નાણા મંત્રાલય

અંદાજપત્ર 2021-22નો સારાંશ

Posted On: 01 FEB 2021 2:10PM by PIB Ahmedabad

ભાગ - અ

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2021-22 રજૂ કર્યું જે નવા દાયકાનું દેશનું પહેલું અંદાજપત્ર છે અને અભૂતપૂર્વ કોવિડના સંકટને ધ્યાનમાં રાખીને એક ડિજિટલ બજેટ પણ છે. આત્મનિર્ભર ભારતની દૂરંદેશી પ્રસ્તૂત કરતા તેમણે કહ્યું હતું કે, આ વાસ્તવમાં 130 કરોડ ભારતીયોની એક સ્પષ્ટ અભિવ્યક્તિ છે જેમને પોતાની ક્ષમતા અને કૌશલ્ય પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે ઉમેર્યું હતું કે, અંદાજપત્રના પ્રસ્તાવોથી રાષ્ટ્ર પહેલા, ખેડૂતોની આવક બમણી કરવા, મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા, સ્વસ્થ ભારત, સુશાસન, યુવાનો માટે તકો, સૌના માટે શિક્ષણ, મહિલા સશક્તિકરણ, સહિયારો વિકાસ વગેરેના સંકલ્પ પર મજબૂત થશે. તે ઉપરાંત, ત્વરિત અમલીકરણના માર્ગ પર અંદાજપત્ર 2015-16ના એ 13 વચનો પણ છે, જેને દેશની સ્વતંત્રતાના 75મા વર્ષ એટલે કે 2022ના અમૃત મહોત્સવ દરમિયાન પૂરા કરવાના છે. તેમણે કહ્યું હતું કે, તમામ વચનો પણ આત્મનિર્ભરતની દૂરંદેશીને અનુરૂપ છે.

વર્ષ 2021-22ના અંદાજપત્રના પ્રસ્તાવો આ છ સ્તંભો પર આધારિત છે:

 

  1. આરોગ્ય અને સુખાકારી
  2. ભૌતિક અને નાણાકીય મૂડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
  3. મહત્વાકાંક્ષી ભારત માટે સહિયારો વિકાસ
  4. માનવ મૂડીને ફરી ઉર્જાવાન બનાવવી
  5. આવિષ્કાર અને સંશોધનમાં વિકાસ
  6. લઘુતમ સરકાર અને મહત્તમ સુશાસન

 

  1. આરોગ્ય અને સુખાકારી

આરોગ્ય સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓમાં રોકાણમાં નોંધનીય વૃદ્ધિ કરવામાં આવી છે અને વર્ષ 2021-22ના અંદાજપત્રના અનુમાનમાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે અંદાજપત્રીય ખર્ચ રૂ. 2,23,846 કરોડ રૂપિયા છે, જ્યારે આ વર્ષના અંદાજપત્ર અનુમાનમાં 94,452 કરોડ રૂપિયા છે 137 કરોડની વૃદ્ધિ દર્શાવે છે.

નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, 6 વર્ષમાં લગભગ 64,180 કરોડ રૂપિયાના ખર્ચ વાળી એક નવી કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજના ‘પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના’નો પ્રારંભ કરવામાં આવશે. તેનાથી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સ્વાસ્થ્ય પ્રણાલીઓની ક્ષમતામાં વિકાસ થશે અને વર્તમાન રાષ્ટ્રીય સંસ્થાઓ મજબૂત થશે તેમજ નવી સંસ્થાઓનું સર્જન થઇ શકશે જેના કારણે નવી અને ઉભરતી બીમારીઓની ઓળખ તેમજ ઇલાજમાં ઘણી સરળતા રહેશે. આ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન સિવાયની યોજના રહેશે. આ યોજના અંતર્ગત કરવામાં આવનારા મુખ્ય ઉપાયો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

    1. 17,788 ગ્રામીણ અને 11,024 શહેરી સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રો માટે આવશ્યક સહાયતા આપવામાં આવશે.
    2. 11 રાજ્યોના તમામ જિલ્લાઓ અને 3382 તાલુકાઓમાં સાર્વજનિક આરોગ્ય એકમોમાં એકીકૃત સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રયોગાશાળાઓ સ્થાપિત કરવામાં આવશે.
    3. 602 જિલ્લાઓ અને 12 કેન્દ્રીય સંસ્થાઓમાં ગંભીર બીમારીની સારવાર સંબંધિત હોસ્પિટલ બ્લોક સ્થાપિત કરવામાં આવશે.
    4. રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), તેની 5 ક્ષેત્રીય શાખાઓ અને 20 મહાનગરોમાં આવેલા આરોગ્ય દેખરેખ એકમોને મજબૂત કરવામાં આવશે.
    5. તમામ સાર્વજનિક આરોગ્ય લેબોરેટરીઓને એકબીજા સાથે જોડવા માટે એકીકૃત સ્વાસ્થ્ય સૂચના માહિતી પોર્ટલનું વિસ્તરણ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કરવામાં આવશે.
    6. પ્રવેશ સ્થળો અર્થાત્ 32 હવાઇમથકો, 11 સમુદ્રી બંદરો અને 7 લેન્ડ ક્રોસિંગ પર 17 નવા સાર્વજનિક સ્વાસ્થ્ય એકમો શરૂ કરવામાં આવશે અને 33 વર્તમાન સાર્વજનિક આરોગ્ય એકમોને મજબૂત બનાવવામાં આવશે.
    7. 15 સ્વાસ્થ્ય આપાતકાલીન ઓપરેશન કેન્દ્રો અને 2 મોબાઇલ હોસ્પિટલોની સ્થાપન કરવામાં આવશે.
    8. વન હેલ્થ માટે એક રાષ્ટ્રીય સંસ્તા, WHOના દક્ષિણ- પૂર્વ એશિય ક્ષેત્ર માટે એક ક્ષેત્રીય સંશોધન પ્લેટફોર્મ, જૈવ સુરક્ષા સ્તર-3ની 9 લેબોરેટરી અને વાયરોલોજી વિજ્ઞાન માટે 4 પ્રાદેશિક રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપન કરવામાં આવશે.

 

રસીઓ

 

વર્ષ 2021-22ના અંદાજપત્ર અનુમાનમાં કોવિડ-19 રસી માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

ભારતમાં તૈયાર કરવામાં આવેલી ન્યૂમોકોકલ વેક્સીન હાલમાં માત્ર 5 રાજ્યો પૂરતું સિમિત છે તેને દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનો ઉદ્દેશ દર વર્ષે 50,000 બાળકોનો મોતના મોંમાંથી બચાવવાનો છે.

 

પોષણ

 

પોષકતત્વોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેની ડિલિવરી, પહોંચ અને પરિણામને બહેતર બનાવવા માટે સરકાર પૂરક પોષણ કાર્યક્રમ અને પોષણ અભિયાનનું એકબીજા સાથે વિલિનીકરણ કરી નાંખશે અને મિશન પોષણ 2.0નો પ્રારંભ કરવામાં આવશે. સરકાર તમામ 112 જિલ્લામાં પોષણ સંબંધિત પરિણામોને બહેતર બનાવવા માટે ઊંડી વ્યૂહનીતિ અપનાવશે.

 

પાણી પૂરવઠાનું સાર્વત્રિક કવરેજ અને સ્વચ્છ ભારત મિશન

 

નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, 2.86 કરોડ ઘરોમાં નળના જોડાણો અને સાથે સાથે તમામ 4378 શહેરી સ્થાનિક એકમોમાં સાર્વત્રિક પાણી પૂરવઠા માટે જળ જીવન મિશન (શહેરી)નો પ્રારંભ કરવામાં આવશે. આ સાથે જ 500 અમૃત શહેરોમાં પ્રવાહી કચરા વ્યવસ્થાપનની જોગવાઇ કરવામાં આવશે. તેને આગામી 5 વર્ષમાં રૂપિયા 2,87,000 કરોડના ખર્ચ સાથે કાર્યાન્વિત કરવામાં આવશે. આ ઉપરાંત, 2021-2026 દરમિયાન પાંચ વર્ષમાં રૂપિયા 1,41,678 કરોડની કુલ આર્થિક ફાળવણી સાથે શહેરી સ્વચ્છ ભારત મિશનને કાર્યાન્વિત કરવામાં આવશે. હવાના પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે સરકારે આ અંદાજપત્રમાં 10 લાખથી વધારે વસ્તી ધરાવતા હોય તેવા 42 શહેરી કેન્દ્રો માટે રૂપિયા 2217 કરોડની રકમ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જુના અને બિનઉપયોગી થઇ ગયેલા વાહનોને તબક્કાવાર હટાવવા માટે એક સ્વૈચ્છિક વાહન સ્ક્રેપ નીતિની જાહેરાત કરવામાં આવશે. ખાનગી વાહનો મામલે 20 વર્ષ પછી અને વ્યાપારિક વાહનો મામલે 15 વર્ષ પછી સ્વયંચાલિત ફિટનેસ પરીક્ષણ કરાવવા માટે જવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.

