પ્રધાનમંત્રીનું કાર્યાલય

કુશીનગર, ઉત્તર પ્રદેશમાં મહાપરિનિર્વાણ મંદીર ખાતે અભિધમ્મ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 20 OCT 2021 2:13PM by PIB Ahmedabad

નમો બુદ્ધાય.

આ પવિત્ર મંગળ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલ જી, કેબિનેટમાં મારા સહયોગી શ્રી જી. કિશન રેડ્ડી જી, શ્રી કિરણ રિજિજુ જી, શ્રી જ્યોતિરાદિત્ય સિંધીયા જી, શ્રીલંકાથી કુશીનગર પધારેલા શ્રીલંકા સરકારના કેબિનેટ મંત્રી શ્રીમાન નમલ રાજપક્ષા જી, શ્રીલંકાથી આવેલા અતિ પૂજનીય , આપણા અન્ય અતિથિગણ, મ્યાનમાર, વિયેતનામ, કમ્બોડિયા, થાઇલેન્ડ, લાઓ પીડીઆર, ભુતાન અને દક્ષિણ કોરિયાના ભારત ખાતેના રાજદૂતો, શ્રીલંકા, મંગોલિયા, જાપાન, સિંગાપોર, નેપાળ અને અન્ય દેશોના વરિષ્ઠ રાજનાયકો, તમામ સન્માનિત ભિક્ષુગણ અને ભગવાન બુદ્ધના તમામ અનુયાયી સાથીઓ.

આશ્વિન મહિનામાં પૂર્ણિમાનો આ દિવસ, કુશીનગરની પવિત્ર ભૂમિ અને આપણા શરીરના અંશો રેલિક્સના રૂપમાં ભગવાન બુદ્ધની સાક્ષાત ઉપસ્થિતિ. ભગવાન બુદ્ધની કૃપાથી આજના દિવસે ઘણી અલૌકિક સંગત, ઘણા અલૌકિક સંયોગ એક સાથે પ્રગટ થઈ રહ્યા છે. અહીં આવતા અગાઉ હમણા જ મને કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ મારફતે સમગ્ર દુનિયાના કરોડો બુદ્ધ અનુયાયીઓને અહીં આવવાનો અવસર પ્રાપ્ત થશે. તેમનો પ્રવાસ આસાન બની રહેશે. આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી શ્રીલંકાની પ્રથમ ફ્લાઇટથી અતિ પૂજનીય મહાસંઘ, સન્માનિત ભિક્ષુઓ, અમારા સાથીઓએ કુશીનગરમાં પદાર્પણ કર્યું છે. તમારા સૌની ઉપસ્થિતિ ભારત અને શ્રીલંકાની હજારો સાલ પુરાણી આધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.

સાથીઓ
આપણે સૌ જાણીએ છીએ કે શ્રીલંકામાં બૌદ્ધ ધર્મનો સંદેશ
, સૌ પ્રથમ ભારતમાં સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા લઈને આવ્યા હતા. માનવામાં આવે છે કે આજના જ દિવસે 'અર્હત મહિંદા'એ પરત ફરીને પોતાના પિતાને કહ્યું હતું કે શ્રીલંકાએ બુદ્ઘનો સંદેશ કેટલી ઊર્જા સાથે અંગીકાર કર્યો છે. આ સમાચારે એ વિશ્વાસ વધાર્યો હતો કે બુદ્ધનો સંદેશ સમગ્ર વિશ્વ માટે છે. બુદ્ધનો ધમ્મ માનવતા માટે છે. તેથી જ આજનો દિવસ આપણે સૌ દેશોના સદીઓ પુરાણા સાંસ્કૃતિક સંબંધોને નવી ઊર્જા આપવાનો દિવસ છે. હું તમને સૌને શુભેચ્છા આપું છું કે આજે તમે ભગવાન બુદ્ધના મહા-પરિનિર્વાણ સ્થળ પર તેમની સામે ઉપસ્થિત છો. હું શ્રીલંકા તથા અન્ય તમામ દેશોથી આવેલા આપણા સન્માનિત અતિથિગણોનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આપણા જે અતિપૂજનીય મહાસંઘ, આપણને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત છે હું તેમને પણ આદરપૂર્વક નમન કરું છું. તમે અમને સૌને ભગવાન બુદ્ધના અવશેષ સ્વરૂપે રેલિક્સના દર્શનનું સૌભાગ્ય પ્રદાન કર્યું છે. અહીં કુશીનગરમાં આ કાર્યક્રમ બાદ તમે મારા સંસદીય ક્ષેત્ર વારાણસી પણ જઈ રહ્યા છો. તમારા પવિત્ર ચરણની રજ ત્યાં પણ પડશે અને ત્યાં પણ સૌભાગ્ય લઈને આવશે.

