પ્રધાનમંત્રીનું કાર્યાલય

શ્રી હરમોહન સિંહ યાદવની દસમી પૂણ્યતિથિ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 JUL 2022 6:54PM by PIB Ahmedabad

નમસ્કાર,
હું સ્વર્ગીય હરમોહન સિંહ યાદવને તેમની પૂણ્યતિથિ નિમિત્તે તેમને આદરપૂર્વક નમન કરું છું. મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું સુખરામજીનો પણ આભાર વ્યક્ત કરું છું કે તેમણે આ કાર્યક્રમ માટે મને આટલા સ્નેહ સાથે આમંત્રિત કર્યો. મારી હાર્દિક ઇચ્છા પણ હતી કે આ કાર્યક્રમ માટે કાનપુર આવીને આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહું પરંતુ આજે આપણા દેશ માટે એક સૌથી મોટો લોકશાહી પ્રસંગ પણ છે. આજે આપણા નવા રાષ્ટ્રપતિજીએ શપથ ગ્રહણ કર્યા છે. આઝાદી બાદ પહેલી વાર આદિવાસી સમાજની એક મહિલા રાષ્ટ્રપતિ દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આ આપણી લોકશાહીની તાકાતનું, આપણા સર્વસમાવેશી વિચારનું જીવંત ઉદાહરણ છે. આ પ્રસંગે આજે દિલ્હીમાં કેટલાક જરૂરી આયોજન થઈ રહ્યા છે. બંધારણીય જવાબદારી માટે મારૂં દિલ્હીમાં હાજર રહેવું અત્યંત સ્વાભાવિક છે. જરૂરી પણ રહે છે. આથી હું આપ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાઈ રહ્યો છું.


સાથીઓ,
આપણે ત્યાં માન્યતા છે કે શરીરના જવા બાદ પણ જીવન સમાપ્ત થતું નથી. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણનું વાક્ય છે – નૈનં છિન્દતિ શસ્રાણિ નૈનં દહતિ પાવક. એટલે કે નિત્ય હોય છે, અમર હોય છે. તેથી જ જે સમાજ અને સેવા પ્રત્યે જીવે છે તેઓ મૃત્યુ બાદ પણ અમર રહે છે. આઝાદીની લડતમાં મહાત્મા ગાંધી હોય કે આઝાદી બાદ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી હોય, રામમનોહર લોહિયાજી, જયપ્રકાશ નારાયણજી આવા ઘણા મહાન આત્માઓના અમર વિચાર આજે પણ પ્રેરણા આપે છે. લોહિયાજીના વિચારોને ઉત્તર પ્રદેશમાં અને કાનપુરની ધરતી પર હરમોહન સિંહ જી યાદવે પોતાના લાંબા રાજકીય જીવનમાં આગળ ધપાવ્યા. તેમણે ઉત્તર પ્રદેશ અને દેશના રાજકારણમાં જે યોગદાન આપ્યું, સમાજ માટે જે કાર્ય કર્યા, તેનાથી આગામી પેઢીઓ, તેમને સતત માર્ગદર્શન મળી રહ્યું છે.


સાથીઓ,
ચોધરી હરમોહન સિંહ યાદવ જીએ પોતાનું રાજકીય જીવન ગ્રામ પંચાયતથી શરૂ કર્યું હતું. તેમણે ગ્રામ સભાથી રાજસભા સુધીની સફર પાર કરી હતી. તેઓ પ્રધાન બન્યા, વિધાન પરિષદના સદસ્ય બન્યા, સાંસદ બન્યા. એક સમયે મેહરબાન સિંહના પુરવાથી ઉત્તર પ્રદેશની રાજનીતિને દિશા મળતી હતી. રાજકારણના આ શિખર પર પહોંચ્યા બાદ પણ હરમોહન સિંહજીની પ્રાથમિકતા સમાજ જ રહ્યો હતો. તેમણે સમાજ માટે સક્ષમ નેતૃત્વ તૈયાર કરવા માટે કાર્યો કર્યા. તેમણે યુવાનોને આગળ વધાર્યા, લોહિયાજીના સંકલ્પોને આગળ ધપાવ્યા. તેમનું લોખંડી-ફોલાદી વ્યક્તિત્વ આપણે 1984માં જોયું હતું. હરમોહન સિંહજી યાદવે માત્ર શીખ સંહાર વિરુદ્ધમાં જ રાજકીય વલણ અપનાવ્યું નહીં પરંતુ શીખ ભાઈ-બહેનોના રક્ષણ માટે તેઓ સામે આવીને લડ્યા. પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમણે સંખ્યાબંધ શીખ પરિવારોનો, નિર્દોષોનો જીવ બચાવ્યો. સમગ્ર દેશને તેમના નેતૃત્વની ઓળખ થઈ, તેમને શૌર્ય ચક્ર પ્રદાન કરાયો. સામાજિક જીવનમાં હરમોહન સિંહ યાદવ જીએ જે આદર્શ ઉદાહરણ રજૂ કર્યું તે અતુલનિય છે.


