપત્ર સમર્થ ભારત, સંપન્ન ભારત, સ્વયંપૂર્ણ ભારત, શક્તિમાન ભારત, ગતિશીલ ભારતની દિશામાં એક મોટું પગલું છે”

“આ અંદાજપત્રમાં આપવામાં આવેલા કરવેરા સંબંધિત લાભોના કારણે મધ્યમ વર્ગમાં ભારે ઉત્સાહ છે”

“મહિલાઓનો નાણાકીય સમાવેશ કરવાથી ઘરોમાં તેમનો અવાજ મજબૂત થાય છે અને આ અંદાજપત્રમાં ઘણી જોગવાઇ છે”

Posted On: 06 FEB 2023 6:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તુમાકુરુમાં HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. તેમણે તુમાકુરુમાં તુમાકુરુ ઔદ્યોગિક ટાઉનશિપ તેમજ તિપ્તુર અને ચિક્કનાયકનાહલ્લી ખાતે બે જલ જીવન મિશન પરિયોજનાનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ હેલિકોપ્ટર ફેક્ટરી અને સ્ટ્રક્ચર હેંગરમાં લટાર મારી હતી અને લાઇટ યુટિલિટી હેલિકોપ્ટરનું અનાવરણ કર્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કર્ણાટક એ સંતો અને ઋષિઓની ભૂમિ છે, જેણે હંમેશા આધ્યાત્મિકતા, જ્ઞાન અને વૈજ્ઞાનિક મૂલ્યોની ભારતીય પરંપરાઓને મજબૂત કરી છે. તેમણે તુમાકુરુના વિશેષ મહત્વ અને સિદ્ધગંગા મઠના યોગદાન પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, પૂજ્ય શિવકુમાર સ્વામી દ્વારા આપવામાં આવેલો અન્ના, અક્ષર અને આશ્રયનો વારસો આજે શ્રી સિદ્ધલિંગ સ્વામી દ્વારા આગળ ધપાવવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સેંકડો કરોડ રૂપિયાની ઘણી પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અથવા તેનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે જે યુવાનો માટે રોજગારની તકો, ગ્રામીણ સમુદાય અને મહિલાઓના જીવનની સરળતા, સશસ્ત્ર દળોના મજબૂતીકરણ અને મેડ ઇન ઇન્ડિયાની વિભાવના સાથે સંબંધિત છે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકના યુવાનોની પ્રતિભા અને આવિષ્કારની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ડ્રોનથી લઇને તેજસ ફાઇટર પ્લેન સુધીના ઉત્પાદનોમાં વિનિર્માણ ક્ષેત્રની તાકાત પ્રગટ થાય છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “ડબલ એન્જિન સરકારે કર્ણાટકને રોકાણકારોની પ્રથમ પસંદગીનું સ્થળ બનાવી દીધું છે” અને આજે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેના HALના પ્રોજેક્ટ અંગે સમજાવ્યું હતું. સંરક્ષણ ક્ષેત્રની વિદેશ પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના સંકલ્પ સાથે પ્રધાનમંત્રીએ જ વર્ષ 2016માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો કે, ભારતમાં p સેંકડો શસ્ત્રો અને સંરક્ષણ સાધનોનું નિર્માણ થઇ રહ્યું છે જેનો ઉપયોગ આજે સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “અદ્યતન એસોલ્ટ રાઇફલ્સથી લઇને ટેન્ક, એરક્રાફ્ટ કેરિયર્સ, હેલિકોપ્ટર, ફાઇટર જેટ્સ, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સુધી, ભારતમાં જ આ બધાનું ઉત્પાદન કરી રહ્યું છે”. એરોસ્પેસ ક્ષેત્ર પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે, છેલ્લાં 8-9 વર્ષમાં આ ક્ષેત્રમાં કરવામાં આવેલું રોકાણ 2014 અને તે પહેલાનાં 15 વર્ષમાં કરવામાં આવેલા રોકાણ કરતાં પાંચ ગણું વધારે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતમાં નિર્મિત શસ્ત્રો માત્ર આપણા સશસ્ત્ર દળોને પૂરા પાડવામાં આવતા નથી પરંતુ સંરક્ષણ નિકાસ પણ 2014 પહેલાંના વર્ષોની સરખામણીએ અનેક ગણી વધી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સુવિધામાં જ સેંકડો હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવામાં આવશે જે નજીકના ભવિષ્યમાં 4 લાખ કરોડના વ્યવસાયને વેગ આપશે. તુમાકુરુમાં હેલિકોપ્ટર ઉત્પાદન સુવિધાથી તેની નજીકના નાના ઉદ્યોગો પણ સશક્ત બનશે તેવું રેખાંકિત કરતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે આવા ઉત્પાદન એકમોની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે