પ્રધાનમંત્રીનું કાર્યાલય

કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રીએ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય મંત્રીઓ અને લેફ. ગવર્નર્સ સાથે સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી


સખત પરિશ્રમ જ આપણો એકમાત્ર માર્ગ છે અને વિજય એ આપણો એકમાત્ર વિકલ્પ છે”

“જે રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આગોતરો, અગમચેતીનો અને સામૂહિક અભિગમ અપનાવ્યો હતો, એ જ આ વખતે પણ વિજયનો મંત્ર છે”

“ભારતે આશરે 92 ટકા પુખ્ત વસ્તીને રસીનો પહેલો ડૉઝ આપી દીધો છે. બીજા ડૉઝનું કવરેજ પણ આશરે 70 ટકાએ પહોંચ્યું છે”

“અર્થતંત્રનો વેગ જળવાવો જોઇએ. એટલે સ્થાનિક કન્ટેનમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું વધારે સારું રહેશે”

“વેરિઅન્ટ્સ ગમે તે હોય, મહામારી સામે લડવાનો સૌથી સમર્થ માર્ગ રસીકરણ જ રહે છે”

કોરોનાને હરાવવા માટે આપણે દરેક વેરિઅન્ટ પહેલાં આપણે સજ્જતા રાખવાની છે. ઓમિક્રૉનને હાથ ધરવાની સાથે આપણે કોઇ પણ ભાવિ વેરિઅન્ટ માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવાની જરૂર છે”

મુખ્યમંત્રીઓએ કોવિડ-19ની ઉપરાછાપરી લહેરો દરમ્યાન નેતૃત્વ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો

Posted On: 13 JAN 2022 7:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોવિડ19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાં અને રાષ્ટ્રીય કોવિડ19 રસીકરણની પ્રગતિની સમીક્ષા માટે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને લેફ. ગવર્નર્સ/વહીવટદારો સાથે એક સર્વગ્રાહી ઉચ્ચ સ્તરીય મીટિંગની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્રીય મંત્રીઓ શ્રી અમિત શાહ, ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાનાં પ્રધાન ડૉ. ભારતી પ્રવીણ પવાર સહિતના આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મીટિંગમાં મહામારીની સ્થિતિ અંગે તાજા પ્રવાહોની માહિતી આપી હતી.

આ મીટિંગને સંબોધતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે 100 વર્ષોની સૌથી મહામારી સામેની ભારતની લડાઈ હવે એના ત્રીજા વર્ષમાં પ્રવેશી છે. “સખત પરિશ્રમ આપણો એક માત્ર માર્ગ છે અને વિજય એ એક માત્ર આપણો વિકલ્પ છે. આપણે, ભારતના 130 કરોડ લોકો આપણા પ્રયાસોથી કોરોના સામે ચોક્કસ વિજયી બનીને બહાર આવીશું.” એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓમિક્રૉન વિશે અગાઉની ગૂંચવણો હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે. અગાઉના વેરિઅન્ટ્સ કરતા ઓમિક્રૉન વેરિઅન્ટ સામાન્ય લોકોને અનેક ગણી વધુ ઝડપે સંક્રમિત કરી રહ્યો છે. “આપણે સાવધાન, જાગૃત રહેવું પડશે પણ આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે કોઇ ગભરાટની સ્થિતિ ન ઊભી થાય. આપણે એ જોવું જ રહ્યું કે આ તહેવારની સિઝનમાં, લોકોની અને વહીવટીતંત્રની સાવધાની કશે પણ ઓછી ન થાય. જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આગોતરો, અગમચેતીનો અને સામૂહિક અભિગમ અપનાવ્યો હતો એ જ આ સમયે પણ વિજય માટેનો મંત્ર છે. જેટલું વધારે આપણે કોરોનાનાં સંક્રમણને મર્યાદિત કરીએ, એટલી ઓછી સમસ્યા હશે, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વેરિઅન્ટ ગમે તે હોય, મહામારી સામે લડવાનો નીવડેલો માર્ગ એક માત્ર રસીકરણ જ રહે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે ભારતમાં બનેલી રસીઓ સમગ્ર વિશ્વમાં એમનું ચઢિયાતાપણું સાબિત કરી રહી છે. દરેક ભારતીય માટે એ ગર્વની બાબત છે કે ભારતે પુખ્ત વસ્તીના આશરે 92 ટકા લોકોને પહેલો ડૉઝ આપી દીધો છે. બીજા ડૉઝનું કવરેજ પણ દેશમાં આશરે 70 ટકા આસપાસ પહોંચી ગયું છે, એમ તેમણે માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ ઉજાગર કર્યું હતું કે 10 દિવસની અંદર ભારતે 3 કરોડ તરૂણોને પણ રસી આપી છે. અગ્રહરોળના કાર્યકરો અને સિનિયર સિટિઝન્સને અગમચેતીનો ડૉઝ જેટલો જલદી અપાય, એટલી વધારે આપણી આરોગ્ય સંભાળ વ્યવસ્થાની ક્ષમતા વધશે. “આપણે 100 ટકા રસીકરણ માટે હર ઘર દસ્ક્ત અભિયાનને સઘન બનાવવું પડશે”, એમ તેમણે ઉમેર્યું હતું. રસી વિશેની કે માસ્ક પહેરવા બાબતે કોઇ પણ ગેર માહિતીનો મુકાબલો કરવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે કોઇ પણ વ્યૂહરચના બનાવતી વખતે એ ધ્યાનમાં રાખવાનું બહુ અગત્યનું છે કે સામાન્ય લોકોની આજીવિકાને, આર્થિક પ્રવૃત્તિઓને  ઓછામાં ઓછું નુકસાન થાય અને અર્થતંત્રનો વેગ જળવાઇ રહેવો જોઇએ. એટલે સ્થાનિક કન્ટેનમેન્ટ પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાનું વધુ સારું રહેશે. તેમણે ભાર મૂક્યો હતો કે હોમ આઇસોલેશનની સ્થિતિમાં આપણે મહત્તમ સારવાર પૂરી પાડવાની સ્થિતિમાં હોવા જોઇએ અને એ માટે હોમ આઇસોલેશનની ગાઇડલાઇન સુધારતા રહેવું જોઇએ અને એનું ચુસ્તપણે અનુસરણ થવું જોઇએ. તેમણે કહ્યું કે સારવારમાં ટેલિ-મેડિસીન સુવિધાનો ઉપયોગ આમાં ઘણો મદદરૂપ થશે.

આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે પ્રધાનમંત્રીએ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અગાઉ અપાયેલ રૂ. 23000 કરોડના પૅકેજનો ઉપયોગ કરવા બદલ રાજ્યોની પ્રશંસા કરીએ હતી. આ પૅકેજ હેઠળ સમગ્ર દેશમાં 800થી વધુ પેડિઆટ્રિક યુનિટ્સ, 1.5 લાખ નવા આઇસીયુ અને એચડીયુ બૅડ્સ, 5 હજારથી વધુ સ્પેશિયલ એમ્બ્યુલન્સ, 950થી વધુ લિક્વિડ મેડિકલ ઑક્સિજન સ્ટૉરેજ ટેંક ક્ષમતા ઉમેરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “કોરોનાને હરાવવા માટે, આપણે દરેક વેરિઅન્ટ સામે આપણી સજ્જતા રાખવાની જરૂર છે. ઓમિક્રૉન સામે લડવાની સાથે સાથે આપણે કોઇ પણ ભાવિ વેરિઅન્ટ માટે અત્યારથી જ તૈયારી શરૂ કરવાની જરૂર છે”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

કોવિડ-19ની ઉપરાછાપરી લહેરો દરમ્યાન એમના નેતૃત્વ બદલ મુખ્યમંત્રીઓએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રીનો એમની મદદ અને માર્ગદર્શન અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરાં પાડવામાં આવેલ ફંડ્સ બદલ સવિશેષ આભાર માન્યો હતો જેનાથી રાજ્યોમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવામાં અપાર મદદ મળી છે. મુખ્યમંત્રીઓએ બૅડ્સ, ઑક્સિજન ઉપલબ્ધતા ઇત્યાદિ જેવાં પગલાં દ્વારા વધતા જતા કેસોને હાથ ધરવા તૈયારીઓ વિશે વાત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રીએ બેંગલુરુમાં કેસોના ફેલાવા વિશે અને એપાર્ટમેન્ટ્સમાં ફેલાવો કાબૂમાં લેવા માટે લેવાયેલાં પગલાંની વાત કરી હતી. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કેસોમાં સંભવિત વધારા અને એને હાથ ધરવા વહીવટીતંત્રની તૈયારી વિશે વાત કરી હતી. તમિલનાડુના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ લહેર સામેની લડાઇમાં રાજ્ય કેન્દ્ર સાથે ભેગા થઈ ઊભું છે. ઝારખંડના મુખ્યમંત્રીએ અમુક ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ગેરસમજો વિશે વાત કરી હતી જેનાથી રસીકરણના કાર્યક્રમમાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ રસીકરણ ઝુંબેશની બહાર કોઇ રહી ન જાય એ સુનિશ્ચિત કરવા લેવાઇ રહેલાં પગલાંની વાત કરી હતી. પંજાબના મુખ્યમંત્રીએ ફંડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મદદ માટે, ખાસ કરીને ઑક્સિજનની જરૂરિયાતોને પહોંચી વળવાની મદદ માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અગમચેતીના ડૉઝ જેવાં પગલાં અપાર આત્મવિશ્વાસ વધારનારાં સાબિત થઈ રહ્યાં છે. મણિપુરના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય રસીકરણ કવરેજને વધારવાના પ્રયાસો કરી રહ્યું છે.

SD/GP/JD

 

 



(Release ID: 1789787) Visitor Counter : 278