સાથીઓ,
હરમોહન સિંહ યાદવ જીએ સંસદમાં શ્રદ્ધેય અટલજી જેવા નેતાઓના સમયકાળ દરમિયાન કાર્ય કર્યું હતું.
સરકારો આવશે, સરકારો જશે, પક્ષો બનશે, બગડશે પરંતુ આ દેશ રહેવો જોઇએ. આ જ આપણી લોકશાહીનો આત્મા છે. વ્યક્તિથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ. કેમ કે પક્ષોનું અસ્તિત્વ લોકશાહીને કારણે છે અને લોકશાહીનું અસ્તિત્વ દેશને કારણે છે. આપણા દેશમાં મોટા ભાગના પક્ષોએ ખાસ કરીને બિનકોંગ્રેસી પક્ષોએ આ વિચારને દેશ માટે સહયોગ અને સમન્વયના આદર્શને નિભાવ્યો પણ છે. મને યાદ છે જ્યારે 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે દરેક મુખ્ય પક્ષો સરકાર સાથે ખભે ખભા મિલાવીને ઉભા રહી ગયા હતા. જ્યારે દેશે પ્રથમ પરમાણુ પરિક્ષણ કર્યું તો તમામ પક્ષો એ સમયની સરકારની પડખે ઉભા રહી ગયા હતા. પરંતુ કટોકટીના કાળ દરમિયાન દેશની લોકશાહીને જ્યારે કચડી નાખવામાં આવી ત્યારે તમામ મુખ્ય પક્ષોએ, આપણે સૌએ મળીને એક સાથે આગળ આવીને બંધારણને બચાવવા માટેની લડત લડી હતી. ચૌધરી હરમોહન સિંહ યાદવ જી પણ એક સંઘર્ષના એક લડાયક સૈનિક હતા. એટલે કે આપણે ત્યાં દેશ અને સમાજના હિત, વિચારધારાઓ મોટી રહી છે. જોકે તાજેતરના સમયમાં આ વિચારધારા અથવા તો રાજકીય સ્વાર્થોને સમાજ અને દેશના હિતથી ઉપર રાખવાનું ચલણ શરૂ થઈ ગયું છે. ઘણી વાર તો સરકારના કાર્યોમાં વિરોધપક્ષ અને કેટલાક પક્ષો  તેમાં એટલા માટે રોડાં નાખતા રહ્યા કેમ કે જયારે તેઓ શાસનમાં હતા ત્યારે પોતાના માટે નિર્ણયો અમલી બનાવી શક્યા ન હતા. હવે જો તેનું અમલીકરણ થાય છે તો તેનો વિરોધ કરે છે. દેશના લોકો આ વિચારસરણીને પસંદ કરતા નથી. તે તમામ રાજકીય પક્ષની જવાબદારી છે પક્ષનો વિરોધ, વ્યક્તિના વિરોધને દેશના વિરોધમાં પરિવર્તિત કરે નહીં. વિચારસરણીઓની પોતાની જગ્યા છે અને હોવી જ જોઇએ. રાજકીય મહત્વાકાંક્ષાઓ તો હોઈ શકે છે પરંતુ દેશ સૌથી પહેલા છે, સમાજ સૌથી પહેલા છે. રાષ્ટ્ર પ્રથમ છે.


