પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવા નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કર્યો

Posted On: 06 JUN 2018 1:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના યુવાન નવપ્રવર્તકો અને સ્ટાર્ટ અપ ઉદ્યોગસાહસિકો સાથે વાર્તલાપ કર્યો હતો. સરકારી યોજનાઓના વિવિધ લાભાર્થીઓ સાથે વીડિયો બ્રિજના માધ્યમથી પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા વાર્તાલાપ શ્રુંખલાનો આ ચોથો સંવાદ હતો.

ભારતના નવયુવાનો રોજગાર નિર્માણકર્તાઓ બનતા આનંદની અનુભૂતિ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર વસ્તી વિષયક લાભાંશનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે પૂરતી મૂડી, સાહસ અને લોકો સાથેનો સંપર્ક એ કોઇપણ સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં સફળ થવા સૌથી જરૂરી બાબતો હોય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલનો સમય અગાઉની સરખામણીએ ઘણો બદલાઈ ગયો છે જ્યારે સ્ટાર્ટ અપનો અર્થ માત્ર ડિજિટલ અને ટેકનોલોજી નવીનીકરણ પુરતો મર્યાદિત હતો. તેમણે જણાવ્યું કે હવે ઘણા ક્ષેત્રોમાં સ્ટાર્ટ અપ ઉદ્યમીઓ જોવા મળે છે. 28 રાજ્યો, 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 419 જિલ્લાઓમાં સ્ટાર્ટ અપ શરૂ કરવામાં આવ્યા છે. તેમાંથી 44 ટકા સ્ટાર્ટ અપની નોંધણી બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં કરવામાં આવી છે કારણ કે ભારત તેમના વિસ્તારોમાંથી સ્થાનિક નવપ્રવર્તકોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. આ ઉપરાંત, 45 ટકા સ્ટાર્ટ અપ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.

શ્રી નરેન્દ્ર મોદીએ એ બાબતનું પણ સ્પષ્ટીકરણ કર્યું કે કંઈ રીતે સરકાર અંતર્ગત હવેથી પેટન્ટની અને ટ્રેડમાર્કની નોંધણી કરાવવી સરળ બની ગઈ છે. સરકારે ટ્રેડમાર્કની નોંધણી માટે જરૂરી ફોર્મની સંખ્યાને 74થી ઘટાડીને માત્ર 8 કરી દીધી છે જેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં ટ્રેડમાર્કની નોંધણીમાં ત્રણ ગણો વધારો થયો છે. પાછલી સરકારની સરખામણીએ હાલમાં નોંધવામાં આવેલ પેટન્ટની સંખ્યામાં પણ ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.

યુવાન ઉદ્યોગ સાહસિકો સાથેના વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે 10,000 કરોડ રૂપિયાના ‘ફંડ ઑફ ફંડ’નું નિર્માણ કર્યું છે જેથી કરીને એ બાબતની ખાતરી કરી શકાય કે યુવાન ઉદ્યોગ સાહસિકોને તેમના સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે નાણાની તંગીનો સામનો ન કરવો પડે અને યુવાનોને પણ નવીનીકરણ તરફ આકર્ષવા માટે માર્ગદર્શન આપી શકાય. ‘ફંડ ઑફ ફંડ’ના માધ્યમથી રૂ. 1285 કરોડનું ભંડોળ અત્યાર સુધીમાં નિર્ધારિત કરી દેવામાં આવ્યું છે જે રૂ. 6980 કરોડના કુલ ભંડોળમાંથી વેન્ચર ફંડમાં ઉપયોગ કરવામાં આવ્યું છે.

