પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 15 AUG 2022 12:19PM by PIB Ahmedabad

દેશવાસીઓને આઝાદીનાં 75 વર્ષ પૂરા થવા પર અનેક-અનેક શુભકામનાઓ. ખૂબ ખૂબ અભિનંદન. હિંદુસ્તાનના દરેક ખૂણામાં નહીં, પરંતુ આજે વિશ્વના દરેક ખૂણામાં આપણો ત્રિરંગો, કોઈને કોઈ રૂપમાં, ભારતવાસીઓ દ્વારા અથવા ભારત પ્રત્યે અપાર પ્રેમ છે, તેઓ દ્વારા આન-બાન-શાનથી લહેરાઇ રહ્યો છે. આઝાદીના અમૃત મહોત્સવ પર સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ભારત પ્રેમીઓને, ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

આજનો દિવસ ઐતિહાસિક છે. એક પૂણ્ય પડાવ, એક નવો માર્ગ, એક નવો સંકલ્પ અને નવાં સામર્થ્ય સાથે આગળ વધવાનો શુભ અવસર છે. આઝાદીની લડાઈમાં ગુલામીનો આખો કાળખંડ સંઘર્ષમાં વીત્યો છે. હિંદુસ્તાનનો કોઈ ખૂણો એવો ન હતો, એવો કોઈ સમય નહોતો કે જ્યારે સેંકડો વર્ષો સુધી દેશવાસીઓ ગુલામી સામે લડ્યા હોય. જીવન ન ખપાવી દીધું હોય, યાતનાઓ સહન ન કરી હોય, બલિદાન ન આપ્યું હોય. આજે આપણે સૌ દેશવાસીઓ માટે આવા દરેક મહાપુરુષને, દરેક ત્યાગીને, બલિદાન આપનાર દરેકને નમન કરવાનો અવસર છે. તેમનો ઋણ સ્વીકાર કરવાનો અવસર છે અને તેમનું સ્મરણ કરતા કરતા તેમનાં સપનાને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લેવાનો પણ અવસર છે. આપણે સૌ દેશવાસીઓ કૃતજ્ઞ છીએ, પૂજ્ય બાપુનાં, નેતાજી સુભાષચંદ્ર બોઝનાં, બાબા સાહેબ આંબેડકરનાં, વીર સાવરકરનાં, જેમણે કર્તવ્યપથ પર જીવન હોમી દીધું. ફરજનો માર્ગ જ તેમનો જીવનમાર્ગ રહ્યો. આ દેશ કૃતજ્ઞ છે, મંગલ પાંડે, તાત્યા ટોપે, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, અશફાક ઉલ્લાહ ખાન, રામપ્રસાદ બિસ્મિલ એવા અસંખ્ય ક્રાંતિ વીરોએ અંગ્રેજ શાસનનો પાયો હચમચાવી નાખ્યો હતો. આ રાષ્ટ્ર કૃતજ્ઞ છે એ વીરાંગનાઓ માટે, રાણી લક્ષ્મીબાઈ હોય, ઝલકારી બાઈ, દુર્ગાભાભી, રાણી ગાઈદિન્લ્યુ, રાણી ચેનમ્મા, બેગમ હઝરત મહેલ, વેલુ નાચિયાર, ભારતની નારી શક્તિ શું હોય  છે.

ભારતની નારી શક્તિનો સંકલ્પ શું હોય છે. ભારતની નારી ત્યાગ અને બલિદાનની શું પરાકાષ્ઠા કરી શકે છે, એવી અગણિત વીરાંગનાઓનું સ્મરણ કરતાં કરતાં દરેક હિંદુસ્તાની ગર્વથી ભરેલો છે. આજે આઝાદીની લડાઇ પણ લડનારા અને આઝાદી બાદ દેશ બનાવનારા ડો.રાજેન્દ્ર પ્રસાદજી હોય, નહેરૂજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામાપ્રસાદ મુખર્જી, લાલબહાદુર શાસ્ત્રી, દીનદયાળ ઉપાધ્યાય, જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, આચાર્ય વિનોબા ભાવે, નાનાજી દેશમુખ, સુબ્રહ્મણ્યમભારતી, અગણિત એવા મહાપુરુષોને આજે નમન કરવાનો અવસર છે.

જ્યારે આપણે સ્વતંત્રતા સંગ્રામની વાત કરીએ છીએ, ત્યારે આપણે તે જંગલોમાં રહેતા આપણા આદિવાસી સમાજનું ગૌરવ લેવાનું ભૂલી શકતા નથી. ભગવાન બિરસા મુંડા, સિદ્ધુ કાન્હુ, અલ્લુરી સીતારામ રાજુ, ગોવિંદ ગુરુ, એવાં અસંખ્ય નામો છે જેઓ આઝાદીની ચળવળનો અવાજ બનીને છેવાડાના જંગલોમાં પણ ….મારાં આદિવાસી ભાઈઓ અને બહેનો, મારી માતાઓ, મારા યુવકોમાં માતૃભૂમિ માટે જીવવા-મરવાની પ્રેરણા જગાવી. દેશનું એ સૌભાગ્ય રહ્યું છે કે સ્વતંત્રતા સંગ્રામનાં અનેક સ્વરૂપો રહ્યાં છે અને એમાં એક સ્વરૂપ એ પણ હતું જેમાં નારાયણ ગુરુ હોય, સ્વામી વિવેકાનંદ હોય, મહર્ષિ અરવિંદો હોય, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર હોય, આવા અનેક મહાપુરુષો ભારતના ખૂણે ખૂણે. દરેક ગામડામાં ભારતની ચેતનાને જગાવતા રહ્યા. ભારતને ચેતનમન બનાવતા રહ્યા.

અમૃત મહોત્સવ દરમિયાન દેશે... આખાં એક વર્ષથી આપણે જોઇ રહ્યા છીએ. 2021માં દાંડી યાત્રાથી શરૂઆત થઈ હતી. સ્મૃતિ દિવસને સાચવતા, હિંદુસ્તાનના દરેક જિલ્લામાં, દરેક ખૂણે, દેશવાસીઓએ સ્વતંત્રતાના અમૃત પર્વ માટે લક્ષ્ય-વૃદ્ધિ કાર્યક્રમો કર્યાં. કદાચ ઈતિહાસમાં એક જ હેતુનો આટલો વિશાળ, વ્યાપક, લાંબો ઉત્સવ ઉજવવામાં આવ્યો હોય એ કદાચ આ પહેલી ઘટના બની છે અને ભારતના દરેક ખૂણે એવા તમામ મહાપુરુષોને યાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેમને ઈતિહાસમાં કોઈ એક કારણસર સ્થાન મળ્યું હોય અથવા ભૂલાવી દેવામાં આવ્યા હતા. આજે દેશે શોધી શોધીને દરેક ખૂણામાં આવા વીરોને, મહાપુરુષોને, ત્યાગીઓને, બલિદાનીઓને, સત્યાવીરોને યાદ કર્યા, નમન કર્યાં. અમૃત મહોત્સવ દરમ્યાન આ તમામ મહાપુરુષોને નમન કરવાનો અવસર રહ્યો. ગઈ કાલે 14 ઑગસ્ટના રોજ ભારતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પણ ભારે મનથી દિલના ઊંડા ઘાને યાદ કરીને એ કોટિ કોટિ જનોએ ઘણું બધું સહન કર્યું હતું, તિરંગાની શાન માટે સહન કર્યું હતું. માતૃભૂમિની માટી પ્રત્યેના પ્રેમને કારણે સહન કર્યું હતું અને ધીરજ ગુમાવી ન હતી. ભારત પ્રત્યેના પ્રેમે નવી જિંદગીની શરૂઆત કરવાનો એમનો સંકલ્પ નમન કરવા યોગ્ય છે, પ્રેરણા મેળવવા યોગ્ય છે.

આજે જ્યારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે જે લોકો છેલ્લાં 75 વર્ષમાં દેશ માટે જીવ્યા-મર્યા છે, જેમણે દેશની રક્ષા કરી છે, દેશના સંકલ્પોને પૂર્ણ કર્યા છે; પછી તે લશ્કરના જવાનો હોય, પોલીસ કર્મચારીઓ હોય, શાસનમાં બેઠેલા અમલદારો હોય, જનપ્રતિનિધિઓ હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના શાસકો અને પ્રશાસકો હોય, રાજ્યોના શાસકો અને વહીવટકર્તાઓ રહ્યા હોય; આજે 75 વર્ષમાં આ બધાનાં યોગદાનને પણ યાદ કરવાનો અવસર છે, અને દેશના કરોડો નાગરિકોને પણ, જેમણે 75 વર્ષમાં અનેક મુશ્કેલીઓ છતાં દેશને આગળ લઈ જવા માટે પોતાનાથી જે કંઈ પણ થઈ શકે તે કરવાનો પ્રયાસ કર્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ,

75 વર્ષની આપણી આ યાત્રા અનેક ઉતાર-ચઢાવથી ભરેલી છે. સુખ-દુઃખનો પડછાયો મંડરાતો રહ્યો છે અને આની વચ્ચે પણ આપણા દેશવાસીઓએ સિદ્ધિઓ મેળવી છે, પુરુષાર્થ કર્યો છે, હાર નથી માની. સંકલ્પોને અદૃશ્ય થવા દીધા નથી. અને એટલે એ વાત પણ સાચી છે કે સેંકડો વર્ષોની ગુલામીના કાળખંડે ભારતના માનસ પર, ભારતના માનવીઓની લાગણીઓને ઊંડા જખમ આપ્યા હતા, ઊંડા ઘા કર્યા હતા, પરંતુ તેની અંદર એક જીદ પણ હતી, એક જીજિવિષા પણ હતી, એક ઝનૂન પણ હતું, એક જુસ્સો પણ હતો. અને તેનાં કારણે અભાવો વચ્ચે પણ, ઉપહાસ વચ્ચે પણ અને જ્યારે આઝાદીનું યુદ્ધ અંતિમ તબક્કામાં હતું ત્યારે દેશને ડરાવવા માટે, નિરાશ કરવા માટે, હતાશ કરવા માટે તમામ ઉપાય કરાયા હતા. આઝાદી પછી અંગ્રેજો જતા રહેશે તો દેશ તૂટી જશે, વિખેરાઈ જશે, લોકો અંદર-અંદર લડતા લડતા મરી જશે, કંઈ બાકી નહીં બચે, ભારત અંધારા યુગમાં જશે, કોણ જાણે કેવી કેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તેઓ જાણતા ન હતા કે આ હિંદુસ્તાનની ધરતી છે, આ માટીમાં એ સામર્થ્ય છે જે શાસકોથી પર રહીને સામર્થ્યનો એક અંતરપ્રભાવ લઈને જીવી રહી છે, સદીઓથી જીવી રહી છે અને તેનું જ પરિણામ છે કે, આપણે શું નથી સહન કર્યું, ક્યારેક  અન્નનું સંકટ વેઠ્યું, તો ક્યારેક યુદ્ધના શિકાર બની ગયા.

