પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું


સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર પણ એનાયત કર્યા

2003માં આપદા સંબંધી કાયદો ઘડનાર ગુજરાત પહેલું રાજ્ય હતું

“આપત્તિ વ્યવસ્થાપનમાં રાહત, બચાવ અને પુનર્વસન પર ભારની સાથે સુધારા પર ભાર મૂકાય છે”

“આપદા વ્યવસ્થાપન માત્ર સરકારનું કામ જ રહ્યું નથી પણ ‘સબ કા પ્રયાસ’નું મોડેલ બની ગયું છે”

“સ્વતંત્ર ભારતનાં સપનાં પૂરાં કરવાનું અમારું લક્ષ્ય છે. આઝાદીનાં સોમા વર્ષ પૂર્વે નૂતન ભારતનાં નિર્માણનું અમારું લક્ષ્ય છે”

“આઝાદી પછી, દેશની સંસ્કૃતિ અને પરંપરાઓની સાથે ઘણી મહાન હસ્તીઓનાં યોગદાનને પણ ભૂંસી કાઢવાની કોશિશ થઈ એ કમનસીબ છે”

“સ્વાધીનતા સંગ્રામમાં લાખો દેશવાસીઓની ‘તપસ્યા’ સામેલ હતી, પણ એમના ઈતિહાસને પણ સીમિત કરવાની કોશિશ થઈ. પરંતુ આજે દેશ હિમ્મતભેર આ ભૂલો સુધારી રહ્યો છે”

“નેતાજી સુભાષની ‘કરી શકીએ, કરીશું’ની ભાવનામાંથી પ્રેરણા લઈને આપણે આગળ વધવાનું છે”

Posted On: 23 JAN 2022 8:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની હૉલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. નેતાજીની પ્રતિમાનું કાર્ય સંપન્ન થાય ત્યાં સુધી એની જગાએ આ હૉલોગ્રામ પ્રતિમા રહેશે. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતીની એક વર્ષ ચાલનારી ઉજવણી નિમિત્તે આ પ્રતિમા એ જ સ્થાને અનાવરણ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ વિધિવત સમારોહમાં વર્ષ 2019, 2020, 2021 અને 2022 માટે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આપદા વ્યવસ્થાપનનાં ક્ષેત્રે ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓએ આપેલાં અમૂલ્ય યોગદાન અને નિ:સ્વાર્થ સેવાને સન્માનવા અને તેમની કદર કરવા કેન્દ્ર સરકાર દ્વારા આ પુરસ્કારની રચના કરવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ ભારત માતાના વીર સપૂત નેતાજી સુભાષચંદ્ર બોઝને એમની 125મી જન્મ જયંતીએ નમન કર્યા હતા. સમારોહને સંબોધન કરતા તેમણે કહ્યું કે જેમણે ભારતની ભૂમિ પર પહેલી સ્વતંત્ર સરકારની સ્થાપના કરી અને જેમણે આપણને સાર્વભૌમ અને મજબૂત ભારત સિદ્ધ કરવાનો આત્મવિશ્વાસ આપ્યો એવા નેતાજીની ભવ્ય પ્રતિમા ઇન્ડિયા ગેટ નજીક ડિજિટલ સ્વરૂપે સ્થપાઇ રહી છે. આ પ્રતિમા સ્વતંત્રતાના નાયકને કૃતજ્ઞ રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ છે અને તે આપણી સંસ્થાઓ અને પેઢીઓને રાષ્ટ્રીય કર્તવ્યના પાઠ યાદ કરાવતી રહેશે, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ દેશમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ- આપદા વ્યવસ્થાપનની ઐતિહાસિક ક્રાંતિને શોધી હતી. તેમણે માહિતી આપી કે, વર્ષો સુધી આપદા વ્યવસ્થાપનનો વિષય કૃષિ વિભાગ પાસે રહ્યો. એનું મૂળ કારણ એ હતું કે પૂર, ભારે વરસાદ, કરાં પડવા દ્વારા જે સ્થિતિ સર્જાતી એને પહોંચી વળવા માટે કૃષિ મંત્રાલય જવાબદાર રહેતું. પ્રધાનમંત્રીએ કહ્યું, પરંતુ 2001ના ગુજરાતના ધરતીકંપે આપદા પ્રબંધનનો અર્થ બદલી નાખ્યો હતો. “આપણે તમામ વિભાગો અને મંત્રાલયોને રાહત અને બચાવ કાર્યમાં લગાડ્યા હતા. એ સમયના અનુભવમાંથી શીખ લઈને, 2003માં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કાયદો ઘડવામાં આવ્યો. આપદાને પહોંચી વળવા માટે આવો કાયદો ઘડનારું ગુજરાત દેશમાં પહેલું રાજ્ય બન્યું. બાદમાં, કેન્દ્ર સરકારે ગુજરાતના કાયદાઓમાંથી પાઠ લઇને સમગ્ર દેશ માટે આવો આપત્તિ વ્યવસ્થાપન કાયદો બનાવ્યો”, એમ તેમણે માહિતી આપવાનું ચાલુ રાખ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે રાહત, બચાવ અને પુનર્વસન પર ભારની સાથે સુધારા પર ભાર છે. અમે સમગ્ર દેશમાં એનડીઆરએફને મજબૂત કર્યું, આધુનિક બનાવ્યું અને વિસ્તરણ કર્યું. સ્પેસ ટેકનોલોજીથી લઈને આયોજન અને વ્યવસ્થાપન સુધી, શક્ય એટલી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવાઇ છે, એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે યુવાઓ એનડીએમએના ‘આપદા મિત્ર’ જેવી યોજનાઓ સાથે આગળ આવી રહ્યા છે. જ્યારે જ્યારે આફત આવે છે, તેમણે કહ્યું, લોકો પીડિત બની રહેતા નથી, તેઓ સ્વયંસેવક બનીને આપદા સામે લડે છે. એટલે, આપદા વ્યવસ્થાપન એ હવે માત્ર સરકારનું કામ રહ્યું નથી પણ તે ‘સબ કા પ્રયાસ’નું મોડેલ બની ગયું છે.