ભારતની સ્ટાર્ટ અપ પ્રણાલીને તીવ્ર ગતિએ આગળ વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે જાણકારી આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકારી ઈ-માર્કેટ પ્લેસ (જીઈએમ)ને સ્ટાર્ટ અપ ઇન્ડિયા પોર્ટલ સાથે જોડી દેવામાં આવી છે જેથી કરીને સ્ટાર્ટ અપ પોતાના ઉત્પાદનોને સરકારને વેચી શકે. સ્ટાર્ટ અપને ત્રણ વર્ષ માટે આવક વેરામાંથી મુક્તિ આપવામાં આવી છે. છ મજુર કાયદાઓ અને ત્રણ પર્યાવરણીય કાયદાઓને બદલવામાં આવ્યા છે જેથી કરીને યુવાન ઉદ્યોગ સાહસિકોને માત્ર સ્વ-પ્રમાણિત કરવાની જરૂર પડે. સરકારે સ્ટાર્ટ અપ ઇન્ડિયા હબ નામનું એક વન સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ પણ શરૂ કર્યું છે કે જ્યાં સ્ટાર્ટ અપ તથા તેને લગતી તમામ માહિતી ઉદ્યોગ સાહસિકો માટે ઉપલબ્ધ છે.    

ચર્ચામાં ભાગ લેનારાઓ સાથે વાતચીત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે યુવાનોમાં નવીનીકરણ અને સ્પર્ધાની ભાવનાને વિકસિત કરવા માટે સરકારે અટલ ન્યુ ઇન્ડિયા ચેલેન્જ, સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન અને એગ્રીકલ્ચર ગ્રાન્ડ ચેલેન્જ જેવી વિવિધ સ્પર્ધાઓ શરૂ કરી છે. પ્રધાનમંત્રીએ સિંગાપોર અને ભારતના નવપ્રવર્તકોની વચ્ચે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન જેવી સ્પર્ધાઓ યોજવા અંગે સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે થયેલી તેમની ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતમાં નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. યુવાનોને સંશોધન અને નવીનીકરણના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા માટે સમગ્ર દેશમાં આઠ સંશોધન પાર્ક અને 2500 અટલ ટીંકરીંગ પ્રયોગશાળાઓની સ્થાપના કરવામાં આવી રહી છે.

નવપ્રવર્તકોને સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ યુવાનોને કૃષિ ક્ષેત્રમાં કઈ રીતે પરિવર્તન લાવી શકાય તે અંગે વિચારવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ‘મેક ઇન ઇન્ડિયા’ની સાથે જ ‘ડીઝાઇન ઇન ઇન્ડિયા’ એ ખૂબ જરૂરી છે. પ્રધાનમંત્રીએ યુવાનોને નવીન આવિષ્કારો કરતા રહેવા પ્રોત્સાહન આપ્યું અને ‘ઇનોવેટ ઓર સ્ટેગનેટ’નો મંત્ર આપ્યો હતો.

પ્રધાનમંત્રી સાથે વાતચીત કરતા યુવાન નવપ્રવર્તકોએ જણાવ્યું કે કઈ રીતે સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત વિવિધ યોજનાઓએ તેમને તેમના નવા સ્ટાર્ટ અપ શરૂ કરવામાં મદદ કરી હતી. ઉદ્યોગ સાહસિકો અને નવપ્રવર્તકોએ કૃષિથી માંડીને બ્લોક ચેન ટેકનોલોજી સહિતના તેમના નવીન આવિષ્કારો અંગેની માહિતી પ્રધાનમંત્રીને આપી હતી. વિવિધ અટલ ટીંકરીંગ લેબના શાળાના બાળકોએ પ્રધાનમંત્રી સાથે તેમના નવીન સંશોધનો વહેંચ્યા હતા. પ્રધાનમંત્રીએ શાળાના બાળકોને તેમના વૈજ્ઞાનિક કૌશલ્ય માટે અભિનંદન પાઠવ્યા અને આ પ્રકારના અન્ય નવા વધુ આવિષ્કારો સાથે આગળ આવવા પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ ‘ઇનોવેટ ઇન્ડિયા’ને જન આંદોલન બનાવવા માટે રાષ્ટ્રને સ્પષ્ટ અને બુલંદ અવાજમાં આહવાન કર્યું હતું. તેમણે નાગરિકોને તેમના વિચારો અને નવીન આવિષ્કારોને હેશટેગ ઇનોવેટ ઇન્ડિયા (#InnovateIndia) સાથે શેર કરવા જણાવ્યું હતું.

 

NP/J.Khunt/RP



(Release ID: 1534629) Visitor Counter : 169