પ્રધાનમંત્રીનું કાર્યાલય

સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 16 JAN 2021 1:11PM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ,

નમસ્કાર !

સમગ્ર દેશ આજના દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. કેટલા મહિનાથી દેશના ઘર-ઘરમાં બાળકો, વૃધ્ધો અને યુવાનો, તમામની જીભ ઉપર એ એક જ સવાલ હતો કે કોરોના વાયરસની રસી ક્યારે આવશે ? તો હવે કોરોનાની રસી આવી ગઈ છે. ખૂબ જ ટૂંકાગાળામાં આવી ગઈ છે. હમણાં થોડીક મિનિટો પછી ભારતમાં દુનિયાનું સૌથી મોટુ રસીકરણ અભિયાન શરૂ થઈ જશે. હું તમામ દેશવાસીઓને રસી ઉપલબ્ધ થયા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવુ છું. આજે એ વૈજ્ઞાનિકો, રસી સાથે જોડાયેલા અનેક લોકો કે જે કેટલાક મહિનાઓથી કોરોનાની રસી તૈયાર કરવાની કામગીરીમાં લાગી ગયા હતા તે લોકો ખાસ કરીને અભિનંદનના હક્કદાર છે. તે લોકોએ દિવસ- રાત મહેનત કરી છે. તેમણે ના તો કોઈ તહેવાર જોયો છે કે ના તો દિવસ જોયો છે કે પછી રાત જોઈ છે. સામાન્ય રીતે એક રસી તૈયાર કરવામાં વરસો લાગી જતાં હોય છે, પણ આટલા ટૂંકા ગાળામાં એક નહીં પણ બે બે રસી ઉપલબ્ધ કરવામાં આવી છે. આટલું જ નહીં અનેક રસી માટે ઝડપી ગતિથી કામ ચાલી રહ્યું છે. આ ભારતનું સામર્થ્ય છે, ભારતની વૈજ્ઞાનિક નિપુર્ણતા છે, ભારતની પ્રતિભાનો જીવતો જાગતો પૂરાવો છે. આવી જ સિધ્ધિઓ માટે રાષ્ટ્ર કવિ રામદારી સિંહ દિનકરે કહ્યું હતું કે માનવ જ્યારે જોર લગાવે છે તો, પત્થર પણ પાણી બની જાય છે.!!

ભાઈઓ અને બહેનો,

ભારતનું રસીકરણ અભિયાન ખૂબ જ માનવીય અને મહત્વપૂર્ણ સિધ્ધાંતો ઉપર આધારિત છે. જેમને રસીની સૌથી વધુ જરૂર છે તેવા લોકોને સૌથી પહેલાં રસી આપવામાં આવશે. જેમને કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ સૌથી વધુ છે તેવા લોકોને પહેલાં રસી આપવામાં આવશે. આપણાં જે ડોકટરો છે, નર્સો છે, હૉસ્પિટલના સફાઈ કર્મચારી છે, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ છે તે બધાં લોકો કોરોનાની રસીના સૌ પ્રથમ હક્કદાર છે, પછી ભલેને તે સરકારી હૉસ્પિટલમાં કામ કરતા હોય કે ખાનગી હૉસ્પિટલમાં, બધાંને આ રસી અગ્રતાને આધારે આપવામાં આવશે. ત્યાર પછી એ લોકોને રસી આપવામાં આવશે કે જેમની ઉપર આવશ્યક સેવાઓ અને દેશની રક્ષા અથવા તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે, જેમકે- આપણાં સુરક્ષા દળો હોય, પોલિસ કર્મી હોય કે પછી ફાયર બ્રિગેડના કર્મચારીઓ હોય. આ તમામને અગ્રતાના ધોરણે રસી આપવામાં આવશે. મેં અગાઉ પણ કહ્યું હતું કે આ લોકોની સંખ્યા આશરે 3 કરોડ જેટલી થાય છે. આ તમામના રસીકરણનો ખર્ચ ભારત સરકાર ઉપાડી લેશે.