તે માત્ર સશસ્ત્ર દળોનું જ મજબૂતીકરણ થાય એવું નથી હોતું પરંતુ રોજગાર અને સ્વ-રોજગારની તકોનું પણ તેનાથી સર્જન થાય છે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્ર સર્વોપરીની ભાવના સાથે સફળતા નિશ્ચિતરૂપે મળે છે. તેમણે જાહેર ક્ષેત્રના સાહસોના કામકાજમાં સુધારા અને સુધારણા તેમજ ખાનગી ક્ષેત્ર માટે તકોના દ્વાર ખોલવાની વાત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ HALના નામે સરકાર પર નિશાન સાધવા માટે તાજેતરમાં કરવામાં આવેલા પ્રચારનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, જુઠ્ઠાણું ભલે ગમે તેટલું મોટું હોય, ભલે તેને વારંવાર કહેવામાં આવે કે પછી મોટેથી કહેવામાં આવે, સત્યની સામે હંમેશા તેની હાર થાય છે. તેમણે કહ્યું હતું કે, આ ફેક્ટરી અને HALની વધી રહેલી તાકાતે જૂઠ્ઠાણા ફેલાવનારા ભેદીઓને ખુલ્લા પાડી દીધા છે. વાસ્તવિકતા પોતાના શબ્દો બોલી રહી છે અને ઉમેર્યું હતું કે, આજે એ જ HAL ભારતીય સશસ્ત્ર દળો માટે આધુનિક તેજસ બનાવી રહ્યું છે અને વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તેમજ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતના આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ફૂડ પાર્ક અને HAL પછી ઔદ્યોગિક ટાઉનશિપ એ તુમાકુરુને મળેલી એક મોટી ભેટ છે, જે તુમાકુરુને દેશના મોટા ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે, પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન હેઠળ આ ટાઉનશીપનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જેને મુંબઇ-ચેન્નઇ ધોરીમાર્ગ, બેંગલુરુ હવાઇમથક, તુમાકુરુ રેલ્વે સ્ટેશન, મંગુલુરુ બંદર મારફતે મલ્ટિમોડલ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે ડબલ એન્જિનની સરકાર ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પર જેટલું ધ્યાન આપી રહી છે તેટલું જ ધ્યાન સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પર પણ આપી રહી છે”. આ વર્ષના અંદાજપત્ર પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, જલ જીવન મિશન માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી ફાળવણીમાં ગયા વર્ષ કરતાં રૂપિયા 20,000 કરોડનો વધારો જોવા મળ્યો છે અને આગળ ઉમેર્યું હતું કે, આ યોજનાના સૌથી વધુ લાભાર્થીઓ માતાઓ અને બહેનો છે જેમને હવે તેમના ઘર માટે પાણી લાવવા માટે દૂરની મુસાફરી ખેડવાની જરૂર નથી પડતી. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં આ પરિયોજનાનો વ્યાપ 3 કરોડ ગ્રામીણ પરિવારોથી વધીને 11 કરોડ ગ્રામીણ પરિવારો સુધી પહોંચી ગયો છે. પ્રધાનમંત્રીએ ડબલ એન્જિનની સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડતા, નોંધ્યું હતું કે અપર ભદ્રા પરિયોજના માટે રૂ. 5,500 કરોડ ફાળવવામાં આવ્યા છે જે તુમાકુરુ, ચિકમંગાલુરુ, ચિત્રદુર્ગા, દાવંગેરે અને મધ્ય કર્ણાટકના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને લાભ આપશે. પ્રધાનમંત્રીએ વરસાદી પાણી પર નિર્ભર ખેડૂતોને મળનારા ફાયદાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, આ વર્ષનું મધ્યમવર્ગ માટે અનુકૂળ અંદાજપત્ર વિકસિત ભારતમાટેના દરેકના પ્રયાસોને બળ આપશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ અંદાજપત્ર સમર્થ ભારત, સંપન્ન ભારત, સ્વયંપૂર્ણ ભારત, શક્તિમાન ભારત, ગતિવાન ભારતની દિશામાં લેવામાં આવેલું એક મોટું પગલું છે. આ એક લોકપ્રિય, સર્વસમાવેશી, સૌને સાથે રાખનારું અંદાજપત્ર છે જે દરેક વ્યક્તિને સ્પર્શે તેવું છે. તેમણે કૃષિ ક્ષેત્રમાં વંચિતો, યુવાનો અને મહિલાઓ માટે બજેટમાં આપવામાં આવેલા લાભો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “અમે તમારી જરૂરિયાતો, તમને પૂરી પાડવામાં આવતી સહાય અને તમારી આવક એમ ત્રણેય પાસાઓને ધ્યાનમાં રાખ્યા છે”.