 

 

  1. ભૌતિક અને નાણાકીય મૂડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 

આત્મનિર્ભર ભારત – ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહન યોજના

 

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતને 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનાવવા માટે દેશના વિનિર્માણ ક્ષેત્રએ સતત બે આંકડામાં વૃદ્ધિ દર પ્રાપ્ત કરવો પડશે. આપણી વિનિર્માણ કંપનીઓને વૈશ્વિક પૂરવઠા શ્રૃંખલાઓનું અભિન્ન અંગ બનાવવા માટે, વિશિષ્ટ ક્ષમતા અને અત્યાધુનિક ટેકનોલોજી પ્રાપ્ત કરવાની જરૂર છે. આ તમામને પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી આત્મનિર્ભર ભારત માટે વિનિર્માણ વૈશ્વિક દિગ્ગજોનું સર્જન કરવાના હેતુથી 13 ક્ષેત્રોમાં PLI યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે સરકારે આવનારા 5 વર્ષમાં લગભગ 1.97 લાખ કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેની શરૂઆત નાણાકીય વર્ષ 2021-22માંથી કરવામાં આવશે. આ પહેલથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વ્યાપક ઉત્પાદન સ્તર પ્રાપ્ત કરી શકાશે, વૈશ્વિક દિગ્ગજોનું સર્જન કરી શકાશે અને દેશના યુવાનો માટે રોજગારીનું પણ સર્જન કરવાની તકો પ્રાપ્ત થશે.

 

કાપડ ક્ષેત્ર

 

એવી જ રીતે, કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તર પર હરીફાઇમાં લઇ જવા માટે, મોટા પાયે રોકાણને આકર્ષિત કરવા માટે અને રોજગારીના સર્જનને પ્રોત્સાહન આપવા માટે PLI યોજના ઉપરાંત ‘મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક્સ (MITRA)’ નામની યોજનાનો પ્રારંભ કરવામાં આવશે. આનાથી ‘પ્લગ એન્ડ પ્લે’ સુવિધાઓથી સજ્જ વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનુ નિર્માણ થશે જેથી નિકાસના ક્ષેત્રમાં વૈશ્વિક દિગ્ગજ અસ્તિત્વમાં આવશે. આગામી ત્રણ વર્ષમાં 7 ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવામાં આવશે.

 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 

નાણામંત્રી દ્વારાર ડિસેમ્બર 2019માં જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન (NIP) પોતાની રીતે એક અનોખી અને સંપૂર્ણપણે સરકારી પહેલ પર આધારિત યોજના છે. 6,835 પરિયોજનાઓ સાથે NIPની જાહેરાત કરવામાં આવી હતી. આ પરિયોજનાઓ પાઇપલાઇનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે અને હવે તેમાં 7400 પરિયોજનાઓ સમાવિષ્ટ છે. રૂપિયા 1.10 લાખ કરોડના ખર્ચની લગભગ 217 યોજનાઓ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મંત્રાલયો દ્વારા પૂરી કરી દેવામાં આવી છે.

 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ – વિકાસ નાણાં સંસ્થા (DFI)

 

શ્રીમતી સીતારમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ખૂબ જ વિશ્વાસ વ્યક્ત ક્યો હતો અને જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લાંબાગાળાની ધિરાણ નાણાં પોષણની આવશ્યકતા છે. વાસ્તવમાં, પ્રોફેશનલ ઢબે વ્યવસ્થાપન કરવામાં આવતી વિકાસ નાણાં સંસ્થાની જરૂરિયાત છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ માટે નાણાકીય પોષણ માટે એક પ્રદાતા, સુવિધાજનક અને ઉત્પ્રેરકની ભૂમિકા નિભાવી શકે. તે પ્રમાણે, DFIની સ્થાપના કરવા માટે એક વિધેયક લાવવામાં આવશે. વિકાસ નાણાં સંસ્થા (DFI)થી લાભ ઉઠાવવા માટે કેન્દ્રીય અંદાજપત્રમાં રૂપિયા 20,000 કરોડની રકમની જોગવાઇ કરવામાં આવી છે. આ DFI માટે 3 વર્ષમાં ઓછામાં ઓછા 5 લાખ કરોડ રૂપિયાના ધિરાણ પોર્ટફોલિયો સુનિશ્ચિત કરવાની મહત્વાકાંક્ષા છે.

 

 

અસ્કયામતોનું મુદ્રીકરણ:

 

પહેલાંથી જ કાર્યાન્વિત કરવામાં આવી રહેલી જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતોનું મુદ્રીકરણ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે એક અત્યંત મહત્વપૂર્ણ નાણાકીય પોષણ વિકલ્પ છે. સંભવિત વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતોની એક ‘રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન’ શરૂ કરવામાં આવશે. આ દિશામાં થઇ રહેલી પ્રગતી પર નજીકથી નજર રાખનારાઓ અને રોકાણકારોને અવગત કરાવવા માટે એક અસ્કયામત મુદ્રીકરણ ડેશબોર્ડ પણ તૈયાર કરવામાં આવશે. મુદ્રીકરણની દિશામાં કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:

 

  1. ભારતીય ધોરીમાર્ગ સત્તામંડળ અને PGCIL બંને એ એક-એક InvITને સ્પોન્સર કર્યા છે જે વિદેશી અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોને આકર્ષિત કરશે. રૂપિયા 5000 કરોડના અનુમાનિત ઉદ્યમ મૂલ્ય સાથે 5 કાર્યાન્વિત માર્ગો NHAIInvITને હસ્તાંતરિત કરવામાં આવશે. એવી જ રીતે. રૂપિયા 7000 કરોડના મૂલ્યના ટ્રાન્સમિશન અસ્કયામતો PGCIL InvITને હસ્તાંતરિત કરવામાં આવશે. 
  2. રેલવે સમર્પિત ફ્રેટ કોરિડોરનો ઉપયોગ શરૂ કર્યા પછી પરિચાલન અને જાળવણી માટે તેની અસ્કયામતોનું મુદ્રીકરણ કરશે.
  3. પરિચાલન અને વ્યવસ્થાપન સંબંધિત છુટછાટો માટે હવાઇમથકોના આગામી સમૂહનું મુદ્રીકરણ કરવામાં આવશે.
  4. અસ્કયામત મુદ્રીકારણ કાર્યક્રમ અંતર્ગત અમલમાં આવનારી કેટલીક મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતોમાં આ છે (i) NHAI દ્વારા શરૂ કરવામાં આવેલા ટોલ રોડ (ii) PGCILની ટ્રાન્સમિશન અસ્કયામતો (iii) ગેઇલ, IOCL અને HPCLની ઓઇલ અને ગેસની પાઇપલાઇનો (iv) ટીઅર-2 અને ટીઅર-2 શહેરોમાં આવેલા AAIના હવાઇમથકો (v) રેલવેની અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસ્કયામતો (vi) CPSI જેવા કેન્દ્રીય ગોદામ નિગમ, નાફેડ વગેરેની ગોદામ અસ્કયામતો અને (vii) રમતગમતના સ્ટેડિયમ.

 

માર્ગો અને ધોરીમાર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 

નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, રૂપિયા 5.35 લાખ કરોડના ખર્ચની ભારતમાલા પરિયોજના અંતર્ગત રૂપિયા 3.3 લાખ કરોડના ખર્ચથી 13000 કિલોમીટરથી વધારે લંબાઇના માર્ગોનું નિર્માણ કરવાના કોન્ટ્રાન્ટ પહેલાંથી જ આપી લેવામાં આવ્યા છે જેમાંથી 3800 કિમીના માર્ગોનું થઇ ગયું છે. માર્ચ 2022 સુધીમાં સરકાર 8500 કિલોમીટર લાંબાના માર્ગો માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. આ સાથે જ, સરકાર 11000 કિલોમીટર લંબાઇના રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરિડોરનું નિર્માણ પૂરું કરશે. માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વધારે વિસ્તરણ કરવા માટે બીજા સંખ્યાબંધ આર્થિક કોરિડોરની યોજના ઘડવામાં આવી રહી છે. તેમણે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય માટે 1,18,101 લાખ કરોડ રૂપિયાનું વિસ્તૃત ખર્ચની જોગવાઇ પૂરી પાડી છે જેમાં રૂપિયા 1,08,230 કરોડની સંબંધિત મૂડી છે અત્યાર સુધીમાં સર્વાધિક આંકડો છે.