આતંકવાદે માર્ગે માર્ગે પડકારો ઊભા કર્યા, નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. પ્રોક્સી યુદ્ધો ચાલુ રહ્યા, કુદરતી આફતો આવતી રહી, સફળતા, નિષ્ફળતા, આશા, નિરાશા, કોણ જાણે કેટલા પડાવ આવ્યા છે. પરંતુ આ મુકામની વચ્ચે પણ ભારત આગળ વધતું રહ્યું છે. ભારતની વિવિધતા જે અન્ય લોકોને ભારત માટે બોજ લાગતી હતી. ભારતની એ વિવિધતા જ ભારતની અણમોલ શક્તિ છે. શક્તિનો એક અતૂટ પુરાવો છે. દુનિયાને ખબર નહોતી કે ભારતમાં એક સહજ સામર્થ્ય  છે, એક સંસ્કાર સરિતા છે, એક મન મસ્તિષ્કનું, વિચારોનું બંધન છે. અને તે છે, ભારત લોકશાહીની જનની છે, લોકશાહીની માતા છે અને જેમનાં મનમાં લોકશાહી હોય છે, તેઓ જ્યારે સંકલ્પ લઈને આગળ વધે છે, ત્યારે તે સામર્થ્ય વિશ્વની મોટી મોટી સલ્તનતો માટે પણ સંકટનો સમય લઇને આવે છે. આ લોકશાહીની માતા, આ લોકશાહીની જનની, આપણા ભારતે સિદ્ધ કરી દીધું છે કે આપણી પાસે એક અણમોલ સામર્થ્ય છે.

મારા પ્રિય દેશવાસીઓ,

હિમાલયની ગુફાઓ હોય, દરેક ખૂણે મહાત્મા ગાંધીનું સ્વપ્ન હતું, છેલ્લા માણસની ચિંતા કરવાનું, છેવાડાની વ્યક્તિને સક્ષમ બનાવવાની મહાત્મા ગાંધીની જે આકાંક્ષા હતી, મેં મારી જાતને એ માટે સમર્પિત કરી છે, અને તે 8 વર્ષનું પરિણામ અને આઝાદીના આટલા દાયકાઓનો અનુભવ, આજે 75 વર્ષ પછી જ્યારે આપણે અમૃત કાલ તરફ કદમ માંડીએ છીએ, આ અમૃત કાલની પહેલી સવાર છે, ત્યારે હું એક એવાં સામર્થ્યને જોઇ રહ્યો છું. અને જે મને ગર્વથી ભરી દે છે.

દેશવાસીઓ,

હું આજે આ દેશનું સૌથી મોટું સૌભાગ્ય એ જોઈ રહ્યો છું. કે ભારતના લોકો- જનમન આકાંક્ષી જનમન છે. મહત્વાકાંક્ષી સમાજ એ કોઈપણ દેશ માટે એક મહાન બક્ષિસ છે. અને અમને ગર્વ છે કે આજે ભારતના દરેક ખૂણામાં, દરેક સમાજના દરેક વર્ગમાં, દરેક ખંડમાં આકાંક્ષાઓ વધી રહી છે. દેશનો દરેક નાગરિક વસ્તુઓ બદલવા માગે છે, વસ્તુઓ બદલાતી જોવા માંગે છે, પરંતુ રાહ જોવા તૈયાર નથી, તેની નજર સામે જોવા માગે છે, ફરજ સાથે જોડાઇને કરવા માગે છે. તેને ગતિ જોઈએ છે, તેને પ્રગતિ જોઈએ છે. તે પોતાની નજરની સામે 75 વર્ષમાં જોયેલાં તમામ સપનાઓને પૂરા કરવા આતુર, ઉત્સાહિત, અને ઉતાવળો પણ છે.

કેટલાક લોકોને તેનાં કારણે સંકટ થઈ શકે છે. કારણ કે જ્યારે મહત્વાકાંક્ષી સમાજ હોય ​​ત્યારે સરકારોએ પણ તલવારની ધાર પર ચાલવું પડે છે. સરકારોએ પણ સમય સાથે દોડવું પડે છે અને હું માનું છું કે તે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, ભલે ગમે તે પ્રકારની શાસન વ્યવસ્થા હોય, દરેક વ્યક્તિએ આ મહત્વાકાંક્ષી સમાજને સંબોધિત કરવો પડશે, તેમની આકાંક્ષાઓ માટે આપણે વધુ રાહ જોઈ શકીએ નહીં. આપણા આ આકાંક્ષી સમાજે લાંબા સમય સુધી રાહ જોઇ છે. પરંતુ હવે તેઓ તેમની આવનારી પેઢીને રાહ જોવા માટે મજબૂર કરવા તૈયાર નથી અને તેથી આ અમૃત સમયની પ્રથમ પ્રભાત એ મહત્વાકાંક્ષી સમાજની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની એક મોટી સોનેરી તક લઈને આવી છે.

મારા પ્રિય દેશવાસીઓ

આપણે વીતેલા દિવસોમાં જોયું છે કે આપણે વધુ એક તાકાતનો અનુભવ કર્યો છે અને તે છે ભારતમાં સામૂહિક ચેતનાનું પુન;જાગૃત થવી. એક સામૂહિક ચેતનાનું પુનર્જાગરણ, આઝાદીના આટલા સંઘર્ષમાં જે અમૃત હતું, તે હવે સાચવવામાં આવી રહ્યું છે, સંકલિત કરવામાં આવી રહ્યું છે. તે સંકલ્પમાં પરિવર્તિત થઈ રહ્યું છે, પુરુષાર્થની પરાકાષ્ઠા ઉમેરાઈ રહી છે અને સિદ્ધિનો માર્ગ દેખાઈ રહ્યો છે. આ ચેતના, મને લાગે છે કે આ ચેતનાની જાગૃતિ, આ પુનર્જાગરણ આપણી સૌથી મોટી સંપત્તિ છે. અને જુઓ આ નવજાગરણ 10 ઑગસ્ટ સુધી, લોકોને કદાચ ખબર પણ નહીં હોય કે દેશની અંદર કઈ તાકાત છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જે રીતે ત્રિરંગા ઝંડા લઈને ત્રિરંગાની યાત્રા લઇને દેશ ચાલી નીકળ્યો છે. મોટા મોટા સામાજિક વિજ્ઞાનના નિષ્ણાતો પણ કલ્પના નહીં કરી શકતા હોય કે ત્રિરંગા ઝંડાએ મારી અંદર મારા દેશની અંદર કેટલું મોટું સામર્થ્ય છે, એ એક તિરંગા ઝંડાએ બતાવ્યું છે. આ પુનઃ ચેતના, પુનર્જાગૃતિની ક્ષણ છે. આ લોકો સમજી શક્યા નથી.

જ્યારે ભારતનો દરેક ખૂણો, દેશ જનતા કર્ફ્યુ માટે નીકળી પડે છે, ત્યારે તે ચેતના અનુભવાય છે. જ્યારે દેશ તાળી, થાળી વગાડીને કોરોના યોદ્ધાઓ સાથે ખભે ખભા મિલાવીને ઊભો રહે છે, ત્યારે ચેતનાનો અહેસાસ થાય છે. જ્યારે દેશ દીવો પ્રગટાવીને કોરોના યોદ્ધાને શુભકામના પાઠવવા નીકળી પડે છે ત્યારે એ ચેતનાનો અનુભવ થાય છે. કોરોનાના સમયમાં રસી લેવી કે નહીં, રસી ઉપયોગી છે કે નહીં તેની અસમંજસમાં દુનિયા જીવી રહી હતી. ત્યારે મારા દેશના ગામડાંના ગરીબો પણ બસો કરોડ ડોઝ દુનિયાને ચોંકાવનારું કામ કરીને બતાવે છે. આ જ ચેતના છે, આ જ સામર્થ્ય છે, આ સામર્થ્યએ આજે ​​દેશને નવી તાકાત આપી છે.

મારાં પ્રિય ભાઇઓ-બહેનો,

આ એક મહત્વપૂર્ણ સામર્થ્યને હું જોઇ રહ્યો છું, જે રીતે મહત્વાકાંક્ષી સમાજ, પુનર્જાગરણની જેમ જ, આઝાદીના આટલા દાયકાઓ પછી, સમગ્ર વિશ્વનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. વિશ્વ ભારત તરફ ગર્વથી જોઈ રહ્યું છે, અપેક્ષા સાથે જોઈ રહ્યું છે. વિશ્વ ભારતની ધરતી પર સમસ્યાઓનો ઉકેલ શોધવા માંડ્યું છે, મિત્રો. દુનિયામાં આ પરિવર્તન, દુનિયાની વિચારસરણીમાં આ પરિવર્તન આપણી 75 વર્ષની અનુભવ યાત્રાનું પરિણામ છે.

આપણે જે રીતે સંકલ્પ સાથે નીકળી પડ્યા છીએ, દુનિયા તેને જોઈ રહી છે અને આખરે દુનિયા પણ આશા સાથે જીવી રહી છે. અપેક્ષાઓ પૂરી કરવાની ક્ષમતા ક્યાં પડી છે, તે તેને દેખાવા લાગ્યું છે. હું તેને નારી શક્તિ તરીકે જોઉં છું. હું તેને ત્રણ સામર્થ્ય તરીકે જોઉં છું, અને આ ત્રિ-શક્તિ છે આકાંક્ષાની, પુનર્જાગરણની અને વિશ્વની આશાઓની અને તેને પરિપૂર્ણ કરવા માટે, આપણે જાણીએ છીએ મિત્રો, આજે વિશ્વમાં વિશ્વાસ જાગૃત કરવામાં મારા દેશવાસીઓની મોટી ભૂમિકા છે. 130 કરોડ દેશવાસીઓએ ઘણા દાયકાઓના અનુભવ બાદ સ્થિર સરકારનું મહત્વ શું છે, રાજકીય સ્થિરતાનું શું મહત્વ છે, વિશ્વમાં રાજકીય સ્થિરતા કેવા પ્રકારની શક્તિ બતાવી શકે છે.