પ્રધાનમંત્રીએ આપદાઓ સામે લડવાની ક્ષમતાને સુધારવા સંસ્થાઓને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નવી તૈયારીઓને લીધે અગાઉના સમય કરતા આફતો ઘણું ઓછું નુકસાન કરે છે એ બતાવવા ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાતમાં વાવાઝોડાંના ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે કહ્યું કે દેશ પાસે એન્ડ ટુ એન્ડ સાયક્લૉન રિસ્પોન્સ સિસ્ટમ છે, ઘણી સારી અર્લી વૉર્નિંગ સિસ્ટમ અને આપદા જોખમ વિશ્લેષણ અને આપદા જોખમ વ્યવસ્થાપનનાં સાધનો છે.

પ્રધાનમંત્રીએ આપદા વ્યવસ્થાપનમાં આજના શાસનના દરેક ક્ષેત્રમાં વિચારધારાની ગુણવત્તાનું ચિહ્ન એવા સાકલ્યવાદી અભિગમની છણાવટ કરી હતી. આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર અભ્યાસક્રમોનો ભાગ છે અને હવે ડેમ સલામતી કાયદો છે. એવી જ રીતે, આગામી વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં આપદા સામેની સ્થિતિસ્થાપકતા બિલ્ટ ઈન છે. તેમણે ભૂકંપના જોખમવાળા વિસ્તારોમાં પીએમ આવાઅસ યોજનાનાં ઘરોની આપદા તૈયારીઓ, ચાર ધામ મહા પરિયોજના, ઉત્તર પ્રદેશમાં એક્સપ્રેસ વેઝનાં ઉદાહરણો નૂતન ભારતનાં વિઝન અને વિચારધારા તરીકે આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે પણ આપદા વ્યવસ્થાપનનાં ક્ષેત્રે ભારતનાં નેતૃત્વને ઉજાગર કર્યું હતું. સીડીઆરઆઇ-કૉએલિશન ફોર ડિઝાસ્ટર રિઝિલિઅન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂપે, ભારતે એક બહુ મોટો વિચાર અને ભેંટ વૈશ્વિક સમુદાયને આપી છે અને યુનાઇટેડ કિંગ્ડમની સાથે 35 દેશો આ સહયોગનાં ભાગ બની ચૂક્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વના વિવિધ દેશોમાં સૈન્યો વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયતો સામાન્ય છે. પરંતુ પહેલી વાર, ભારતે આપદા વ્યવસ્થાપન માટે સંયુક્ત કવાયતની પરંપરા શરૂ કરી છે.

