વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

DBT/ એન્ટિ-કોવિડ કન્સોર્ટિયમ દ્વારા કોવિડ-1 વિરુદ્ધ ઉપચારાત્મક એન્ટિબાયોટિકનું ઉત્પાદન કરવાના પ્રયાસો થઇ રહ્યા છે


SARS-CoV-2, કોવિડ-19ને નિષ્ક્રિય કરવા માટે એન્ટિબોડીઝનું એનકોડિંગ કરતા જનીનને અલગ કરવામાં આવી રહ્યા છે

Posted On: 12 APR 2020 11:43AM by PIB Ahmedabad

કોવિડ-19 બીમારી નોવલ SARS કોરોનાવાયરસ-2 (SARS-CoV-2)ના કારણે ફેલાય છે અને તેના કારણે અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા છે. જોકે, આ બીમારીની કોઇ ચોક્કસ સારવાર ઉપલબ્ધ ન હોવા છતાં મોટી સંખ્યામાં આ બીમારીના દર્દીઓ સાજા પણ થયા છે. આ વાયરસના સંક્રમણ સામે શરીરમાં ઉત્પન્ન થતા એન્ટિબોડીના કારણે આ દર્દીઓ સાજા થઇ શક્યા છે.

ઘણા વર્ષોથી, ચેપથી સાજા થયા હોય તેવા સ્વસ્થ દર્દીઓના પ્લાઝ્મામાંથી મેળવેલા એન્ટિબોડીના નિષ્ક્રિય સ્થળાંતરણનો ઉપયોગ ડિપ્થેરિયા, ટીટનેસ, હડકવા અને ઇબોલા જેવી સંખ્યાબંધ બીમારીઓની સ્થિતિમાં સારવાર માટે કરવામાં આવે છે. આજે, DNA આધારિત રીકોમ્બિનેન્ટ ટેકનોલોજીની મદદથી લેબોરેટરીમાં આવા ઉપચારાત્મક એન્ટિબોડીઝનું ઉત્પાદન થઇ શકે છે. SARS-CoV-2 સામે ઉપચારાત્મક એન્ટિબોડીઝનું ઉત્પાદન કરવા માટે સમગ્ર દુનિયામાં જોરશોરથી પ્રયાસો થઇ રહ્યા છે.

ભારતમાં, યુનિવર્સિટી ઑફ દિલ્હી સાઉથ કેમ્પસ - સેન્ટર ફોર ઇનોવેશન ઇન ઇન્ફેક્ચ્યુઅસ ડીસિઝ રીસર્ચ, એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (UDSC-CIIDRET)ના પ્રોફેસર વિજય ચૌધરી દ્વારા આવા પ્રયાસો થઇ રહ્યા છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગની ટીમ તેમને આ પ્રયાસોમાં સહકાર આપી રહી છે.

પ્રોફેસર ચૌધરીનું ગ્રૂપ એન્ટિબોડીઝનું એનકોડિંગ કરતા એવા જનીનોને અલગ કરી રહી છે જે પહેલાંથી ઉપલબ્ધ એન્ટિબોડીઝની વિશાળ ઇન-હાઉસ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને તેમજ કોવિડ-19ના ચેપમાંથી સાજા થયા હોય તેવા દર્દીઓના કોષોમાંથી તૈયાર કરવામાં આવેલી લાઇબ્રેરીનો ઉપયોગ કરીને SARS-CoV-2ને નિષ્ક્રિય કરી શકે છે.

આ એન્ટિબોડી જનીનોનો ઉપયોગ લેબોરેટરીમાં રીકોમ્બિનેન્ટ એન્ટિબોડીઝનું ઉત્પાદન કરવા માટે થશે જે, વાયરસને નિષ્ક્રિય કરવામાં સફળતા મળી જશે તો, રોગનિરોધક અને ઉપચારાત્મક બંને હેતુ માટે આ વાયરસ સામે એન્ટિબોડીના કાયમી સ્રોત તરીકે તેનો ઉપયોગ થઇ શકશે.

આ કામ પ્રૉ. ચૌધરીના નેતૃત્વમાં એન્ટિ-કોવિડ કન્સોર્ટિયમના ભાગરૂપે થઇ રહ્યું છે અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇમ્યુનોલોજીના ડૉ. અમુલ્ય પંડા તેમજ પૂણે સ્થિત જીનનોવા બાયોફાર્માસ્યુટિકલ લિમિટેડ (GBL)ના ડૉ. સંજયસિંહ પણ તેમાં સામેલ છે.

[વધુ વિગતો માટે સંપર્ક કરો: પ્રૉ. વિજય કે. ચૌધરી, ઇમેલ: vkchaudhary@south.du.ac.in]

GP/RP

*****



(Release ID: 1613588) Visitor Counter : 194