પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેન્દ્રીય બજેટ 2019-2020 અંગે પ્રધાનમંત્રીના પ્રતિભાવનો મૂળપાઠ

Posted On: 05 JUL 2019 3:34PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 05-07-2019

 

દેશની પહેલી મહિલા નાણા મંત્રી નિર્મલા સીતારમણજી અને તેમની ટીમને હું આ નાગરિકોને અનુકૂળ, વિકાસને અનુકૂળ અને ભવિષ્ય લક્ષિતત બજેટ માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

આ દેશને સમૃદ્ધ અને જન-જનને સમર્થ બનાવનારું બજેટ છે. આ બજેટથી ગરીબને બળ મળશે, યુવાનોને વધુ સારી આવતીકાલ મળશે.

આ બજેટના માધ્યમથી મધ્યમ વર્ગને પ્રગતિ મળશે, વિકાસની ગતિને વેગ મળશે.

આ બજેટથી કર વ્યવસ્થાનું સરળીકરણ થશે, માળખાગત બાંધકામનું આધુનિકીકરણ થશે.

આ બજેટ ઉદ્યમ અને ઉદ્યમીઓને મજબૂત બનાવશે, દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારીને વધુ વધારશે.

આ બજેટ શિક્ષણને વધુ સારું બનાવશે. કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ સંશોધનના લાભને લોકોની વચ્ચે પહોંચાડશે.

આ બજેટમાં આર્થિક જગતના સુધારા પણ છે, સામાન્ય નાગરિક માટે જીવન જીવવાની સરળતા પણ છે અને સાથે જ ગામડા અને ગરીબોનું કલ્યાણ પણ છે.

આ બજેટ એક હરિત બજેટ છે જેમાં પર્યાવરણ, ઇલેક્ટ્રિક મોબિલિટી, સૌર ઊર્જા ક્ષેત્ર પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

છેલ્લા પાંચ વર્ષોમાં દેશ નિરાશાના વાતાવરણને પાછળ છોડી ચૂક્યો છે, તે વાતાવરણમાંથી બહાર નીકળી ગયો છે અને દેશ આશાઓથી ભરેલો છે. આત્મવિશ્વાસથી ભરેલો છે.

વીજળી, ગેસ, માર્ગ, ગંદકી, ભ્રષ્ટાચાર, વીઆઈપી કલ્ચર, અનેક અનેક મુશ્કેલીઓ, સામાન્ય માનવીને પોતાના હક માટે માથાકૂટવાળી જિંદગી, એટલે કે એક રીતે જાતે જ તેણે ઝઝૂમવું પડતું હતું. તેને ઓછું કરવા માટે અમે સતત પ્રયાસ કર્યા છે. સફળતા પણ મળી છે.

આજે લોકોના જીવનમાં નવી આકાંક્ષાઓ અને ઘણી બધી અપેક્ષાઓ... આ બજેટ દેશને વિશ્વાસ આપી રહ્યો છે કે તેમને પૂરા કરી શકાય તેમ છે. તે વિશ્વાસ અપાવી રહ્યો છે કે દિશા સાચી છે, પ્રક્રિયા બરાબર છે, ગતિ સાચી છે અને એટલા માટે લક્ષ્ય પર પહોંચવાનું પણ નક્કી છે.

આ બજેટ આશા, વિશ્વાસ અને આકાંક્ષાનું બજેટ છે. આ બજેટ 21મી સદીના ભારતની અપેક્ષાઓને પૂર્ણ કરવાનું અને નવા ભારતનાં નિર્માણમાં એક મહત્વની કડી સાબિત થશે.

આ બજેટ વર્ષ 2022 એટલે એ આઝાદીના 75 વર્ષ સાથે જોડાયેલ સંકલ્પોને પૂરા કરવામાં દેશનો માર્ગ નિર્ધારિત કરશે.

છેલ્લા પાંચ વર્ષ અમારી સરકારે ગરીબ, ખેડૂત, અનુસુચિત જાતિ, પીડિત, શોષિત, વંચિતને સશક્ત કરવામાં, સામર્થ્યવાન બનાવવા માટે અનેકવિધ પગલાઓ ભર્યા છે. હવે આગામી પાંચ વર્ષોમાં આ જ સશક્તીકરણ તેમને દેશના વિકાસનું ઊર્જા કેન્દ્ર બનાવશે.

5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે કે પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થાના સપનાને પૂરું કરવાની ઊર્જા દેશને આ જ ઊર્જાકેન્દ્રમાંથી મળશે.

બજેટમાં કૃષિ ક્ષેત્રમાં માળખાગત સુધારા માટે નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ખેડૂત સન્માન ભંડોળના માધ્યમથી ખેડૂતોને સીધા લગભગ 87 હજાર કરોડ રૂપિયાનું હસ્તાંતરણ હોય કે પછી 10 હજારથી વધુ ફાર્મર પ્રોડ્યુસર ઓરીજીનેશન (એફપીઓ)નો સંકલ્પ, માછીમારો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હોય કે નેશનલ વેરહાઉસિંગ ગ્રીડની સ્થાપના, આ યોજનાઓ વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવામાં અસરકારક ભૂમિકા નિભાવશે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં રોકાણ વધારવાથી ગામડાઓમાં જ રોજગારના નવા અવસર પણ ઉભા થશે.

જન શક્તિ વિના જળ સંચય પણ શક્ય નથી. જળ સંચય જન આંદોલનની ભાવના વડે જ થઇ શકે છે. આ બજેટમાં વર્તમાન જ નહિં, ભવિષ્યની પેઢીની ચિંતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સ્વચ્છ ભારત મિશનની જેમ જ દરેક ઘરમાં જળનું અભિયાન દેશને જળ સંકટ સામે લડવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ બનાવશે.

બજેટમાં લેવામાં આવેલા નિર્ણયો આગામી દાયકાના પાયાને મજબૂત કરવાની સાથે જ નવયુવાનોની માટે નવી સંભાવનાઓના દ્વાર ખોલશે.

આ બજેટ તમારી અપેક્ષાઓને, તમારા સપનાઓને, તમારા સંકલ્પોનું ભારત બનાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું છે.

હું કાલે કાશીમાં આ વિષય અંગે વિસ્તારથી ચર્ચા કરવાનો છું. પરંતુ આજે હું હમણાં ફરી એકવાર નાણા મંત્રી અને તેમની આખી ટીમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને ભારતના તમામ નાગરિકોને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક અનેક શુભકામનાઓ આપું છું.

ખૂબ-ખૂબ આભાર.

.

 

DK/NP/J.Khunt/GP



(Release ID: 1577532) Visitor Counter : 294