 

 

રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 

ભારતીય રેલવે દ્વારા એક રાષ્ટ્રીય રેલ યોજના – 2030 તૈયાર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ‘ભવિષ્ય માટે તૈયાર’ રેલવે તંત્રનું સર્જન કરવાનું છે. આપણા ઉદ્યોગો માટે પરિવહન ખર્ચમાં ઘટાડો કરવો એ ‘મેક ઇન ઇન્ડિયા’ને સમર્થ બનાવવા માટે અમારી વ્યૂહનીતિનો એક મુખ્ય મુદ્દો છે. એવી પણ શક્યતા છે કે, પશ્ચિમી સમર્પિત નૂર કોરિડોર (DFC) અને પૂર્વીય DFC જૂન 2022 સુધીમાં થઇ જશે.

મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે નીચે ઉલ્લેખ કર્યા અનુસાર ઉપાયોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે:

 

  1. મુસાફરોને બહેતર મુસાફરીનો અનુભવ પૂરો પાડવા માટે પ્રવાસી રૂટ્સ પર દેખાવમાં આકર્ષક ડિઝાઇન કરવામાં આવેલા બિસ્ટાડોન HLV કોચનો પ્રારંભ કરવામાં આવશે.
  2. છેલ્લા કેટલાક વર્ષમાં કરવામાં આવેલા સુરક્ષા ઉપાયોના સારાં પરિણામો પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ પ્રયાસોને વધુ મજબૂત બનાનવા માટે ભારતીય રેલવેના ઉચ્ચ ગીચતા ધરાવતા નેટવર્ક અને ઉચ્ચ ઉપયોગમાં લેવામાં આવતા નેટવર્ક રૂટોને સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલી સ્વયંચાલિત ટ્રેન સંરક્ષણ પ્રણાલી આપવામાં આવશે જે માનવીય ભૂલોના કારણે થતા ટ્રેન અકસ્માતની સમસ્યાઓને પૂરી કરી દેશે.
  3. અંદાજપત્રમાં રેલવે માટે રૂપિયા 1,10,055 કરોડની વિક્રમી રકમ ફાળવવામાં આવી છે જેમાં 1,07,100 કરોડ રૂપિયા મૂડીગત ખર્ચ કરવા માટે છે..

 

શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 

સરકાર મેટ્રો રેલ નેટવર્કની સાથે સાથે સિટી બસ સેવાઓનું પણ વિસ્તરણ કરીને શહેરી વિસ્તારોમાં સાર્વજનિક પરિવહનનો હિસ્સો વધારવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી રહી છે. સાર્વજનિક બસ પરિવહન સેવાઓના વિસ્તરણ માટે આવશ્યક સહયોગ આપવાના ઉદ્દેશથી રૂપિયા 18000 કરોડના ખર્ચ એક નવી યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.

કુલ 702 કિલોમીટર લાંબી મેટ્રો કાર્યાન્વિત છે અને 27 શહેરોમાં 1,106 કિલોમીટર મેટ્રો અને RRTSના નિર્માણનું કાર્ય હાલમાં ચાલી રહ્યું છે. ટીઅર-2 શહેરો અને ટીઅર-1 શહેરોની આસપાસના વિસ્તારોમાં ઓછા ખર્ચે સમાન અનુભવ, સુવિધા અને સુરક્ષાયુક્ત મેટ્રો રેલ પ્રણાલીઓ ઉપલબ્ધ કરાવવા માટે બે નવી ટેકનોલોજી ‘મેટ્રોલાઇટ’ અને ‘મેટ્રોનિયો’ લાગુ કરવામાં આવશે.

 

 

વીજળી ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 

છેલ્લા છ વર્ષમાં વધારાના 139 ગીગાવોટ સ્થાપિત ક્ષમતા સાતે વીજળી ક્ષેત્રમાં સંખ્યાબંધ સુધારા કરવામાં આવ્યા છે અને સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઇ છે. તે સાથે જ, 2.8 કરોડ ઘરોમાં વીજળીના જોડામો આપવા ઉપરાંત, 1.41 લાખ સર્કિટ કિલોમીટર ટ્રાન્સમિશન લાઇનોનું નેટવર્ક પણ પાથરવામાં આવ્યું છે.

ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓની વ્યવહારુતા અંગે ગંભીર ચિંતા દર્શાવીને નાણાં મંત્રીએ 5 વર્ષમાં રૂપિયા 3,05,984 કરોડના ખર્ચ સાથે સુધારાઓ પર આધારિત અને પ્રદર્શન સંબંધિત વિદ્યુત વિતરણ ક્ષેત્ર યોજના રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ યોજના અંતર્ગત, વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ)ને આર્થિક સ્થિતિમાં સુધારા માટે જરૂરી પ્રીપેઇડ સ્માર્ટ મીટરિંગ અને ફીડરથી અલગ કરવાની પ્રણાલીઓમાં સુધારા સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

બંદરો, જહાજ અને જળમાર્ગો

 

મોટા બંદરો પોતાની રીતે પોતાની પરિચાલન સેવાઓના વ્યવસ્થાપનથી એક એવું મોડલ બનાવવાની દિશામાં આગળ વધશે જ્યાં એક ખાનગી ભાગીદાર તેમની તરફથી તેમનું વ્યવસ્થાપન કરશે. આ ઉદ્દેશથી અંદાજપત્રમાં નાણાકીય વર્ષ 2021-22 માં પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ મોડલ પર મોટા બંદરોને રૂપિયા 2,000 કરોડથી વધુ રકમ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

 

ભારતમાં વ્યાપારિક જહાજોના આવાગમનને પ્રોત્સાહન આપવા માટે, એક યોજનાનો પ્રારંભ કરવામાં આવશે જે અંતર્ગત મંત્રાલયો અને CPSE દ્વારા બહાર પાડવામાં આવેલા વૈશ્વિક ટેન્ડરોમાં ભારતીય શિપિંગ કંપનીઓને સબસિડીના માધ્યમથી સમર્થન આપવામાં આવશે. આ માટે, 5 વર્ષ દરમિયાન રૂપિયા 1,624 કરોડની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલથી વૈશ્વિક શિપિંગમાં ભારતીય કંપનીઓનો હિસ્સો વધવાની સાથે સાથે, ભારતીય સેઇલર્સને તાલીમ અને રોજગારની તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

પેટ્રોલિયમ અને કુદરતી વાયુ

શ્રીમતી સીતારમણે કહ્યું હતું કે, સરકારે કોવિડ-19 લૉકડાઉનના સમયગાળા દરમિયાન સમગ્ર દેશમાં ઇંધણનો પૂરવઠો વિના અવરોધો પહોંચી શકે તે સુનિશ્ચિત કર્યું છે. આ ક્ષેત્રના મહત્વને ધ્યાનાં રાખીને નીચે ઉલ્લેખ કરવામાં આવેલી મુખ્ય પહેલોની જાહેરાત કરવામાં આવી છે.

 

  1. ઉજ્જવલા યોજનાનો લાભ પહેલાંથી જ 8 કરોડ પરિવારનો મળી ચુક્યો છે અને હવે વધારાના 1 કરોડ લાભાર્થીઓ સુધી તેનું વિસ્તરણ કરવામાં આવશે.
  2. આવનારા ત્રણ વર્ષ દરમિયાન શહેરી ગેસ વિતરણ નેટવર્કમાં વધારના 100 શહેરોને જોડવામાં આવશે.
  3. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ વિસ્તારમાં એક ગેસ પાઇપલાઇન પરિયોજનાનો પ્રારંભ કરવામાં આવશે.
  4. બિન ભેદભાવપૂર્ણ મુક્ત પહોંચના આધારે તમામ કુદરતી વાયુ પાઇપલાઇનોમાં સામાન્ય વાહનક ક્ષમતાની બુકિંગની સુવિધા અને સમન્વય માટે એક સ્વતંત્ર ગેસ વાહક પ્રણાલી પરિચાલકની સ્થાપના કરવામાં આવશે.

 

નાણાકીય મૂડી

 

નાણાં મંત્રીએ સેબી અધિનિયમ, 1992, ડિપોઝિટરીઝ અધિનિયમ, 1996, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) અધિનિયમ, 1956 અને સરકારી સિક્યુરિટીઝ અધિનિયમ, 2007ની જોગવાઇઓને એકલ સિક્યુરિટીઝ બજાર સંહિતામાં સંમિલિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકાર GIFT- IFSCમાં એક વિશ્વસ્તરીય ફિનટેક હબનો વિકાસ કરવાનું સમર્થન કરશે.

