પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદી શ્રી ગુરુ નાનક દેવજીના 553મા પ્રકાશ પર્વની ઉજવણીમાં સામેલ થયા

“ગુરબાનીમાંથી આપણને પ્રાપ્ત દિશા એક પરંપરા, એક વિશ્વાસ છે તેમજ વિકસિત ભારતનું વિઝન પૂરું પાડે છે”

“દરેક પ્રકાશ પર્વનો પ્રકાશ દેશનું દિશાદર્શન કરે છે”

“ગુરુ નાનક દેવજીના વિચારોથી પ્રેરિત થઈને દેશ 130 કરોડ ભારતીયોના કલ્યાણની ભાવના સાથે અગ્રેસર થઈ રહ્યો છે”

“આઝાદી કા અમૃત કાળમાં દેશમાં રાષ્ટ્રની ભવ્યતા અને આધ્યાત્મિક ઓળખમાં ગર્વની ભાવના પુનઃજાગ્રત થઈ છે”

“સમર્પણની સર્વોચ્ચ ભાવનાને પ્રોત્સાહન આપવા માટે દેશવાસીઓએ અમૃત કાળની ઉજવણી કર્તવ્યકાળ તરીકે કરવાનો નિર્ણય લીધો છે”

Posted On: 07 NOV 2022 10:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં શીખ ગુરુ નાનક દેવજીના 553મા પ્રકાશ પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા તથા પૂજાપ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીનું શાલ ઓઢાડી, સિરોપા અને તલવારની ભેટ ધરીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એકત્ર થયેલા દરેક લોકોને પ્રધાનમંત્રીએ ગુરુપરબ અને પ્રકાશ પર્વ તેમજ દેવદિવાળી (દેવ દિપાવલી)ના પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમણે મહત્વપૂર્ણ પ્રકાશ પર્વોની ઉજવણી કરવાની તક ધરાવવા બદલ તેમની ખુશી વ્યક્ત કરી હતી, જેમ કે ગુરુ ગોવિંદ સિંઘજીના 350મા પ્રકાશ પર્વ, ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ અને ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશોત્સવ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પાવન પર્વોની પ્રેરણા અને આશીર્વાદ નવા ભારતની ઊર્જા સાથે વધી રહ્યાં છે...દરેક પ્રકાશ પર્વનો પ્રકાશ દેશ માટે પ્રકાશપૂંજ તરીકે કામ કરી રહ્યો છે.તેમણે શીખ સમુદાય દ્વારા ઉજવણી થઈ રહેલા પ્રકાશ પર્વના અર્થને સમજાવ્યો હતો, જે ફરજ અને સમર્પણના રાષ્ટ્રીય માર્ગને પ્રશસ્ત કરે છે. પ્રધાનમંત્રીએ આ પાવન પર્વો પર ગુરુ કૃપા, ગુરબાની અને લંગર કા પ્રસાદ પ્રત્યે તેમનું સમર્પણ વ્યક્ત કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ પાવન પર્વો આંતરિક શાંતિની સાથે સમર્પણ, શાશ્વતતા સાથે સેવા આપવાનું ચાલુ રાખશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુરુ નાનક દેવજીના વિચારોથી પ્રેરિત થઈને દેશ 130 કરોડ ભારતીયોના કલ્યાણની ભાવના સાથે અગ્રેસર થઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ ગુરુ નાનક દેવજીના આધ્યાત્મિક ઉન્નતિ માટે, વૈશ્વિક સમૃદ્ધિ અને સામાજિક સંવાદિતાના ઉપદેશોને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત કાળમાં દેશમાં રાષ્ટ્રીય ભવ્યતા અને આધ્યાત્મિક ઓળખની દ્રષ્ટિએ ગર્વની ભાવના પુનઃજાગ્રત થઈ છે. ફરજની સર્વોચ્ચ ભાવનાને પ્રોત્સાહન આપવા માટે દેશવાસીઓએ આ તબક્કાને કર્તવ્યકાળ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આઝાદી કા અમૃત કાળના આ તબક્કા દરમિયાન સમાનતા, સંવાદિતતા, સામાજિક ન્યાય અને એકતાની કામગીરી સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ સાથે ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, આપણને ગુરુબાનીમાંથી આપણી પરંપરા, આપણા વિશ્વાસ તેમજ વિકસિત ભારત માટેના વિઝનનો ચિતાર પણ મળે છે.

