પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડિજિટલ ચૂકવણી ઉકેલ ઈ-રૂપિ(e-RUPI) નો આરંભ કર્યો


ઈ-રૂપિ વાઉચરથી લક્ષિત, પારદર્શી અને લીકેજ મુક્ત વિતરણમાં સૌને મદદ મળશે: પ્રધાનમંત્રી

ઈ-રૂપિ વાઉચર ડીબીટીને વધારે અસરકારક બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે અને ડિજિટલ ગવર્નન્સને એક નવું પરિમાણ આપશે: પ્રધાનમંત્રી

ગરીબોને મદદ કરવા અમે ટેકનોલોજીને એક સાધન, એમની પ્રગતિ માટેના એક સાધન તરીકે જોઇએ છીએ: પ્રધાનમંત્રી

નવીનીકરણ, ટેકનોલોજીના વપરાશ અને સેવા વિતરણમાં વિશ્વના મોટા દેશોની સાથે ભારત પાસે વૈશ્વિક નેતૃત્વ આપવાની ક્ષમતા છે: પ્રધાનમંત્રી

દેશમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ વ્યવહારો માટે છેલ્લા 6-7 વર્ષોમાં થયેલાં કામની અસર દુનિયા સ્વીકારી રહી છે: પ્રધાનમંત્રી

Posted On: 02 AUG 2021 5:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી એક વ્યક્તિ વિશિષ્ટ અને હેતુ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉપાય ઈ-રૂપિ (e-RUPI)ની શરૂઆત કરી હતી. ઈ-રૂપિ એ ડિજિટલ ચૂકવણી માટેનું એક  રોકડ રહિત અને સંપર્કરહિત સાધન છે.

કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશમાં ડિજિટલ વ્યવહારોમાં ડીબીટીને વધારે અસરકારક બનાવવામાં ઈ-રૂપિ વાઉચર એક બહુ મોટી ભૂમિકા ભજવશે અને ડિજિટલ શાસન વ્યવસ્થાને એક નવું પરિમાણ આપશે. લક્ષિત, પારદર્શી અને લીકેજ મુક્ત વિતરણમાં એ દરેકને મદદ કરશે. તેમણે કહ્યું કે ભારત ટેકનોલોજીની સાથે લોકોનાં જીવનને કેવી રીતે જોડી રહ્યું છે એનું ઈ-રૂપિ એક પ્રતિક છે. તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી કે આ અત્યાધુનિક સુધારાની પહેલ એવા સમયે આવી છે જ્યારે દેશ આઝાદીના 75મી વર્ષગાંઠે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.

તેમણે કહ્યું કે સરકાર ઉપરાંત, જો કોઇ સંસ્થા કે સંગઠન કોઇને એની સારવાર, શિક્ષણ કે બીજા કોઇ કામ માટે મદદ કરવા માગતા હોય તો તેઓ રોકડને બદલે ઈ-રૂપિ વાઉચર આપી શકશે. એનાથી એ સુનિશ્ચિત થશે કે તેના દ્વારા અપાયેલાં નાણાં જે કામ માટે અપાયા છે એ કામ માટે જ વપરાય.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ઈ-રૂપિ એ વ્યક્તિની સાથે હેતુ વિશિષ્ટ છે. ઈ-રૂપિ એ સુનિશ્ચિત કરશે કે જે મદદ માટે નાણાં અપાય છે અથવા લાભ પૂરો પાડવામાં આવે છે એ નાણાં એ હેતુ માટે જ વપરાય.

પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું કે એક સમય એવો હતો જ્યારે ટેકનોલોજી ધનવાન લોકોનું ક્ષેત્ર જ ગણાતું હતું અને ભારત જેવા ગરીબ દેશમાં ટેકનોલોજી માટે કોઇ અવકાશ ન હતો. તેમણે યાદ કર્યું કે આ સરકારે જ્યારે ટેકનોલોજીને એક મિશન તરીકે લીધી ત્યારે રાજકીય નેતાઓ અને અમુક ચોક્કસ પ્રકારના નિષ્ણાતો દ્વારા સવાલો કરાયા હતા. તેમણે ઉમેર્યું હતું કે આજે દેશે એ લોકોનો વિચાર નકાર્યો પણ છે અને એમને ખોટા સાબિત કર્યા છે. આજે આપણે ગરીબોને મદદ કરવા ટેકનોલોજીને એક સાધન તરીકે, એમની પ્રગતિ માટેના સાધન તરીકે જોઇએ છીએ.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે વ્યવહારોમાં ટેકનોલોજી કેવી રીતે પારદર્શિતા અને પ્રામાણિક્તા લાવી રહી છે, નવી તકો સર્જી રહી છે અને સાથે જ ગરીબોને એ ઉપલબ્ધ થઈ રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આજની આ અજોડ પ્રોડક્ટ સુધી પહોંચવા માટે, મોબાઇલ અને આધારને જોડતી ‘જામ’ (જેએએમ) સિસ્ટમ સર્જીને વર્ષોમાં પાયો તૈયાર કરવામાં આવ્યો હતો. જેએએમના લાભો લોકોને દેખાય એમાં થોડો સમય લીધો અને આપણે જોયું હતું કે જ્યારે દેશો એમનાં લોકોને મદદ કરવા સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે આપણે લૉકડાઉન દરમ્યાન કેવી રીતે જરૂરિયાતમંદોને મદદ કરી શક્યા એમ પ્રધાનમંત્રી કહ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ભારતમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા રૂ. 17.5 લાખ કરોડથી વધુ લોકોના ખાતામાં સીધા ટ્રાન્સફર થયા છે. 300થી વધુ યોજનાઓ ડીબીટીનો ઉપયોગ કરી રહી છે. એલપીજી, રાશન, તબીબી સારવાર, શિષ્યવૃત્તિ, પેન્શન કે પગાર ચૂકવણી જેવા ક્ષેત્રોમાં 90 કરોડ ભારતીયો એક યા બીજી રીતે લાભાન્વિત થઈ રહ્યા છે. પીએમ કિસાન નિધિ હેઠળ 1.35 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ટ્રાન્સફર થયા છે, ઘઉંની સરકારી ખરીદી માટે 85 હજાર કરોડ રૂપિયા પણ આ રીતે ચૂકવાયા છે. ‘આ બધાથી ઉપર સૌથી મોટો લાભ એ છે કે 1.78 લાખ કરોડ રૂપિયા ખોટા હાથોમાં જતા અટકાવાયા છે’. એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રી નોંધ્યું હતું કે ભારતમાં ડિજિટલ વ્યવહારોના વિકાસે ગરીબો અને વંચિતો, નાના ધંધા,ખેડૂતો અને આદિવાસી વસ્તીને સશક્ત કર્યા છે. જુલાઈ મહિનામાં 6 લાખ કરોડ રૂપિયાથી વધુના રેકોર્ડ 300 કરોડ યુપીઆઇ વ્યવહારો- લેવડદેવડમાં આ અનુભવી શકાય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત વિશ્વને એ સાબિત કરી રહ્યું છે કે આપણે ટેકનોલોજી અપનાવવામાં અને એની સાથે જોડાવવામાં દુનિયામાં કોઇથી પણ પાછળ નથી. સેવા વિતરણમાં નવીનીકરણ, ટેકનોલોજીનો વપરાશ કરવાની વાત આવે ત્યારે ભારત પાસે દુનિયાના મોટા દેશોની સાથે વૈશ્વિક નેતૃત્વ આપવાની ક્ષમતા છે એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ સ્વનિધિ યોજનાએ દેશનાં નાનાં નગરો અને મોટાં શહેરોમાં 23 લાખથી વધુ સ્ટ્રીટ વૅન્ડર્સ-પાથરણાવાળાને મદદ કરી છે. મહામારીના સમયગાળામાં એમને રૂ. 2300 કરોડ જેટલી રકમ વિતરિત કરવામાં આવી છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લાં 6-7 વર્ષોમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ લેવડદેવડ માટે જે કાર્ય થયું છે એને વિશ્વએ સ્વીકાર્યું છે. ખાસ કરીને ભારતમાં, ફિનટેકનો મોટો આધાર તૈયાર થયો છે જે વિક્સિત દેશોમાં પણ એટલો નથી એમ તેમણે ઉમેર્યું હતું.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1741685) Visitor Counter : 355