 

વીમા ક્ષેત્રમાં FDIની વૃદ્ધિ

 

તેમણે વીમા ક્ષેત્રમાં સ્વીકાર્ય FDIની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા સુધી લઇ જવા માટે અને આવશ્યક સુરક્ષા સાથે વિદેશી માલિકી અને નિયંત્રણની મંજૂરી આપવા માટે વીમા અધિનિયમ, 1938માં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નવા માળખા અંતર્ગત બોર્ડમાં ઓછામાં ઓછા 50 ટકા રોકાણકારો સ્વતંત્ર ડાયરેક્ટર હોવાથી મોટાભાગના ડાયરેક્ટર અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ લોકો ભારતીય રહેશે અને નફામાં એક નિશ્ચિત હિસ્સો સામાન્ય રીતે અનામત ભંડોળ તરીકે અલગ રાખી મુકવામાં આવશે.

 

 

ડિસઇન્વેસ્ટમેન્ટ અને વ્યૂહાત્મક વેચાણ

 

કોવિડ-19ની પરિસ્થિતિ હોવા છતાં પણ, વ્યૂહાત્મક રીતે ડિસઇન્વેસ્ટમેન્ટનું કામ ચાલુ જ રાખ્યું છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2021-22માં BPCL, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, IDBI બેંક, BEML, પવન હંસ અને નીલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ સહિત જાહેર ક્ષેત્રના બીજા ઘણા સાહસોનું ડિસઇન્વેસ્ટમેન્ટ પૂરું કરવામાં આવશે. સરકાર IDBI ઉપરાંત અન્ય બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક જનરલ ઇન્શ્યોરન્સ કંપનીનું ખાનગીકરણ વર્ષ 2021-22માં પૂરું કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

 

સરકાર 2021-22માં જીવન વીમા નિગમનો IPO લાવશે જેના માટે જરૂરી ફેરફાર આ સત્રમાં લાવવામાં આવશે.

એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરતા નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત પેકેજમાં તેમણે જાહેર ક્ષેત્રના સાહસોના વ્યૂહાત્મક રીતે ડિસઇન્વેસ્ટમેન્ટ પર એક વ્યૂહનીતિની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર આ સંબંધે નીતિને સ્વીકૃતિ આપી દીધી છે. નીતિ તમામ બિન વ્યૂહાત્મક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એક સ્પષ્ટ રૂપરેખા પૂરી પાડે છે. સરકારે એવા ચાર ક્ષેત્રો પસંદ કર્યાં છે જે વ્યૂહાત્મક છે જ્યાં CPSE માં લઘુતમ ભાગીદારી યથાવત રાખવામાં આવશે અને બાકીના હિસ્સાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. બિન વ્યૂહાત્મક ક્ષેત્રોમાં CPSEનું ખાનગીકરણ કરવામાં આવશે અન્યથા તેને બંધ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ડિસઇન્વેસ્ટમેન્ટની નીતિને વેગ આપવા માટે નીતિ આયોગ એવી કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપનીઓની યાદી તૈયાર કરશે જેનું વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. સરકારે અંદાજપત્ર અનુમાન 2020-21માં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂપિયા 1,75,000 કરોડ મળવાની આશા વ્યક્ત કરી છે.

 

3. મહત્વાકાંક્ષી ભારત માટે સહિયારો વિકાસ

 

નાણાં મંત્રીએ મહત્વાકાંક્ષી ભારત માટે સહિયારા વિકાસ અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ ભારત, વિસ્થાપિત શ્રમિક અને શ્રમ તેમજ આર્થિક સમાવેશિતા સામેલ કરવાની જાહેરાત કરી છે.

 

કૃષિ

 

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કટીબદ્ધ છે. સુનિશ્ચિત ભાવ ઉપલબ્ધ કરાવવા માટે MSPની વ્યવસ્થામાં વ્યાપક પરિવર્તનો લાવવામાં આવ્યા છે જેમાં તમામ કોમોડિટી માચે ઉત્પાદન ખર્ચની સરખામણીએ ઓછામાં ઓછા દોઢ ગણા ભાવ નક્કી કરવામાં આવે છે. ખરીદીની કામગીરી એક નિશ્ચિત ગતિએ સતત આગળ વધી રહી છે. તેના પરિણામે ખેડૂતોને ચુકવણીમાં પણ વધારો થયો છે.

 

ઘઉંની વાત કરીએ તો, 2013-14માં ખેડૂતોને કુલ રૂપિયા 33,874 કરોડ ચુકવવામાં આવ્યા હતા.જ્યારે 2019-20માં ખેડૂતોને રૂપિયા 62,802 કરોડ ચુકવવામાં આવ્યા હતા અને 2020-21માં તેમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને રૂપિયા 75,060 કરોડની ચુકવણી કરવામાં આવી છે. તેનાથી લાભ પ્રાપ્ત કરનારા ખેડૂતોની સંખ્યા 2020-21માં વધીને 43.36 લાખ થઇ ગઇ છે જે 2019-20માં 35.57 લાખ હતી.

 

ધાન્યની વાત કરીએ તો, 2013-14માં ખેડૂતોને ધાન્ય માટે રૂપિયા 63,928 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. 2019-20માં આ ચુકવણીનો આંકડો વધીને રૂપિયા 1,41,930 કરોડ થઇ ગયો. વર્ષ 2020-21માં તે આંકડો વધુ સુધર્યો અને ખેડૂતોને રૂપિયા 1,72,752 કરોડની ચુકવણી કરવામાં આવી છે. તેનાથી લાભ લેનારા ખેડૂતોની સંખ્યા 2019-20માં 1.24 કરોડ હતી જે વર્ષ 2020-21માં વદીને 1.54 કરોડ સુધી પહોંચી ગઇ છે.

 

એવી જ રીતે દાળની વાત કરીએ તો, વર્ષ 2013-14માં ખેડૂતોને રૂપિયા 236 કરોડ ચુકવવામાં આવ્યા હતા. 2019-20માં ચુકવણીનો આ આંકડો વધીને રૂપિયા 8,285 કરોડ થઇ ગયો અને વર્ષ 2020-21માં આ આંકડો વધુ સુધરતા ખેડૂતોને રૂપિયા 10,530 કરોડની ચુકવણી કવરામાં આવી છે. 201314ની સરખામણીએ આ આંકડો 40 ગણાથી પણ વધારે છે.

 

એવી જ રીતે, કપાસના ખેડૂતોની પ્રાપ્તિમાં પણ ઝડપતી વધારો નોંધાઇ રહ્યો છે. વર્ષ 2013-14માં તેમને રૂપિયા 90 કરોડ ચુકવવામાં આવ્યા હતા જ્યારે આ સ્તર વધીને 25,974 કરોડ (27 જાન્યુઆરી 2021 સુધીમાં) સુધી પહોંચી ગયું છે.

 

આ વર્ષના પ્રારંભમાં, આદરણીય પ્રધાનમંત્રીએ સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના અંતર્ગત, ગામડાઓમાં મિલકતોના માલિકોને મોટી સંખ્યામાં તેમના મિલકતના માલિકીના અધિકારો આપવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં, 1,241 ગામડાંઓમાં લગભગ 1.80 લાખ મિલકત માલિકોને મિલકત કાર્ડ આપવામાં આવ્યા છે અને નાણાં મંત્રીએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન આ યોજનાના પરિઘમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ધિરાણ પ્રાપ્ત થઇ શકે તે માટે, સરકારે નાણાકીય વર્ષ 2022માં કૃષિ ધિરાણનું લક્ષ્ય વધારીને રૂપિયા 16.5 લાખ કરોડ નિર્ધારિત કર્યું છે. એવી જ રીતે, ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ભંડોળ માટે ફાળવણી રૂપિયા 30,000 કરોડ હતી તે વધારીને રૂપિયા 40,000 કરોડ કરવામાં આવી છે. નાબાર્ડ અંતર્ગત, રૂપિયા 5,000 કરોડના ભંડોળ સાથે બનાવવામાં આવેલા સુક્ષ્મ સિંચાઇ ભંડોળની રકમ વધારીને બમણી કરવામાં આવશે.

 

કૃષિ અને સંલગ્ન ઉત્પાદનોમાં મૂલ્ય વર્ધન અને તેની નિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત, હવે ‘ઓપરેશન ગ્રીન યોજના’ના પરિઘમાં હવે ઝડપથી સડી જાય તેવી 22 ઉપજોને સામેલ કરવામાં આવશે. હાલમાં આ યોજના ટામેટા, ડુંગળી અને બટાકા માટે લાગુ પડે છે.