સાથીઓ,

આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ માટે રાજ્ય સરકારોના સહયોગથી દેશના ખૂણે ખૂણે ટ્રાયલ લેવામાં આવ્યા હતા, ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ જ હેતુ માટે તૈયાર કરવામાં આવેલા કો-વીન રસીકરણ પ્લેટફોર્મ ઉપર રજીસ્ટ્રેશનથી માંડીને ટ્રેકીંગ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને પ્રથમ રસી આપ્યા પછી બીજી રસી ક્યારે આપવામાં આવશે તેની જાણકારી પણ તેમને ફોન મારફતે જણાવવામાં આવશે. હું તમામ દેશવાસીઓને ફરી એક વખત યાદ અપાવવા માંગુ છું કે કોરોના રસીના બે ડોઝ લેવા તે ખૂબ જ જરૂરી છે. એક ડોઝ લીધો અને પછી ભૂલી જાવ તેવી ભૂલ કદી કરશો નહીં. અને નિષ્ણાંતો એવું કહી રહ્યા છે કે પ્રથમ અને બીજા ડોઝની વચ્ચે આશરે એક માસનું અંતર રાખવામાં આવશે. તમારે એ પણ યાદ રાખવાનું રહેશે કે બીજો ડોઝ લીધા પછીના બે સપ્તાહ બાદ તમારા શરીરમાં કોરોના વિરૂધ્ધ જરૂરી શક્તિ વિકસશે. એટલા માટે રસી લગાવ્યા પછી તમે બેદરકારી દાખવશો નહીં, માસ્ક કાઢીને એક બાજુ મૂકી દેશો નહીં. બે ગજનું અંતર ભૂલી જશો નહીં. આવુ બધુ કરવાની જરૂર નથી. હું આપને વિનંતી કરૂં છું કે તમને એક બીજી બાબત પણ ખૂબ જ આગ્રહ સાથે કહેવા માંગુ છું કે જે રીતે તમે ધીરજ દાખવીને કોરોનાનો મુકાબલો કર્યો તેવી જ ધીરજ હવે રસીકરણના સમયમાં પણ દર્શાવવાની છે.

સાથીઓ,

ઈતિહાસમાં એક પ્રકારે કહીએ તો આટલા મોટાપાયા પર રસીકરણ અભિયાન અગાઉ ક્યારેય પણ થયું નથી. આ અભિયાન કેટલું મોટું છે તેનો અંદાજ તમે માત્ર પ્રથમ ચરણને આધારે જ નક્કી કરી શકો છો. દુનિયામાં 100 કરતાં વધુ દેશ એવા છે કે જેની વસતિ 3 કરોડ કરતાં પણ ઓછી છે અને ભારતમાં રસીકરણના પ્રથમ ચરણમાં જ 3 કરોડ લોકોને રસી આપવામાં આવી રહી છે. બીજા ચરણમાં આપણે તેને 30 કરોડની સંખ્યા સુધી લઈ જવાની છે. જે લોકો વૃધ્ધ છે અને ગંભીર બિમારી ધરાવે છે તેમને હવે પછીના ચરણમાં રસી આપવામાં આવશે. તમે કલ્પના કરી શકો છો કે 30 કરોડ કરતાં વધુ વસતિ ધરાવતા દુનિયાના માત્ર ત્રણ જ દેશ છે- ભારત, ચીન અને અમેરિકા. બીજો કોઈ દેશ એવો નથી કે જેની વસતિ આ કરતાં વધુ હોય. એટલા માટે જ ભારતનું રસીકરણ અભિયાન આટલું મોટું ગણાય છે અને આ અભિયાન ભારતનું સામર્થ્ય દર્શાવે છે. અને હું દેશવાસીઓને વધુ એક વાત કહેવા માંગુ છું. આપણાં વૈજ્ઞાનિક અને આપણાં નિષ્ણાંતો, બંને જ્યારે મેડ ઈન ઈન્ડીયા રસીની સુરક્ષા અને અસર બાબતે આશ્વસ્ત છે ત્યારે જે તેમણે રસીનો તાત્કાલિક ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. એટલા માટે જ દેશવાસીઓને કોઈપણ પ્રકારના દુષ્પ્રચાર, અફવા અને પ્રોપેગેન્ડાથી સાવચેત રહેવાનું છે.

