રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ NIFTનાં 18 કેમ્પસનાં સંયુક્ત પદવીદાન સમારોહની શોભા વધારી
વિદ્યાર્થીઓએ વૈશ્વિક દ્રષ્ટિકોણ જાળવી રાખવો જોઈએ અને સાથે સાથે તેમના મૂળિયાં અને આપણી સંસ્કૃતિના મુખ્ય મૂલ્યો સાથે દ્રઢપણે જોડાયેલા રહેવું જોઈએ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
પોસ્ટેડ ઓન:
31 AUG 2026 4:10PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (31 ઓગસ્ટ, 2026) નવી દિલ્હી ખાતે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT)ના 18 કેમ્પસના સંયુક્ત પદવીદાન સમારોહની શોભા વધારી હતી.

આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ટેક્સટાઈલ અને એપેરલ ક્ષેત્ર માત્ર આપણા સાંસ્કૃતિક વારસાનો એક ભાગ નથી, પરંતુ તે લાખો લોકોની રોજીરોટીની કરોડરજ્જુ પણ રહ્યું છે. જો પરંપરાગત કારીગરોને ટેકો અને માર્ગદર્શન મળે, તો તે તેમની આગામી પેઢીઓને ગૌરવ અને આત્મવિશ્વાસ સાથે આ વ્યવસાયમાં રોકાયેલા રહેવા માટે પ્રોત્સાહિત કરશે. તેમણે એ નોંધતા આનંદ વ્યક્ત કર્યો હતો કે વિવિધ NIFT કેન્દ્રોએ તેમના સંબંધિત પ્રદેશોના વણકરો અને કારીગરોને ટેક્સટાઈલ અને એપેરલ ક્ષેત્રની આધુનિક તકનીકોથી પરિચિત કરવા અને તેમને બજારો સાથે જોડવા માટે 'ક્રાફ્ટ ક્લસ્ટર ઈનિશિયેટિવ' જેવા કાર્યક્રમોનો અમલ કર્યો છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આજે આપણો દેશ પહેલા કરતાં વધુ આત્મવિશ્વાસ સાથે વૈશ્વિક મંચ પર પોતાની ભૂમિકાનો વિસ્તાર કરી રહ્યો છે. ફેશન ટેકનોલોજી પણ ભારતના વૈશ્વિક પદચિહ્નને વધારવા માટે અપ્રતિમ ક્ષમતા ધરાવતું ક્ષેત્ર છે. તેમણે પદવી મેળવતા વિદ્યાર્થીઓને આ તક ઝડપી લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે આ પ્રયાસમાં, વિદ્યાર્થીઓએ વૈશ્વિક દ્રષ્ટિકોણ જાળવી રાખવો જોઈએ અને સાથે સાથે તેમના મૂળિયાં અને આપણી સંસ્કૃતિના મુખ્ય મૂલ્યો સાથે દ્રઢપણે જોડાયેલા રહેવું જોઈએ. આમ કરવાથી, તેઓ માત્ર સફળ વ્યાવસાયિકો જ નહીં બને પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સમૃદ્ધિમાં પણ યોગદાન આપશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ વિશ્વસ્તરીય ઉત્પાદનો અને બ્રાન્ડ્સ બનાવવી જોઈએ, પરંતુ તેમણે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે પર્યાવરણને અનુકૂળ (ઈકો-ફ્રેન્ડલી) હોય. તેમણે જણાવ્યું હતું કે તેમના ઉત્પાદનો માટે સ્થાનિક રીતે ઉપલબ્ધ કાચા માલનો ઉપયોગ પર્યાવરણ સંરક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું હશે. અવશેષોને કચરા તરીકે ફેંકી દેવા જોઈએ નહીં; તેમને નવું સ્વરૂપ, નવી ઉપયોગિતા અને નવું મૂલ્ય આપી શકાય છે. તેમણે એ નોંધતા આનંદ વ્યક્ત કર્યો હતો કે NIFT ના નીતિ નિર્માતાઓએ સંસ્થાની વ્યૂહાત્મક યોજનામાં ટકાઉપણું અને સામાજિક જવાબદારીને નોંધપાત્ર મહત્વ આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે NIFT ટેક્સટાઈલ અને એપેરલ ક્ષેત્રમાં ટકાઉ ભવિષ્ય તરફના તેના પ્રયાસોને અનુરૂપ, સરક્યુલર ઈકોનોમીની પ્રથાઓને વ્યાપક અને ફાયદાકારક બનાવવા માટે અસરકારક પગલાં લેશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાસલ કરવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે રેખાંકિત કર્યું કે દેશને NIFT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિભાશાળી યુવા વિદ્યાર્થીઓ પાસેથી ભારે અપેક્ષાઓ છે. તેમણે તેમને એવા સમાજનું નિર્માણ કરવામાં યોગદાન આપવા વિનંતી કરી જ્યાં દરેક નાગરિકને રાષ્ટ્રની પ્રગતિમાં ભાગ લેવાની વાજબી તક મળે. તેમણે કહ્યું કે તેમની સફળતા કારીગરોને તેમની કળાની અસલી ઓળખ જાળવી રાખીને તેમની ઉત્પાદકતા અને આવક વધારવામાં મદદ કરવાના તેમના પ્રયાસોમાં રહેલી છે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2305224)
મુલાકાતી સંખ્યા : 6