 

e-NAMમાં લગભગ 1.68 કરોડ ખેડૂતોએ નોંધણી કરાવેલી છે અને તેના માધ્યમથી રૂપિયા 1.14 લાખ કરોડનો વેપાર થયો છે. પારદર્શકતા અને હરીફાઇને ધ્યાનમાં રાખીને e-NAMને કૃષિ બજારમાં લાવવામાં આવ્યું છે. –e-NAM સાથે 1,000થી વધારે મંડી (કૃષિ બજારો)ને જોડવામાં આવ્યા છે. APMCને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા માટે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

મત્સ્યપાલન

 

નાણાંમંત્રીએ માછલી પકડવાના અને ફીશ લેન્ડિંગ કેન્દ્રોના વિકાસમાં પૂરતા પ્રમાણમાં રોકાણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, માછલી પકડવાના મુખ્ય 5 કેન્દ્રો – કોચ્ચી, ચેન્નઇ, વિશાખાપટ્ટનમ, પારાદીપ અને પેટુઆઘાટને આર્થિક ગતિવિધીઓના કેન્દ્રના રૂપમાં વિકસાવવામાં આવશે

 

વિસ્થાપિત કામદારો અને શ્રમિકો

 

સરકારે એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ યોજનાનો પ્રારંભ કર્યો છે. તે પછી, લાભાર્થીઓ દેશમાં ગમે ત્યાં હોય તો પણ પોતાનું રેશન લેવાનો દાવો કરી શકે છે. એક રાષ્ટ્ર, એક રેશન કાર્ડ યોજના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અમલમાં છે અને 69 કરોડ લાભાર્થીઓ સુધી તે પહોંચી છે. આ સંખ્યા આ યોજના હેઠળ સમાવી લેવામાં આવેલા લાભાર્થીઓની કુલ સંખ્યામાંથી 86 ટકા છે. બાકીના ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આગામી થોડા મહિનામાં તેની સાથે જોડવામાં આવશે.

 

સરકારે ચાર શ્રમ સંહિતાનો અમલ કર્યો છે જેના કારણે 20 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી પ્રક્રિયાને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વૈશ્વિક રૂપે પહેલી વખત સામાજિક સુરક્ષાઓના લાભ વંચિત અને મંચ કામદારો સુધી પહોંચશે. લઘુતમ વેતન તમામ શ્રેણીના કામદારો માટે લાગુ થવા પાત્ર રહેશે અને તમામ કર્મચારી રાજ્ય વીમા નિગમ અંતર્ગત આવશે. મહિલાઓને તમામ શ્રેણીમાં તેમજ યોગ્ય સુરક્ષા સાથે રાત્રીની પાળીમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ પ્રકારે કર્મચારીઓ પર સિંગલ નોંધણી, લાઇસન્સ પ્રાપ્ત કરવું અને ઑનલાઇન  રિટર્ન સાતે અનુપાલનનું ભારણ ઓછું કરવામાં આવશે.

 

આર્થિક સમાવેશિતા

 

નબળા વર્ગો માટે કરવામાં આવેલા ઉપાયોના પાલનમાં નાણાં મંત્રીએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના અંતર્ગત ધિરાણ પ્રવાહ સહાયતાને આગળ વધારવા અંગેની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ માર્જિન મની (તફાવત નાણાં)ની જરૂરિયાત 25 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની અને કૃષિ સંબંધિત ગતિવિધીઓ માટેના ધિરાણો પર સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તે ઉપરાંત, MSME ક્ષેત્રને સહાયતા આપવા માટે અનેક ઉપાયો કરવામાં આવ્યા છે. સરકારે આ અંદાજપત્રમાં આ ક્ષેત્ર માટે રૂપિયા 15,700 કરોડ ઉપલબ્ધ કરાવ્યા છે જે આ વર્ષના અંદાજપત્ર અનુમાન કરતાં બમણાંથી પણ વધારે રકમ છે.

 

 

4. માનવ મૂડીનું ફરી મજબૂતીકરણ

 

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે. આ બાબતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, 15000થી વધારે શાળાઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના તમામ ઘટકો સામેલ કરીને ગુણવત્તાની દૃશ્ટિએ મજબૂત બનાવવામાં આવશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, NGO/ ખાનગી શાળાઓ/ રાજ્યોની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓનું નિર્માણ કરવામાં આવશે. તેમણે એક છત્રીય એકમના રૂપમાં એક ભારતીય ઉચ્ચ શિક્ષણ પંચ સ્થાપિત કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં સ્ટાન્ડર્ડ સેટિંગ, સ્વીકૃતિ, રેગ્યુલેશન અને નાણાકીય પોષણ માટે 4 અલગ ઘટકો સામેલ છે. લદાખમાં ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચ માટે સરકારે લેહમાં કેન્દ્રીય યુનિવર્સિટી સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

 

 

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ

 

સરકારે અનુસૂચિત જાતિઓના વિસ્તારોમાં 750 એકલવ્ય મોડલ રહેણાંક શાળાઓ સ્થાપિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આવી દરેક શાળાનો ખર્ચ રૂપિયા 20 કરોડથી વધારીને રૂપિયા 38 કરોડ અને પર્વતીય વિસ્તારો તેમજ દુર્ગમ વિસ્તારોમાં 48 કરોડ રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એવી જ રીતે, અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત કેન્દ્રીય સહાય વધારવામાં આવી હતી અને 2025-26 સુધીના છ વર્ષ માટે કુલ રૂપિયા 35,219 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આનાથી અનુસૂચિત જાતિના 4 કરોડ વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત થશે.

 

 

કૌશલ્ય

 

યુનાઇડેટ આરબ અમીરાત (UAE) સાથે ભાગીદારીમાં કૌશલ્ય યોગ્યતા, મૂલ્યાંકન અને પ્રમાણીકરણની સાથે સાથે પ્રમાણીકૃત કર્મચારીઓની નિયુક્તિ નક્કી કરવા માટે એક પહેલ હાલમાં પ્રક્રિયા હેઠળ છે. જાપાની ઔદ્યોગિક અને વ્યાવસાયિક કૌશલ્ય ટેકનિક અને જ્ઞાનના હસ્તાંતરકણમાં સહાયતા માટે જાપાન અને ભારતમાં એક સહયોગાત્મક ટ્રેનિંગ ઇન્ટર ટ્રેનિંગ કાર્યક્રમ (TITP) પણ ચાલી રહ્યો છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ દેશો સાથે આવી પહેલ શરૂ કરવામાં આવશે.

 

 

5. આવિષ્કાર અને R&D

 

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, જુલાઇ 2019માં તેમના અંદાજપત્ર સંબોધનમાં તેમણે રાષ્ટ્રીય સંશોધન પ્રતિષ્ઠાનની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પાંચ વર્ષના સમય માટે NRFનો ખર્ચ 50 હજાર કરોડ રૂપિયા રહેશે. તેનાથી ઓળખી કાઢવામાં આવેલા રાષ્ટ્રીય પ્રાથમિકતાની જરૂરિયાત વાળા ક્ષેત્રોને ધ્યાનમાં રાખતા દેશમાં એકંદરે સંશોધન ઇકો સિસ્ટમ મજબૂત બનાવવાનું સુનિશ્ચિત થશે. સરકાર એક નવી પહેલ – રાષ્ટ્રીય ભાષા અનુવાદ મિશન (NTLM)નો પ્રારંભ કરશે. તેનાથી મુખ્ય ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી શાસન અને નીતિ સંબંધિત જ્ઞાનરૂપી સંપત્તિ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 

અંતરીક્ષ વિભાગ અંતર્ગત એક જાહેર ક્ષેત્રના સાહસ ધ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ (NSIL) કેટલાક નાના ભારતીય ઉપગ્રહો સાથે બ્રાઝિલથી એમેઝોનિયા ઉપગ્રહ લઇ જનારા PSLV-CS51ને લોન્ચ  કરશે.

