પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું


"ગરીબોના સશક્તીકરણ અને સરળ જીવન માટે આરોગ્યસંભાળ સુવિધાઓનું આધુનિકીકરણ અને સુલભતા મહત્વપૂર્ણ છે"

"ગુજરાતમાં મારા અનુભવે સમગ્ર દેશના ગરીબોની સેવા કરવામાં મદદ કરી છે"

"આપણી પાસે બાપુ જેવા મહાપુરુષોની પ્રેરણા છે જેમણે સેવાને દેશની તાકાત બનાવી"

Posted On: 10 JUN 2022 3:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં એ એમ નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ખારેલ શિક્ષણ સંકુલનું પણ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે નવસારીને ઘણા પ્રોજેક્ટ મળ્યા છે જે વિસ્તારના લોકો માટે જીવનની સરળતામાં સુધારો કરશે. તેમણે નિરાલી ટ્રસ્ટ અને શ્રી એ.એમ. નાઈકની ભાવનાની પણ પ્રશંસા કરી, જેમણે વ્યક્તિગત દુર્ઘટનાને એક તકમાં ફેરવી દીધી કે અન્ય કોઈ પરિવારને તેનો સામનો ન કરવો પડે અને નવસારીના લોકોને આધુનિક આરોગ્ય સંકુલ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે અભિનંદન આપ્યા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગરીબોના સશક્તીકરણ અને સરળ જીવન માટે આરોગ્યસંભાળ સુવિધાઓનું આધુનિકીકરણ અને સુલભતા મહત્વપૂર્ણ છે. "અમે દેશના આરોગ્ય ક્ષેત્રને સુધારવા માટે છેલ્લા 8 વર્ષો દરમિયાન સર્વગ્રાહી અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે". તેમણે જણાવ્યું કે, સારવાર સુવિધાઓના આધુનિકીકરણની સાથે પોષણ અને સ્વચ્છ જીવનશૈલીમાં સુધારો લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. "અમારું લક્ષ્ય ગરીબ અને મધ્યમ વર્ગને રોગથી બચાવવાનું છે અને, રોગના કિસ્સામાં, અમારું લક્ષ્ય ખર્ચ ઘટાડવાનું છે" તેમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. તેમણે ગુજરાતના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સૂચકાંકોમાં સુધારાની નોંધ લીધી કારણ કે NITI આયોગના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સૂચકાંકમાં ગુજરાત ટોચ પર છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના દિવસોને યાદ કર્યા જ્યારે તેમણે સ્વસ્થ ગુજરાત, ઉજ્જવલ ગુજરાત, મુખ્યમંત્રી અમૃતમ યોજના જેવી યોજનાઓ શરૂ કરી હતી, તેમણે કહ્યું કે, આ અનુભવ સમગ્ર દેશના ગરીબોની સેવા કરવામાં મદદ કરી રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે આયુષ્માન ભારત હેઠળ ગુજરાતમાં 41 લાખ દર્દીઓએ મફત સારવારનો લાભ લીધો છે, જેમાંથી ઘણી મહિલાઓ, વંચિત અને આદિવાસી લોકો હતા. આ યોજનાથી દર્દીઓના 7 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. ગુજરાતને 7.5 હજારથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો અને 600 ‘દીનદયાળ ઔષધાલય’ પ્રાપ્ત થયા છે. ગુજરાતની સરકારી હોસ્પિટલો કેન્સર જેવા રોગોની અદ્યતન સારવાર માટે સજ્જ છે. ભાવનગર, જામનગર, રાજકોટ વગેરે અનેક શહેરોમાં કેન્સરની સારવારની સુવિધા જોવા મળી રહી છે. કિડનીની સારવારના સંદર્ભમાં રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સમાન વિસ્તરણ દેખાય છે.

પ્રધાનમંત્રીએ મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પોષણના માપદંડોમાં સુધારા અંગે પણ વાત કરી હતી. તેમણે સંસ્થાકીય પ્રસૂતિ માટે ચિરંજીવી યોજનાનો ઉલ્લેખ કર્યો, જેનાથી 14 લાખ માતાઓને ફાયદો થયો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ગુજરાતની ચિરંજીવી અને ખિલખિલાટ યોજનાઓને રાષ્ટ્રીય સ્તરે મિશન ઇન્દ્રધનુષ અને પીએમ માતૃ વંદના યોજનામાં વિસ્તારવામાં આવી છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં તબીબી શિક્ષણને સુધારવાના પગલાંની પણ નોંધ લીધી હતી. રાજકોટમાં AIIMS આવી રહી છે, રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા 30 પર પહોંચી છે અને MBBSની બેઠકો 1100થી વધીને 5700 અને PGની બેઠકો માત્ર 800થી વધીને 2000 થી વધુ થઈ ગઈ છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતની જનતાની સેવા ભાવનાને સલામ કરીને સમાપન કર્યું. તેમણે કહ્યું કે, “ગુજરાતના લોકો માટે આરોગ્ય અને સેવા એ જીવનનું લક્ષ્ય છે. આપણી પાસે બાપુ જેવા મહાપુરુષોની પ્રેરણા છે જેમણે સેવાને દેશની તાકાત બનાવી છે. ગુજરાતની આ ભાવના આજે પણ ઊર્જાથી ભરેલી છે. અહીં સૌથી સફળ વ્યક્તિ પણ કોઈને કોઈ સેવા કાર્ય સાથે જોડાયેલી હોય છે. ગુજરાતની સેવા ભાવના તેની ક્ષમતામાં વૃદ્ધિ સાથે અનુસંધાનમાં વધશે તેમ પ્રધાનમંત્રી અંતમાં જણાવ્યું હતું.

***********

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1832898) Visitor Counter : 175