સાથીઓ,

ભારતના રસી વૈજ્ઞાનિકો, આપણી તબીબી પ્રણાલિ અને ભારતની પ્રક્રિયા ઉપર સમગ્ર વિશ્વને ખૂબ જ વિશ્વસનિયતા છે અને આ વિશ્વસનિયતા અગાઉથી ચાલી આવી રહી છે. આપણે આપણો વિશ્વાસ પોતાના ટ્રેક રેકોર્ડથી હાંસલ કર્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ,

દરેક ભારતવાસી એ બાબતે ગર્વ અનુભવશે કે સમગ્ર દુનિયામાં આશરે 60 ટકા બાળકોને જે જીવનરક્ષક રસી આપવામાં આવે છે તે ભારતમાં જ બને છે. ભારતની આકરી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી જ તે બહાર આવે છે. ભારતના વૈજ્ઞાનિકો અને રસી સાથે જોડાયેલી આપણી વિશેષતાઓ અંગે દુનિયાનો આ વિશ્વાસ ભારતમાં બનેલી કોરોના રસીને વધુ મજબૂત કરનારો છે. આની કેટલીક વિશેષ બાબતો છે તે હું આજે દેશવાસીઓને જરૂરથી જણાવવાની ઈચ્છા રાખું છું. ભારતની આ રસી વિદેશી રસીની તુલનામાં ખૂબ જ સસ્તી છે અને તેનો ઉપયોગ પણ એટલો જ આસાન છે. વિદેશમાં તો કેટલીક રસી એવી છે કે જેનો એક ડોઝ રૂ. 5000 સુધીની કિંમત ધરાવે છે અને તેને માઈનસ 70 ડીગ્રી તાપમાનમાં ફ્રીઝમાં રાખવી પડે છે, પરંતુ ભારતની રસી એવી ટેકનિકને આધારે બનાવવામાં આવી છે કે જે ભારતમાં વર્ષોથી ચકાસાયેલી અને પ્રયોગ કરાયેલી છે. આ રસી સંગ્રહથી માંડીને પરિવહન સુધીની બાબતોમાં ભારતની સ્થિતિઓ અને પરિસ્થિતિને અનુકૂળ છે. આ રસી હવે ભારતને કોરોના સામેની આપણી લડાઈમાં નિર્ણાયક જીત અપાવશે.

સાથીઓ,

કોરોના સાથેની આપણી લડાઈ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની રહી છે. આ મુશ્કેલ લડાઈ સામે લડવા માટે આપણે આપણો આત્મવિશ્વાસ નબળો નહીં પડવા દઈએ. આવું વચન દરેક ભારતીયમાં દેખાઈ આવે છે. સંકટ ગમે તેટલું મોટું કેમ ના હોય, દેશવાસીઓએ ક્યારેય આત્મવિશ્વાસ ખોયો નથી. ભારતમાં જ્યારે કોરોના પહોંચ્યો ત્યારે દેશમાં કોરોના ટેસ્ટીંગની એક જ લેબ હતી. આપણે આપણાં સામર્થ્યમાં વિશ્વાસ મૂક્યો અને આજે 2300 કરતાં પણ વધુ લેબનું નેટવર્ક આપણી પાસે છે. શરૂઆતમાં આપણે માસ્ક, પીપીઈ કીટ, ટેસ્ટીંગ કીટ, વેન્ટીલેટર જેવા જરૂરી સામાન માટે વિદેશ ઉપર આધાર રાખવો પડતો હતો. આજે આ તમામ પ્રકારના સાધનના નિર્માણમાં આપણે આત્મનિર્ભર બની ગયા છીએ અને તેની નિકાસ પણ કરી રહ્યા છીએ. આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની આ તાકાતને આપણે રસીકરણના આ ગાળા દરમિયાન સશક્ત બનાવવાની છે.