પ્રધાનમંત્રીએ નેતાજીને ટાંક્યા હતા કે “સ્વતંત્ર ભારતનાં સપનાંમાં શ્રદ્ધા કદી ગુમાવશો નહીં, વિશ્વમાં એવી કોઇ તાકાત નથી જે ભારતને હલાવી શકે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે અમારું લક્ષ્ય સ્વતંત્ર ભારતનાં સપનાં પૂરાં કરવાનું છે. આઝાદીનાં સોમા વર્ષ પૂર્વે નૂતન ભારતનાં નિર્માણનું અમારું લક્ષ્ય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવનો એ મહાન સંકલ્પ છે કે ભારત એની ઓળખ અને પ્રેરણાઓને પુન:જીવિત કરશે. પ્રધાનમંત્રીએ ખેદ વ્યક્ત કર્યો કે આઝાદી બાદ, દેશની સંસ્કૃતિ અને પરંપરાઓની સાથે ઘણી મહાન હસ્તીઓનાં યોગદાનને પણ ભૂંસી દેવાયું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્વાધીનતા સંગ્રામમાં લાખો દેશવાસીઓની ‘તપસ્યા’ સામેલ છે પણ એમના ઇતિહાસને પણ સીમિત કરી દેવાના પ્રયાસો થયા. પરંતુ આજે, આઝાદીના દાયકાઓ બાદ, દેશ હિમ્મતભેર આ ભૂલોને સુધારી રહ્યો છે. તેમણે બાબા સાહેબ આંબેડકર સાથે સંકળાયેલ પંચ તીર્થ, સરદાર પટેલનાં યોગદાનને બિરદાવવા સ્ટેચ્યુ ઑફ યુનિટી, ભગવાન બિરસા મુંડાના માનમાં જનજાતિય ગૌરવ દિવસ, આદિવાસી સમુદાયનાં મહાન યોગદાનને યાદ કરવા આદિવાસી મ્યુઝિયમ, આંદામાનમાં ત્રિરંગાનાં 75 વર્ષોને ઉજવવા આંદામાનમાં એક ટાપુનું નેતાજીનું નામકરણ, નેતાજી અને આઇએનએને સન્માનવા આંદામાનમાં સંકલ્પ સ્મારક જેવાં ભૂતકાળની ભૂલોને સુધારવાની દિશામાં મહત્વનાં પગલાં ગણાવ્યાં હતાં. પ્રધાનમંત્રીએ ગયા વર્ષે પરાક્રમ દિવસે કોલકાતામાં નેતાજીનાં વારસાગત નિવાસસ્થાનની મુલાકાતની લાગણીને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ 2018ની 21મી ઑક્ટોબરનો દિવસ પણ ભૂલી શક્તા નથી જ્યારે, આઝાદ હિંદ ચળવળને 75 વર્ષો પૂરાં થયાં હતાં. “લાલ કિલ્લા પર યોજાયેલા એક ખાસ સમારોહમાં, મેં આઝાદ હિંદ ફૌજની ટોપી પહેરીને ત્રિરંગો ચડાવ્યો હતો. એ ક્ષણ અદભુત અને અવિસ્મરણીય હતી”,  એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે નેતાજી કઈક કરવા કૃતનિશ્ચયી હોય તો કોઇ તાકાત એમને રોકી શકતી ન હતી. આપણે નેતાજી સુભાષની ‘કરી શકીએ, કરીશું’ની ભાવનામાંથી પ્રેરણા લઈને આગળ વધવાનું છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    



(Release ID: 1792041) Visitor Counter : 237