નીતિઓની શક્તિ શું છે, તે નીતિઓ પર વિશ્વનો વિશ્વાસ કેવી રીતે બને છે. ભારતે આ બતાવ્યું છે અને દુનિયા પણ તેને સમજી રહી છે. અને હવે જ્યારે રાજકીય સ્થિરતા હોય, નીતિઓમાં ગતિશીલતા હોય, નિર્ણયોમાં ગતિ હોય, સર્વવ્યાપકતા હોય, સર્વસમાજ વિશ્વસ્ત હોય, ત્યારે દરેક વિકાસના ભાગીદાર બને છે. અમે સબકા સાથ, સબકા વિકાસના મંત્ર સાથે ચાલ્યા હતા, પરંતુ જોત જોતામાં દેશવાસીઓએ સબ કા વિશ્વાસ અને સબ કે પ્રયાસથી એમાં વધુ રંગ ઉમેર્યા છે. અને તેથી આપણે આપણી સામૂહિક શક્તિ જોઈ છે, આપણે આપણાં સામૂહિક સામર્થ્યને જોયું છે. જે રીતે આઝાદીનો અમૃત ઉત્સવ ઉજવાયો, જે રીતે આજે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, ગામડે ગામડે લોકો જોડાઈ રહ્યા છે, કરસેવા કરી રહ્યા છે. પોતાના પ્રયાસોથી તેઓ તેમના ગામમાં જળ સંરક્ષણ માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યાં છે. અને તેથી જ ભાઈઓ અને બહેનો, સ્વચ્છતા અભિયાન હોય, ગરીબોના કલ્યાણનું કામ હોય, દેશ આજે પૂરી તાકાતથી આગળ વધી રહ્યો છે.

પણ ભાઈઓ અને બહેનો, આપણે આઝાદીના અમૃત કાળમાં આપણી 75 વર્ષની સફરનો મહિમા કરતા રહીશું, આપણી જ પીઠ થપથપાવતા રહીશું, તો આપણાં સપનાઓ દૂર ચાલ્યાં જશે. અને તેથી જ 75 વર્ષનો સમયગાળો ભલે ગમે એટલો શાનદાર રહ્યો હોય, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ, કેટલા પડકારોવાળો રહ્યો હોય, કેટલાંય સપના અધૂરા લાગતાં હોય છતાં આજે જ્યારે આપણે અમૃત કાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું અને તેથી જ આજે જ્યારે હું લાલ કિલ્લા પરથી 130 કરોડ દેશવાસીઓનાં  સામર્થ્યને યાદ કરું છું, હું તેમનાં સપના જોઉં છું, હું તેમના સંકલ્પને અનુભવું છું, તો સાથીઓ મને લાગે છે કે આવનારાં 25 વર્ષ માટે આપણે એ પંચપ્રતિજ્ઞા પર આપણી શક્તિ કેન્દ્રીત કરવી પડશે. આપણા સંકલ્પોને કેન્દ્રીત કરવા પડશે. આપણાં સામર્થ્યને કેન્દ્રીત કરવું પડશે. અને આપણે આ પાંચપ્રણ- પાંચ પ્રતિજ્ઞા લઈને, 2047 જ્યારે આઝાદીનાં 100 વર્ષ થશે, આઝાદીના દીવાનાનાં તમામ સપનાં પૂરાં કરવાની જવાબદારી લઈને ચાલવું પડશે.

જ્યારે હું પંચપ્રણની વાત કરું છું ત્યારે પહેલી પ્રતિજ્ઞા હવે દેશ મોટા સંકલ્પ લઈને જ ચાલશે. તમારે બહુ મોટા સંકલ્પ સાથે ચાલવું પડશે. અને તે મોટો સંકલ્પ છે વિકસિત ભારત, હવે તેનાથી કંઈ ઓછું ન હોવું જોઈએ. મોટો સંકલ્પ- બીજો પ્રણ એ છે કે કોઈ પણ ખૂણે, આપણા મનની અંદર, આપણી આદતોમાં, જો હજુ પણ ગુલામીનો કોઈ અંશ પણ હોય તો તેને કોઈ પણ સંજોગોમાં રહેવા દેવાનો નથી. હવે 100 ટકા, 100 ટકા, સેંકડો વર્ષોની ગુલામીએ આપણને બાંધીને રાખ્યા છે, આપણા મનોભાવને બાંધીને રાખ્યા છે, આપણા વિચારોમાં વિકૃતિઓ પેદા કરી રાખી છે. ગુલામીની નાની નાની વસ્તુ આપણને ક્યાંય પણ દેખાય છે, તે આપણી અંદર દેખાય છે, આપણી આસપાસ દેખાય છે, આપણે તેમાંથી મુક્તિ મેળવવી પડશે. આ આપણી બીજી પ્રતિજ્ઞા શક્તિ છે. ત્રીજી પ્રતિજ્ઞા, આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ, કારણ કે આ વારસાએ જ એક સમયે ભારતને સુવર્ણ કાળ આપ્યો હતો. અને આ તે વારસો છે જેને સમયાનુસાર પરિવર્તન કરવાની ટેવ છે. આ તે જ વારસો છે જે કાળ-બાહ્યને છોડતો રહ્યો છે. નિત્ય નવું સ્વીકારતો  રહ્યો છે. અને તેથી આપણને આ વારસો પર ગર્વ હોવો જોઈએ. ચોથી પ્રતિજ્ઞા પણ એટલી જ મહત્ત્વની છે અને તે છે એકતા અને એકજૂથતા. 130 કરોડ દેશવાસીઓમાં એકતા, ન કોઈનું પોતાનું કે ન કોઇ પારકું, એકતાની તાકાત, 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નાં સપનાઓ માટે આપણી ચોથી પ્રતિજ્ઞા છે. અને પાંચમો સંકલ્પ, પાંચમી પ્રતિજ્ઞા નાગરિકોની ફરજ છે, નાગરિકોની ફરજ, જેમાં પ્રધાનમંત્રી પણ બહાર નથી હોતા, મુખ્યમંત્રી પણ બહાર નથી, તેઓ પણ નાગરિક છે. નાગરિકોની ફરજ. આવનારાં 25 વર્ષનાં આપણાં સપનાંઓને પૂરાં કરવા માટે આ એક મોટી પ્રતિજ્ઞા શક્તિ છે.

મારા પ્રિય દેશવાસીઓ

જ્યારે સપનાં મોટાં હોય છે, જ્યારે સંકલ્પો મોટા હોય છે, ત્યારે પુરુષાર્થ પણ ખૂબ મોટો હોય છે. શક્તિ પણ ખૂબ મોટી માત્રામાં જોડાય જાય છે. હવે કોઇ કલ્પના કરી શકે કે દેશ, 40-42ના એ સમયને યાદ કરો, દેશ ઉભો થયો હતો. કોઈએ હાથમાં સાવરણી લીધી હતી, કોઈએ રેંટિયો, કોઈએ સત્યાગ્રહનો માર્ગ પસંદ કર્યો હતો, કોઈએ સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો હતો, કોઈએ કાળ ક્રાંતિના શૌર્યનો માર્ગ પસંદ કર્યો હતો. પરંતુ સંકલ્પ મોટો હતો, 'સ્વતંત્રતા' અને તાકાત જુઓ, સંકલ્પ મોટો હતો તો આઝાદી લઈને રહ્યા. જો સંકલ્પ નાનો હોત, મર્યાદિત હોત તો કદાચ સંઘર્ષના દિવસો આજે પણ ચાલતા હોત, પરંતુ સંકલ્પ મોટો હતો તો આપણે હાંસલ પણ કર્યો.

મારા પ્રિય દેશવાસીઓ

હવે જ્યારે અમૃતકાળની પ્રથમ પરોઢ છે, ત્યારે આ પચીસ વર્ષમાં આપણે એક વિકસિત ભારત બનીને જ રહેવાનું છે. આપણી નજર સમક્ષ અને 20-22-25 વર્ષના મારા યુવાનો, મારા દેશના મારી સમક્ષ છે, જ્યારે દેશ આઝાદીનાં 100 વર્ષની ઉજવણી કરશે, તમે 50-55 વર્ષના થઇ ગયા હશો, એટલે કે તમારાં જીવનનો આ સુવર્ણ કાળ, તમારી ઉંમરનો આ 25-30 વર્ષનો સમયગાળો ભારતનાં સપનાઓને પૂરાં કરવાનો સમય છે. આપ સંકલ્પ લઈને મારી સાથે નીકળી પડો, મિત્રો, તિરંગા ઝંડાના શપથ લઇને નીકળો, ચાલો આપણે બધા પૂરી તાકાતથી લાગી જઈએ. મહાસંકલ્પ, મારો દેશ એક વિકસિત દેશ હશે, વિકસિત દેશ હશે, વિકાસના દરેક માપદંડમાં આપણે એક માનવકેન્દ્રી વ્યવસ્થા વિકસિત કરીશું, આપણાં કેન્દ્રમાં માનવ હશે, આપણાં કેન્દ્રમાં માનવીય આશાઓ હશે, આકાંક્ષાઓ હશે. આપણે જાણીએ છીએ કે જ્યારે ભારત મહાન સંકલ્પો કરે છે, ત્યારે તે તેને કરી પણ બતાવે છે.

જ્યારે મેં અહીં સ્વચ્છતાની વાત કરી હતી, મારાં પહેલા ભાષણમાં, ત્યારે દેશ નીકળી પડ્યો છે, જે જ્યાં પણ શક્ય હોય ત્યાં સ્વચ્છતાની દિશામાં આગળ વધ્યો છે, ગંદકી પ્રત્યે નફરત એક સ્વભાવ બની ગયો છે. આ એ જ તો  દેશ છે, જેણે તે કરી બતાવ્યું છે અને કરી પણ રહ્યો છે, આગળ પણ કરી રહ્યો છે; આ તેજ  દેશ છે, જેણે રસીકરણ કર્યું છે, વિશ્વ દ્વિધામાં હતું, 200 કરોડનો લક્ષ્યાંક પાર કર્યો છે, સમયબદ્ધ રીતે કર્યો છે, તમામ જૂના રેકોર્ડ તોડી કર્યું છે, આ દેશ કરી શકે છે. આપણે નક્કી કર્યું હતું કે આપણે ખાડીના તેલ પર ગુજારો કરીએ છીએ, ઝાડીના તેલ  તરફ કેવી રીતે આગળ વધવું, 10 ટકા ઇથેનોલ મિશ્રણનું સપનું મોટું લાગતું હતું. જૂનો ઇતિહાસ કહેતો હતો કે તે શક્ય નથી, પરંતુ સમય કરતા પહેલા 10 ટકા ઇથેનોલને બ્લેન્ડ કરીને, દેશે આ સ્વપ્નને પૂર્ણ કર્યું છે.

