પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેવડિયા આજે મુખ્ય વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે: પ્રધાનમંત્રી મોદી

Posted On: 17 JAN 2021 2:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતાં આવેલા કેવડિયા વિશે કહ્યું હતું કે, આ જગ્યા હવે માત્ર કોઇ અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાનો તાલુકા જેવી નથી રહી પરંતુ દુનિયાના સૌથી મોટા પ્રવાસન સ્થળ તરીકે ઓળખ મેળવી રહી છે. શ્રી મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશના અલગ-અલગ પ્રાંતોમાંથી ગુજરાતના કેવડિયા સાથે જોડાતી આઠ ટ્રેનોને લીલીઝંડી આપી અને રાજ્યમાં કેટલીક રેલવે સંબંધિત પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું ત્યારે આમ જણાવ્યું હતું.

કેવડિયાની વિકાસ યાત્રાને આગળ ધપાવતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, પ્રવાસીઓને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની સરખામણીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વધુ આકર્ષી રહ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું રાષ્ટ્રને લોકાર્પણ થયું છે ત્યારથી આજદિન સુધીમાં 50 લાખથી વધારે પ્રવાસીઓ તેની મુલાકાતે આવી ચુક્યા છે અને કોરોના મહામારીના મહિનાઓ દરમિયાન બંધ રહ્યાં પછી પણ હવે તે મુલાકાતીઓને આકર્ષી રહ્યું છે. જેમ જેમ કનેક્ટિવિટીમાં સુધારો થાય તેમ કેવડિયા ખાતે દૈનિક આવનારા મુલાકાતીઓની સંખ્યા એક લાખ થઇ જશે તેવું અનુમાન આંકવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેવડિયા પર્યાવરણનું રક્ષણ કરીને પણ અર્થતંત્ર અને પરિસ્થિતિતંત્રના સુનિયોજિત વિકાસનું ઉત્તમ દૃશ્ટાંત છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં ત્યારે કેવડિયાને એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ત્યારે આ વાત એક દીવાસ્વપ્ન જેવી લાગતી હતી. જુની કાર્યશૈલીને ધ્યાનમાં રાખીએ તો, આ આશંકાઓમાં તર્ક પણ હતું કારણ કે, આ વિસ્તારમાં કોઇપણ પ્રકારની કનેક્ટિવિટીના માર્ગો, રસ્તા પર લાઇટો, રેલવે, પ્રવાસીઓને રહેવાની સગવડ જેવી કોઇ જ વ્યવસ્થા નહોતી. હવે, કેવડિયા તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ એક સંપૂર્ણ પારિવારિક પેકેજમાં રૂપાંતરિત થઇ ગયું છે. અહીંના આકર્ષણોમાં ભવ્ય સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સરદાર સરોવર, વિરાટ સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક, આરોગ્ય વન અને જંગલ સફારી તેમજ પોષણ પાર્ક છે. અહીં ગ્લો ગાર્ડન, એકતા ક્રૂઝ અને વોટર સ્પોર્ટ્સ જેવા અન્ય આકર્ષણો પણ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવાસનમાં વૃદ્ધિ થઇ રહી હોવાથી અહીંના સ્થાનિક આદિવાસી યુવાનોને પણ રોજગારી મળી રહી છે અને સ્થાનિક લોકોને આધુનિક સગવડો પ્રાપ્ત થઇ રહી છે. એકતા મોલમાં સ્થાનિક હસ્ત બનાવટની ચીજો માટે પણ નવી તકો ખુલી રહી છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, આદિવાસી ગામડાંઓમાં પ્રવાસીઓ માટે સ્ટે હોમ ઉભા કરવા માટે અંદાજે 200 રૂમ વિકસાવવામાં આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ કેવડિયા સ્ટેશન અંગે પણ વાત કરી હતી જે વધી રહેલા પ્રવાસનને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે. તેમાં આદિવાસી આર્ટ ગેલેરી છે અને વ્યૂઇંગ ગેલેરી પણ છે જ્યાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો માણી શકાય છે.

પ્રધાનમંત્રીએ લક્ષ્ય કેન્દ્રિત પ્રયાસો દ્વારા ભારતીય રેલવેના આમૂલ પરિવર્તનનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મુસાફર અને માલસામાનના પરિવહન માટેની પરંપરાગત ભૂમિકા ઉપરાંત રેલવે દ્વારા પ્રવાસન અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો સુધી સીધી કનેક્ટિવિટી પણ મળી રહી છે. તેમણે કહ્યું કે, અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી સહિત સંખ્યાબંધ રૂટમાં આકર્ષક ‘વિસ્ટા-ડોમ કોચ’ સામેલ કરવામાં આવશે.

 

SD/GP/BT



(Release ID: 1689347) Visitor Counter : 289