પ્રધાનમંત્રીનું કાર્યાલય

વેક્સિનેશનના નીચા દર ધરાવતા જિલ્લાઓ સાથે પ્રધાનમંત્રીએ સમીક્ષા બેઠક યોજી


જ્યાં વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે તેવા ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય તથા અન્ય જિલ્લાઓમાં 40થી વધુ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે પ્રધાનમંત્રીએ મંત્રણા હાથ ધરી

દેશ આ વર્ષના અંત સુધીમાં રસીકરણ કવરેજને વિસ્તૃત કરે અને નવા વર્ષમાં નવા ભરોસા અને આત્મવિશ્વાસ સાથે પ્રવેશ કરે તે સુનિશ્ચિત કરવા માટે તમામ અધિકારીઓને આહવાન કર્યું

“હવે આપણે પ્રત્યેક ઘરમાં વેક્સિનેશન અભિયાન લઈ જવાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે ‘હર ઘર દસ્તક’ના મંત્ર સાથે દરેક દ્વાર ખટખટાવો અને વેક્સિનેશનના ડબલ ડોઝના સુરક્ષા કવચનો અભાવ ધરાવતા તમામ પરિવારનો સંપર્ક કરો”

“સ્થાનિક સ્તરે અંતરાલને દૂર કરીને રસીકરણના સંતૃપ્તિ માટે અત્યાર સુધીના અનુભવને ધ્યાનમાં રાખીને સૂક્ષ્મ વ્યૂહરચનાઓ વિકસાવો”

“જિલ્લાઓને રાષ્ટ્રીય સરેરાશની નજીક લાવવા માટે તમારે તમારા સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવાના રહેશે”

“તમે સ્થાનિક ધાર્મિક નેતાઓ પાસેથી મદદ લઈ શકો છો. વેક્સિનેશન માટે તમામ ધર્મના નેતાઓ હંમેશાં માર્ગદર્શક રહ્યા છે”

“નિર્ધારિત સમયમાં બીજો ડોઝ નહીં લેનારા લોકોને તમારે પ્રાથમિકતાના ધોરણે સંપર્ક કરવાનો રહેશે”

Posted On: 03 NOV 2021 2:26PM by PIB Ahmedabad

ઇટાલી અને ગ્લાસગોના પ્રવાસેથી પરત ફર્યા બાદ તરત જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વેક્સિનેશનનું ઓછુ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં એવા જિલ્લાઓનો સમાવેશ થતો હતો જ્યાં વેક્સિનેશનના પ્રથમ ડોઝનું 50%થી ઓછું અને કોવિડ માટેના બીજા વેક્સિનેશનનું કવરેજ ઘણું ઓછું હોય. પ્રધાનમંત્રીએ જ્યાં વેક્સિનેશનનું કવરેજ ઓછું છે તેવા ઝારખંડ, મણીપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય તથા અન્ય જિલ્લાઓમાં 40થી વધુ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે પ્રધાનમંત્રીએ મંત્રણા હાથ ધરી હતી.

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટોએ તેમના જિલ્લાઓમાં વેક્સિનેશનનું કવરેજ ઓછું હોવા માટે પ્રવર્તી રહેલી સમસ્યાઓ તથા પડકારો અંગે રજૂઆત કરી હતી. તેમણે વેક્સિનેશન સામે ખચકાટ માટે ફેલાયેલી અફવાઓ, મુશ્કેલ પ્રાંતો, તાજેતરમાં હવામાનની પરિસ્થિતિને કારણે આવેલા પડકારોનો ઉલ્લેખ કર્યો હતો. આ પડકારોનો સામનો કરવા માટે તેમણે અત્યાર સુધી લીધેલા વિવિધ પગલાંઓ અંગે પણ રજૂઆત કરી હતી. આ જિલ્લા મેજિસ્ટ્રેટ ગણે કવેરજમાં વધારો કરવા માટે તેમણે અપનાવેલી વિવિધ રણનીતિઓથી પણ પ્રધાનમંત્રીને વાકેફ કર્યા હતા.