સાથીઓ,

મહાન તેલુગુ કવિ શ્રી ગુરૂજાડા અપ્પારાવે કહ્યું હતું કે - સોન્ત લાભં કૌન્ત મુકુ, પૌરૂગુવાડિકી તોડુ પડવોય દેશમન્ટે મટ્ટી કાદોયિ, દેશમન્ટે મુષુલોય ! આનો અર્થ એવો થાય છે કે બીજાના કામમાં આવે તેવો નિઃસ્વાર્થ ભાવ આપણી અંદર હોવો જોઈએ. માત્ર માટી, પાણી, કાંકરા અને પત્થરથી દેશ બનતો નથી, પરંતુ તેનો એક અર્થ હોય છે. દેશના સમગ્ર દેશના તમામ લોકો કોરોના વિરૂધ્ધની લડાઈ આ ભાવના સાથે લડ્યા છે. આજે આપણે જ્યારે વિતેલા વર્ષ તરફ નજર માંડીએ છીએ ત્યારે એક વ્યક્તિ તરીકે, એક પરિવાર તરીકે અને એક રાષ્ટ્ર તરીકે આપણે ઘણું બધું શિખ્યા છીએ, ઘણું બધુ જોયું છે, જાણ્યું છે અને સમજ્યું પણ છે.

આજે જ્યારે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે ત્યારે હું કોરોના સંકટના એ દિવસોને યાદ કરૂં છું કે જ્યારે કોરોના સંકટનો એક એવો દોર હતો કે જ્યારે દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હતી કે કશુંક કરવું જોઈએ, પરંતુ તેને એટલા રસ્તા મળતા ન હતા. સામાન્ય રીતે બિમારી આવે ત્યારે સમગ્ર પરિવાર બિમાર વ્યક્તિની સંભાળમાં લાગી જતો હોય છે, પરંતુ આ બિમારીએ તો બિમાર વ્યક્તિને જ એકલો પાડી દીધો હતો. અનેક સ્થળોએ નાના નાના બિમાર બાળકોને માતાથી દૂર રાખવા પડતા હતા. માતા પરેશાન રહેતી હતી, પરંતુ ઈચ્છા હોવા છતાં કશું કરી શકતી ન હતી. બાળકને પોતાના ખોળામાં પણ લઈ શકતી ન હતી. ક્યાંક વૃધ્ધ પિતા હોસ્પિટલમાં એકલા પોતાની બિમારી સાથે સંઘર્ષ કરવા માટે મજબૂર બની ગયા હતા. ઈચ્છા હોય તો પણ પોતાના સંતાનો તેમની પાસે જઈ શકતા ન હતા. જે લોકો આપણને છોડીને ચાલ્યા ગયા તે જેના હક્કદાર હતા તેવી પરંપરા મુજબ વિદાય પણ આપી શકાઈ નહીં. જેમ જેમ આપણે આ વિષયે વિચાર કરીએ છીએ ત્યારે મન ડગી જાય છે, ઉદાસ બની જાય છે.

પરંતુ સાથીઓ, સંકટના આ સમયમાં, નિરાશાના એ વાતાવરણમાં એક આશાનો પણ સંચાર થઈ રહ્યો હતો. આપણને બચાવવા માટે જે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા હતા- તે આપણાં ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, આશા વર્કર, સફાઈ કર્મચારી, પોલિસના સાથીદારો અને અન્ય ફ્રન્ટ લાઈન કાર્યકરો. આ બધાં લોકોએ માનવતા તરફની પોતાની જવાબદારીને અગ્રતા આપી હતી. આમાંથી મોટા ભાગના લોકો પોતાના બાળકો અને પોતાના પરિવારથી દૂર રહ્યા હતા. અનેક દિવસો સુધી ઘરે પરત આવ્યા ન હતા. સેંકડો સાથીઓ એવા પણ છે કે જે ક્યારેય ઘરે પરત ફરી શક્યા નથી. તેમણે એક એક જીવ બચાવવામાં પોતાના જીવની આહુતિ આપી દીધી છે. એટલા માટે જ આજે કોરોનાની પ્રથમ રસી આરોગ્ય સેવા સાથે જોડાયેલા લોકોને લગાવીને એક રીતે કહીએ તો સમાજ પોતાનું ઋણ ચૂકવી રહ્યો છે. આ રસી એવા તમામ સાથીદારો તરફ કૃતજ્ઞ રાષ્ટ્રની આદર અંજલિ છે.