પ્રધાનમંત્રીએ 2014 થી સમાજના એવા વર્ગને સશક્ત બનાવવા માટે સરકારના દ્વારા કરવામાં આવતા પ્રયાસો પર ભાર મૂક્યો હતો, જેના માટે અગાઉના સમયમાં સરકારી સહાય મેળવવી એ ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “કાં તો સરકારી યોજનાઓ તેમના સુધી પહોંચતી જ ન હતી અથવા તેનાથી મળનારા લાભો વચેટિયાઓ દ્વારા લૂંટી લેવામાં આવતા હતા” અને તેમણે સરકાર દ્વારા દરેક વર્ગને આપવામાં આવતી એવી સહાય પર પ્રકાશ પાડ્ય હતો, જેના અગાઉ તે લોકો વંચિત રહેતા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, પહેલી વખત એવું બન્યું છે કે, 'કર્મચારી-શ્રમિક' વર્ગને પેન્શન અને વીમાની સુવિધા પ્રાપ્ત થઇ છે. તેમણે નાના ખેડૂતોને મદદ કરવા માટે હાથ ધરવામાં આવેલી પીએમ કિસાન સન્માન નિધિને સ્પર્શ કર્યો અને શેરી પરના ફેરિયાઓ દ્વારા લેવામાં આવતી લોનનો ઉલ્લેખ કર્યો હતો. આ વર્ષનું બજેટ એ જ ભાવનાને આગળ ધપાવતું હોવાનું નોંધીને, પ્રધાનમંત્રીએ પીએમ વિકાસ યોજના પર પ્રકાશ પાડ્યો હતો જે કુંભારા, કમમારા, અક્કાસલિગા, શિલ્પી, ગારેકેલાસદવા, બડગી અને અન્ય એવા કારીગરો અથવા વિશ્વકર્માઓને મંજૂરી આપશે, જેઓ તેમના હાથના કૌશલ્ય અને હાથથી ઉપયોગમાં લેવાતા સાધનોની મદદથી કંઇક ચીજવસ્તુ બનાવે છે અને તેઓ પોતાની કળા અને કૌશલ્યને વધુ સમૃદ્ધ બનાવી શકશે.