આ મંત્રણા દરમિયાન પ્રધાનમંત્રીએ વેક્સિનેશન લેવામાં અનુભવાતા ખચકાટ અને તેની પાછળના સ્થાનિક પરિબળો અગેના મુદ્દા પર પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. આ જિલ્લાઓમાં વેક્સિનેશનનો દર 100% લાવવાની ખાતરી કરાવવા માટે પ્રધાનમંત્રીએ સંખ્યાબંધ આઇડિયા પણ રજૂ કર્યા હતા. આ માટે તેમણે ઘાર્મિક તથા સામાજિક આગેવાનો મારફતે સમાજને સાંકળવા અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે  દેશ આ વર્ષના અંત સુધીમાં રસીકરણ કવરેજને વિસ્તૃત કરે અને નવા વર્ષમાં નવા આત્મવિશ્વાસ સાથે પ્રવેશ કરે તે સુનિશ્ચિત કરવા માટે તમામ અધિકારીઓને આ આહવાન કર્યું હતું.

કેન્દ્રીય આરોગ્ય સચિવે દેશમાં વેક્સિનેશનના કવરેજ અંગે ચિતાર આપ્યો હતો. તેમણે રાજ્યોમાં વેક્સિનેશન ડોઝના જથ્થા અંગે હિસાબ આપ્યો હતો અને વેક્સિનેશન કવરેજમાં વધારે સુધારો લાવવા માટે વિવિધ રાજ્યોમાં ચાલી રહેલા વિશેષ વેક્સિનેશન અભિયાન અંગે પણ ચર્ચા કરી હતી.

ઉપસ્થિત ગણને સંબોધતાં પ્રધાનમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત મુખ્યમંત્રીઓનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેમનું ધ્યાન જિલ્લાઓને વધુ મક્કમ નિર્ધાર સાથે કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે. તેમણે જણાવ્યું હતું કે ‘’કોરોના સામેની દેશની ઝડપી લડતમાં ખાસ વાત એ છે કે અમે નવા ઉકેલો શોધી કાઢ્યા છે અને નવીનતમ પદ્ધતિઓ અજમાવી છે. ‘’તેમણે જિલ્લાઓમાં વેક્સિનેશન વધારવા માટે નવીનતમ માર્ગો અપનાવવાનો અધિકારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે એવી પણ માહિતી આપી હતી કે વેક્સિનેશનમાં સારી પ્રગતિ કરી રહેલા જિલ્લાઓ સામે પણ આ જ પ્રકારના પડકારો હતા પરંતુ તેમણે અડગ નિર્ધાર તથા નવીનતમ પ્રયોગો સાથે આ પડકારનો સામનો કર્યો હતો. તેમણે જિલ્લા અધિકારીઓને સ્થાનિક સ્તરે અંતરાલને દૂર કરીને રસીકરણના સંતૃપ્તિ માટે અત્યાર સુધીના અનુભવને ધ્યાનમાં રાખીને સૂક્ષ્મ વ્યૂહરચનાઓ વિકસાવવા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ જિલ્લા અધિકારીઓને જરૂર પડે તો જિલ્લાના દરેક ગામ તથા દરેક નગરો માટે અલગ અલગ વ્યૂહરચના અપનાવવાનું પણ કહ્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે પ્રાંતની જરૂરિયાતને આધારે 20-25 લોકોની એક ટીમની રચના પણ કરી શકાય છે. તેમણે એમ પણ સૂચન કર્યું હતું કે તમે રચેલી ટીમમાં તંદુરસ્ત સ્પર્ધા પણ યોજી શકાય. સ્થાનિક લક્ષ્યાંકો માટે પ્રાંત મુજબનું એક સમયપત્રક તૈયાર કરવાનું પણ તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “તમારે તમારા જિલ્લાને રાષ્ટ્રની સરેરાશની નજીક લઈ જવા માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરવાના છે.”

