પ્રધાનમંત્રીનું કાર્યાલય

થાણે અને દીવા વચ્ચે નવી નંખાયેલી રેલવે લાઈનના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 18 FEB 2022 6:31PM by PIB Ahmedabad

નમસ્કાર!

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન ભગતસિંહ કોશિયારીજી, મુખ્યમંત્રી શ્રીમાન ઉધ્ધવ ઠાકરેજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી અશ્વિની વૈષ્ણવજી, રાવસાહેબ દાનવેજી, મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અજિત પવારજી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, સાંસદ અને ધારાસભ્ય ગણ, ભાઈઓ અને બહેનો.

કાલે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી છે. સૌથી પહેલાં હું ભારતના ગૌરવ અને ભારતની ઓળખ તથા સંસ્કૃતિના રક્ષક દેશના મહાનાયકના ચરણોમાં આદરપૂર્વક નમન કરૂં છું. શિવાજી મહારાજની જયંતીના એક દિવસ પહેલાં થાણે અને દીવા વચ્ચે બનેલી નવી પાંચમી અને છઠ્ઠી રેલવે લાઈનના શુભારંભ પ્રસંગે હું દરેક મુંબઈવાસીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું.

આ નવી રેલવે લાઈન મુંબઈવાસીઓના જીવનમાં એક મોટું પરિવર્તન લાવશે. તેમની જીવન જીવવામાં આસાનીમાં વધારો થશે. આ નવી રેલવે લાઈન મુંબઈની ક્યારેય પણ નહીં અટકતી જીંદગીને વધુ ગતિ પૂરી પાડશે. આ બંને રેલવે લાઈન શરૂ થવાથી મુંબઈના લોકોને સીધે સીધા ચાર ફાયદા થશેઃ

પ્રથમ - હવે લોકલ અને એક્સપ્રેસ ટ્રેન માટે અલગ અલગ લાઈનો બની જશે.

બીજું- અન્ય રાજ્યોમાંથી મુંબઈ આવન-જાવન કરનારી ટ્રેનોને હવે લોકલ ટ્રેનો પસાર થઈ જાય તે માટે રાહ નહીં જોવી પડે.

ત્રીજુ- કલ્યાણથી કુર્લા સેક્શનમાં મેલ/ એક્સપ્રેસ ગાડીઓ હવે કોઈપણ અવરોધ વગર ચલાવી શકાશે. અને

ચોથુ- દર રવિવારે થનારા બ્લોકના કારણે કલાવા અને મુંબ્રાના સાથીઓની તકલીફ પણ હવે દૂર થઈ છે.

આજથી સેન્ટ્રલ રેલવે લાઈન ઉપર નવી 36 લોકલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, તેમાંથી મોટાભાગની AC ટ્રેનો છે. લોકલની આ સુવિધાનું વિસ્તરણ કરવા માટે, લોકલને આધુનિક બનાવવી તે કેન્દ્ર સરકારની કટિબધ્ધતાનો હિસ્સો છે. વિતેલા સાત વર્ષમાં મુંબઈમાં મેટ્રોનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે. મુંબઈને અડીને આવેલા સબઅર્બન સેન્ટર્સમાં મેટ્રો નેટવર્કને ઝડપથી ફેલાવવામાં આવી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો,

દાયકાઓથી મુંબઈની સેવા કરી રહેલી લોકલનું વિસ્તરણ કરવા અને તેને આધુનિક બનાવવાની માંગ ઘણી જૂની હતી. 2008માં આ પાંચમી અને છઠ્ઠી લાઈનનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ કામગીરી 2015માં પૂરી થવાની હતી, પણ કમનસીબી એ છે કે 2014 સુધી આ પ્રોજેક્ટ અલગ અલગ કારણોથી લટકતો રહ્યો હતો. તે પછી અમે તેની ઉપરથી ઝડપથી કામ કરવાનું શરૂ કર્યું અને તેની સમસ્યાનો ઉકેલ લાવ્યા.