સાથીઓ,
લોહિયાજીનું માનવું હતું કે સમાજવાદ સમાનતાનો સિદ્ધાંત છે. તેઓ ચેતવણી આપતા રહેતા હતા કે સમાજવાદનું પતન તેને અસમાનતામાં બદલી શકે છે. આપણે ભારતમાં આ બંને પરિસ્થિતિઓ જોઇ છે. આપણે જોયું છે કે ભારતના મૂળ વિચારોમાં સમાજ એ વાદ અને વિવાદનો વિષય નથી. આપણા માટે સમાજ આપણી સામૂહિકતા અને સહકારિતાની સંરચના છે. આપણા માટે સમાજ આપણા સંસ્કારો છે, સંસ્કૃતિ છે, સ્વભાવ છે. તેથી લોહિયાજી ભારતના સાંસ્કૃતિક સામર્થ્યની વાત કરતા હતા. તેમણે ગંગા જેવી સાંસ્કૃતિક નદીઓના સંરક્ષણની, તેની ચિંતા દાયકાઓ અગાઉ કરી હતી. આજે નમામિ ગંગે અભિયાન મારફતે દેશ એ સપનાઓને પૂરા કરી રહ્યો છે. આજે દેશ પોતાના સમાજના સાંસ્કૃતિક પ્રતિકોનો પુનરોદ્ધાર કરી રહ્યો છે. આ પ્રયાસ સમાજની સાંસ્કૃતિક ચેતનાઓને જીવંત કરી રહ્યા છે. સમાજની ઊર્જાને, આપણા પારસ્પરિક જોડાણને મજબૂત કરી રહ્યા છે. એવી જ રીતે નવા ભારત માટે દેશ પોતાના અધિકારોથી પણ આગળ વધીને આજે કર્તવ્યોની વાત કરી રહ્યો છે. જ્યારે કર્તવ્યની આ ભાવના મજબૂત બને છે તો સમાજ આપોઆપ મજબૂત બની જાય છે.


સાથીઓ,
સમાજની સેવા માટે એ પણ આવશ્યક છે કે તે સામાજિક ન્યાયની લાગણીઓને સ્વિકારે, તેને અંગીકાર કરે. આજે દેશ પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે તો આ બાબત સમજવી અને એ દિશામાં આગળ વધવું અત્યંત જરૂરી છે. સામાજિક ન્યાયનો અર્થ છે – સમાજના તમામ વર્ગને સમાન અવસર સાંપડે, જીવનની મૌલિક જરૂરિયાતોથી કોઈ વંચિત રહે નહીં. દલિત, પછાત, આદિવાસી, મહિલાઓ, દિવ્યાંગો જ્યારે આગળ આવશે ત્યારે દેશ આગળ આવશે. હરમોહન જી આ પરિવર્તન માટે શિક્ષણને સૌથી અગત્યનું માનતા હતા. તેમણ શિક્ષણના ક્ષેત્રમાં જે કાર્ય કર્યા તેનાથી ઘણા યુવાનોનું ભવિષ્ય ઘડાયું. તેમના કાર્યોને આજે સુખરામ જી અને ભાઈ મોહિત આગળ ધપાવી રહ્યા છે. દેશ પણ શિક્ષણથી સશક્તીકરણ અને શિક્ષણ જ સશક્તીકરણના મંત્ર પર આગળ ધપી રહ્યો છે. તેથી જ આજે દીકરીઓથી દીકરી બચાવો, બેટી પઢાવો જેવા અભિયાન આટલા સફળ થઈ રહ્યા છે. દેશના આદિવાસી ક્ષેત્રોમાં રહેતા બાળકો માટે એકલવ્ય શાળા શરૂ કરાઈ છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત માતૃભાષામાં શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. પ્રયાસ એવો છે કે ગામ, ગરીબ પરિવારમાંથી આવનારા બાળકો અંગ્રેજીને કારણે પાછળ રહી જાય નહીં. સૌને મકાન, સૌને વિજળી જોડાણ, જળ જીવન મિશન અંતર્ગત સ્વચ્છ પાણી, ખેડૂતો માટે સમ્માન નિધિ, આ પ્રયાસો આજે ગરીબો, પછાત,, દલિત, આદિવાસી તમામના સપનાઓને તાકાત આપી રહ્યા છે. દેશમાં સામાજિક ન્યાયની જમીન મજબૂત કરી રહ્યા છે. અમૃત કાળના આગામી 25 વર્ષ સામાજિક ન્યાયના આ જ સંકલ્પોને પૂર્ણ સિદ્ધિના વર્ષ છે. મને વિશ્વાસ છે દેશના આ અભિયાનમાં આપણે સૌ પોતપોતાની ભૂમિકા અદા કરીશું. ફરી એક વાર શ્રદ્ધેય હરમોહન સિંહ યાદવજીને વિનમ્ર શ્રદ્ધાંજલિ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

SD/GP/JD



 



(Release ID: 1844781) Visitor Counter : 196