પ્રધાનમંત્રીએ વેક્સિનેશન પ્રત્યે ફેલાતી અફવાઓ તથા ગેરસમજોના મામલે પણ ચર્ચા કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે જાગૃતિ એ આ માટેનો એકમાત્ર ઉકેલ છે અને રાજ્યના અધિકારીઓને આ મામલે ધાર્મિક નેતાઓની મદદ લેવા કહ્યું હતું. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ધાર્મિક આગેવાનો વેક્સિનેશન ઝુંબેશ પ્રત્યે ઉત્સાહી છે. શ્રી મોદીએ થોડા દિવસ અગાઉ વેટિકન ખાતે પોપ ફ્રાન્સિસ સાથેની તેમની બેઠકને યાદ કરી હતી. તેમણે વેક્સિનેશન અંગે ધાર્મિક નેતાઓના સંદેશને પ્રજામાં લઈ જવાની જરૂરિયા પર ભાર મૂકવાનો અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે લોકોને વેક્સિનેશન કેન્દ્ર સુધી લઈ જવા માટે હાથ ધરાયેલી વ્યવસ્થા વેગીલી બનાવવા તથા ઘરે ઘરેથી વેક્સિનેશન ડોઝ લેવા માટેની પ્રક્રિયા સુરક્ષિત બનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે આરોગ્ય કર્મચારીઓને ‘હર ઘર ટીકા, ઘર ઘર ટીકા’ના ઉત્સાહ સાથે દરેક ઘરે પહોંચી જવાનો અનુરોધ કર્યો હતો. તેમણે હર ઘર દસ્તકના નારા સાથે દરેક ઘરે જઈને વેક્સિનેશનની ખાતરી કરાવવાની હાકલ કરી હતી. “હવે આપણે પ્રત્યેક ઘરમા વેક્સિનેશન અભિયાન લઈ જવાની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે ‘હર ઘર દસ્તક’ના મંત્ર સાથે દરેક દ્વાર ખટખટાવો અને વેક્સિનેશનના ડબલ ડોઝના સુરક્ષા કવચનો અભાવ ધરાવતા તમામ પરિવારનો સંપર્ક કરો” તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ એવી પણ ચેતવણી આપી હતી કે જ્યારે દરેક ઘરે જઈને વેક્સિનેશન અભિયાન ચલાવો ત્યારે પ્રથમ ડોઝની સાથે સાથે વેક્સિનેશનનો બીજો ડોઝ લેવાય તેના પર પણ એટલું જ ધ્યાન આપવાનું છે. કારણ કે જ્યારે પણ ચેપના લક્ષણો ઘટવા લાગશે ત્યારે તે અંગેની ઝડપ પણ ઘટવા લાગશે. લોકોમાં વેક્સિનેશન પ્રત્યેની ઉતાવળ ઘટવા લાગશે. “જેમણે નિર્ધારિત સમય વીતી ગયો હોવા છતાં વેક્સિનેશનનો બીજો ડોઝ લીધો નથી તેવા લોકોનો પણ તમારા પ્રાથમિકતાના ધોરણે સંપર્ક કરવાનો છે. આ બાબતને નજરઅંદાજ કરવાથી વિશ્વમાં ઘણા દેશોમાં સમસ્યા આવી પડી છે.” તેમ પ્રધાનમંત્રીએ ચેતવણી આપી હતી.

પ્રધાનમંત્રીએ આ બાબત પર ભાર મૂક્યો હતો કે તમામ માટે વિનામૂલ્યે વેક્સિનેશનની ઝુંબેશ હેઠળ ભારતે એક દિવસમાં 2.5 કરોડ વેક્સિન આપી હોવાનો વિક્રમ સર્જ્યો હતો. આ સિદ્ધિ ભારતની ક્ષમતા પુરવાર કરે છે. તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે જિલ્લા અધિકારીઓને કહ્યું હતું કે  જે જિલ્લાઓમાં વેક્સિનેશનનો દર ઉંચો છે તેવા જિલ્લાના તમારા સાથીઓ પાસેથી શીખો અને સ્થાનિક જરૂરિયાત અને હવામાન મુજબ તે વલણ અપનાવવા પર ભાર મૂકો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…



(Release ID: 1769223) Visitor Counter : 273