ભાઇઓ-બહેનો,

આટલા ઓછા સમયમાં અઢી કરોડ લોકોને વીજળીનું કનેક્શન આપવું એ કંઈ નાનું કામ નહોતું, દેશે તે કરી બતાવ્યું. આજે, દેશ લાખો પરિવારોનાં ઘરોને 'નળનું પાણી' પહોંચાડવા માટે ઝડપથી કામ કરી રહ્યો છે. આજે ભારતની અંદર ખુલ્લામાં શૌચથી મુક્તિ શક્ય બની છે.

મારા પ્રિય દેશવાસીઓ,

અનુભવ કહે છે કે એક વખત આપણે બધા સંકલ્પ કરી લઈએ, પછી આપણે નક્કી કરેલાં લક્ષ્યોને પાર કરી શકીએ છીએ. રિન્યુએબલ એનર્જીનું લક્ષ્ય હોય, દેશમાં નવી મેડિકલ કોલેજ બનાવવાનો ઇરાદો હોય, ડોક્ટર્સની તૈયારી કરાવવાની હોય, દરેક ક્ષેત્રમાં ગતિ પહેલાથી ઘણી વધી છે. અને એટલા માટે જ હું કહું છું કે હવે આવનારાં 25 વર્ષ બહુ મોટા સંકલ્પનાં હોવાં જોઈએ, આ જ આપણી પ્રતિજ્ઞા, આ આપણી પ્રતિજ્ઞા પણ હોવી જોઈએ.

બીજી વાત મેં કહી છે, મેં તે પ્રતિજ્ઞા શક્તિની ચર્ચા કરી છે કે ગુલામીની માનસિકતા, દેશની વિચારધારા,  વિચાર કરો, ભાઈઓ, દુનિયા ક્યાં સુધી આપણને પ્રમાણપત્રો વહેંચતી રહેશે? આપણે વિશ્વનાં પ્રમાણપત્ર પર કેટલો સમય આધાર રાખીશું? શું આપણે આપણા પોતાના ધોરણો નક્કી નહીં કરીએ? શું ૧૩૦ કરોડનો દેશ તેનાં ધોરણોને પાર કરવાનો પ્રયાસ ન કરી શકે? આપણે કોઈ પણ સંજોગોમાં બીજા જેવા દેખાવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. આપણે જેવા છીએ તેવા ઉભા રહીશું, પરંતુ આપણે સામર્થ્ય સાથે ઉભા રહીશું, આ આપણો મિજાજ હોવો જોઈએ. આપણને ગુલામીમાંથી મુક્તિની જરૂર છે. આપણા મનમાં ગુલામીનું તત્ત્વ દૂર-દૂરના સાત સમુદ્રો નીચે પણ ન રહેવું જોઈએ, મિત્રો. અને હું આશા સાથે જોઉં છું કે, જે રીતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે, જે મંથન સાથે તે બનાવવામાં આવી છે, તે કરોડો લોકોના વિચાર-પ્રવાહને સંકલિત કરીને બનાવવામાં આવી છે અને ભારતની ધરતીની જમીન સાથે જોડાયેલી શિક્ષણ નીતિ બની છે, રસકસ આપણી ધરતીનાં મળ્યાં છે. અમે કૌશલ્ય પર જે ભાર મૂક્યો છે, આ એક એવું સામર્થ્ય છે જે આપણને ગુલામીમાંથી મુક્ત થવાની તાકાત આપશે.

આપણે જોયું છે કે કેટલીક વાર આપણી પ્રતિભા ભાષાનાં બંધનોથી બંધાઈ જાય છે, તે ગુલામીની માનસિકતાનું પરિણામ છે. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ. આપણે ભાષા જાણીએ કે ન જાણીએ, તે મારા દેશની ભાષા છે, આ મારા પૂર્વજોએ દુનિયાને આપેલી ભાષા છે, આપણને ગર્વ થવો જોઈએ.

મારા સાથીઓ,

આજે આપણે ડિજિટલ ઇન્ડિયાનું સ્વરૂપ જોઈ રહ્યા છીએ. સ્ટાર્ટ-અપ્સને જોઇ રહ્યા છીએ. કોણ લોકો છે? આ જ ટેલેન્ટ છે જે લોકો ટિયર-2, ટિયર-3 સીટીમાં ગામડાના ગરીબના પરિવારમાં વસતા લોકો છે. તે આપણા યુવાનો છે જે આજે નવી શોધો સાથે વિશ્વની સામે આવી રહ્યા છે. આપણે ગુલામીની માનસિકતાનો ત્યાગ કરવો પડશે. આપણાં સામર્થ્ય પર વિશ્વાસ કરવો પડશે.

બીજી વાત જે મેં કહી છે, ત્રીજી મારી પ્રતિજ્ઞા શક્તિની વાત છે, તે આપણા વારસાની છે. આપણને ગર્વ થવો જોઈએ. જ્યારે આપણે આપણી ધરતી સાથે જોડાઈશું, જ્યારે આપણે આપણી જમીન સાથે જોડાઈશું, ત્યારે જ તો આપણે ઊંચે ઊડીશું, અને જ્યારે આપણે ઊંચે ઊડીશું, ત્યારે આપણે દુનિયાને સમાધાનો પણ આપી શકીશું. જ્યારે આપણને આપણી વસ્તુઓ પર ગર્વ થાય છે ત્યારે આપણે જોયું છે. આજે દુનિયા સમગ્રલક્ષી હેલ્થકેરની વાત કરી રહી છે, પરંતુ જ્યારે સમગ્રલક્ષી હેલ્થકેરની વાત કરવામાં આવે છે, ત્યારે તેની નજર ભારતના યોગ, ભારતના આયુર્વેદ, ભારતની સંપૂર્ણ જીવનશૈલી પર જાય છે. આ આપણો વારસો છે જે આપણે વિશ્વને આપી રહ્યા છીએ. દુનિયા આજે તેનાથી પ્રભાવિત થઈ રહી છે. હવે આપણી તાકાત જુઓ. આપણે એવા લોકો છીએ જે પ્રકૃતિ સાથે કેવી રીતે જીવવું તે જાણે છે. પ્રકૃતિને પ્રેમ કેવી રીતે કરવો એ જાણીએ છીએ. આજે દુનિયા પર્યાવરણની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. આપણી પાસે તે વારસો છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ હલ કરવાનો માર્ગ આપણી પાસે છે. આપણા પૂર્વજોએ એ આપ્યો છે.

જ્યારે આપણે જીવનશૈલી, પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશે વાત કરીએ છીએ, આપણે જીવન મિશન વિશે વાત કરીએ છીએ, આપણે વિશ્વનું ધ્યાન આકર્ષિત કરીએ છીએ. આપણી પાસે આ ક્ષમતા છે. આપણું મોટું ધાન, મોટું બાજરી, આપણે ત્યાં તો ઘર ઘરની ચીજ રહી છે. આ આપણો વારસો છે, આપણા નાના ખેડૂતોના પરિશ્રમથી નાની નાની જમીનના ટુકડાઓમાં પાકતું આપણું ધાન. આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય સ્તરે બાજરી વર્ષ ઉજવવા માટે આગળ વધી રહ્યું છે. મતલબ કે આપણો વારસાને આજે વિશ્વ, ચાલો આપણે તેના પર ગર્વ કરતા શીખીએ. આપણી પાસે વિશ્વને આપવા માટે ઘણું બધું છે. આપણા પારિવારિક મૂલ્યો જ્યારે વિશ્વના સામાજિક તનાવની ચર્ચા થઈ રહી છે. જ્યારે વ્યક્તિગત તણાવની ચર્ચા કરવામાં આવે છે, ત્યારે લોકોને યોગ દેખાય છે. સામૂહિક તણાવની વાત કરવામાં આવે તો ભારતની પરિવાર વ્યવસ્થા દેખાય છે. સદીઓથી આપણી માતાઓ અને બહેનોનાં બલિદાનને કારણે જે સંયુક્ત કુટુંબની પ્રણાલીનો વિકાસ થયો છે તે આપણો વારસો છે. આપણે આ વારસા પર કેવી રીતે ગર્વ કરી શકીએ? આપણે એ લોકો છીએ જે જીવમાં પણ શિવને જુએ છે. આપણે એ લોકો છીએ જે નારાયણને નરમાં જુએ છે. આપણે નારીને નારાયણી કહેનારા લોકો છીએ. આપણે એવા લોકો છીએ જે છોડમાં પરમાત્માને જુએ છે. આપણે  એવા લોકો છીએ જે નદીને માતા માને છે. આપણે એ લોકો છીએ જે દરેક કંકરમાં શંકરને જુએ છે. આ આપણું સામર્થ્ય છે, આપણે દરેક નદીમાં માતાનું સ્વરૂપ જોઈએ છીએ. પર્યાવરણની આટલી વ્યાપક વિશાળતા એ આપણું ગૌરવ જ્યારે વિશ્વની સામે જાતે કરીશું તો દુનિયા કરશે.

ભાઇઓ-બહેનો,

આપણે એ લોકો છીએ જેમણે વસુધૈવ કુટુંબકમનો મંત્ર દુનિયાને આપ્યો છે. આપણે એ લોકો છીએ જે દુનિયાને કહે છે 'એક સદ્વિપ્રા બહુધા વદન્તિ'. આજે ‘holier than thou’નું જે સંકટ ચાલી રહ્યું છે, હું તારાથી પણ મોટો છું, આ જે તનાવનું કારણ બન્યું છે, આપણી પાસે દુનિયાને એક સદ્વિપ્રા બહુધા વદન્તિનું જ્ઞાન આપતો વારસો છે. જે કહે છે કે સત્ય એક છે, જાણકાર લોકો તેને જુદી જુદી રીતે કહે છે. આ ગૌરવ આપણું છે. આપણે એવા લોકો છીએ જે કહે છે કે યત પિણ્ડે તત બ્રહ્માંડે, કેટલો મોટો વિચાર છે, જે બ્રહ્માંડમાં છે તે દરેક જીવ માત્રમાં છે. આપણે તે લોકો છીએ જે કહે છે કે યત પિણ્ડે તત બ્રહ્માંડ. આપણે એવા લોકો છીએ જેણે વિશ્વનું કલ્યાણ જોયું છે, આપણે જગ કલ્યાણથી જન કલ્યાણના રાહી રહ્યા છીએ. જન કલ્યાણથી જગ કલ્યાણના માર્ગે ચાલનારા આપણે લોકો જ્યારે દુનિયાની કામના કરીએ છીએ ત્યારે કહીએ છીએ - સર્વે ભવન્તુ સુખિન: સર્વે સંતુ નિરામયા: સૌના સુખની વાત, સૌનાં આરોગ્યની વાત કરવાનો આપણો વારસો છે. અને એટલે આપણે બહુ શાનથી આપણા આ વારસા પર ગર્વ કરતા શીખીએ, આ પ્રતિજ્ઞા શક્તિ છે આપણી, જે આપણે 25 વર્ષોનાં સપનાં પૂરાં કરવા માટે જરૂરી  છે.