ગુરુના ઉપદેશની શાશ્વત પ્રાસંગિકતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણી પાસે ગુરુ ગ્રંથસાહિબ સ્વરૂપે અમૃત છે. એની ભવ્યતા, એનું મહત્વ સમય અને ભૂગોળની મર્યાદાથી પર છે. આપણે એ પણ જોયું છે કે, જ્યારે કટોકટી મોટી થાય છે, ત્યારે આ સમાધાનોની પ્રાસંગિકતા પણ વધી જાય છે. હાલ દુનિયા અસ્થિરતા, અશાંતિ અને અરાજકતામાંથી પસાર થઈ રહી છે. આ કટોકટીના સમયગાળામાં ગુરુસાહિબના ઉપદેશો અને ગુરુ નાનક દેવજીનું જીવન દિવાદાંડીની જેમ દુનિયાને દિશા પૂરી પાડે છે.પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આપણે ગુરુઓના આદર્શોને અનુરૂપ જીવન જીવવાનો જેટલો વધારે પ્રયાસ કરીશું, એટલી જ વધારી રીતે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને ચરિતાર્થ કરીશું. આપણે માનવતાના મૂલ્યોને જેટલું વધારે મહત્વ આપીશું, એટલી જ વધારે અને સ્પષ્ટ રીતે દરેક વ્યક્તિ સુધી ગુરુસાહિબોના ઉપદેશો પહોંચશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુ નાનકજીના આશીર્વાદ સાથે અમને છેલ્લાં આઠ વર્ષ દરમિયાન શીખ સમુદાયના મહાન સાંસ્કૃતિક વારસાની સેવા કરવાની અમને તક મળી હતી. તેમણે ગોવિંદ ઘાટથી હેમકુંત સાહિબ સુધી રોપવેના શિલારોપાણ તથા યાત્રાળુઓની સુવિધાઓ માટે દિલ્હી ઉના વંદે ભારત એક્સપ્રેસનો ઉલ્લેખ કર્યો હતો. ગુરુ ગોવિંદસિઘજી અને દિલ્હી કટરા અમૃતસર એક્સપ્રેસવે સાથે સંબંધિત સ્થાનોના વીજળીકરણથી પણ સુવિધામાં વધારો થશે. તેમણે જાણકારી આપી હતી કે, સરકારે આ સુવિધાઓ ઊભી કરવા પર રૂ. 35 હજાર કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રયાસો સુવિધાઓ અને પ્રવાસનની સંભવિતતાથી વિશેષ છે, આ આપણા ધાર્મિક સ્થાનો, શીખોના સાંસ્કૃતિક વારસા, સેવા, પ્રેમ અને સમર્પણના સ્થાનોની ઊર્જા સાથે સંબંધિત છે. પ્રધાનમંત્રીએ કરતારપુર સાહિબ કોરિડોરની શરૂઆત, અફઘાનિસ્તાનમાંથી ગુરુ ગ્રંથસાહિબના પવિત્ર સ્વરૂપોને પરત લાવવા અને 26 ડિસેમ્બરને સાહિબઝાદાઓના સર્વોચ્ચ ત્યાગના માનમાં વીર બાલ દિવસ તરીકે જાહેર કરવા જેવા વિવિધ પગલાંનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતના વિભાજનમાં આપણા પંજાબના લોકોએ આપેલા ત્યાગ અને બલિદાનની યાદમાં દેશમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની શરૂઆત પણ કરવામાં આવી છે. અમે સીસીએ ધારા લાવીને વિભાજનથી અસરગ્રસ્ત હિંદુ-શીખ પરિવારોને નાગરિકતા આપવાનો વિકલ્પ ઊભો કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

પ્રધાનમંત્રીએ પોતાનું સંબોધન પૂર્ણ કરતાં કહ્યું હતું કે, મને પૂરો વિશ્વાસ છે કે, ગુરુઓના આશીર્વાદ સાથે ભારત એની શીખ પરંપરાઓની ભવ્યતા વધારવાનું ચાલુ રાખશે અને પ્રગતિના પંથ પર અગ્રેસર થવાનું જાળવી રાખશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1874415) Visitor Counter : 236