મંત્રીમંડળ

મંત્રીમંડળે આકાશ મિસાઇલ પ્રણાલીની નિકાસ કરવાની મંજૂરી આપી અને નિકાસને ઝડપી મંજૂરી માટે સમિતિની રચના કરી

Posted On: 30 DEC 2020 5:06PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 30-12-2020

 

આત્મનિર્ભર ભારત અંતર્ગત, ભારત વિવિધ પ્રકારના સંરક્ષણ પ્લેટફોર્મ અને મિસાઇલના વિનિર્માણમાં પોતાની ક્ષમતાઓમાં વૃદ્ધિ કરી રહ્યું છે. આકાશ મિસાઇલ ભારતની ખૂબ જ મહત્વપૂર્ણ મિસાઇલ છે જેમાં 96 ટકાથી વધારે સ્વદેશી ભાગોનો ઉપયોગ કરવામાં આવેલો છે.

આકાશ મિસાઇલ જમીનથી હવામાં લક્ષ્ય સાધી શકતી 25 કિલોમીટર રેન્જની મિસાઇલ છે. આ મિસાઇલ 2014માં ભારતીય વાયુસેનામાં અને 2015માં ભારતીય ભૂમિસેનામાં સામેલ કરવામાં આવી હતી.

આકાશ મિસાઇલને સૈન્ય સેવામાં સામેલ કર્યા પછી આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો/ સંરક્ષણ એક્સ્પો/ એરો ઇન્ડિયામાં ભારતના ઘણા મૈત્રી રાષ્ટ્રોએ તેમાં તેમાં રસ દાખવ્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરીના કારણે હવે ભારતીય વિનિર્માણકારોને વિવિધ દેશો દ્વારા ઇશ્યુ કરવામાં આવતા RFI/RFPમાં ભાગ લેવાની સવલત પ્રાપ્ત થશે.

આજદિન સુધીમાં, ભારતીય સંરક્ષણ નિકાસમાં પાર્ટ્સ/ભાગો વગેરે સામેલ કરવામાં આવ્યા હતા. મોટા પ્લેટફોર્મની નિકાસ ખૂબ જ ઓછા સ્તરે હતી. મંત્રીમંડળની આ પહેલના કારણે હવે દેશને પોતાના સંરક્ષણ ઉત્પાદનો સુધારવામાં મદદ મળશે અને તે વૈશ્વિક સ્તરે સ્પર્ધામાં ઉતરી શકશે.

આકાશ મિસાઇલનું નિકાસનું સંસ્કરણ હાલમાં ભારતીય સૈન્ય દળોમાં તૈનાત કરવામાં આવેલી મિસાઇલ પ્રણાલી કરતાં અલગ હશે.

આકાશ ઉપરાંત, સમુદ્રકાંઠાની દેખરેખ પ્રણાલી, રડાર અને એર પ્લેટફોર્મ જેવા અન્ય મોટા પ્લેટફોર્મમાં પણ વિવિધ દેશોની રુચિ વધી રહી છે. આવા પ્લેટફોર્મને ઝડપથી નિકાસની મંજૂરી આપવા માટે સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને સમાવતી એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.

આ સમિતિ વિવિધ દેશોને મુખ્ય સ્વદેશી પ્લેટફોર્મની નિકાસને અધિકૃતતા આપશે. આ સમિતિ સરકારથી સરકારના માર્ગ સહિત અન્ય  વિવિધ ઉપલબ્ધ વિકલ્પોનું પણ અન્વેષણ કરશે.

ભારત સરકાર ઉચ્ચ મૂલ્યના સંરક્ષણ પ્લેટફોર્મની નિકાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આશય રાખે છે જેથી સંરક્ષણ નિકારના 5 અબજ USDના લક્ષ્યનો પ્રાપ્ત કરી શકાયઅને મિત્ર વિદેશી રાષ્ટ્રો સાથે વ્યૂહાત્મક સંબંધોમાં સુધારો લાવી શકાય.

SD/GP



(Release ID: 1684698) Visitor Counter : 260