એ જ રીતે મારા પ્રિય દેશવાસીઓ,

બીજો મહત્વનો વિષય એકતા, એકજૂથતા છે. આપણે આટલા મોટા દેશને એની વિવિધતાને ઉજવનાની છે, આટલા બધા સંપ્રદાયો અને પરંપરાઓ તે આપણી આન બાન અને શાન છે. કોઈ નીચું નથી, કોઈ ઊંચું નથી, બધા સમાન છે. કોઈ મારું નથી, કોઈ પારકું નથી, દરેક જણ પોતાનું છે. એકતા માટે આ લાગણી ખૂબ જ મહત્ત્વની છે. ઘરમાં પણ પુત્ર-પુત્રી સમાન હોય ત્યારે જ એકતાનો પાયો નંખાય છે. જો પુત્ર-પુત્રી એક સરખા ન હોય તો એકતાના મંત્રોનો જાપ કરી શકાતો નથી. લિંગ સમાનતા એ આપણી એકતાની પ્રથમ શરત છે. જ્યારે આપણે એકતાની વાત કરીએ છીએ, જો આપણી પાસે એ જ માપદંડ હોય, એ જ માપદંડો હોય, આપણે ઇન્ડિયા ફર્સ્ટમાં હું જે કંઈ પણ કરી રહ્યો છું, હું જે કંઈ પણ વિચારી રહ્યો છું, જે કંઈ બોલી રહ્યો છું તે ઇન્ડિયા ફર્સ્ટ સાથે સુસંગત છે. એકતાનો માર્ગ ખૂલશે, મિત્ર. તે મંત્ર આપણને એકતા સાથે બાંધનારો મંત્ર છે, આપણે તેને પકડવો પડશે. હું દૃઢપણે માનું છું કે સમાજમાં ઊંચ-નીચના ભેદભાવથી માંડીને મારા અને તારાના ભેદભાવોથી આપણે આપણા સૌના પૂજારી બનીએ. શ્રમેવ જયતે કહે છે કે અમને શ્રમિકોનું સન્માન કરવું એ આપણો સ્વભાવ હોવો જોઈએ.

પરંતુ ભાઇઓ અને બહેનો,

હું લાલ કિલ્લા પરથી મારી બીજી એક પીડા કહેવા માંગુ છું, હું આ દર્દ કહ્યા વગર રહી શકતો નથી. હું જાણું છું કે આ વાત કદાચ લાલ કિલ્લાનો વિષય ન હોઇ શકે. પણ મારી અંદરની પીડા હું ક્યાં કહીશ? જો હું દેશવાસીઓની સામે નહીં કહું તો કોને કહીશ અને તે એટલા માટે કે કોઇને કોઇ કારણસર આપણામાં એવી વિકૃતિ આવી ગઇ છે, આપણી બોલચાલમાં, આપણા વર્તનમાં, આપણા શબ્દોમાં આપણે નારીઓનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજિંદા જીવનમાં નારીઓને અપમાનિત કરતી દરેક બાબતોમાંથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લઇ શકીએ? રાષ્ટ્રના સપનાંને સાકાર કરવામાં નારીઓનું ગૌરવ એક મોટી પૂંજી બની રહેશે. હું આ સામર્થ્ય જોઇ રહ્યો છું અને તેથી હું તેનો આગ્રહ રાખું છું.

મારા પ્રિય દેશવાસીઓ,

હું પાંચમી પ્રણશક્તિની વાત કરી રહ્યો છું. અને તે પાંચમી પ્રણશક્તિ છે નાગરિકનું કર્તવ્ય. દુનિયાના જેટલા પણ દેશોએ પ્રગતિ કરી છે. જેટલા પણ દેશોએ કંઇકને કંઇક પ્રાપ્ત કર્યું છે, અંગત જીવનમાં પણ જેમણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, તેમાંથી કેટલીક બાબતો ઉભરીને સામે આવી છે. એક શિસ્તપૂર્ણ જીવન, બીજું, ફરજ પ્રત્યેની નિષ્ઠા. વ્યક્તિના જીવનની, સમાજની, પરિવારની કે પછી, રાષ્ટ્રની સફળતાની વાત હોય. તેને પ્રાપ્ત કરવા માટે મૂળભૂત માર્ગ આ જ છે, આ જ મૂળભૂત પ્રણશક્તિ છે.

અને આથી આપણે ફરજ નિષ્ઠાપર ભાર મૂકવો જ પડશે. 24 કલાક વીજળી આપવાના પ્રયાસો કરવા એ સરકારનું કામ છે, પરંતુ નાગરિકોની ફરજ છે કે તેઓ શક્ય હોય તેટલા યુનિટ વીજળીની બચત કરે. દરેક ખેતરમાં પાણી પહોંચાડવાની જવાબદારી સરકારની છે, અને સરકારનો આ પ્રયાસ છે, પરંતુ 'દરેક ટીપે વધુ પાક'નુ પાલન કરીને પાણીની બચત કરવા અને આગળ વધવા માટે દરેક ખેતરમાંથી અવાજ ઉઠાવવો જોઇએ. કેમિકલ મુક્ત ખેતી, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતી એ આપણી ફરજ છે.

મિત્રો, પોલીસ હોય કે પ્રજા હોય, શાસક હોય કે પછી પ્રશાસક હોય, કોઇ પણ વ્યક્તિ આ નાગરિક તરીકેની ફરજથી અછૂત રહી શકતી નથી. જો દરેક વ્યક્તિ નાગરિક તરીકેની પોતાની ફરજો નિભાવે, તો મને પૂરો વિશ્વાસ છે કે આપણું ઇચ્છિત ધ્યેય સમય કરતાં પહેલાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ.

મારા પ્રિય દેશવાસીઓ,

આજે મહર્ષિ અરવિંદોની જન્મજયંતી પણ છે. હું તે મહાપુરુષનાં ચરણોમાં વંદન કરું છું. પરંતુ આપણે એ મહાપુરુષને યાદ રાખવાના છે જેમણે સ્વદેશીથી સ્વરાજ, સ્વરાજથી સૂરાજ એમ કહ્યું હતું. આ તેમણે આપેલો મંત્ર છે, આપણે બધાએ એ વિચારવું પડશે કે આપણે ક્યાં સુધી દુનિયાના અન્ય લોકો પર નિર્ભર રહીશું. શું આપણા દેશને અન્નની જરૂર છે, શું આપણે તેને આઉટસોર્સ કરી શકીએ? જ્યારે દેશે નક્કી કરી લીધું કે આપણું પેટ આપણે જ ભરીશું, ત્યારે દેશે આમ કરી બતાવ્યું. કરી બતાવ્યું કે નહીં! એક વાર સંકલ્પ લઇએ તો એવું થાય છે. અને આથી જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ એ દરેક નાગરિકની, દરેક સરકારની, સમાજના દરેક એકમની જવાબદારી બને છે. આ આત્મનિર્ભર ભારત, આ સરકારનો એજન્ડા કે સરકારી કાર્યક્રમ નથી. આ સમાજનું જન આંદોલન છે, જેને આપણે આગળ લઇ જવાનું છે.

મારા મિત્રો, આજે જ્યારે આપણે જ્યારે એ સાંભળ્યું કે, આઝાદીના 75 વર્ષ પછી, જે અવાજ સાંભળવા માટે આપણા કાન તરસી રહ્યા હતા, તે અવાજ આજે 75 વર્ષ પછી સાંભળવા મળ્યો છે. 75 વર્ષ બાદ લાલ કિલ્લા પરથી તિરંગાને સલામી આપવાનું કામ પહેલી વખત મેડ ઇન ઇન્ડિયા તોપ દ્વારા કરવામાં આવ્યું છે. એવા કયા હિન્દુસ્તાની હશે, જેમને આ વાત, આ અવાજ એક નવી પ્રેરણા, નવી તાકાત ના આપે. અને આથી જ, મારા પ્રિય ભાઇઓ અને બહેનો, આજે હું આપણા દેશની સેનાના જવાનોને હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. મારા આત્મનિર્ભરતાની વાતને સંગઠિત સ્વરૂપમાં, સાહસના સ્વરૂપમાં, મારી સેનાના જવાનોએ, સેના નાયકોએ જે જવાબદારી પાસેથે પોતાના ખભા પર ઉપાડી છે તેના માટે હું તેમને જેટલી સલામ કરું એટલી ઓછી છે, મિત્રો. આજે હું તેમને સલામ કરું છું. કારણ કે સેનાનો જવાન મોતને પોતાની મુઠ્ઠીમાં લઇને આગળ વધે છે. મૃત્યુ અને જીવન વચ્ચે કોઇ જ અંતર નથી હોતું અને ત્યારે તે વચ્ચે અડગ બનીને રીતે ઉભો રહે છે. અને મારા સૈન્યના તે જવાનો નક્કી કરે કે હવે આપણે એવી ત્રણસો વસ્તુઓની યાદી બનાવીએ જે આપણે વિદેશથી નહીં લાવીએ. આપણા દેશના આ સંકલ્પો નાના અમથો સંકલ્પ નથી.

