પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સળંગ રેલવે કનેક્ટિવિટીની સુવિધા આપતી આઠ ટ્રેનને લીલીઝંડી બતાવી


ગુજરાતમાં રેલવે ક્ષેત્ર સંબંધિત અન્ય ઘણી પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કર્યું

MGRને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરી

કેવડિયા દુનિયાના એક સૌથી મોટા પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે: પ્રધાનમંત્રી

લક્ષ્ય કેન્દ્રિત પ્રયાસો દ્વારા ભારતીય રેલવેનું પરિવર્તન થઇ રહ્યું છે: પ્રધાનમંત્રી

Posted On: 17 JAN 2021 1:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના વિવિધ પ્રદેશોમાંથી ગુજરાતના કેવડિયા સુધી જોડાતી આઠ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલીઝંડી બતાવી તેનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટ્રેન સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી સળંગ કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ ડભોઇ- ચાણોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાણોદ –કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, નવું વીજળીથી ચાલતું પ્રતાપનગર – કેવડિયા સેક્શન અને ડભોઇ, ચાણોદ તેમજ કેવડિયા ખાતે નવા સ્ટેશનના ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેના ઇતિહાસમાં કદાચ પહેલી વખત દેશના અલગ અલગ સ્થળોનો કોઇ એક જ મુકામ સ્થળ સુધી ટ્રેનનો એકસાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે વર્ણવ્યું હતું કે, કેવડિયા એ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવરનું ગૃહસ્થાન હોવાથી તે મહત્વનું મુકામ છે. આજનો આ કાર્યક્રમ, રેલવે તંત્રની દૂરંદેશી અને સરદાર પટેલના મિશનનું ઉદાહરણ પૂરું પાડે છે.

કેવડિયા સુધીની એક ટ્રેન પુરાચી થલાઇવર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી પણ આવી રહી હોવાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ભારતરત્ન MGRને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. શ્રી મોદીએ સીનેજગત અને રાજકીય મંચ પર તેમની સિદ્ધિઓની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે ટાંક્યું હતું કે, MGRની રાજકીય સફર ગરીબો માટે સમર્પિત હતી અને તેમણે હંમેશા સમાજમાં કચડાયેલા વર્ગના ગૌરવપૂર્ણ જીવન માટે અથાક કામ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમે તેમના આદર્શો પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યાં છીએ. કેવી રીતે કૃતજ્ઞ રાષ્ટ્રએ ચેન્નઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનને MGRનું નામ આપ્યું તેનાં સ્મરણો પણ તેમણે યાદ કર્યાં હતા.

પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, કેવડિયા અને ચેન્નઇ, વારાણસી, રીવા, દાદર અને દિલ્હી તેમજ કેવડિયા અને પ્રતાપનગર વચ્ચે મેમૂ સેવા અને ડભોઇ- ચાણોદની બ્રોડગેજ સેવા, ચાણોદ- કેવડિયા વચ્ચેની નવી રેલવે લાઇનના કારણે શરૂ થયેલી નવી કનેક્ટિવિટી કેવડિયાની વિકાસગાથામાં એક નવું પ્રકરણ આલેખિત કરશે. આનાથી પ્રવાસીઓ અને સ્થાનિક આદિવાસીઓ બંનેને લાભ થશે કારણ કે, આનાથી સ્વરોજગારી અને નોકરીની તકોના નવા આયામો ખુલશે. આ રેલવે લાઇન નર્મદાના કાંઠે આવેલા કરનાલી, પોઇચા અને ગરુડેશ્વર જેવા આસ્થાના ધામો સાથે પણ જોડાણ પૂરું પાડશે.

