ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે ICWA ની 25મી વર્ષગાંઠની ઉજવણીને સંબોધિત કરી


ઉપરાષ્ટ્રપતિએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને MEA ટીમની સફળ બ્રિક્સ શિખર સંમેલન બદલ અભિનંદન પાઠવ્યા

માનવ પ્રગતિ અને વિશ્વ શાંતિ ત્યારે જ શક્ય છે જ્યારે રાષ્ટ્રો એકબીજાની ચિંતાઓને ઓળખે અને પરસ્પર લાભ માટે કામ કરે: ઉપરાષ્ટ્રપતિ

"ભારત શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે એક મજબૂત અવાજ તરીકે વૈશ્વિક મંચ પર ઉભરી રહ્યું છે": ઉપરાષ્ટ્રપતિ

પોસ્ટેડ ઓન: 15 SEP 2026 2:34PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ (ICWA) ના પ્રમુખ, શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે સપ્રુ હાઉસ, નવી દિલ્હી ખાતે નેશનલ ઈમ્પોર્ટન્સની સંસ્થા તરીકે ICWA ની 25મી વર્ષગાંઠની ઉજવણીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે રજત જયંતી એ કૃતજ્ઞતા અને ચિંતનનો અવસર છે અને કાઉન્સિલના વિશિષ્ટ વારસામાં યોગદાન આપનારા સ્થાપકો, ભૂતપૂર્વ નેતાઓ, મહાનિદેશકો (ડાયરેક્ટર્સ જનરલ), વિદ્વાનો, રાજદ્વારીઓ, સંશોધકો અને કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


 

ઉપરાષ્ટ્રપતિએ બ્રિક્સ શિખર સંમેલનના સફળ આયોજન બદલ વિદેશ મંત્રી અને ICWA ના ઉપપ્રમુખ ડૉ. એસ. જયશંકર, વિદેશ સચિવ શ્રી વિક્રમ મિશ્રી અને વિદેશ મંત્રાલયની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે સંઘર્ષો અને વિરોધાભાસોથી અશાંત વિશ્વમાં, નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશનનું સર્વસંમતિથી સ્વીકાર થવો એ એક નોંધપાત્ર સિદ્ધિ હતી.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૂટનીતિનો પ્રથમ ઉદ્દેશ્ય રાષ્ટ્રો વચ્ચે સારા સંબંધો બાંધવાનો છે. માનવ પ્રગતિ અને વિશ્વ શાંતિ સાથે સાથે ચાલવા જોઈએ અને આ ત્યારે જ શક્ય છે જ્યારે દેશો એકબીજાની ચિંતાઓને ઓળખે અને પરસ્પર લાભ તરફ કામ કરે, તેમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકા પર પ્રકાશ પાડતા, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારત શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે વસુધૈવ કુટુંબકમ, વિશ્વ એક પરિવાર છે, તે વિભાવના પર ભાર મૂક્યો હતો અને આ ફિલસૂફીના અમલીકરણના ઉદાહરણો તરીકે કોવિડ કટોકટી દરમિયાન વેક્સિન મૈત્રી, ભારતના આફત-રાહત પ્રયાસો, LiFE અને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જેવી વૈશ્વિક પહેલો ટાંકી હતી.

ઉપરાષ્ટ્રપતિએ UPI અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારતની સિદ્ધિઓને રેખાંકિત કરી હતી, અને અવલોકન કર્યું હતું કે "પારદર્શક ચુકવણી પ્રણાલીઓ પારદર્શક શાસન તરફ દોરી જાય છે." તેમણે કહ્યું કે ભારત ITEC અને શૈક્ષણિક સહયોગ દ્વારા ભારત બહાર ઝાંઝીબારમાં પ્રથમ IIT કેમ્પસ સહિતની તેની તકનીકી અને સંસ્થાકીય ક્ષમતાઓ ગ્લોબલ સાઉથ સાથે શેર કરી રહ્યું છે. "ભારત ગ્લોબલ સાઉથનું નેતૃત્વ કરવા માટે વૈશ્વિક મંચ પર ઉભરી રહ્યું છે," તેમણે ભારતના આંતરરાષ્ટ્રીય ભાગીદારોના વધતા વિશ્વાસ અને ભરોસાની નોંધ લેતા કહ્યું હતું.

શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે બદલાતા વૈશ્વિક વાતાવરણે ICWA ની ભૂમિકાને વધુ મહત્વપૂર્ણ બનાવી છે. તેમણે કાઉન્સિલ માટે ચાર પ્રાથમિકતાઓની રૂપરેખા આપી: ભારતની નેબરહુડ ફર્સ્ટ, એક્ટ ઈસ્ટ, ગ્લોબલ સાઉથ અને ઈન્ડો-પેસિફિક પ્રાથમિકતાઓ પર સંશોધનને મજબૂત બનાવવું; સાયબર સુરક્ષા, સ્પેસ, ક્રિટિકલ ટેકનોલોજી અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર કામનો વિસ્તાર કરવો; યુનિવર્સિટીઓ અને યુવા વિદ્વાનો સાથે જોડાણ ગાઢ કરવું; અને પ્રમાણભૂત ભારતીય દ્રષ્ટિકોણ સાથે વિશ્વ બાબતો પર જ્ઞાનનું એક વિશ્વસનીય ભંડાર બનવું.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ICWA એ વિકસિત ભારત @ 2047 માટે બૌદ્ધિક અને સંસ્થાકીય રીતે પોતાની જાતને તૈયાર કરવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય બાબતોના અભ્યાસ માટે વિશ્વના આદરણીય કેન્દ્રોમાંથી એક બનવાની દિશામાં કામ કરવું જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કાઉન્સિલ તેની ગોલ્ડન જ્યુબિલી સુધીમાં ભારત અને શાંતિપૂર્ણ વિશ્વ વ્યવસ્થા માટે વધુ મોટું યોગદાન આપશે.

ઉપરાષ્ટ્રપતિએ ICWA ની યાત્રા અને વિકાસને દર્શાવતા ફોટો પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી અને કાઉન્સિલમાં તેમના યોગદાનની કદર રૂપે ભૂતપૂર્વ મહાનિદેશકોને સ્મૃતિચિહ્નો અર્પણ કર્યા હતા.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2310407) મુલાકાતી સંખ્યા : 19