મને આ સંકલ્પમાં ભારતના 'આત્મનિર્ભર' ભારતના ઉજ્જવળ ભવિષ્યના એ બીજ દેખાઇ રહ્યા, જે આ સપનાઓને ભવિષ્યમાં વટવૃક્ષમાં ફેરવવાના છે. સલામ! સલામ! મારા સૈન્ય અધિકારીઓને સલામ. હું આપણા નાના નાના બાળકોને 5 વર્ષ 7 વર્ષની ઉંમરના બાળકો છે તેમને પણ સલામ કરવા માંગુ છું. તેમને પણ વંદન કરવા માંગુ છુ. જ્યારે દેશ સામે ચેતના જાગી ત્યારે મેં સેંકડો પરિવારોમાંથી મને સાંભળવા મળ્યું છે કે, માત્ર 5- 7 વર્ષના બાળકો ઘરમાં એવું કહેતા હોય છે કે હવેથી તેઓ વિદેશી રમકડાંથી નહીં રમે. 5 વર્ષના બાળકો ઘરમાં વિદેશી રમકડાંથી નહીં રમે, જ્યારે તેઓ આવો સંકલ્પ કરે છે ને ત્યારે આત્મનિર્ભર ભારત તેમની નસેનસમાં દોડે છે. તમે જ જુઓ, એક લાખ કરોડ રૂપિયાની PLI યોજનામાં દુનિયાભરમાંથી લોકો પોતાનું નસીબ અજમાવવા માટે ભારત આવી રહ્યા છે. ટેકનોલોજી લઇને આવી રહ્યા છે. રોજગારીની નવી તકોનું સર્જન કરી રહ્યા છે. ભારત મેન્યુફેક્ચરિંગનું હબ બનવા જઇ રહ્યું છે. આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર થઇ રહ્યો છે. આજે વાત ઇલેક્ટ્રોનિક સામાનનું ઉત્પાદન હબ બનવાની હોય, મોબાઇલ ફોનનું ઉત્પાદન હબ બનવાની હોય, દરેક બાબતે દેશ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. જ્યારે આપણી બ્રહ્મોસ દુનિયામાં જાય છે ત્યારે એવો કયો હિન્દુસ્તાની હશે જેનું મન આકાશમાં આંબતું ના હોય, મિત્રો. આજે આપણી મેટ્રોના કોચ, આપવી વંદે ભારત ટ્રેન આખી દુનિયા માટે આકર્ષણ બની રહ્યા છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણે આત્મનિર્ભર બનવાનું છે. આફણે ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનું છે. આપણે ક્યાં સુધી ઉર્જા ક્ષેત્રે માટે કોઇ બીજા પર નિર્ભર રહીશું. અને આપણે સૌરનું ક્ષેત્ર હોય, પવન ઉર્જાનું ક્ષેત્ર હોય કે પછી અક્ષય ઉર્જાની વાત હોય અને જે પણ રસ્તા હોય, મિશન હાઇડ્રોજન હોય, બાયો ફ્યૂઅલના પ્રયાસો હોય, ઇલેક્ટ્રિક વાહનમાં જવાની વાત હોય, આપણે આત્મનિર્ભર બનીને આપણી વ્યવસ્થાઓને આગળ વધારવાની છે.

મારા પ્રિય દેશવાસીઓ,

આજે, પ્રાકૃતિક ખેતી પણ આત્મનિર્ભર બનવા માટેનો એક માર્ગ છે. ફર્ટિલાઇઝરથી જેયલી વધારે મુક્તિ, આજે દેશમાં નેનો ફર્ટિલાઇઝરના કારખાનાઓ પણ નવી આશા લઇને આવ્યા છે. પરંતુ પ્રાકૃતિક ખેતી, રસાયણ મુક્ત ખેતી આત્મનિર્ભરતાને તાકાત આપી શકે છે. આજે દેશમાં રોજગારીના ક્ષેત્રમાં ગ્રીન જોબના નવા ક્ષેત્રો ખૂબ જ ઝડપથી ખુલી રહ્યા છે. ભારતે નીતિઓ દ્વારા 'સ્પેસ'ના દ્વાર પણ ખુલ્લા મૂકી દીધા છે. ડ્રોન માટે દુનિયામાં સૌથી પ્રગતિશીલ નીતિઓ લઇને અમે આવ્યા છીએ. અમે દેશના નવયુવાનો માટે આ પ્રકારે નવા દ્વાર ખોલ્યા છે.

મારા પ્રિય ભાઇઓ અને બહેનો,

હું ખાનગી ક્ષેત્રને પણ આહ્વાન કરું છું, આવો... આપણે દુનિયા પર છવાઇ જવાનું છે. આત્મનિર્ભર ભારતનું એ પણ સપનું છે કે, વિશ્વની જરૂરિયાતો પૂરી કરવામાં ભારત પાછળ ન રહે. આપણે લઘુ ઉદ્યોગ હોય, સુક્ષ્મ ઉદ્યોગ હોય, કુટીર ઉદ્યોગ હોય, ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ સાથે આપણે દુનિયા સમક્ષ જવું પડશે. આપણે સ્વદેશી પર ગૌરવ લેવું પડશે.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણે વારંવાર લાલ બહાદુર શાસ્ત્રીજીને યાદ કરીએ છીએ, જય જવાન-જય કિસાન એ તેમણે આપેલો મંત્ર જે આજે પણ દેશ માટે પ્રેરણારૂપ છે. બાદમાં અટલ બિહારી વાજપેયીજીએ તેમાં 'જય વિજ્ઞાન' કહીને વધુ એક કડી ઉમેરી દીધી હતી અને દેશે તેને પ્રાથમિકતા આપી હતી. પરંતુ હવે અમૃતકાળ માટે બીજી અનિવાર્યતા થઇ ગઇ છે અને તે છે જય અનુસંધાન. જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાન-જય અનુસંધાન- આવિષ્કાર. અને મને આપણા દેશની યુવા પેઢી પર પૂરો વિશ્વાસ છે. આવિષ્કારની તાકાત જુઓ, આજે આપણું UPI-BHIM, આપણું ડિજિટલ પેમેન્ટ, ફિનટેકની દુનિયામાં આપણું સ્થાન, આજે વિશ્વમાં, વાસ્તવિક સમયમાં 40 ટકા ડિજિટલ નાણાકીય વ્યવહારો આપણા દેશમાંથી થઇ રહ્યા છે, ભારતે આ કરીને બતાવ્યું છે.

મારા પ્રિય દેશવાસીઓ,

હવે આપણે 5G યુગ તરફ આગળ ડગલાં માંડી રહ્યા છીએ. હવે વધુ લાંબો સમય રાહ જોવાની જરૂર નથી, અમે ટૂંક સમયમાં તેની સાથે કદમતાલ મિલાવીશું. આપણે ગામડે ગામડે ઓપ્ટિકલ ફાઇબર પહોંચાડી રહ્યાં છીએ. ડિજીટલ ઇન્ડિયાનું સપનું ગામડાંમાંથી પસાર થશે તેની મને પૂરેપૂરી જાણ છે. આજે મને એ વાતની ખુશી છે કે ભારતના ચાર લાખ કોમન સર્વિસ સેન્ટર ગામડાઓમાં વિકસાવવામાં આવી રહ્યા છે. ગામના નવયુવાન દીકરા-દીકરીઓ કોમન સર્વિસ સેન્ટર ચલાવી રહ્યા છે. દેશ એ વાતનું ગૌરવ લઇ શકે છે કે ગ્રામીણ વિસ્તારમાં ચાર લાખ ડિજિટલ એન્ટરપ્રેન્યોર તૈયાર થાય અને સારી સેવાઓ લેવા માટે ગામડાના લોકો તેમના સુધી આવે, તે પોતાની રીતે જ ટેકનોલોજી હબ બનવાની ભારતની શક્તિ છે.

મારા પ્રિય દેશવાસીઓ,

હાલમાં જે ડિજિટલ ઇન્ડિયાની ચળવળ ચાલી રહી છે, આપણે સેમિકન્ડક્ટરની દિશામાં એ રીતે આગળ વધી રહ્યા છીએ, આપણે 5G તરફ આગળ વધી રહ્યા છીએ, આપણે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કને માળખું પાથરી રહ્યા છીએ, તે માત્ર આધુનિકતાની ઓળખ છે, એવું નથી. તેની અંદર ત્રણ મહાન શક્તિઓ સમાયેલી છે. શિક્ષણમાં આમૂલ ક્રાંતિ - તે ડિજિટલ માધ્યમથી આવવાની છે. આરોગ્ય સેવાઓમાં આમૂલ ક્રાંતિ જે ડિજિટલથી આવવાની છે. કૃષિ જીવનમાં પણ ખૂબ જ મોટું પરિવર્તન ડિજિટલના માધ્યમથી આવવાનું છે. એક નવી દુનિયા તૈયાર થઇ રહી છે. ભારત તેને આગળ વધારવા માટે તૈયાર છે અને મિત્રો મને સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે આ દાયકો, આ માનવજાત માટે ટેકેડનો સમય છે, તે ટેકનોલોજીનો દાયકો છે. ભારત માટે તો આ એવો ટેકેડ છે જેનું મન ટેકનોલોજી સાથે જોડાયેલું છે. આઇટીની દુનિયામાં ભારતે પોતાનું કૌવત સાબિત કરી બતાવ્યું છે, આ ટેકેડનું સામર્થ્ય ભારત પાસે છે.

આપણું અટલ ઇનોવેશન મિશન, આપણાં ઇન્ક્યુબેશન સેન્ટરો, અમારા સ્ટાર્ટઅપ્સ એક નવું, સમગ્ર ક્ષેત્રનો વિકાસ કરી રહ્યા છે, જે યુવા પેઢી માટે નવી તકો લાવી રહ્યું છે. સ્પેસ મિશન હોય, આપણા ડીપ ઓશન મિશનની વાત હોય, પછી ભલે આપણે સમુદ્રમાં પેટાળ સુધી જવાનું હોય કે પછી આપણે ઊંચા આકાશને આંબવાનું હોય, આ નવા ક્ષેત્રો છે, જેના દ્વારા આપણે આગળ વધી રહ્યા છીએ.

મારા પ્રિય દેશવાસીઓ,

આપણે એ વાતને જરાય ના ભૂલવી જોઇએ અને ભારતે સદીઓથી જોયું છે કે, જે પ્રકારે દેશમાં કેટલાક નમૂનારૂપ કાર્યોની જરૂર હોય છે, કેટલીક મહાન ઊંચાઇઓ સુધી પહોંચવાની જરૂર હોય છે, પરંતુ સાથે જ પાયાના સ્તર પર તાકાતની પણ ખૂબ જરૂર હોય છે. ભારતના આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ પાયાના સ્તરની મજબૂતી સાથે જોડાયેલી છે. અને આથી જ આપણા નાના ખેડૂતો – તેમનું સામર્થ્ય, આપણા નાના ઉદ્યોગ સાહસિકો – તેમનું સામર્થ્ય, આપણા લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, સૂક્ષ્મ ઉદ્યોગો, શેરી પરના વિક્રેતાઓ, ઘરોમાં કામ કરતા લોકો, ઓટો રીક્ષા ચલાવતા લોકો, બસ સેવા આપતા લોકો, બધા જ સમાજનો સૌથી મોટો વર્ગ છે, તેઓ જો સામર્થ્યવાન થાય તો ભારત સમર્થ બને તે વાતની ગેરેન્ટી છે અને આથી જ આપણા આર્થિક વિકાસની જે મૂળભૂત પાયાની તાકાતા છે, તે તાકાતને સૌથી વધારે દિશા આપવાનો અમારો પ્રયાસ ચાલી રહ્યો છે.

