માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના યોગદાન અને એક પ્રખ્યાત સિનેમેટિક સફર માટે વર્ષ 2024ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે


22મી સપ્ટેમ્બર 2026ના રોજ કેવડિયા, ગુજરાત ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે

પોસ્ટેડ ઓન: 16 SEP 2026 6:18PM by PIB Ahmedabad

દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિલેક્શન કમિટીની ભલામણ પર, ભારત સરકાર જાહેરાત કરતાં આનંદ અનુભવે છે કે ભારતીય સિનેમાના વિકાસ અને ઉત્થાનમાં તેમના ઉત્કૃષ્ટ અને અમૂલ્ય યોગદાનની માન્યતા રૂપે દિગ્ગજ અભિનેતા શ્રી અનંત નાગને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ તેમની 5 થી વધુ દાયકાઓ સુધી વિસ્તરેલી પ્રખ્યાત સિનેમેટિક સફરને માન્યતા આપે છે, જેણે કલાકારોની પેઢીઓને પ્રેરણા આપી છે અને દેશના સાંસ્કૃતિક પરિદ્રશ્યને સમૃદ્ધ બનાવ્યું છે. 22મી સપ્ટેમ્બર, 2026 ના રોજ કેવડિયા, ગુજરાત ખાતે યોજાનાર 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રી અનંત નાગને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

 

શ્રી અનંત નાગ વિશે

શ્રી અનંત નાગ (જન્મ 4 સપ્ટેમ્બર 1948, કર્ણાટક) એ ભારતીય સિનેમામાં 5 દાયકાથી વધુ સમયના તેમના યોગદાન અને બહુમુખી પ્રતિભા માટે જાણીતા દિગ્ગજ ભારતીય અભિનેતા છે. તેમણે કન્નડ ફીચર ફિલ્મ 'સંકલ્પ' થી તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી અને 'અંકુર' થી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો, તેમણે 'માલગુડી ડેઝ' જેવી નોંધપાત્ર કૃતિઓ સહિત કન્નડ, હિન્દી, તેલુગુ, મલયાલમ, તમિલ અને મરાઠી સિનેમામાં 300 થી વધુ ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવ્યા છે.

શ્રી અનંતે કર્ણાટક રાજ્ય ઉત્સવ એવોર્ડ, કર્ણાટક સાહિત્ય એકાદમી એવોર્ડ અને કર્ણાટક સ્ટેટ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સાથે પાંચ ફિલ્મફેર એવોર્ડ અને પાંચ કર્ણાટક સ્ટેટ બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યા છે. તેઓ બેંગલોર યુનિવર્સિટી (ઉત્તર) માંથી ઓનરરી ડોક્ટરેટ પણ ધરાવે છે. 2023 માં, તેમણે સિનેમામાં તેમની 50-વર્ષની કારકિર્દીની ગોલ્ડન જુબિલી (સુવર્ણ જયંતી) ઉજવી હતી.

સિનેમા સિવાય, શ્રી અનંતે 1988 થી 1994 સુધી કર્ણાટક લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે અને 1994 થી 1999 સુધી લેજિસ્લેટિવ એસેમ્બલીના સભ્ય તરીકે સેવા આપી હતી, જે દરમિયાન તેમણે બેંગલોર સિટી ડેવલપમેન્ટના રાજ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. 2025 માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. આજે, શ્રી અનંત નાગ ભારતના સૌથી આદરણીય સાંસ્કૃતિક ચહેરાઓમાંના એક છે, જેઓ તેમની બહુમુખી પ્રતિભા, નમ્રતા અને ભારતીય સિનેમામાં કાયમી યોગદાન માટે પ્રશંસા પામ્યા છે.

દાદાસાહેબ ફાળકે એવોર્ડ વિશે

1969 માં દેવિકા રાનીને સૌપ્રથમ આ પુરસ્કાર આપીને આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ભારત સરકારે ભારતીય સિનેમામાં દાદાસાહેબ ફાળકેના યોગદાનની યાદમાં આ એવોર્ડ શરૂ કર્યો હતો, જેમણે 1913 માં ભારતની પ્રથમ પૂર્ણ-લંબાઈની ફીચર ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' નું નિર્દેશન કર્યું હતું. સિનેમાના ક્ષેત્રમાં સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત, પ્રાપ્તકર્તાઓને 'ભારતીય સિનેમાના વિકાસ અને ઉત્થાનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન' માટે માન્યતા આપવામાં આવે છે. આ એવોર્ડમાં સ્વર્ણ કમળ (ગોલ્ડન લોટસ) મેડલિયન, એક શાલ અને ₹10 લાખનો રોકડ પુરસ્કાર સામેલ છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2311057) મુલાકાતી સંખ્યા : 23