 

ગગનયાન મિશન ગતિવિધીઓના એક ભાગ તરીકે, ચાર ભારતીય અવકાશયાત્રીઓને રશિયાના જેનરિક સ્પેસ ફ્લાઇડ આસ્પેક્ટ પર તાલીમ આપવામાં આવી રહી છે. પહેલું માનવરહિત લોન્ચિંગ ડિસેમ્બર 2021માં કરવાનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

 

6.  લઘુતમ સરકાર, મહત્તમ સુશાસન

 

નાણાં મંત્રીએ અંદાજપત્રમાં છ મહત્વપૂર્ણ આધારસ્તંભો પર વિશેષ ભાર મૂકીને ન્યાય ઝડપથી ઉપલબ્ધ કરાવવા માટે છેલ્લા કેટલાક વર્ષમાં ટ્રિબ્યુનોલોમાં સુધારો લાવવા માટે અનેક પગલાં ભરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે ટ્રિબ્યુનલોના કામકાજને યુક્તિપૂર્ણ બનાવવા માટે આગળ ઉપાય કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. સરકારે  56 સૂચિબદ્ધ સ્વાસ્થ્ય સંભાળ વ્યવસાયોના પારદર્શક અને કૌશલ્ય રેગ્યુલેશન સુનિશ્ચિત કરવાના દૃશ્ટિકોણ સાથે સંસદમાં રાષ્ટ્રીય સંબંધ સ્વાસ્થ્ય સંભાળ વ્યાવસાયિક વિધેયક રજૂ કર્યું છે. તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે, ભારતના ઇતિહાસમાં આગામી વસ્તીગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હોઇ શકે છે અને આ ભગીરથ તેમજ મહત્વપૂર્ણ કાર્ય માટે વર્ષ 2021-2022માં રૂપિયા 3,768 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

 

રાજકોષીય સ્થિતિ અંગે તેમણે અર્થતંત્ર પર મહામારીની અસરના પરિણામે એક નબળા મહેસુલ ઇનફ્લો (આવક)ને રેખાંકિત કર્યો હતો. આ વખતે સ્વાસ્થ્ય સ્થિતિ બહેતર થવાથી અને લૉકડાઉન ધીમે ધીમે ખોલવામાં આવ્યું છે. સરકારી ખર્ચ વધી ગયો હતો. તેના કારણે ઘરેલુ માંગ ફરી સજીવન થઇ છે. તેના કારણે વર્ષ 2020-21 માટે રૂપિયા 30.42 લાખ કરોડના મૂળ અંદાજપત્રીય અનુમાનિત ખર્ચની સરખામણીએ સુધારેલું અનુમાન 34.50 લાખ કરોડ આંકવામાં આવ્યું છે અને ખર્ચની ગુણવત્તા યથાવત રાખવામાં આવી છે. સુધારેલા અનુમાનમાં મૂડીગત ખર્ચ 2020-21માં રૂપિયા 4.39 લાખ કરોડ છે જ્યારે 2020-21માં અંદાજપત્રીય અનુમાન રૂપિયા 4.12 લાખ કરોડ રહ્યું છે.

 

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે સુધારેલું અનુમાન 2020-21માં રાજકોષીય ખાધ વધીને સકળ ઘરેલું ઉત્પાદના 9.5 ટકા થઇ ગઇ છે અને તેને સરકારી દેવું, બહુપક્ષીય દેવું, લઘુ બચત ભંડોળ અને આપાતકાલિન ધિરાણોના માધ્યમથી નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નાણાં મંત્રીએ કહ્યું હતું કે, સરકારને વધારાના રૂપિયા 80,000 કરોડની જરૂર પડશે, જેના માટે અમે બે મહિનામાં બજારો સુધી પહોંચ સ્થાપિત કરીશું. અંદાજપત્રીય અનુમાન 2020-21માં રાજકોષીય ખાધ GDPના 6.8 ટકા રહેવાનું અનુમાન છે. આવનારા વર્ષમાં બજારમાંથી કુલ ઉધારી લગભગ 12 લાખ કરોડ રૂપિયાની રહેશે.

 

શ્રીમતી સીતારમણે જાહેરાત કરી હતી કે, સરકારની યોજના રાજકોષીય દૃઢીકરણના માર્ગ પર સતત ચલાવવાની છે અને રાજકોષીય નુકસાનનું સ્તર ઓછું કરીને 2025-26 સુધીમાં આ સમયગાળા દરમિયાન સાધારણરૂપે સ્થિર ઘટાડા સાથે GDPના 4.5 ટકાના સ્તરે લઇ જવા માંગીએ છીએ. અમે પહેલા બહેતર અનુપાલનના માધ્યમથી કર મહેસુલમાં વધારો લાવીને બીજી અસ્કયામતો, જેમાં ઉદ્યોગો અને જમીન પણ સામેલ છે તેના મુદ્રીકરણથી પ્રાપ્તિ વધારીને દૃઢીકરણ પ્રાપ્ત કરવાની આશા રાખીએ છીએ.

 

15મા નાણાં આયોગના અભિપ્રાયો અનુસાર સરકાર રાજ્યો માટે ચોખ્ખી ઉધારીની સામાન્ય ઉપલી મર્યાદા સકલ રાજ્ય ઘરેલુ ઉત્પાદના 4 ટકા પર નિર્ધારિત કરવાની મંજૂરી આપી રહી છે.

 

FRBM અધિનિયમ આદેશ આપે છે કે, GDPના 3 ટકાની સમકક્ષ રાજકોષીય ખાધ 31 માર્ચ 2020-21 સુધીમાં પ્રાપ્ત કરવામાં આવે. આ વર્ષની અભૂતપૂર્વ અને અણધારી પરિસ્થિતિઓમાં જરૂરી થઇ ગયું છે કે, FRBM અધિનિયમની ધારા 4(5) અને 7(3) બી અંતર્ગત વિચલન વિધાન રજૂ કરવામાં આવે, જેને નાણાં મંત્રીએ FRBM દસ્તાવેજોના ભાગના રૂપમાં ગૃહમાં ટેબલ પર મૂક્યા હતા.

 

9 ડિસેમ્બર 2020ના રોજ 15મા નાણાં આયોગે 20221-2026ના સમયગાળાને આવરી લઇને પોતાનો અંતિમ રિપોર્ટ રાષ્ટ્રપતિજીને સોંપ્યો છે. સરકારે આયોગનો રિપોર્ટ રાજ્યોનો ઉર્ધ્વ હિસ્સો 41 ટકા પર યથાવત રાખીને વિવરણ ટિપ્પણીઓ સાથે સંસદમાં રજૂ કરી દીધો છે. આયોગની ભલામણ અનુસાર અંદાજપત્રમાં 2021-22માં 17 રાજ્યોને મહેસુલ ખાધ અનુદાનના રૂપમાં રૂપિયા 1,18,452 કરોડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

 

 

ભાગ-બ

 

 

અંદાજપત્ર સંબોધનના ‘ભાગ-બ’માં કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી સીતારમણે કર પ્રશાસનને સરળ બનાવવા માટે, દાવા વ્યવસ્થાપન અને પ્રત્યક્ષ કરવેરા પ્રશાસનની જટીલતાઓ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. અપ્રત્યક્ષ પ્રસ્તાવ પ્રક્રિયાઓને તર્કસંગત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

 

 

પ્રત્યક્ષ કરવેરા પ્રસ્તાવો

 

નાણાં મંત્રીએ આવકવેરા રીટર્ન ભરવામાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપીને આવકવેરા પ્રક્રિયાઓની સમય મર્યાદાઓમાં ઘટાડો, દાવા સમાધાન સમિતિની રચનાની જાહેરાત કરી હતી, ફેસલેસ ITAT, INRને છૂટ, ઓડિટમાંથી મુક્તિની સમય મર્યાદમાં વધારો અને ડિવિડન્ડની આવકમાં પણ રાહત આપવાની જાહેરાત કરી છે. તેમણે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદેશી રોકાણ આકર્ષવા, સસ્તા અને ભાડાંના મકાનો માટે રાહત, IFSC માટે કર પ્રોત્સાહન, નાના ચેરેટિબલ ટ્રસ્ટોને રાહત આપવા માટે અને સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન જેવા વિવિધ પગલાંની પણ જાહેરાત કરી છે.

 

શ્રીમતી નિર્મલા સીતારમને પોતાના અંદાજપત્ર સંબોધનમાં જણાવ્યું હતું કે, મહામારી હોવા છતાં, દુનિયા એક નવા રૂપમાં ઉભરતી જોવા મળી છે અને ભારત તેમાં એક અગ્રણી ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું હતું કે, આ પરિદૃશ્યમાં આપણી કર પ્રણાલીને પારદર્શક, કૌશલ્યપૂર્ણ હોવી જરૂરી રહેશે અને દેશમાં રોકાણ તેમજ રોજગારીને પ્રોત્સાહન આપવું જોઇએ. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આની સાથે સાથે આપણે આફણા કરદાતાઓ પર લઘુતમ બોજો નાંખવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, કોર્પોટર કરના દરમાં ઘટાડો, ડિવિડન્ડ વિતરણ કરની નાબૂદી અને નાના કરદાતાઓ માટે છુટમાં વૃદ્ધિ સહિત કરદાતાઓ અને અર્થતંત્રના લાભ માટે સરકાર દ્વારા સુધારાઓની એક શ્રૃંખલા રજૂ કરવામાં આવી હતી. નાણાં મંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2020માં આવકવેરા રીટર્ન દાખલ કરનારાઓની સંખ્યા 6.48 કરોડ હતી જે 2014માં રહેલી 3.31 કરોડની સંખ્યામાં ધરખમ વધારો દર્શાવે છે.