મને કહેવામાં આવ્યું છે કે 34 સ્થળો તો એવા છે કે જ્યાં નવી રેલવે લાઈનને જૂની રેલવે લાઈન સાથે જોડવાની  હતી. અનેક પડકારો છતાં આપણાં શ્રમિકોએ, આપણાં એન્જિનિયરોએ આ પ્રોજેકટ પૂર્ણ કર્યો છે. ડઝનબંધ પૂલ બનાવ્યા, ફ્લાયઓવર બનાવ્યા, સુરંગો તૈયાર કરી, રાષ્ટ્ર નિર્માણ માટે આવી કટિબધ્ધતાને હું હૃદયપૂર્વક નમન પણ કરૂં છું અને અભિનંદન પણ આપું છું.

ભાઈઓ અને બહેનો,

મુંબઈ મહાનગરે આઝાદ ભારતની પ્રગતિમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. હવે પ્રયાસ એ કરવાનો રહેશે કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પણ મુંબઈના સામર્થ્યને અનેકગણું વધારવામાં આવે. એટલા માટે મુંબઈમાં માળખાકીય સુવિધાઓનુ નિર્માણ કરવામાં અમે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. રેલવેની કનેક્ટિવિટીની જ વાત કરવામાં આવે તો અહિંયા હજારો કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવામાં આવી રહ્યું છે. મુંબઈ sub-urban રેલવે વ્યવસ્થાને આધુનિક અને શ્રેષ્ઠ ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે. અમારો પ્રયાસ એવો રહ્યો છે કે હાલમાં મુંબઈ sub-urbanની જે ક્ષમતા છે તેમાં આશરે 400 કિ.મી.ની વધુ વૃધ્ધિ કરવામાં આવે. CBTC જેવી આધુનિક સિગ્નલ વ્યવસ્થાની સાથે સાથે 19 સ્ટેશનોનું આધુનિકીકરણ કરવાની પણ યોજના છે.

 

ભાઈઓ અને બહેનો,

મુંબઈની અંદર જ નહીં, પણ દેશના અન્ય રાજ્યોમાંથી મુંબઈની રેલવે કનેક્ટિવિટીમાં પણ ઝડપ લાવવાની જરૂર છે, આધુનિકતાની પણ જરૂર છે. એટલા માટે અમદાવાદ- મુંબઈ હાઈસ્પીડ રેલવે આજે મુંબઈની, દેશની આવશ્યકતા છે. મુંબઈની આ ક્ષમતાને, સપનાંના શહેર તરીકે મુંબઈની ઓળખને મજબૂત કરશે. આ પ્રોજેક્ટ ઝડપી ગતિથી પૂરો થઈ શકે તે આપણાં સૌની અગ્રતા છે. આ રીતે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર પણ મુંબઈને નવી તાકાત પૂરી પાડશે.

સાથીઓ,

આપણે સૌ જાણીએ છીએ કે જેટલા લોકો એક દિવસમાં ભારતીય રેલવેમાં મુસાફરી કરે છે તેટલી તો કેટલાક દેશોની વસતિ પણ નથી. ભારતીય રેલવેને સુરક્ષિત, સુવિધાયુક્ત અને આધુનિક બનાવવી તે અમારી સરકારની સર્વોચ્ચ અગ્રતાઓમાંની એક છે. અમારી આ કટિબધ્ધતાને કોરોના વૈશ્વિક મહામારી પણ ડગાવી શકી નથી. વિતેલા બે વર્ષમાં રેલવેએ ફ્રેઈટ ટ્રાન્સપોર્ટેશનમાં નવા વિક્રમો હાંસલ કર્યા છે. તેની સાથે સાથે આશરે 8 હજાર કિ.મી.ની રેલવે લાઈનનું વિજળીકરણ પણ કરવામાં આવ્યું છે. આશરે ચાર હજાર કિ.મી.ની રેલવે લાઈન બનાવવાનો અને તેને બમણી કરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. કોરોના કાળમાં અમે કિસાન રેલવેના માધ્યમથી દેશના ખેડૂતોને સમગ્ર દેશના બજારો સાથે જોડ્યા છે.

સાથીઓ,

આપણે સૌ જાણીએ છીએ કે રેલવેમાં સુધારણા કરીને આપણે દેશના લોજિસ્ટીક સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકીએ તેમ છીએ અને એટલા માટે વિતેલા 7 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા રેલવેમાં દરેક પ્રકારના સુધારાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં માળખાકીય સુવિધાની યોજનાઓ એટલા માટે વર્ષો વર્ષ સુધી ચાલુ રહેતી હતી કે આયોજનથી માંડીને અમલીકરણ સુધીની કામગીરીમાં તાલમેલનો અભાવ રહેતો હતો, અને આવા અભિગમને કારણે 21મી સદીમાં ભારતની માળખાકીય સુવિધાઓનું નિર્માણ શક્ય બની શકે તેમ નથી.