કેવડિયાની વિકાસ યાત્રાને આગળ ધપાવતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, કેવડિયા હવે માત્ર કોઇ અંતરિયાળ વિસ્તારમાં આવેલો નાનો તાલુકો નથી રહી પરંતુ દુનિયાના સૌથી મોટા પ્રવાસન સ્થળ તરીકે ઓળખ મેળવી રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની સરખામણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વધુ આકર્ષિત કરી રહ્યું છે. રાષ્ટ્રને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું ત્યારથી આજદિન સુધીમાં 50 લાખ કરતાં વધારે પ્રવાસીઓ તેની મુલાકાતે આવી ચુક્યા છે અને કોરોના મહામારીના મહિનાઓ દરમિયાન બંધ રહ્યાં પછી પણ હવે તે મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે. જેમ જેમ કનેક્ટિવિટીમાં સુધારો થાય તેમ કેવડિયા ખાતે દૈનિક આવનારા મુલાકાતીઓની સંખ્યા વધીને એક લાખ થઇ જશે તેવું અનુમાન આંકવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેવડિયા પર્યાવરણનું રક્ષણ કરીને પણ અર્થતંત્ર અને પરિસ્થિતિતંત્રના સુનિયોજિત વિકાસનું ઉત્તમ દૃશ્ટાંત પૂરું પાડે છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રારંભિક તબક્કે કેવડિયાને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે આ વાત એક દીવાસ્વપ્ન જેવી લાગતી હતી. જોકે, જુની કાર્યશૈલીને ધ્યાનમાં રાખીએ તો, આ આશંકાઓમાં તર્ક પણ હતું કારણ કે, તે સમયે આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની કનેક્ટિવિટીના માર્ગો, રસ્તા પર લાઇટો, રેલવે, પ્રવાસીઓને રહેવાની સગવડ જેવી કોઇ જ વ્યવસ્થા નહોતી. હવે, કેવડિયા તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ એક સંપૂર્ણ પારિવારિક પેકેજમાં ફેરવાઇ ગયું છે. અહીંના આકર્ષણોમાં ભવ્ય સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સરદાર સરોવર, વિરાટ સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક, આરોગ્ય વન અને જંગલ સફારી તેમજ પોષણ પાર્ક છે. આ ઉપરાંત, ગ્લો ગાર્ડન, એકતા ક્રૂઝ અને વોટર સ્પોર્ટ્સ જેવા અન્ય આકર્ષણો પણ અહીં ઉપલબ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રવાસનમાં વૃદ્ધિ થઇ રહી હોવાથી સ્થાનિક આદિવાસી યુવાનોને પણ રોજગારી મળી રહી છે અને સ્થાનિક લોકોને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થઇ રહી છે. એકતા મોલમાં સ્થાનિક હસ્ત બનાવટની ચીજો માટે પણ નવી તકો ખુલી રહી છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આદિવાસી ગામડાંઓમાં પ્રવાસીઓ માટે સ્ટે હોમ ઉભા કરવા માટે અંદાજે 200 રૂમ વિકસાવવામાં આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ વધી રહેલા પ્રવાસનને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલા કેવડિયા સ્ટેશન અંગે પણ વાત કરી હતી. આ સ્ટેશનમાં આદિવાસી આર્ટ ગેલેરી છે અને વ્યૂઇંગ ગેલેરી પણ છે જ્યાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો માણી શકાય છે.

પ્રધાનમંત્રીએ લક્ષ્ય કેન્દ્રિત પ્રયાસો દ્વારા ભારતીય રેલવેમાં આમૂલ પરિવર્તન વિશે ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રેલવે દ્વારા મુસાફરોના પરિવહન અને માલસામાનની હેરફેરના માટેની પરંપરાગત ભૂમિકા ઉપરાંત, પ્રવાસન અને ધાર્મિક મહત્વના ધરાવતા સ્થળો સુધી સીધી કનેક્ટિવિટી પણ આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી સહિત સંખ્યાબંધ રૂટમાં આકર્ષક ‘વિસ્ટા-ડોમ કોચ’ સામેલ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ, વિકસી રહેલા રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બદલાયેલા અભિગમનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અગાઉના સમયમાં રેલવેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અસ્તિત્વમાં હતું તેને જ ચાલું રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું અને નવી વિચારધારા અથવા નવી ટેકનોલોજી પર બહુ ઓછું ધ્યાન આપવામાં આવતું હતું. આ અભિગમમાં રૂપાંતરણ લાવવું આવશ્યક હતું. તાજેતરના વર્ષોમાં, સમગ્ર રેલવે તંત્રમાં વ્યાપક પરિવર્તન લાવવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે અને તે કામ માત્ર અંદાજપત્ર રજૂ કરવા અથવા નવી ટ્રેનની જાહેરાતો કરવા પૂરતું મર્યાદિત નહોતું. અનેક મોરચે પરિવર્તન કરવામાં આવ્યું છે. તેમણે કેવડિયાને જોડતી ટ્રેનની વર્તમાન પરિયોજનાનું ઉદાહરણ આપ્યું હતું જેમાં બહુપક્ષીય ધ્યાન આપવાથી વિક્રમી સમયમાં આ કાર્ય પૂરું કરી શકાયું છે.