 

અંદાજપત્રમાં 75 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને વધારે રાહત આપવામાં આવી છે. એવા વરિષ્ઠ નાગરિકો કે જેઓ પેન્શન અને વ્યાજ સહિતની આવક મેળવી રહ્યાં હોય તેમને આવકવેરા રીટર્ન દાખલ કરવામાં રાહત આપવામાં આવી છે. તેમણે ચુકવમી કરતી બેંકો જ તેમની આવકમાંથી આવશ્યક કર કાપી લેશે. સ્વદેશ પરત આવતા અપ્રવાસી ભારતીયો માટે આવકવેરા સંબંધિત મુશ્કેલ જોગવાઇઓ સરળ બનાવવા માટે વિદેશથી સેવાનિવૃત્ત થયા પછી ભારતમાં પરત આવવા પર આવક સંબંધિત મુદ્દાઓ સરળતાતી ઉકેલવા માટે સરળ નિયમોની જોગવાઇ અંદાજપત્રમાં રજૂ કરવામાં આવી છે. તે અનુસાર, TDS મુક્ત ડિવિડન્ડ ચુકવણી REIT/InvIT અંગે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વિદેશી પોર્ટફોલિયો ધરાવતા રોકારણકારો માટે અંદાજપત્રમાં ઓછા સંધિ દર પર ડિવિડન્ડમાં કર કપાતનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. અંદાજપત્રમાં એવી પણ જોગવાઇ કરવામાં આવી છે કે, ડિવિડન્ડની આવક પર અગ્રીમ કરની જવાબદારી ડિવિડન્ડની ચુકવણી અથવા તેની જાહેરાત પછી જ ઉત્પન્ન થાય છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે આ પગલું, એટલા માટે ભરવામાં આવ્યું છે કારણ કે, શેરધારકો દ્વારા અગ્રીમ કર ચુકવણી કરવા પર ડિવિડન્ડની આવકની સાચી ગણતરી નહોતી થઇ શકતી.

 

નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, સસ્તામાં ઘર ખરીદવા પર મળતા ધિરાણના વ્યાજમાં રૂપિયા 1.5 લાખ સુધીની છૂટની જોગવાઇ 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવશે. સરકાર દ્વારા લોકોને સસ્તામાં ઘર ઉપલબ્ધ કરાવવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે સસ્તા ઘરની યોજના અંતર્ગત કરવેરા મુક્તિનો દાવો કરવા માટે પાત્રતાની સમય મર્યાદા એક વર્ષ માટે વધારીને 31 માર્ચ 2022 સુધી કરી દીધી છે. વિસ્થાપિત શ્રમિકો માટે ભાડાંના સસ્તા મકાન ઉપલબ્ધ કરાવવા માટેની જોગવાઇમાં નાણાં મંત્રીએ સસ્તા ભાડાંની આવાસીય પરિયોજનાઓ માટે કર રાહતની નવી જાહેરાત કરી છે.

 

દેશમાં સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે અને તેમને લાભ પહોંચાડવા માટે શ્રીમતી સીતારમણે સ્ટાર્ટઅપ માટે કર મુક્તિના દાવા કરવા માટેની સમય મર્યાદા એક વર્ષ માટે લંબાવીને 31 માર્ચ 2022 સુધી કરી દીધી છે. આ આદેશ અનુસાર સ્ટાર્ટઅપ માટે સંદર્ભિત કોષમાં રોકાણની મૂડી પર નિયમ આધારિત છૂટ મેળવવા માટે સમય મર્યાદા એક વર્ષ વધારીને 31 માર્ચ 2022 સુધી કરવામાં આવી છે.

 

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ કલ્યાણ ભંડોળોમાં નોકરી આપનારાઓનું અંશદાન જમા કરવામાં વિલંબના કારણે કર્મચારીઓને વ્યાજ/આવકનું કાયમી નુકસાન થાય છે. નોકરીદાતા દ્વારા આવા ભંડોળોમાં કર્મચારીઓનું અંશદાન સમયસર જમા કરાવવામાં આવે તે માટે નાણાં મંત્રીએ જાહેરાત કરી છે જે કર્મચારીના અંશદાન જમા કરવામાં વિંલબ થાય તો નોકરીદાતાને ક્યારેય પણ કપાતનો લાભ આપવામાં આવશે નહીં.

 

આ વર્ષના અંદાજપત્રમાં અનુપાલન પર ભારણ ઓછું કરવા માટે આવકવેરા કાર્યવાહી વર્તમાન છ વર્ષ છે તેમાંથી ઘટાડીને ત્રણ વર્ષ કરવા માટે સમય મર્યાદામાં કાપ મૂકવાની જોગવાઇ કરવામાં આવી છે. કરચોરીના ગંભીર કિસ્રાઓમાં જ્યાં એક વર્ષમાં 50 લાખ અથવા તેનાથી વધારે આવક છુપાવવાના પુરાવા મળે છે તેવા કિસ્સામાં સંબંધિત આકારણીને 10 વર્ષ સુધી ફરી ખોલી શકાય છે પરંતુ તેના માટે અગ્ર મુખ્ય કમિશનરની મંજૂરી મેળવવી આવશ્યક છે.

 

કરવેરા પ્રણાલીમાં દાવા ઘટાડવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા નવા સંકલ્પનો ઉલ્લેખ કરતા નાણાં મંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા ઘોષિત અપ્રત્યક્ષ કર ‘વિવાદ સે વિશ્વાસ’ યોજનાને સારી રીતે અપનાવવામાં આવી છે. 30 જાન્યુઆરી 2021 સુધીમાં 1 લાખ 10 હજારથી વધારે કરદાતાએ આ યોજના અંતર્ગત 85,000 કરોડ રૂપિયાથી વધારેના કર વિવાદો ઉકેલવાનો વિકલ્પ પસંદ કર્યો છે. નાના કરદાતાઓના દાવા વધુ ઘટાડવા માટે શ્રીમતી સીતારમણે એક વિવાદ ઉકેલ સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તે અનુસાર 50 લાખ રૂપિયા સુધીની કર પાત્ર આવક અને 10 લાખ રૂપિયા સુધીની વિવાદગ્રસ્ત આવક સાથે કોઇપણ વ્યક્તિ આ સમિતિમાં  પહોંચવા માટે હકદાર રહેશે અને તેને કાર્યદક્ષતા, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સમિતિની સામે હાજર થવાની જરૂર રહેશે નહીં. નાણાં મંત્રીએ રાષ્ટ્રીય ફેસલેસ આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ કેન્દ્ર સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.  

 

ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને મોટાભાગના વ્યવહારો ડિજિટલ માધ્યમથી કરનારા લોકો પર અનુપાલનનું ભારણ ઓછું કરવા માટે અંદાજપત્રમાં કરવેરા ઓડિટની મર્યાદા વધારવાની જોગવાઇ કરવામાં આવી છે. આનાથી એવા લોકોને લાભ થશે જેઓ 5 કરોડ રૂપિયાથી 10 કરોડ રૂપિયા સુધીના 95 ટકા વ્યવહારો ડિજિટલ માધ્યમથી કરી રહ્યાં છે.

 

વિનિર્માણ ક્ષેત્રમાં વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે અંદાજપત્રમાં ખાનગી રોકાણના ખર્ચ સંબંધિત સ્થિતિઓ, વ્યાવસાયિક ગતિવિધીઓના પ્રતિબંધો અને વિનિર્માણમાં પ્રત્યક્ષ રોકાણ સાથે સંકળાયેલા નિયમોને સરળ બનાવીને રાહત આપવામાં આવી છે. આદેશ અનુસાર વિનિર્માણ માટે એક ભંડોળ એકત્રિત કરવામાં ઝીરો કૂપન બોન્ડ શરૂ કરવામાં આવશે. અંદાજપત્રમાં કર તરીકે એક સક્ષમ ઝીરો કૂપન બોન્ડ બહાર પાડીને નાણાં એકત્ર કરવા અંતર્ગત અધિસૂચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેબ્ટ ભંડોળ માટે પાત્ર બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

 

આંતરરાષ્ટ્રીય નાણાં સેવા કેન્દ્ર (IFSC)ને પ્રોત્સાહન આપવા માટે અંદાજપત્રમાં કર પ્રોત્સાહન રકમની જાહેરાત કરવામાં આવી છે.