ભાઈઓ અને બહેનો,

માનવ ઈતિહાસમાં અનેક આફતો આવી ચૂકી છે. અનેક રોગચાળા ફેલાઈ ચૂક્યા છે. અનેક ભિષણ યુધ્ધ થયા છે, પરંતુ કોરોના જેવા પડકારની કોઈએ કલ્પના પણ કરી ન હતી. આ એક એવી મહામારી છે કે જેનો અનુભવ ના તો વિજ્ઞાનને હતો કે ના તો સમાજને. તમામ દેશોમાંથી એવી તસવીરો આવી રહી હતી, જે સમાચારો આવી રહ્યા હતા તે સમગ્ર દુનિયાની સાથે સાથે સમગ્ર ભારતને વિચલીત કરી રહ્યા હતા. આવી હાલત વચ્ચે દુનિયાના મોટા મોટા નિષ્ણાંતો ભારત બાબતે અનેક આશંકાઓ વ્યક્ત કરી રહ્યા હતા.

પરંતુ સાથીઓ, ભારતની જે ખૂબ મોટી આબાદીને ભારતની નબળાઈ તરીકે ઓળખવામાં આવતી હતી તેને જ આપણે આપણી તાકાત બનાવી દીધી હતી. ભારતે સંવેદનશીલતા અને સહભાગીદારીને લડાઈનો આધાર બનાવ્યો હતો. ભારતે ચોવીસે કલાક સતર્ક રહીને, દરેક ઘટનાક્રમ ઉપર નજર રાખીને યોગ્ય સમયે, યોગ્ય નિર્ણયો લીધા હતા. 30 જાન્યુઆરીના રોજ ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ બહાર આવ્યો હતો, પરંતુ તેના બે સપ્તાહ પહેલાં જ ભારત એક ઉચ્ચ સ્તરની સમિતિ બનાવી ચૂક્યું હતું. ગયા વર્ષે આજનો જ દિવસ હતો કે જ્યારે આપણે કાયદેસર સર્વેલન્સ શરૂ કરી દીધુ હતું. 17 જાન્યુઆરી, 2020ની એ તારીખ હતી કે જ્યારે ભારતે પોતાની પ્રથમ એડવાઈઝરી જારી કરી દીધી હતી. ભારતનો સમાવેશ દુનિયાના એવા દેશોમાં થતો હતો કે જેમણે એરપોર્ટ ઉપર પ્રવાસીઓના સ્ક્રીનીંગની શરૂઆત કરી દીધી હતી.

સાથીઓ,

કોરોના સામેની લડાઈમાં ભારતે જે પ્રકારે ઈચ્છાશક્તિ દર્શાવી છે, જે સાહસ દર્શાવ્યું છે, સામુહિક શક્તિનો જે પરિચય કરાવ્યો છે તે આવનારા દિવસોમાં અનેક પેઢીઓને પ્રેરણા આપવાનું કામ કરશે. યાદ કરો, જનતા કરફ્યુ, કોરોનાની સામે આપણાં સમાજે જે સંયમ અને શિસ્તનો પરિચય કરાવ્યો છે તેમાં દરેક દેશવાસી સફળ થયો છે. જનતા કરફ્યુએ દેશને એક મનોવૈજ્ઞાનિક સ્વરૂપ તરીકે લૉકડાઉન માટે તૈયાર કર્યો હતો. આપણે તાળી, થાળી અને દીપ જલાવીને દેશના આત્મવિશ્વાસને ઉંચો રાખ્યો હતો.