પ્રધાનમંત્રીએ સમર્પિત ફ્રેઇટ કોરિડોરને પણ અગાઉના સમયની સરખામણીએ બદલાયેલા અભિગમના ઉદાહરણ તરીકે રજૂ કર્યો હતો. પ્રધાનમંત્રીએ તાજેતરમાં જ પૂર્વીય અને પશ્ચિમી સમર્પિત ફ્રેઇટ કોરિડોર સમર્પિત કર્યો હતો. આ પરિયોજના નિર્માણાધીન હતી અને 2006- 2014 દરમિયાન કામ માત્ર કાગળ પર જ થયું હતું પરંતુ વાસ્તવમાં એક કિલોમીટરની રેલવે લાઇન પણ નાંખવામાં આવી નહોતી. તે પછીના પાંચ વર્ષમાં અંદાજે કુલ 1100 કિલોમીટરનું કામ પૂરું કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ દેશમાં વણજોડાયેલા હિસ્સાઓને હવે જોડતી નવી કનેક્ટિવિટી અંગે પણ સ્પષ્ટતા કરી હતી. બ્રોડ ગેજિંગની ગતિ અને વીજળીકરણના કાર્યો પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યાં છે અને ખૂબ જ ઝડપથી ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આના કારણે સેમી હાઇ સ્પીડ ટ્રેન દોડતી થઇ છે અને આપણે હાઇ-સ્પીડ ક્ષમતા તરફ આગળ વધી રહ્યાં છીએ, આ માટે અંદાજપત્રમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, રેલવે હંમેશા પર્યાવરણને અનુકૂળ રહે તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. કેવડિયા સ્ટેશન ભારતનું એવું પ્રથમ રેલવે સ્ટેશન છે જે ગ્રીન બિલ્ડિંગ પ્રમાણપત્ર સાથે શરૂ થયું છે.

તેમણે રેલવે સંબંધિત વિનિર્માણ અને ટેકનોલોજીમાં આત્મનિર્ભરતાના મહત્વ પર ભાર મૂક્યો હતો જેના હવે સારા પરિણામો મળી રહ્યાં છે. સ્થાનિક સ્તરે ઉચ્ચ હોર્સપાવરના ઇલેક્ટ્રિક લોકોમોટિવના વિનિર્માણના કારણે ભારત અત્યારે દુનિયામાં સૌથી પ્રથમ ડબલ સ્ટેક્ડ લોંગ હૉલ કન્ટેઇનર ટ્રેન શરૂ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે, શ્રેણીબદ્ધ સ્વદેશી બનાવટની અત્યાધુનિક ટ્રેન ભારતીય રેલવેનો હિસ્સો બની ગઇ છે.

રેલવે તંત્રના પરિવર્તનની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પ્રધાનમંત્રીએ કૌશલ્યપૂર્ણ વિશેષજ્ઞ માનવબળ અને વ્યાવસાયિકોની જરૂરિયાત પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. આ જરૂરિયાતના કારણે વડોદરા ખાતે માન્યતા પ્રાપ્ત રેલવે યુનિવર્સિટીની સ્થાપના થઇ શકી છે. આ પ્રકારની સંસ્થા ધરાવતા અમુક જ દેશોમાંથી એક ભારત પણ છે. રેલવે પરિવહન માટે અદ્યતન સુવિધાઓ, બહુશાખીય સંશોધન, તાલીમ વગેરે અહીં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 20 રાજ્યોના કૌશલ્યપૂર્ણ યુવાનોને અહીં વર્તમાન અને ભવિષ્યની રેલવેનો સંચાર કરવા તાલીમ આપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ તેમના સંબોધનના સમાપનમાં કહ્યું હતું કે, આનાથી આવિષ્કાર અને સંશોધન દ્વારા રેલવેનું આધુનિકીકરણ કરવામાં મદદ મળશે.

 

SD/GP/BT



(Release ID: 1689382) Visitor Counter : 171