સાથીઓ,

હું આજે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફેડરેશનના તમામ સદસ્યોને પણ અભિનંદન પાઠવું છું. તમે જે રીતે આધુનિક વિશ્વમાં ભગવાન બુદ્ધના સંદેશનો વ્યાપ વધારી રહ્યા છો તે ખરેખર પ્રશંસનીય બાબત છે. આજે આ અવસર પર હું મારા જૂના સહયોગી શ્રી શક્તિ સિંહાજીને પણ યાદ કરી રહ્યો છું. ઇન્ટરનેશનલ બુદ્દિસ્ટ કન્ફેડરેશનના ડીજી તરીકે કાર્ય કરી રહેલા શક્તિ સિંહાજીનો થોડા દિવસ અગાઉ સ્વર્ગવાસ થયો છે. ભગવાન બુદ્ધમાં તેમની આસ્થા અને તેમનું સમર્પણ આપણા સૌ માટે એક પ્રેરણા છે.

સાથીઓ,

તમે સૌ જાણો છો અને આજે એક અન્ય મહત્વપૂર્ણ અવસર પણ છે. ભગવાન બુદ્ધનું તિષિતાથી પરત ધરતી પર આવવાનો અવસર. તેથી જ આશ્વિન પૂર્ણિમાને આજે આપણા ભિક્ષુગણ તેમનો ત્રણ મહિનાનો 'વર્ષાવાસ' પણ પૂરો કરે છે. આજે મને પણ વર્ષાવાસ ઉપરાંત સંઘ ભિક્ષુઓને 'ચિવર દાન'નું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન બુદ્ધનો આ બોધ અદભૂત છે જેમણે આવી પરંપરાને જન્મ આપ્યો છે. વરસાદના મહિનાઓમાં આપણી પ્રકૃતિ, આપણી આસપાસના ઝાડ-પાન, નવું જીવન લઈને આવે છે. જીવ માત્ર પ્રત્યે અહિંસાનો સંકલ્પ અને છોડમાં પણ પરમાત્મા નિહાળવાનો ભાવ, બુદ્ધનો આ સંદેશ એટલો જીવંત છે કે આજે પણ આપણા ભિક્ષુઓ તેને એવી જ રીતે જીવી રહ્યા છે. જે સાધક હંમેશાં ક્રિયાશીલ રહે છે, સદૈવ ગતિશીલ રહેતા હોય છે. તેઓ આ ત્રણ મહિનામાં થંભી જાય છે જેથી કોઈ અંકુરિત થતો બીજ કચડાઈ જાય નહીં, નિખરી રહેલી પ્રકૃતિમાં અવરોધ પેદા થાય નહીં. આ વર્ષાવાસ માત્ર બહારની પ્રકૃતિને જ પ્રસ્ફુટિત કરતો નથી પરંતુ આપણી અંદરની પ્રકૃતિને પણ સંશોધિત કરવાનો અવસર આપે છે.

