સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

પોઝિટીવ કેસોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાઇ રહેલા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકારે બહુ-શાખીય ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો મોકલી


આરોગ્ય સચિવે 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તાજેતરમાં કોવિડ-19ના કેસોમાં થયેલી વૃદ્ધિ અંગે પત્ર લખ્યો અને ચોક્કસ પગલાંઓ ભરવા વિશે સલાહ આપી

Posted On: 24 FEB 2021 11:58AM by PIB Ahmedabad

કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં લક્ષિત કોવિડ પ્રતિભાવ અને વ્યવસ્થાપન માટેના જાહેર આરોગ્યના પગલાંમાં સહકાર આપવા માટે અને મહામારીની સ્થિતિને અસરકારક રીતે નિયંત્રણમાં લેવા માટે ઉચ્ચ સ્તરીય બહુ-શાખીય ટીમો મોકલવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બહુ-શાખીય ટીમો મોકલવામાં આવી છે. આ ટીમો રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસન સાથે નીકટતાથી કામ કરશે અને તાજેતરમાં અહીં કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં ઝડપથી નોંધાયેલી વૃદ્ધિના કારણોની તપાસ કરશે. તેઓ કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે તેમજ સંક્રમણની સાંકળ તોડવા માટે જરૂરી વિવિધ પગલાંઓ લેવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સંબંધિત આરોગ્ય સત્તામંડળો સાથે પણ સંકલન  કરશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે નિયમિત ધોરણે ઉભરતી પરિસ્થિતિની કટોકટીપૂર્ણ સમીક્ષા કરવાની સલાહ આપવામાં આવી છે જેથી અત્યાર સુધીમાં કોવિડ-19ના વ્યવસ્થાપનમાં મળેલી સફળતા નિષ્ફળ ના જાય.

કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પત્ર લખવામાં આવ્યો છે જ્યાં તાજેતરમાં કોવિડના પોઝિટીવ કેસોમાં દૈનિક ધોરણે નોંધપાત્ર વધારો થયો છે તેમજ RT-PCR પરીક્ષણોના પ્રમાણમાં ઘટાડો આવ્યો છે તેમજ કેટલાક જિલ્લામાં પોઝિટીવિટીમાં વૃદ્ધિ નોંધાઇ છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે લખેલા પત્રમાં તેમણે, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને સંક્રમણની સાંકળ તોડવા માટે સઘન પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેમજ RT-PCR પરીક્ષણમાં વધારો કરવાની સલાહ આપી છે જેથી મોટા વસ્તી સમુદાયમાંથી ન શોધી શકાયેલા કેસોને ઝડપથી ઓળખી શકાય. આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશને અસરગ્રસ્ત જિલ્લાઓમાં RT-PCR અને રેપિડ એન્ટિજેન પરીક્ષણોના યોગ્ય પ્રમાણમાં વિભાજન સાથે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને પરીક્ષણોની સંખ્યામાં વૃદ્ધિ કરવાની સલાહ આપવામાં આવી છે અને લક્ષણો ધરાવતા હોય તેવા તમામ નેગેટિવ એન્ટિજેન પરીક્ષણોનું RT-PCR દ્વારા ફરજિયાતપણે પરીક્ષણ કરવાનું પણ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે. પોઝિટીવ આવ્યા હોય તેવા લોકોને અવશ્યપણે તાત્કાલિક ધોરણે આઇસોલેશન/હોસ્પિટલમાં મોકલવા તેમજ તેમના નજીકનાં સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરીને સહેજ પણ વિલંબ કર્યા વગર તેમનું પરીક્ષણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એવું પણ યાદ અપાવ્યું છે કે, ખાસ કરીને કેટલાક દેશોમાં નવા પ્રકારનો કોવિડનો વાયરસ ફેલાયો હોવાનું ધ્યાનમાં આવું છે અને તેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ થઇ શકે છે માટે આવા સંજોગોમાં સંક્રમણને રોકવા માટેના સઘન પગલાંઓના અમલીકરણમાં સહેજ પણ વિલંબ તેમજ કચાશ રહેવી જોઇએ નહીં. કેન્દ્રીય આરોગ્ય સચિવે આ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને અલગ અલગ વિનંતી કરીને આ ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમનો સમય આપવા માટે કહ્યું છે જેથી તેમની રાજ્ય સ્તરની મુલાકાતોના સમાપન વખતે આ ટીમો સંબંધિત મુખ્ય સચિવોને તેમનો અહેવાલ સોંપી શકે.

આ પગલાં સમગ્ર દેશમાં કોવિડને નિયંત્રણમાં લેવા માટે ભારત સરકારની તબક્કાવાર અને સુરક્ષાત્મક અભિગમને અનુરૂપ છે. આરોગ્ય સચિવ નિયમિત ધોરણે એવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકળાયેલા રહે છે જ્યાં તાજેતરમાં કોવિડના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળ્યો છે, કેસોનું ભારણ ઘણું વધારે છે અથવા કેટલાક જિલ્લાઓમાં મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે. આ ટીમો ક્ષેત્રમાં ફરજ બજાવતા સત્તાધીશો સાથે વાર્તાલાપ કરે છે અને તેમને જે પડકારો તેમજ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તેમને પ્રત્યક્ષ રીતે સમજે છે.

SD/GP/JD



(Release ID: 1700387) Visitor Counter : 244