પ્રધાનમંત્રીએ વંચિત અને ગરીબોને મદદ કરવા માટે લેવામાં આવેલા સંખ્યાબંધ પગલાંનો ઉલ્લેખ કર્યો હતો. સરકારે મહામારી દરમિયાન ગરીબો માટે મફત રાશનનું વિતરણ કરવા માટે 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પણ કહ્યું હતું. આ ઉપરાંત, ગરીબો માટે આવાસનું નિર્માણ કરવા માટે અભૂતપૂર્વ 70 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

મધ્યમ વર્ગને ફાયદો કરાવવા માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ આવકવેરામાં આપવામાં આવેલા કર લાભો સમજાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “7 લાખ રૂપિયા સુધીની આવક પર શૂન્ય આવકવેરો લાગવાને કારણે મધ્યમ વર્ગમાં ઘણો ઉત્સાહ છે. ખાસ કરીને 30 વર્ષથી નીચેના યુવાનો, કે જેઓ નવી નોકરીમાં જોડાયા છે, નવો ધંધો શરૂ કર્યો છે, તેમના ખાતામાં દર મહિને વધુ પૈસા આવશે”. તેવી જ રીતે, ડિપોઝીટની મર્યાદાને 15 લાખથી બમણી કરીને 30 લાખ કરવાથી નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકોને મદદ મળશે. લીવ એન્કેશમેન્ટ પર લાગતા ટેક્સનું વળતર મેળવવા માટે હવે 25 લાખ સુધીની મર્યાદા કરવામાં આવી છે જે પહેલા 3 લાખ હતી.

પ્રધાનમંત્રી મહિલાઓના નાણાકીય સમાવેશની કેન્દ્રિયતા પર ભાર મૂકતા કહ્યું હતું કે, મહિલાઓનો નાણાકીય સમાવેશ કરવાથી ઘરોમાં તેમનો અવાજ મજબૂત થાય છે અને ઘરમાં લેવામાં આવતા નિર્ણયોમાં તેમની ભાગીદારી વધારે છે. આ બજેટમાં અમે આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ વધુને વધુ પ્રમાણમાં બેંકોમાં જોડાય તે માટે મોટા પગલાં લીધા છે. અમે મહિલા સન્માન બચત પ્રમાણપત્રો લઇને આવ્યા છીએ.પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સુકન્યા સમૃદ્ધિ, મુદ્રા, જન-ધન યોજના અને પીએમ આવાસ પછી મહિલાઓના આર્થિક સશક્તિકરણની દિશામાં લેવામાં આવેલી આ એક મોટી પહેલ છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ અંદાજમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા પર મહત્તમ ધ્યાન આપવામાં આવ્યું છે જ્યારે ખેડૂતોને ડિજિટલ ટેક્નોલોજી દ્વારા અથવા સહકારી વિસ્તરણ દ્વારા દરેક પગલે સહાય કરવામાં આવે છે. તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને ફાયદો થશે તેમજ કર્ણાટકના શેરડીના ખેડૂતોને શેરડી સહકારી મંડળીની સ્થાપના કરવામાં મદદ મળશે. તેમણે માહિતી આપી હતી કે, ઘણી નવી સહકારી મંડળીઓ પણ બનાવવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં અનાજના સંગ્રહ માટે દેશભરમાં મોટી સંખ્યામાં સ્ટોર ઉભા કરવામાં આવશે. આનાથી નાના ખેડૂતો પણ તેમના અનાજનો સંગ્રહ કરી શકશે અને તેને વધુ સારા ભાવે તેને વેચી શકશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી દ્વારા નાના ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવા માટે હજારો સહાય કેન્દ્રો પણ સ્થાપવામાં આવી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ કર્ણાટકમાં બાજરીને મહત્વ આપવામાં આવતું હોવાની વાતને ધ્યાનમાં લીધી હતી અને જણાવ્યું હતું કે, દેશ પણ આવી જ માન્યતાને આગળ ધપાવી રહ્યો છે, જેમાં બરછટ અનાજને શ્રી અન્નની ઓળખ આપવામાં આવી છે. તેમણે આ વર્ષના બજેટમાં બાજરીના ઉત્પાદન પર આપવામાં આવેલા આગ્રહ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, તેનાથી કર્ણાટકના નાના ખેડૂતોને ઘણો ફાયદો થશે.

આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી શ્રી એ નારાયણસ્વામી અને કર્ણાટક સરકારના મંત્રીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનિ દિશમાં લેવાયેલા વધુ એક પગલાં તરીકે, પ્રધાનમંત્રીએ તુમાકુરુમાં HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. 2016માં પ્રધાનમંત્રી દ્વારા જ આ ફેક્ટરીનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. તે એક સમર્પિત નવી ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી છે જે હેલિકોપ્ટર બનાવવાની ક્ષમતા અને ઇકોસિસ્ટમમાં વૃદ્ધિ કરશે. આ એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર વિનિર્માણ સુવિધા છે અને શરૂઆતમાં અહીં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH)નું ઉત્પાદન કરવામાં આવશે. LUH એ સ્વદેશી રીતે રચાયેલ અને વિકસિત 3-ટન વર્ગનું, સિંગલ-એન્જિન બહુલક્ષી ઉપયોગીતા હેલિકોપ્ટર છે જેમાં ઉચ્ચ કવાયતની વિશિષ્ટ ખાસિયત છે. ભવિષ્યમાં આ ફેક્ટરીના કામકાજમાં વિસ્તરણ કરીને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) અને ઇન્ડિયન મલ્ટીરોલ હેલિકોપ્ટર (IMRH) જેવા અન્ય હેલિકોપ્ટરનું વિનિર્માણ કરવામાં આવશે તેમજ LCH, LUH, સિવિલ ALH અને IMRH ના સમારકામ અને ઓવરહોલનું કામ પણ શરૂ કરવામાં આવશે. ફેક્ટરીમાં ભવિષ્યમાં સિવિલ LUHની નિકાસ કરવાની ક્ષમતા પણ છે. આ સુવિધા ભારતને હેલિકોપ્ટરની તેની સમગ્ર જરૂરિયાતો સ્વદેશી ધોરણે પૂરી કરવા માટે સમર્થ બનાવશે અને ભારતમાં હેલિકોપ્ટર ડિઝાઇન, વિકાસ અને વિનિર્માણમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની વિશિષ્ટતા મળશે. આ ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 ધોરણોનું વિનિર્માણ સેટ-અપ હશે. આવનારા 20 વર્ષમાં, HAL તુમાકુરુથી 3-15 ટનના વર્ગમાં 1000 કરતાં વધારે હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહ્યું છે. આના પરિણામે આ પ્રદેશમાં લગભગ 6000 લોકોને રોજગારી મળશે.

પ્રધાનમંત્રીએ તુમાકુરુ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપનો શિલાન્યાસ પણ કર્યો હતો. રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ, તુમાકુરુમાં ત્રણ તબક્કામાં 8484 એકરમાં ફેલાયેલી ઔદ્યોગિક ટાઉનશિપનો વિકાસ કરવામાં આવશે. આ પરિયોજના ચેન્નાઇ બેંગલુરુ ઔદ્યોગિક કોરિડોરના ભાગ રૂપે હાથ ધરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન, તુમાકુરુમાં તિપ્તુર અને ચિક્કનાયકનાહલ્લી ખાતે બે જલ જીવન મિશન પરિયોજનાનો પણ શિલાન્યાસ કર્યો હતો. તિપ્તુર મલ્ટી-વિલેજ ડ્રિંકિંગ વોટર સપ્લાય પ્રોજેક્ટનું નિર્માણ રૂ. 430 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવશે. ચિકનાયકનાહલ્લી તાલુકાની 147 વસાહતો માટે મલ્ટી-વિલેજ પાણી પુરવઠા યોજનાનું આશરે રૂ. 115 કરોડના ખર્ચે નિર્માણ કરવામા આવશે. આ પરિયોજનાઓથી આ પ્રદેશના લોકો માટે પીવાના શુદ્ધ પાણીની જોગવાઇ સરળતાથી થઇ શકશે.

YP/GP/JD



(Release ID: 1896762) Visitor Counter : 234