સાથીઓ,

ધમ્મનો નિર્દેશ છે - યથાપિ રુચિરં પુપ્ફં, વણ્ણવન્તં સુગન્ધકં. એવં સુભાસિતા વાચા, સફલાહોતિ કુબ્બતો.
એટલે કે સારી વાણી અને સારા વિચારોનું જો એટલી જ નિષ્ઠાથી આચરણ પણ કરવામાં આવે તો તેનું પરિણામ એવું જ આવે છે જેવું સુગંધ સાથે ફૂલો, કેમ કે આચરણ વિના સારામાં સારી વાત સુગંધ વિનાના ફૂલો જેવી હોય છે. દુનિયામાં જ્યાં જ્યાં પણ બુદ્ધના વિચારોને યોગ્ય દિશામાં આત્મસાત કરવામાં આવ્યા છે ત્યાં કઠીનથી કઠીન પરિસ્થિતિમાં પણ પ્રગતિનો માર્ગ ખૂલી ગયો છે. તેથી જ બુદ્ધ વૈશ્વિક છે કેમ કે બુદ્ધ આપણી ભીતરથી શરૂઆત કરવાનું કહે છે. ભગવાન બુદ્ધનું બુદ્ધત્વ છે સેન્સ ઓફ અલ્ટિમેટ રિસ્પોન્સિબિલિટી એટલે કે આપણી આસપાસ, આપણા બ્રહ્માંડમાં જે કાંઈ પણ બની રહ્યું છે આપણે તેને પોતાની સાથે જોડીશું. તો જ આપણે સર્જનને ગતિ આપીશું. આજે જ્યારે દુનિયા પર્યાવરણ સંરક્ષણની વાત કરે છે, આબોહવા પરિવર્તનની ચિંતા કરે છે તો તેની સાથે ઘણા સવાલો પેદા થાય છે. પણ જો આપણે બુદ્ધના સંદેશને અપનાવી લો છો તો 'કોણ કરવાનું છે' તેને બદલે 'શું કરવાનું છે' તેનો માર્ગ આપોઆપ જોવા મળી જશે.

સાથીઓ,
હજારો વર્ષ અગાઉ ભગવાન બુદ્ધ જ્યારે ધરતી પર હતા તો આજના જેવી વ્યવસ્થા ન હતી પરંતુ તેમ છતાં બુદ્ઘ વિશ્વના કરોડો કરોડો લોકો સુધી પહોંચી ગયા, તેમના અંતર્મન સાથે જોડાઈ ગયા. મેં અલગ અલગ દેશોમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા મંદીરો, વિહારોમાં સાક્ષાત અનુભવ કર્યો છું. મેં જોયું છે કેન્ડીથી ક્યોટો, હેનોઈથી હંબનટોટા સુધી ભગવાન બુદ્ધ તેમના વિચારો મારફતે, મઠો, અવશેષો અને સંસ્કૃતિ મારફતે તમામ સ્થાને છે. આ મારું સૌભાગ્ય છે કે હું કેન્ડીમાં શ્રી ડલાડા મૈલાગોવા જ્યાં દર્શન કરવા પહોંચ્યો હતો. સિંગાપોરમાં તેમના દંત અવશેષોના મેં દર્શન કર્યા છે અને ક્યોટોમાં કિન્કા-કુજી જવાનો અવસર પણ મને પ્રાપ્ત થયો છે. આ જ રીતે સાઉથ ઇસ્ટ દેશોમાં ભિક્ષુઓના આશીર્વાદ પણ મને મળી રહ્યા છે. અલગ અલગ દેશ, અલગ અલગ પરિવેશ પરંતુ માનવતાની આત્મામાં વસેલા બુદ્ધ સૌને સાંકળી રહ્યા છે. ભારતે ભગવાન બુદ્ધની આ શિખને પોતાની વિકાસ યાત્રાનો હિસ્સો બનાવી દીધો છે. તેને અંગીકાર કર્યો છે. અમે જ્ઞાનને, મહાન સંદેશાઓને, મહાન આત્માઓના વિચારોને બાંધવામાં ક્યારેય ભરોસો કર્યો નથી. તેને બાંધીને રાખવો તે અમારા વિચારો નથી. અમે જે કાંઈ પણ અમારું હતું તેને માનવતા માટે  'મમભાવ'થી અર્પિત કર્યું છે. તેથી જ અહિંસા, દયા, કરુણા, જેવા માનવીય મૂલ્યો આજે પણ એટલી જ સહજતાથી ભારતના અંતર્મનમાં વસેલા છે. તેથી જ બુદ્ધ આજે પણ ભારતના સંવિધાનની પ્રેરણા છે, બુદ્ધનું ધમ્મ-ચક્ર ભારતના તિરંગા પર બિરાજમાન થઈને અમને ગતિ આપી રહ્યું છે. આજે પણ ભારતની સંસદમાં કોઈ જાય છે તો  આ મંત્ર પર નજર જરૂર પડે છે, - 'ધર્મ ચક્ર પ્રવર્તનાય'.