મારા પ્રિય દેશવાસીઓ

આપણી પાસે 75 વર્ષનો અનુભવ છે, આપણે 75 વર્ષમાં અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે. 75 વર્ષના અનુભવમાં, અમે નવા સપનાઓ પણ જોયા છે અને નવા સંકલ્પો પણ લીધા છે. પરંતુ અમૃતકાળ માટે આપણા માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને કેવી રીતે તેમાંથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શકીએ? આપણી કુદરતી સંપત્તિનું શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવી શકીએ? આ લક્ષ્યને ધ્યામાં રાખીને આપણે આગળ વધવાનું છે. અને આ સ્થિતિમાં હું છેલ્લા કેટલાક વર્ષોના અનુભવ પરથી કહેવા માંગુ છું. તમે જોયું જ હશે, આજે અદાલતની અંદર જુઓ કે આપણા વકીલના ક્ષેત્રમાં કામ કરતી આપણી નારીશક્તિ કેટલી તાકાત સાથે દેખાઇ રહી છે. તમને ગ્રામ્ય વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે નારીશક્તિ જોવા મળી જ હશે. આપણી નારીશક્તિ કેવા મિજાજ સાથે આપણા ગામડાઓની સમસ્યાઓના નિરાકરણમાં નિષ્ઠાપૂર્વક વ્યસ્ત છે તે પણ તમે જોયું જ હશે. આજે જ્ઞાનનું ક્ષેત્ર જ જોઇ લો, વિજ્ઞાનનું ક્ષેત્ર જુઓ, આપણા દેશની નારીશક્તિ બધા જ ક્ષેત્રોમાં મોખરે જોવા મળી રહી છે.

આજે આપણે પોલીસમાં જોઇ શકીએ છીએ કે, આપણી નારીશક્તિ લોકોની સુરક્ષાની જવાબદારી પણ ઉપાડી રહી છે. આપણે જીવનનાં દરેક ક્ષેત્ર પર નજર કરીએ તો, રમતનું મેદાન જોઇએ કે પછી યુદ્ધનું મેદાન જોઇએ, ભારતની નારી શક્તિ એક નવા સામર્થ્ય, નવા વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. હું તેમને ભારતની 75 વર્ષની યાત્રામાં તેમનું યોગદાન છે તેમાં, આવનારા 25 વર્ષમાં નારીશક્તિ, મારી માતાઓ અને બહેનો, મારી દીકરીઓના યોગદાનને જોઇ રહ્યો છું અને તેથી તેઓ દરેક હિસાબ-કિતાબથી ઉપર છે. બધા જ માપદંડોથી ઊંચેરી છે. આપણે આના પર જેટલું ધ્યાન આપીશું, આપણી દીકરીઓને જેટલી વધુ તકો પૂરી પાડીશું, જેટલી વધારે સુવિધાઓ આપણે આપણી દીકરીઓને આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરીશું, તમે જોજો કે તે આપણને અનેક ગણું કરીને પાછું આપશે. તે દેશને આ ઊંચાઇ પર લઇ જશે. આ અમૃતકાળમાં જે સપનાં પૂરાં કરવા માટે જે મહેનત લાગવાની છે, તેમાં જો આપણી નારી શક્તિની મહેનતને જોડી દેવામાં આવશે, જો તેને વ્યાપક પ્રમાણમાં ઉમેરવામાં આવશે તો આપણી મહેનત ઓછી થશે, આપણી સમય મર્યાદા પણ ઓછી થઇ જશે, અમારા સપના વધુ તેજસ્વી બની જશે, અને ઓજસ્વી થશે તેમજ દીપી ઉઠશે.

અને આથી જ આવો મિત્રો,

આપણે જવાબદારીઓ સાથે આગળ વધીએ. હું આજે ભારતના બંધારણના ઘડવૈયાઓનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેમણે આપણને જે સંઘીય માળખું આપ્યું છે તેની ભાવનાને ધ્યાનમાં રાખીને, તેની ભાવનાઓને આદર આપીને, જો આપણે આ અમૃતકાળ દરમિયાન એકબીજા સાથે ખભેથી ખભો મિલાવીને આગળ વધીશું, તો ચોક્કસ આપણા સપના સાકાર થઇને જ રહેશે. કાર્યક્રમો અલગ અલગ હોઇ શકે છે, કાર્યશૈલી પણ અલગ અલગ હોઇ શકે પણ સંકલ્પ અલગ અલગ ન હોઇ શકે, રાષ્ટ્ર માટેના સપના જુદા જુદા ન હોઇ શકે.

આવો, એક એવા યુગમાં આગળ વધીએ. મને યાદ છે કે જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તે સમયમાં કેન્દ્રમાં અમારા વિચારોની સરકાર ન હતી, પરંતુ મારા ગુજરાતમાં દરેક જગ્યાએ હું એ જ મંત્રને અનુસરતો હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. ભારતનો વિકાસ, ભલે આપણે ગમે ત્યાં હોઇએ, આપણા બધાના મનમાં રહેવો જોઇએ. આપણા દેશમાં સંખ્યાબંધ રાજ્યો છે, જેમણે દેશને આગળ લઇ જવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે, નેતૃત્વ કર્યું છે, સંખ્યાબંધ ક્ષેત્રોમાં દૃશ્ટાંતરૂપ કાર્ય કર્યું છે. આ બાબદ આપણા સંઘવાદને તાકાત આપે છે. પરંતુ આજે સમયની જરૂરિયાત એ છે કે આપણને સહકારી સંઘવાદની સાથે સાથે સહકારી સ્પર્ધાત્મક સંઘવાદની પણ જરૂર છે, આપણે વિકાસમાં એકબીજા સાથે સ્પર્ધા કરવાની જરૂર છે.

દરેક રાજ્યને એવું લાગવું જોઇએ કે પેલું રાજ્ય આગળ નીકળી ગયું છે. હું પણ એટલી જ મહેનત કરીશ કે હું આગળ નીકળી જઉં. તેમણે આ 10 સારા કાર્યો કર્યા છે, હું 15 સારા કાર્યો કરીને બતાવીશ. તેમણે ત્રણ વર્ષમાં આ કામ પૂરું કર્યું છે, હું બે વર્ષમાં કરીને બતાવીશ. આપણા રાજ્યો વચ્ચે, સરકારના તમામ એકમો વચ્ચે આપણી સેવા પૂરી પાડવામાં સ્પર્ધાનો એવો માહોલ સર્જાય તે જરૂરી છે, જે આપણને વિકાસની નવી ઊંચાઇઓ પર લઇ જવાનો પ્રયાસ કરે.

મારા પ્રિય દેશવાસીઓ,

આ અમૃતકાલના 25 વર્ષ વિશે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, ત્યારે હું જાણું છું કે આપણી સામે પડકારો પણ ઘણા છે, મર્યાદાઓ પણ અનેક છે, મુશ્કેલીઓ પણ સંખ્યાબંધ છે, અને આપણે તેને ઓછી આંકવી જોઇએ નહીં. આપણે માર્ગો શોધી રહ્યા છીએ, સતત પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ બે વિષયો અંગે હું અહીં ચોક્કસ ચર્ચા કરવા માંગુ છું. આમ તો ઘણા વિષયો પર ચર્ચાઓ થઇ શકે છે. પણ મારે અત્યારે સમય મર્યાદા સાથે બે વિષયો પર ચર્ચા કરવી છે. અને હું માનું છું કે આ બધા પડકારોને કારણે, વિકૃતિઓના કારણે, બીમારીઓના કારણે, જો આપણે સમયસર તે અંગે ચેતી જઇશું નહીં તો, 25 વર્ષના આ અમૃતકાળમાં તે પરિસ્થિતિઓ વિકરાળ સ્વરૂપ લઇ શકે છે. અને તેથી જ હું બધી ચર્ચા કરવા માંગતો નથી પરંતુ બે મુદ્દા પર ચોક્કસપણે ચર્ચા કરવા માંગુ છું. એક છે ભ્રષ્ટાચાર અને બીજો મુદ્દો છે ભાઇ-ભત્રીજાવાદ, કુટુંબવાદ. ભારત જેવી લોકશાહીમાં જ્યાં એક તરફ લોકો ગરીબી સામે ઝઝૂમી રહ્યા છે, જ્યારે જોવા મળે છે કે, એક તરફ એવા લોકો છે જેમની પાસે રહેવા માટે જગ્યા નથી. બીજી તરફ એવા લોકો છે કે જેમની પાસે ચોરીનો સામાન રાખવાની જગ્યા નથી. મિત્રો, આ સારી પરિસ્થિતિ નથી. અને તેથી આપણે ભ્રષ્ટાચાર સામે આપણી પૂરી શક્તિથી લડવું પડશે. છેલ્લાં આઠ વર્ષમાં, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા, આધાર, મોબાઇલ જેવી આ તમામ આધુનિક સિસ્ટમોનો ઉપયોગ કરીને, અમે અગાઉ જે ખોટા લોકોના હાથોમાં જતા હતા તેવા બે લાખ કરોડ રૂપિયા બચાવવામાં સફળ થયા છીએ અને તેને દેશનું કલ્યાણ કરવા માટે ઉપયોગમાં લીધા છે. અગાઉની સરકારોમાં જે લોકો બેંકોને લૂંટીને ભાગી ગયા હતા, તેમની મિલકતો જપ્ત કરીને તેમને પરત મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાયને જેલમાં રહેવાની ફરજ પડી છે. અમારો પ્રયાસ એવો છે કે, જેમણે દેશને લૂંટ્યો છે તેમણે બધુ જ પાછું આપવું પડે તેવી સ્થિતિ અમે ઉભી કરીશું.

ભાઇઓ અને બહેનો, હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ હું સ્પષ્ટપણે જોઇ શકું છું કે આપણે એક નિર્ણાયક સમયગાળામાં પ્રવેશી રહ્યા છીએ. મોટા મોટા લોકો પણ તેમાંથી છટકી શકશે નહીં. આ મિજાજ સાથે હિન્દુસ્તાન હવે ભ્રષ્ટાચાર સામે નિર્ણાયક સમયગાળામાં પગ મૂકી રહ્યું છે. અને હું આ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ખૂબ જ જવાબદારી સાથે આ વાત કહી રહ્યો છું. અને આથી જ ભાઇઓ અને બહેનો, ભ્રષ્ટાચાર દેશને ઉધઇની જેમ પોકળ બનાવી રહ્યો છે. માટે આપણે તેની સામે લડવાનું છે, આપણી લડતને ઉગ્ર બનાવવાની છે, આપણે તેને નિર્ણાયક તબક્કા સુધી લઇ જવાની છે. ત્યારે મારા 130 કરોડ દેશવાસીઓ, આપ સૌ મને આશીર્વાદ આપો, આપ સૌ મારો સાથ આપો, હું આજે તમારી પાસેથી માંગવા આવ્યો છું, તમારો સહકાર માંગવા માટે આવ્યો છું જેથી હું આ જંગ લડી શકું. આ જંગને દેશ જીતી શકે કારણ કે ભ્રષ્ટાચારે સામાન્ય નાગરિકનું જીવન બરબાદ કરી નાખ્યું છે. હું મારા આ સામાન્ય નાગરિકોના જીવનને ફરીથી આન, બાન, શાન માટે જીવવા માટે માર્ગ તૈયાર કરવા માંગુ છું. અને તેથી, મારા પ્રિય દેશવાસીઓ, આ એક ચિંતાનો વિષય છે કે આજે દેશમાં ભ્રષ્ટાચાર પ્રત્યે લોકોમાં નફરત તો જોવા મળે છે, તેઓ આ નફરતને વ્યક્ત પણ કરે છે, પરંતુ ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચારીઓ પ્રત્યે ઉદારતા રાખવામાં આવે છે, કોઇપણ દેશ માટે આ વલણ શોભનીય નથી.