સાથીઓ,

કોરોના જેવા અજાણ્યો શત્રુ કે જેની ક્રિયા- પ્રક્રિયાને મોટા મોટા સમર્થ દેશો પણ માપી શક્યા ન હતી. તેના સંક્રમણને રોકવાની સૌથી અસરકારક રીતે એ હતી કે જે આપણે ત્યાં અમલમાં મૂકવામાં આવી હતી. એ લોકો ત્યાં જ રહ્યા. એટલા માટે દેશમાં લૉકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો પણ આ નિર્ણય આસાન ન હતો. આટલી મોટી વસતિને ઘરની અંદર રાખવી તે ખૂબ જ અશક્ય કામગીરી હતી. તેનો આપણને અનુભવ હતો અને અહીં તો દેશમાં બધુ જ બંધ કરી દેવાનું હતું, લૉકડાઉન કરવાનું હતું. આના કારણે લોકોની રોજી રોટી ઉપર અસર પડશે, અર્થવ્યવસ્થા પર કેવી અસર પડશે તેનો અંદાજ પણ આપણી સામે હતો, પરંતુ દેશજાન હૈ તો જહાન હૈ મંત્રને આધારે ચાલીને પ્રત્યેક ભારતીયના જીવનને બચાવવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી. અને આપણે સૌએ એ જોયું હતું કે સમગ્ર દેશ, સમગ્ર સમાજ, એ ભાવના સાથે તુરત જ સક્રિય થઈ ગયો હતો. અનેક વખત નાની નાની છતાં ખૂબ જ મહત્વની બાબતોની જાણકારી પૂરી પાડવા માટે મેં પણ અનેક વખત દેશવાસીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. એક તરફ જ્યાં ગરીબોને મફત ભોજન પૂરૂ પાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તો બીજી તરફ દૂધ, શાકભાજી, અનાજ, ગેસ, દવા વગેરે જેવી જરૂરી ચીજોનો પૂરવઠો સારી રીતે જાળવવામાં આવ્યો હતો. દેશની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલે તે માટે ગૃહમંત્રાલયે 24X7 કન્ટ્રોલ રૂમ શરૂ કર્યા હતા, જેની ઉપર હજારો ફોનના જવાબ આપવામાં આવતા હતા. લોકોને ઉપાય બતાવવામાં આવતા હતા.

સાથીઓ,

કોરોના સામેની આ લડાઈમાં આપણે ડગલે ને પગલે, દુનિયા સામે ઉદાહરણ રજૂ કરી શક્યા છીએ. એવા સમયમાં કે જ્યારે કેટલાક દેશોએ તો પોતાના નાગરિકોને ચીનમાં વધતા જતા કોરોનાની વચ્ચે છોડી દીધા હતા ત્યારે ભારતે ચીનમાં ફસાયેલા દરેક ભારતીયને પરત લઈ આવવાની વ્યવસ્થા કરી હતી, અને માત્ર ભારતના જ નહીં, આપણે બીજા દેશોના નાગરિકોને પણ ત્યાંથી પરત લઈને આવ્યા હતા. કોરોનાના સમયમાં વંદે ભારત મિશન હેઠળ 25 લાખ કરતાં વધુ ભારતીયોને વિદેશમાંથી ભારત પરત લાવવામાં આવ્યા હતા. મને એ વાત યાદ છે કે એક દેશમાં જ્યારે ભારતીયોનો ટેસ્ટ કરવા માટે મશીનો ઓછા પડી રહ્યા હતા ત્યારે ભારતે સમગ્ર ટેસ્ટીંગ લેબ અહીંથી ત્યાં મોકલીને વ્યવસ્થા શરૂ કરી હતી કે જેથી ત્યાંથી ભારત પરત આવનાર લોકોને ટેસ્ટીંગ માટે કોઈ તકલીફ પડે નહીં.

સાથીઓ,

ભારતે આ મહામારીનો જે રીતે સામનો કર્યો, તેની સમર્થતા આજે સમગ્ર દુનિયા જોઈ રહી છે. કેન્દ્ર અને રાજ્યની સરકારો, સ્થાનિક એકમ, દરેક સરકારી સંસ્થા, સામાજીક સંસ્થાઓ જે રીતે સંગઠીત થઈને બહેતર કામગીરી કરી શક્યા હતા તે ઉદાહરણ પણ ભારતે દુનિયાની સામે મૂક્યું છે. ઈસરો, ડીઓરડીઓ અને લશ્કરથી માંડીને ખેડૂતો અને શ્રમિકો સુધી તમામ લોકો એક સંકલ્પ સાથે કેવી રીતે કામ કરી શકે છે તે ભારતે કરી બતાવ્યું છે. બે ગજની દૂરી, અને માસ્ક છે જરૂરી આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં ભારત મોખરે રહ્યું હતું.