એટલા માટે અમે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન બનાવ્યો છે અને તેમાં કેન્દ્ર સરકારનો દરેક વિભાગ, રાજ્ય સરકાર, સ્થાનિક એકમો અને ખાનગી ક્ષેત્ર આ તમામને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારી એવી કોશિષ રહી છે કે માળખાકિય સુવિધાઓના પ્રોજેક્ટ સાથે જોડાયેલી દરેક જાણકારી, દરેક સહયોગી પાસે અગાઉથી જ હોય. આવુ થશે તો દરેક પોતાના હિસ્સાની કામગીરી અને તેની કામગીરીનું આયોજન સાચી રીતે કરી શકશે. મુંબઈ અને દેશના અન્ય રેલવે પ્રોજેક્ટ માટે પણ આપણે ગતિશક્તિની ભાવનાથી જ કામ કરવાના છીએ.

સાથીઓ,

વર્ષોથી આપણે ત્યાં એક એવી વિચારધારાનો પ્રભાવ રહ્યો છે કે સાધનો- સ્રોતોનો ઉપયોગ ગરીબો કરે છે, એનો ઉપયોગ મધ્યમ વર્ગ પણ કરે છે અને એટલા માટે તેમા રોકાણ ના કરો. આવા કારણથી ભારતની જાહેર પરિવહન વ્યવસ્થાની ચમક હંમેશા ફિક્કી રહી છે, પણ ભારત હવે આ જૂની વિચારધારાને પાછળ છોડીને આગળ ધપી રહ્યું છે. આજે ગાંધીનગર અને ભોપાલના આધુનિક રેલવે સ્ટેશન, રેલવેની ઓળખ બની રહ્યા છે. આજે 6000થી વધુ રેલવે સ્ટેશન Wi-Fi સુવિધા સાથે જોડાઈ ચૂક્યા છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશની રેલવેને ગતિ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડી રહી છે. આવનારા વર્ષોમાં નવી 400 વંદે ભારત ટ્રેનો દેશવાસીઓને સેવા આપવાનું શરૂ કરી દેશે.

ભાઈઓ અને બહેનો,

એક તરફ જૂનો અભિગમ છે, જેને અમારી સરકાર બદલી રહી છે, અને તે છે રેલવેના સામર્થ્ય પરનો ભરોંસો. સાત થી આઠ વર્ષ પહેલાં દેશની રેલવે કોચની જે  ફેક્ટરીઓ હતી તેના માટે ઘણી ઉદાસીનતા દાખવવામાં આવતી હતી. આ ફેક્ટરીઓની સ્થિતિ એવી થઈ હતી કે તેની કોઈ કલ્પના પણ કરી શકે તેમ નથી કે આ ફેક્ટરીઓ આધુનિક ટ્રેનો બનાવી શકે તેમ છે, પરંતુ આજે વંદે ભારત ટ્રેનો અને સ્વદેશી વિસ્ટાડોમ કોચ આ જ ફેક્ટરીઓમાં બનાવવામાં આવી રહ્યા છે. આજે આપણે આપણી signaling system ને સ્વદેશી ઉપાયો સાથે આધુનિક બનાવવા ઉપર સતત કામ કરી રહ્યા છીએ, સ્વદેશી ઉકેલ જોઈએ, આપણને વિદેશ ઉપરની નિર્ભરતામાંથી મુક્તિ જોઈએ.

સાથીઓ,

નવી સુવિધાઓ વિકસિત કરવાના આ પ્રયાસોને ખૂબ મોટો લાભ મુંબઈ અને આસપાસના શહેરોને થવાનો છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ સુવિધાઓથી ઘણી આસાની થશે અને કમાણીના નવા સાધન પણ મળશે. મુંબઈના સતત વિકાસ માટે કટિબધ્ધતાની સાથે ફરી એક વખત મુંબઈવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1799434) Visitor Counter : 217