અને ઘણા લોકો એટલા બેશરમ થઇ જાય છે કે તેમને અદાલતે સજા ફરમાવી દીધી છે, તેઓ દોષિત સાબિત થઇ ગયા છે, તેઓ ભ્રષ્ટાચારી હોવું પૂરવાર થઇ ગયું છે, તેમને જેલમાં જવાનું છે તે નક્કી થઇ ગયું છે, જેઓ જેલની સજા ભોગવી રહ્યા છે, તેમ છતાં પણ ઘણા લોકો તેમનો મહિમા ગાવાનું ચાલુ રાખે છે, તેઓ પોતાની શાન અને ગૌરવ વધારવામાં વ્યસ્ત છે, તેઓ તેમની પ્રતિષ્ઠા બનાવવાનું હજુ પણ ચાલુ જ રાખે છે. જ્યાં સુધી સમાજમાં ગંદકી પ્રત્યે દ્વેષ ન હોય ત્યાં સુધી સ્વચ્છતાની સભાનતા જન્મતી નથી. જ્યાં સુધી ભ્રષ્ટાચારી અને ભ્રષ્ટાચારી પ્રત્યે ધિક્કારની ભાવના નહીં હોય, જ્યાં સુધી તેમને સામાજિક રીતે નીચું જોવાની ફરજ ન પડે ત્યાં સુધી આ માનસિકતાનો અંત આવવાનો નથી. અને તેથી આપણે ભ્રષ્ટાચાર પ્રત્યે પણ અને ભ્રષ્ટાચારીઓ પ્રત્યે પણ જાગૃત બનવું જરૂરી છે.

બીજા ચર્ચા હું જે વાત પર કરવા માંગુ છું તે છે નેપોટિઝમ, અને જ્યારે હું ભાઇ-ભત્રીજાવાદ અને પરિવારવાદ વિશે વાત કરું છું, ત્યારે લોકોને એવું લાગે છે કે હું ફક્ત રાજકીય ક્ષેત્રની વાત કરું છું. ના, કમનસીબે રાજકીય ક્ષેત્રે આ દુષ્ટતાએ હિન્દુસ્તાનની દરેક સંસ્થામાં પરિવારવાદને પોષિત કર્યો છે. પરિવારવાદે આપણી અનેક સંસ્થાઓને ઘેરામાં લઇ લીધી છે. અને તેના કારણે મારા દેશની પ્રતિભાને નુકસાન પહોંચે છે. મારા દેશના સામર્થ્યને નુકસાન થાય છે. જેમની પાસે તકની શક્યતાઓ હોય છે, તેઓને પરિવાર, ભાઇ-ભત્રીજાવાદના કારણે પાછળ છોડી દેવામાં આવે છે. ભ્રષ્ટાચાર થવાનું એક કારણ એ પણ બની જાય છે કે, જેના કારણે જેમને કોઇ ભાઇ-ભત્રીજાનો આશરો નથી હોતો તેમને લાગે છે કે ભાઇ ચાલો ક્યાંકથી ખરીદી કરીને જગ્યા બનાવી લઇએ. આ પરિવારવાદથી, ભાઇ-ભત્રીજાવાદ સામે, આપણે દરેક સંસ્થામાં નફરત પેદા કરવી પડશે, જાગૃતિ લાવવી પડશે, તો જ આપણે આપણી સંસ્થાઓને બચાવી શકીશું. સંસ્થાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તે ખૂબ જ જરૂરી છે. એ જ રીતે રાજનીતિમાં પણ પરિવારવાદે દેશની તાકાત સાથે સૌથી વધારે અન્યાય કર્યો છે. પરિવારવાદી રાજનીતિ પરિવારના કલ્યાણ માટે હોય છે, તેને દેશના કલ્યાણ સાથે કોઇ લેવાદેવા નથી હોતા અને તેથી લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભારતના બંધારણને યાદ કરતી વખતે હું દેશવાસીઓ માટે મારું હૃદય ખોલીને કહેવા માંગુ છું. આપણે પણ હિન્દુસ્તાનની રાજનીતિના શુદ્ધિકરણ માટે, હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓના શુદ્ધિકરણ માટે, આપણે દેશને આ પરિવારવાદી માનસિકતામાંથી આઝાદ કરીને યોગ્યતાના આધાર પર દેશને આગળ લઇ જવાની દિશામાં આગળ વધીએ. તે અનિવાર્ય છે. અન્યથા, દરેકના મનમાં નિરાશા રહે છે કે હું તેના માટે લાયક હતો, પરંતુ મને મળ્યું નથી, કારણ કે ત્યાં કોઇ કાકા, મામા, પિતા, દાદા, દાદી નહોતા. આવી મનોસ્થિતિ કોઇપણ દેશ માટે સાથી નથી હોતી.

મારા દેશના નવયુવાનો, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે, તમારાં સપનાં માટે, હું ભાઇ-ભત્રીજાવાદ સામેની લડાઇમાં તમારો સાથ સહકાર ઇચ્છું છું. પરિવારવાદી રાજનીતિ સામેની લડાઇમાં હું તમારો સાથ ઇચ્છું છું. હું આને બંધારણીય જવાબદારી માનું છું. આ લોકશાહીની જવાબદારી છે, હું તેનો સ્વીકાર કરું છું. આ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહેવામાં આવેલી વાતની તાકાત હું માનું છું. અને આથી જ, આજે હું તમારી પાસેથી આ તક મેળવવા માંગુ છે. આપણે જોયું કે છેલ્લા દિવસોમાં રમતગમતમાં આપણને જોવા મળ્યું કે, આપણા દેશમાં પહેલાંના સમયમાં પણ પ્રતિભાઓ નહોતી એવું નથી, એવું પણ નથી કે રમત-ગમતની દુનિયામાં હિન્દુસ્તાનના નવયુવાનો, આપણા દીકરા-દીકરીઓ કંઇ કરી શકે તેમ નહોતા. પરંતુ પસંદગીઓમાં ભાઇ-ભત્રીજાવાદની ચેનલમાંથી તેમને પસાર થવું પડતું હતું. અને તેના કારણે તેઓ રમતના મેદાન સુધી, તે દેશ તો પહોંચી જતા હતા, પરંતુ તેમને જીત કે હાર સાથે કોઇ લેવાદેવા ન હોતા રહેતા. પરંતુ જ્યારે પારદર્શિતા આવી ત્યારે યોગ્યતાના આધારે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી રહી છે, સંપૂર્ણ પારદર્શિતા સાથે રમતના ક્ષેત્રમાં યોગ્યતાની ઓળખ કરવામાં આવી રહ્યું છે તેન કારણે રમતના મેદાનમાં સામર્થ્યનું સન્માન થવા લાગ્યું છે. આજે વિશ્વના રમત-ગમતના મેદાનમાં ભારતનો તિરંગો લહેરાતો જોવા મળે છે. ભારતનું રાષ્ટ્રગાન ગાવામાં આવે છે.

આવી સમયે આપણને ગૌરવનો અનુભવ થાય છે અને પરિવારવાદમાંથી મુક્તિ મળે છે, ભાઇ-ભત્રીજાવાદમાંથી મુક્તિ મળે છે ત્યારે જ તો આ પરિણામો આવે છે. મારા પ્રિય દેશવાસીઓ, આ બરાબર છે, પડકારો ઘણા છે, જો આ દેશ સમક્ષ કરોડો સમસ્યાઓ છે તો કરોડો ઉકેલ પણ છે, અને મને 130 કરોડ દેશવાસીઓમાં પૂરો વિશ્વાસ છે. 130 કરોડ દેશવાસીઓના નિર્ધારિત લક્ષ્ય સાથે, સંકલ્પ પ્રત્યે સમર્પણ સાથે, જ્યારે તમામ 130 કરોડ દેશવાસીઓ એક ડગલું આગળ વધે છે, ત્યારે આપણું હિન્દુસ્તાન 130 કરોડ ડગલાં આગળ વધી જાય છે. આ સામર્થ્ય સાથે આપણે આગળ વધવાનું છે. આ અમૃતકાળમાં, અત્યારે અમૃતકાળનો પ્રથમ તબક્કો ચાલે છે, પહેલી પરોઢ છે, આપણે આવનારા 25 વર્ષની એક એક ક્ષણ ભૂલવાની નથી. એક એક દિવસ, સમયની દરેક ક્ષણ, જીવનનો દરેક ક્ષણ, માતૃભૂમિ માટે જીવવાની છે અને આમ કરીશું તો જ આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓને આપણી નિષ્ઠાપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીશું. ત્યારે જ 75 વર્ષ સુધી દેશને આ મુકામ સુધી લઇ જવામાં યોગદાન આપનાર તમામ લોકોનું પુણ્ય સ્મરણ આપને કામ લાગશે.

દેશવાસીઓને હું આગ્રહપૂર્વક નવી સંભાવનાઓને વળગી રહેવાની વિનંતી કરીને, નવા સંકલ્પોને પાર કરીને અને આગળ વધવાનો વિશ્વાસ લઇને, આજે અમૃતકાળની શરૂઆત કરું છું. આઝાદીનો આ અમૃત ઉત્સવ, હવે અમૃતકાળની દિશામાં પલટાઇ ગયો છે, આગળ વધી ગયો છે, તો આ અમૃતકાળમાં સૌનો પ્રયાસ અનિવારય છે. સૌના પ્રયાસ આ પરિણામો લાવવાનો છે. ટીમ ઇન્ડિયાની ભાવના જ દેશને આગળ લઇ જવાની છે. 130 કરોડ દેશવાસીઓની આ ટીમ ઇન્ડિયા એક ટીમ તરીકે આગળ વધીને તમામ સપના સાકાર કરશે. આ જ આત્મવિશ્વાસ સાથે સૌ મારી સાથે બોલો

જય હિન્દ.

જય હિન્દ.

જય હિન્દ.

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ભારત માતા કી જય

વંદે માતરમ્,

વંદે માતરમ્,

વંદે માતરમ્,

ખૂબ ખૂબ આભાર!



(Release ID: 1852050) Visitor Counter : 1250