ભાઈઓ અને બહેનો,

આજે આ પ્રયાસોનું જ પરિણામ છે કે ભારતમાં કોરોનાથી થતા મૃત્યુનો દર ઓછો થયો છે અને સાજા થનારા લોકોનો દર ઘણો વધારે છે. દેશના અનેક જીલ્લા એવા છે કે જ્યાં એક પણ વ્યક્તિને આપણે કોરોનાના કારણે ખોવો પડ્યો નથી. આ જીલ્લામાં દરેક વ્યક્તિ કોરોનાથી સાજા થયા પછી પોતાના ઘરે પરત પહોંચી છે. અનેક જીલ્લા એવા પણ છે કે જ્યાં વિતેલા બે સપ્તાહ દરમિયાન કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. અને એટલે સુધી કે લૉકડાઉનની અસરને કારણે પ્રભાવિત અર્થવ્યવસ્થામાંથી બેઠા થવામાં પણ ભારત દુનિયામાં આગળ નિકળી ગયું છે. ભારતનો સમાવેશ દુનિયાના એવા ગણ્યા ગાંઠ્યા દેશોમાં થાય છે કે જેમણે મુશ્કેલી હોવા છતાં પણ દુનિયાને 150 કરતાં વધુ દેશોમાં જરૂરી દવાઓ અને જરૂરી તબીબી સહાય પહોંચાડી છે. પેરાસિટામોલ હોય કે હાઈડ્રોક્સી ક્લોરોક્વિન હોય, ટેસ્ટીંગ માટેનો સામાન હોય કે પછી અન્ય બાબતો હોય. ભારતે બીજા દેશના લોકોને બચાવવા માટે તમામ પ્રકારની કોશિષ કરી છે. આજે આપણે જ્યારે રસી બનાવી લીધી છે ત્યારે પણ ભારતની તરફ દુનિયા આશા અને અપેક્ષાની નજરે જોઈ રહી છે. આપણું રસીકરણ અભિયાન જેમ જેમ આગળ ધપતું જશે, તેમ તેમ દુનિયાના અનેક દેશોને આપણાં અનુભવનો લાભ મળશે. ભારતની રસી, આપણી ઉત્પાદન ક્ષમતા સમગ્ર માનવતાના હિતમાં કામમાં આવે તેવી આપણી કટિબધ્ધતા છે.

ભાઈઓ અને બહેનો,

આ રસીકરણ અભિયાન હજુ લાંબુ ચાલવાનું છે. આપણને લોકોના જીવન બચાવવા માટે સહયોગ આપવાની તક મળી છે અને એટલા માટે આ અભિયાન સાથે જોડાયેલી પ્રક્રિયાને, આ પ્રક્રિયાનો હિસ્સો બનવા માટે દેશમાં અનેક સ્વયં સેવકો આગળ આવી રહ્યા છે અને હું તેમનું સ્વાગત કરૂં છું. વધુ સ્વયં સેવકોને પોતાનો સમય આ સેવા કાર્યમાં આપવા માટે આગ્રહ પણ કરૂં છે. અગાઉ મેં કહ્યું તે મુજબ આ રસીકરણ દરમ્યાન અને તે પછી પણ માસ્ક, બે ગજનું અંતર અને સાફસફાઈ આવશ્યક બની રહેશે. રસી લાગી ગઈ તો એનો અર્થ એવો થતો નથી કે તમે કોરોનાથી બચવાની અન્ય પધ્ધતિઓ છોડી દેશો. આપણે હવે નવું વચન લેવાનું છે- દવાઈ પણ અને કડકાઈ પણ! આપ સૌ સ્વસ્થ રહો તેવી શુભેચ્છા સાથે આ રસીકરણ અભિયાન માટે સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દેશના વૈજ્ઞાનિકોનો, સંશોધકોનો, લેબ સાથે જોડાયેલા તમામ લોકો કે જેમણે સમગ્ર વર્ષ દરમિયાન એક ઋષિની જેમ પોતાનું જીવન સોંપી દીધુ અને દેશ અને માનવતા સમક્ષ આ રસી રજૂ કરી છે તે તમામને પણ હું વિશેષ સ્વરૂપે અભિનંદન પાઠવું છે. તેમનો આભાર માનું છું. મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. તમે જલ્દીથી તેનો લાભ ઉઠાવો. તમે પણ સ્વસ્થ રહો, તમારો પરિવાર પણ સ્વસ્થ રહે, સમગ્ર માનવજાત આ સંકટની પળોમાંથી બહાર આવે અને આપણને સૌને સ્વસ્થતા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ !

SD/GP



(Release ID: 1689686) Visitor Counter : 461