સાથીઓ,

સામાન્ય રીતે એવી ધારણા  રહે છે કે બૌદ્ધ ધર્મનો પ્રભાવ ભારતમાં મુખ્યરૂપે પૂર્વમાં જ વધારે છે. પરંતુ ઇતિહાસની બારીકાઈથી નિહાળો તો આપણને જાણવા મળે છે કે બુદ્ધે જેટલું પૂર્વને પ્રભાવિત  કર્યું છે તેટલું જ પશ્ચિમને અને દક્ષિણ પર પણ તેનો પ્રભાવ છે, જે મારું જન્મસ્થળ પણ છે તે ગુજરાતનું વડનગર પણ અતીતમાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું એક મહત્વપૂર્ણ સ્થાન છે. હજી સુધી અમે હ્વેન સાંગના ઉદ્ધરણો મારફતે જ આ ઇતિહાસને જાણતા હતા પરંતુ હવે તો વડનગરમાં પુરાતાત્વિક મઠ અને સ્તૂપ પણ સંશોધનમાં મળી ચૂક્યા છે. ગુજરાતનો આ ભૂતકાળ એ વાતનું પ્રમાણ છે કે બુદ્ધ દિશાઓ અને સીમાઓથી પર હતા. ગુજરાતની ધરતી પર જન્મેલા મહાત્મા ગાંધી તો બુદ્ધના સત્ય અને અહિંસાના સંદેશના આધુનિક સંવાહક રહ્યા છે.

સાથીઓ,
 

આજે ભારત તેની સ્વંતંત્રતાનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. આ અમૃત મહોત્સવમાં આપણે આપણા ભવિષ્ય માટે, માનવતાના ભવિષ્ય માટે સંકલ્પ લઈ રહ્યા છીએ. આપણા આ અમૃત સંકલ્પોને કેન્દ્રમાં ભગવાન બુદ્ધનો સંદેશ છે જે કહે છે

અપ્પમાદો અમતપદં,

પમાદો મચ્ચુનો પદં

અપ્પમતા ન મીયન્તિ,

યે પમતા યથા મતા.

એટલે કે પ્રમાદ ન કરવો અમૃત પદ છે અને પ્રમાદ જ મૃત્યુ છે. તેથી આજે ભારત નવી ઊર્જાની સાથે આગળ ધપી રહ્યો છે, સમગ્ર વિશ્વને સાથે લઈને આગળ ધપી રહ્યો છે. ભગવાન બુદ્ધે કહ્યું હતું --
''અપ્પ દીપો ભવ''

એટલે કે સ્વંય જ તમારા દીપક બનો. જ્યારે વ્યક્તિ સ્વયં પ્રકાશિત થાય છે ત્યારે જ તે સંસારને પણ પ્રકાશ આપે છે. આ જ તો ભારત માટે આત્મનિર્ભર બનવાની પ્રેરણા છે. આ એ જ પ્રેરણા છે જે આપણને દુનિયાના તમામ દેશની પ્રગતિમાં સહભાગી બનવાની તાકાત પ્રદાન કરે છે. પોતાના આ વિચારને આજે ભારત 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના મંત્રની સાથે આગળ ધપી રહ્યો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભગવાન બુદ્ધના આ વિચારોની સાથે ચાલીને આપણે સૌ એક સાથે મળીને માનવતાના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરીશું.

આ જ શુભકામનાની સાથે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર.

ભવતુ સબ્બ મંગલં.

નમો બુદ્ધાય.

SD/GP/JD

 



(Release ID: 1765202) Visitor Counter : 336