મંત્રીમંડળ

મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને શૈક્ષણિક સેસના ભંડોળમાંથી સ્વાસ્થ્ય માટે સિંગલ નોન-લેપ્સેબ્લ રિઝર્વ ફંડ તરીકે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ ઊભું કરવાની મંજૂરી આપી

Posted On: 10 MAR 2021 2:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નાણાં ધારા, 2007ની કલમ 136-બી હેઠળ ઉઘરાવવામાં આવતા આરોગ્ય અને શૈક્ષણિક સેસ સ્વરૂપે પ્રાપ્ત થયેલા ભંડોળમાંથી સ્વાસ્થ્યના હિસ્સા માટે સિંગલ નોન-લેપ્સેબ્લ રિઝર્વ ફંડ તરીકે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિ (પીએમએસએસએન)ને મંજૂરી આપી છે.

પીએમએસએસએનની ખાસિયતો

i.              સરકારી હિસાબમાં સ્વાસ્થ્ય માટે નોન-લેપ્સેબલ રિઝર્વ ફંડ;

ii.             સ્વાસ્થ્ય અને શૈક્ષણિક સેસમાં સ્વાસ્થ્યના હિસ્સાનું ભંડોળ પીએમએસએસએનમાં જમા થશે;

iii.            પીએમએસએસએનમાં સંચિત ભંડોળનો ઉપયોગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજનાઓ માટે થશે, જેમ કે,

•             આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY)

•             આયુષ્માન ભારત – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (AB-HWCs)

•             રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અભિયાન

•             પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)

•             સ્વાસ્થ્ય સંબંધિત કટોકટી દરમિયાન કટોકટી અને આપત્તિ સામે લડવાની સજ્જતા અને પ્રતિકાર

•             એસડીજી (સતત વિકાસલક્ષી લક્ષ્યાંકો) અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ (એનએચપી) 2017માં નિર્ધારિત લક્ષ્યાંકો પૂર્ણ કરવા આગેકૂચ કરવા ભવિષ્યમાં કોઈ પણ લક્ષિત કાર્યક્રમ/યોજના.

iv.           પીએમએસએસએનના વહીવટ અને જાળવણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સુપરત કરવામાં આવી છે; અને

v.            કોઈ પણ નાણાકીય વર્ષમાં એમઓએચએફડબલ્યુની આ પ્રકારની યોજના પર ખર્ચનું વહન શરૂઆતમાં પીએમએસએસએનમાંથી કરવામાં આવશે અને પછી કુલ અંદાજપત્રીય ટેકા (જીબીએસ)માંથી.

 ફાયદા:

મુખ્ય ફાયદા આ થશેઃ જોગવાઈ કરેલા સંસાધનોની ઉપલબ્ધતા દ્વારા સાર્વત્રિક અને વાજબી દરે સ્વાસ્થ્યની સારસંભાળ રાખવાની સેવાઓની સુલભતામાં વધારો થશે, સાથે સાથે એ સુનિશ્ચિત થશે કે નાણાકીય વર્ષનાં અંતે રકમ રદ નહીં થાય.

 પૃષ્ઠભૂમિ:

વિકાસના સારાં પરિણામો મેળવવા માટે સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. આર્થિક દ્રષ્ટિકોણથી શ્રેષ્ઠ સ્વાસ્થ્યથી ઉત્પાદકતામાં વધારો થાય છે અને અકાળે અવસાન, લાંબા ગાળાની વિકલાંગતા અને વહેલાસર નિવૃત્તિને કારણે થતા નુકસાનમાં ઘટાડો થાય છે. સ્વાસ્થ્ય અને પોષણ શૈક્ષણિક ઉપલબ્ધિઓ પર પણ સીધી અસર કરે છે તથા ઉત્પાદકતા અને આવક પર પણ અસર ધરાવે છે. સ્વાસ્થ્યલક્ષી પરિણામો સ્વાસ્થ્ય ક્ષેત્ર પર સરકારી ખર્ચ પર નિર્ભર છે. વસ્તીના સરેરાશ આયુષ્યમાં એક વર્ષનો વધારો થવાથી માથાદીઠ જીડીપીમાં 4 ટકાનો વધારો થાય છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રોકાણ કરવાથી સ્વાસ્થ્ય સેવાઓ પ્રદાન કરવા માટે આરોગ્યકર્મીઓની જરૂર ઊભી થવાથી લાખો રોજગારીઓનું સર્જન થાય છે, મુખ્યત્વે મહિલાઓ માટે.

વર્ષ 2018ના બજેટ ભાષણમાં નાણાં મંત્રીએ આયુષ્માન ભારત યોજના જાહેર કરતા તત્કાલિન 3 ટકા શિક્ષણ સેસને બદલે 4 ટકા સ્વાસ્થ્ય અને શિક્ષણ સેસ લાગુ કરવાની જાહેરાત પણ કરી હતી.

 

SD/GP/JD



(Release ID: 1703761) Visitor Counter : 302