મંત્રીમંડળ

મંત્રીમંડળે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના અવસરે કેદીઓની વિશેષ માફીને મંજૂરી આપી

Posted On: 18 JUL 2018 5:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકે આજે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે કેદીઓને વિશેષ માફી આપવા માટે મંજૂરી આપી દીધી છે.

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે નીચેની શ્રેણીઓના કેદીઓને વિશેષ માફી માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે અને તેમને ત્રણ તબક્કામાં મુક્ત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં કેદીઓને 2 ઓક્ટોબર, 2018 (મહાત્મા ગાંધીની જન્મ જયંતી)ના રોજ મુક્ત કરવામાં આવશે, બીજા તબક્કાના કેદીઓને 10 એપ્રિલ 2019 (ચંપારણ સત્યાગ્રહ જયંતી)ના રોજ આઝાદ કરવામાં આવશે અને ત્રીજા તબક્કાના કેદીઓને 2 ઓક્ટોબર, 2019 (મહાત્મા ગાંધીની જન્મ જયંતી)ના રોજ સ્વતંત્ર કરવામાં આવશે:

  1. 55 વર્ષ કે તેથી વધુ વયની મહિલા કેદીઓ કે જેમણે તેમની સજાનો વાસ્તવિક 50 ટકા જેટલો સમયગાળો પૂરો થઈ ગયો છે.
  2. 55 વર્ષ કે તેથી વધુ વયના કિન્નર કેદીઓ કે જેમણે તેમની સજાનો 50 ટકા જેટલો સમયગાળો પૂર્ણ કર્યો છે.
  3. 60 વર્ષ કે તેથી વધુ વયના પુરુષ કેદીઓ કે જેમણે તેમની સજાનો 50 ટકા સમયગાળો પૂરો કર્યો છે.
  4. શારીરિક અક્ષમ કે વિકલાંગતા ધરાવતા કેદીઓ કે જેઓ 70 ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવે છે અને જેમણે તેમની વાસ્તવિક સજાનો 50 ટકા સમયગાળો પૂરો કરી નાખ્યો છે.
  5. જીવલેણ રોગોથી ગ્રસ્ત ગુનેગારો
  6. દોષિત કેદીઓ કે જેમણે તેમની વાસ્તવિક સજાનો બે તૃતીયાંશ (66 ટકા) સમયગાળો પૂરો કર્યો છે.

એવા કેદીઓને વિશેષ માફી નહી આપવામાં આવે જેઓ મૃત્યુદંડની સજા ભોગવી રહ્યા છે અથવા જેમની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં ફેરવી નાખવામાં આવી છે. તે સિવાય દહેજ મૃત્યુ, બળાત્કાર, માનવ તસ્કરી અને પોટા, યુએપીએ, ટાડા, એફઆઈસીએન, પોસ્કો એક્ટ, નાણાની ગેરકાયદે હેરફેર, ફેમા, એનડીપીએસ, ભ્રષ્ટાચાર અટકાયત કાયદો વગેરે અંતર્ગત રહેલા આરોપીઓને પણ તેમાં સામેલ કરવામાં નહીં આવે.

ગૃહ મંત્રાલય તમામ યોગ્ય કેદીઓના મામલાની ઓળખ કરવા માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સૂચનો જાહેર કરશે. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટને આ કેસોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવા માટેની સલાહ આપવામાં આવશે. રાજ્ય સરકારો આ સમિતિની ભલામણોને રાજ્યપાલની પાસે બંધારણની કલમ 161 હેઠળ વિચાર-વિમર્શ અને મંજૂરી માટે મોકલશે. મંજૂરી મેળવ્યા બાદ કેદીઓને 2 ઓક્ટોબર, 2018, 10 એપ્રિલ, 2019 અને 2 ઓક્ટોબર, 2019ના રોજ મુક્ત કરવામાં આવશે.

પૂર્વભૂમિકા:

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી એ એક મહત્વપૂર્ણ અવસર છે અને આ અગત્યના અવસર પર કેદીઓને આપવામાં આવતી વિશેષ મુક્તિ એ ઉજવણી માટે ઇચ્છનીય અને ઉપયુક્ત છે અને તે રાષ્ટ્રપિતા તેમજ મહાત્મા ગાંધી જે મૂલ્યો માટે અડગ રહ્યા હતા તેવા માનવીય મૂલ્યો પ્રત્યે શ્રદ્ધાંજલિ બની રહેશે.

 

RP



(Release ID: 1539180) Visitor Counter : 256