 

અંદાજપત્રમાં લિસ્ટેડ સિક્યુરિટીઝથી મૂડીગત લાભો (કેપિટલ ગેઇન), બેંકો અને પોસ્ટ ઓફિસ વગેરેમાંથી ડિવિડન્ડ આવક અને વ્યાજ ના વિવરણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને તે રીટર્ન સરળતાથી ભરવા માટે પહેલાંથી ભરેલું જ રહેશે. પગાર, આવક, કર, ચુકવણી, TDS વગેરેનું વિવરણ પર પહેલાંથી રીટર્નમાં ભરેલું રહેશે.

 

શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ ચલાવનારા નાના ચેરેટિબલ ટ્રસ્ટો પર આવકવેરાનું ભારણ ઓછું કરવા માટે અંદાજપત્રમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત એક કરોડ રૂપિયાથી માંડીને 5 કરોડ રૂપિયા સુધીની વાર્ષિક પ્રાપ્તિ પર રાહતની મર્યાદા વધારવાની જોગવાઇ કરવામાં આવી છે.

 

 

અપ્રત્યક્ષ કરવેરાના પ્રસ્તાવો

 

અપ્રત્યક્ષ કરવેરાના પ્રસ્તાવો અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં વિક્રમી આંકડામાં GSTનું એકત્રીકરણ થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, GSTને ભવિષ્યમાં વધુ સરળ બનાવવા માટે સંખ્યાબંધ ઉપાયો કરવામાં આવ્યા છે. GST પ્રણાલીની ક્ષમતા વધારવામાં આવી છે. વિશેષ અભિયાન હાથ ધરીને કરચોરો અને ખોટા બિલ બનાવનારાઓની ઓળખ કરવા માટે ઉંડા એનાલિટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ ગૃહને આશ્વાસન આપ્યું હતું કે, GSTને વધુ સરળ અને સુનિયોજિત બનાવવા માટે તેમજ વ્યક્ત ડ્યૂટી માળખા જેવી વિસંગતતાઓ દૂર કરવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે.

 

કસ્ટમ ડ્યૂટીની નીતિ અંગે નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ઘરેલું વિનિર્માણને પ્રોત્સાહન આપવા અને ભારતને વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલામાં સામેલ કરવાનો અને નિકાસને વધુ સહાયતા આપવા માટેનો કસ્ટમ ડ્યૂટીનો બેવડો ઉદ્દેશ છે. તેમણે કહ્યું હતું કે, હવે કાચા માલ સરળતાથી મળી રહે અને મૂલ્ય વર્ધિત ઉત્પાદનોની નિકાસને સરળ બનાવી શકાય તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે 400થી વધારે જુની મુક્તિઓની સમીક્ષા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ અંગે સરકાર વ્યાપક પરામર્શ કરશે અને 1 ઓક્ટોબર 2021થી વિકૃતિઓતી મુક્ત સુધારેલી કસ્ટમ ડ્યૂટીનું માળખું અમલમાં મૂકવામાં આવશે. તેમણે પ્રસ્તાવમાં કહ્યું હતું કે, હવે કસ્ટમ ડ્યૂટીમાં કોઇ નવી છુટછાટ તેન બહાર પાડવામાં આવે તે તારીખથી બે વર્ષ પછીની 31 માર્ચ સુધી માન્ય રહેશે.

 

નાણાં મંત્રીએ ચાર્જરના પાર્ટ્સ અને મોબાઇલના પેટા-પાર્ટ્સમાં કેટલીક મુક્તિઓ પાછી ખેંચવામાં આવશે. વધુમાં, મોબાઇલના કેટલાક પાર્ટ્સને નીલમાંથી ખસેડીને 2.5 ટકાના સામાન્ય દરના વર્ગમાં લઇ જવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે, બિન-લોહ, લોહ અને સ્ટેઇનલેસ સ્ટીલના સેમી, ફ્લેટ અને લાંબા ઉત્પાદનો પર 7.5 ટકાની એકસમાન કસ્ટમ ડ્યૂટી લાગુ કરવામાં આવશે.

 

માનવસર્જિત કાપડ માટે કાચામાલના ઇનપુટ્સ પરની ડ્યૂટીને વધુ તર્કસંગત કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને નાણાં મંત્રીએ નાઇલોન ચેઇનને પોલિસ્ટર અને અન્ય માનવસર્જિત રેસાઓની હરોળમાં હાલવવાની જાહેરાત કરી હતી. કેપ્રોલેક્ટમ, નાઇલોન ચિપ્સ અને નાઇલોન રેસાઓ તેમજ યાર્ન પર 5 ટકાના એક સમાન BCD દર કપાતની પણ તેમણે જાહેરાત કરી હતા, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આનાથી કાપડ ઉદ્યોગ, MSME અને નિકાસને ઘણી મદદ મળી રહેશે. તેમણે જાહેરાત કરી હતી કે, સ્થાનિક મૂલ્ય વર્ધનને પ્રોત્સાહન આપવા માટે અને કોઇપણ પ્રકારની વ્યસ્ત સ્થિતિઓ ટાળવા માટે રસાયણ પર કસ્ટમ ડ્યૂટીના દરમાં સુધારો કરવામાં આવશે. મંત્રીશ્રીએ સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટીમાં તર્કસંગતતા લાવવાની પણ જાહેરાત કરી હતી.

 

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, સોલર સેલ અને સોલર પેનલના તબક્કાવાર વિનિર્માણ પ્લાન અંગે અધિસૂચના આપવામાં આવશે જેથી સ્થાનિક ક્ષમતાનું નિર્માણ થઇ શકે. તેમણે, સોલર ઇન્વર્ટર પર ડ્યૂટી 5 ટકાથી વધારીને 20 ટકા કરવાની અને સોલર લાનટેર્ન પર ડ્યૂટી 5 ટકાથી વધારીને 15 ટકા કરવાની પણ જાહેરાત કરી હતી.

 

નાણાં મંત્રીએ પોતાના અંદાજપત્રના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારે મૂડી ઉપકરણના સ્થાનિક સ્તરે વિનિર્માણની અત્યંત સંભાવાનાઓ રહેલી છે. તેમણે કહ્યું હતું કે, આ સંબંધે દરના માળખામાં વ્યાપકપણે સમીક્ષા કરવામાં આવશે. તેમણે ટનલ શારકામના મશીન અને ચોક્કસ ઓટો પાર્ટ્સ પરથી મુક્તિ પાછી ખેંચવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.

 

અંદાજપત્રમાં MSMEને લાભો આપવા માટે કેટલાક ચોક્કસ ફેરફારોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં, સ્ટીલના સ્ક્રૂ, પ્લાસ્ટિક બિલ્ડર વાયરો અને પ્રોન ફીડ પર ડ્યૂટી વધારીને 15% કરવાની દરખાસ્ત સામેલ છે. તેમાં, કપડાં, ચામડું અને હસ્તકળાની વસ્તુઓના નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે ડ્યૂટી મુક્ત વસ્તુઓની આયાત પર મુક્તિને તર્કસંગત ઠેરવવાની પણ જોગવાઈ છે.

 

ખેડૂતોને લાભ આપવાના આશય સાથે, નાણાં મંત્રીએ કપાસ પર ડ્યૂટી વધારવાની જાહેરાત કરી હતી. તેમણે ડિનેચર્ડ (નામંજૂર) કરેલા ઇથાઇલ આલ્કોહોલ પર છેવટના વપરાશ આધારિત મુક્તિ પાછી ખેંચવાની પણ જાહેરાત કરી હતી. નાણાં મંત્રીએ નાના સામાનો પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ ઉપકરનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, ઉપકરનો અમલ કરતી વખતે, અમે ગ્રાહકો પર મોટાભાગની વસ્તુઓ પર વધારાનું ભારણ ના મૂકાય તેનું ધ્યાન રાખ્યું છે.

 

કાર્યવાહીઓમાં તર્કસંગતતા અને અનુપાલનમાં સરળતાના સંદર્ભમાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ADD અને CVD વસૂલાત સંબંધિત કેટલીક જોગવાઇઓમાં ચોક્કસ ફેરફારોનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કસ્ટમ્સ તપાસ પૂરી કરવા માટે, નિશ્ચિત સમયમર્યાદાઓ સૂચવવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2020માં તાત્કાલિક અમલમાં મૂકવામાં આવેલી કસ્ટમ પહેલથી FTAના દુરૂપયોગને અંકુશમાં લેવામાં મદદ મળી છે.



(Release ID: 1694252) Visitor Counter : 6896