નાણા મંત્રાલય

PMMYનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 28.68 કરોડથી વધારે ધિરાણ માટે કુલ રૂપિયા 14.96 લાખ કરોડ બેંકો, એનબીએફસી અને એમએફઆઈ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે


PMMYના કારણે વર્ષ 2015 થી 2018 સુધીમાં 1.12 કરોડ ચોખ્ખી વધારાની નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળી છે

Posted On: 07 APR 2021 9:43AM by PIB Ahmedabad

નાણાં મંત્રાલય સિમાંત અને આજદિન સુધી સામાજિક- આર્થિક રીતે વંચિત વર્ગોની નાણાકીય સમાવેશિતા માટે અને તેમને સહકાર આપવા માટે કટિબદ્ધ છે. અલગ અલગ પહેલ દ્વારા નવોદિત ઉદ્યોગ સાહસિકોથી માંડીને સખત પરિશ્રમી ખેડૂતો સુધીના તમામ પ્રકારના હિતધારકોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં આવે છે. આ દિશામાં જ એક મુખ્ય પહેલ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) છે જેના કારણે લાખો લોકોના સપનાં અને મહત્વાકાંક્ષાઓને ઊંચી ઊડાન માટે પાંખો મળી છે અને તેમનામાં સ્વ-મૂલ્ય અને સ્વતંત્રતાની ભાવના કેળવાઇ છે.

આદરણીય પ્રધાનમંત્રીએ બિન-કોર્પોરેટ, બિન-ખેતી લઘુ/સુક્ષ્મ ઉદ્યોગોને રૂપિયા 10 લાખ સુધીનું ધિરાણ પૂરું પાડવાના આશય સાથે 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)નો પ્રારંભ કર્યો હતો. આપણે PMMYની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવણી રહ્યાં હોવાથી, આપણે આ યોજનાના મુખ્ય પરિબળો અને તે અંતર્ગત આજદિન સુધીમાં પ્રાપ્ત કરવામાં આવેલી સિદ્ધિઓ પર એક નજર કરીએ.

મુદ્રા યોજનાની જરૂરિયાત શું છે?

ભારત એક એવું યુવા રાષ્ટ્ર છે જે મોટી સંખ્યામાં ઉત્સાહી અને મહત્વાકાંક્ષી યુવાનો ધરાવે છે. ભારતના વિકાસના બીજ રોપવા માટે એક ફળદ્રુપ જમીન પૂરી પાડવાના ઉદ્દેશ સાથે, યુવા ભારતના આવિષ્કારી ઉત્સાહનું જતન અને સિંચન કરવામાં આવે તે ખૂબ જ મહત્વનું છે કારણ કે તે દેશની આર્થિક ઇકોસિસ્ટમમાં હાલમાં રહેલા અંતરાયો દૂર કરવા માટે નવી પેઢીના ઉકેલો પૂરાં પાડી શકે છે. ભારતમાં લોકોના ઉદ્યમશીલતાના કૌશલ્યને ખીલવવાની જરૂરિયાતને સમજીને NDA સરકાર દ્વારા તેમના પ્રથમ અંદાજપત્રમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુદ્રા યોજના કેવી રીતે કામ કરે છે?

PMMY અંતર્ગત રૂપિયા 10 લાખ સુધીનું ધિરાણ સભ્ય ધિરાણ સંસ્થાઓ (MLIs) જેમ કે, અનુસૂચિત કોમર્શિયલ બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs), સ્મોલ ફાઇનાન્સ બેંકો (SFBs), બિન બેંકિંગ નાણાકીય સંસ્થાઓ (NBFCs), સુક્ષ્મ ફાઇનાન્સ સંસ્થાઓ (MFIs) વગેરે દ્વારા વિસ્તરિત કરવામાં આવે છે.

ધિરાણ મેન્યુફેક્ચરિંગ, વ્યાપાર અને સેવા ક્ષેત્રમાં આવક પેદા કરનારી ગતિવિધિઓ અને કૃષિ સંબંધિત ગતિવિધિઓ માટે આપવામાં આવે છે.

મુદ્રા લોન ત્રણ શ્રેણી એટલે કે, 'શિશુ', 'કિશોર' અને 'તરૂણ' અંતર્ગત આપવામાં આવે છે. આ શ્રેણીઓ ધિરાણ લેનારના વૃદ્ધિ અથવા વિકાસના તબક્કા અને ભંડોળની જરૂરિયાત દર્શાવે છે.

શિશુ: રૂ. 50,000/- સુધીના ધિરાણને આવરી લે છે.

કિશોર: રૂ. 50,000/-થી વધુ અને રૂ. 5 લાખ સુધીના ધિરાણને આવરી લે છે.

તરૂણ: રૂ. 5લાખથી વધુ અને રૂ. 10 લાખ સુધીના ધિરાણને આવરી લે છે.

નવી પેઢીના મહત્વાકાંક્ષી યુવાનોમાં ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે, કિશોર અને તરૂણ શ્રેણીની સરખામણીએ શિશુ શ્રેણીમાં આવતા એકમો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

આ યોજનાએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ (19.03.2021 સુધીમાં)

  • આ યોજનાનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં (19.03.2021 સુધીમાં) 28.68 કરોડથી વધારે ધિરાણ માટે કુલ રૂપિયા 14.96 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે
  • 2020-21માં 4.20 કરોડ PMMY ધિરાણને મંજૂરી આપવામાં આવી છે અને નાણાકીય વર્ષ 2020-21 (19.03.2021 સુધીમાં) રૂપિયા 2.66 લાખ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે
  • ધિરાણમાં સરેરાશ ટિકિટ કદ લગભગ રૂપિયા 50,000/- છે
  • 88% ધિરાણો 'શિશુ' શ્રેણી હેઠળ મંજૂર કરવામાં આવ્યા છે
  • લગભગ 24% ધિરાણ નવા ઉદ્યોગ સાહસિકોને મંજૂર કરવામાં આવ્યા છે
  • લગભગ 68% ધિરાણ મહિલા ઉદ્યોગ સાહસિકોને મંજૂર કરવામાં આવ્યા છે
  • લગભગ 51% ધિરાણ SC/ST/OBC ધિરાણ લેનારાને મંજૂર કરવામાં આવ્યા છે
    • કુલ ધિરાણ લેનારાઓમાંથી 22.53% SC અને ST વર્ગમાંથી છે
    • કુલ ધિરાણ લેનારાઓમાંથી 28.42% OBC વર્ગમાંથી છે
  • લગભગ 11% ધિરાણ લઘુમતી સમુદાયના ધિરાણ લેનારાને મંજૂર કરવામાં આવ્યા છે.
  • શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર PMMYના કારણે વર્ષ 2015 થી 2018 સુધીમાં વધારાની 1.12 કરોડ નવી નોકરીના સર્જનમાં મદદ મળી છે. 1.12 કરોડ નોકરીઓની અંદાજિત વૃદ્ધિમાંથી 69 લાખ (62%) મહિલાઓ છે.

SD/GP/JD



(Release ID: 1710008) Visitor Counter : 268