કૃષિ મંત્રાલય
નવી દિલ્હીમાં કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓની 36મી વાર્ષિક પરિષદ શરૂ થઈ
કૃષિ શિક્ષણનું મૂલ્યાંકન આપવામાં આવતી ડિગ્રીઓથી નહીં, પરંતુ ખેડૂતો પર તેની અસરથી થવું જોઈએ: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
સંશોધન પ્રયોગશાળાઓમાંથી બહાર આવીને ખેતરો સુધી પહોંચવું જોઈએ અને ખેડૂતોને ઉકેલો આપવા જોઈએ: શ્રી ચૌહાણ
યુવાનોને માત્ર નોકરીઓ માટે જ નહીં, પરંતુ ઉદ્યોગસાહસિક, સંશોધક અને નોકરીદાતા (જોબ ક્રિએટર) બનવા માટે તૈયાર કરો: કેન્દ્રીય કૃષિ મંત્રી
દરેક પરિષદમાંથી સ્પષ્ટ સંકલ્પો, કાર્ય યોજનાઓ અને માપી શકાય તેવા પરિણામો મળવા જોઈએ: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
પોસ્ટેડ ઓન:
25 AUG 2026 6:52PM by PIB Ahmedabad
કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓની 36મી વાર્ષિક પરિષદનું આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. "વિકસિત ભારત@2047 માટે કૃષિ ઉચ્ચ શિક્ષણની પુનઃકલ્પના" થીમ પર આયોજિત આ બે-દિવસીય પરિષદ (25-26 ઓગસ્ટ 2026) માં કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, DARE અને ICAR ના વરિષ્ઠ અધિકારીઓ, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ્સ, એડિશનલ ડાયરેક્ટર જનરલ્સ અને વરિષ્ઠ વિજ્ઞાનીઓ ભવિષ્ય માટે સજ્જ કૃષિ શિક્ષણ પ્રણાલી માટેના સુધારાઓ અને પ્રાથમિકતાઓ પર વિચાર-વિમર્શ કરવા માટે એકઠાં થયા છે.

ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી ભગીરથ ચૌધરી અને શ્રી રામ નાથ ઠાકુર, અને DARE ના સચિવ તેમજ ICAR ના ડાયરેક્ટર જનરલ ડૉ. એમ. એલ. જાટ સહિત વરિષ્ઠ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ શિક્ષણની સફળતાનું મૂલ્યાંકન આપવામાં આવેલી ડિગ્રીઓની સંખ્યાથી નહીં, પરંતુ જ્ઞાન અને કૌશલ્યના નિર્માણ તથા ખેડૂતોના જીવનમાં લાવવામાં આવેલા પ્રત્યક્ષ પરિવર્તનથી થવું જોઈએ. તેમણે કૃષિ શિક્ષણને વ્યવહારુ, ટેકનોલોજી-સંચાલિત અને ખેડૂતોની જરૂરિયાતો સાથે નજીકથી જોડાયેલું બનાવવા માટે તેની પુનઃકલ્પના કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટીઓ, ICAR, KVKs, FPOs, ઉદ્યોગો અને ખેડૂતો વચ્ચેના મજબૂત સહયોગ દ્વારા સંશોધન પ્રયોગશાળાઓમાંથી ખેતરો સુધી પહોંચવું જ જોઈએ. તેમણે યુનિવર્સિટીઓને સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવા, અમલમાં મૂકી શકાય તેવા રોડમેપ વિકસાવવા અને પરિણામો માપવાનો અનુરોધ કર્યો હતો, જેથી દરેક પરિષદ કોંક્રિટ નિર્ણયો તરફ દોરી જાય અને વિકસિત ભારત માટે આધુનિક, સ્થિતિસ્થાપક અને સમૃદ્ધ કૃષિ ક્ષેત્રના નિર્માણમાં યોગદાન આપે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી ભગીરથ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારત માટે મજબૂત અને સમૃદ્ધ કૃષિ ક્ષેત્ર તેમજ સશક્ત ખેડૂતો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે ખાદ્ય અછતથી આત્મનિર્ભરતા તરફની ભારતની યાત્રા ખેડૂતો, વિજ્ઞાનીઓ, શિક્ષકો અને સંસ્થાઓના સામુહિક યોગદાનને પ્રતિબિંબિત કરે છે, અને આગામી પ્રાથમિકતા કૃષિને ટેકનોલોજી-સંચાલિત, નવીન અને ભવિષ્ય માટે સજ્જ બનાવવાની હોવી જોઈએ. તેમણે આધુનિક તકનીકો, સંશોધન, ઉદ્યોગસાહસિકતા અને એગ્રી બિઝનેસમાં તકો ઊભી કરીને યુવાનોને કૃષિ તરફ આકર્ષિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જ્યારે કૃષિ યુનિવર્સિટીઓને શિક્ષણ અને સંશોધનને ખેડૂતોની જરૂરિયાતો સાથે જોડવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કુલપતિઓની પરિષદની વિચારણાઓ કૃષિ શિક્ષણને મજબૂત બનાવશે, નવીનતાને પ્રોત્સાહન આપશે અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણ અનુસાર સ્થિતિસ્થાપક, ટકાઉ અને સમૃદ્ધ કૃષિ ક્ષેત્રના નિર્માણમાં યોગદાન આપશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી રામ નાથ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કૃષિને મજબૂત કરવી અને ખેડૂતોને સશક્ત બનાવવા એ વિકસિત ભારતના દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે મૂળભૂત છે. તેમણે કૃષિ શિક્ષણનું આધુનિકીકરણ કરવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને ઉભરતા પડકારોને પહોંચી વળવા માટે યુવાનોને જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સંશોધન અને શિક્ષણ ખેડૂતોની જરૂરિયાતો સાથે નજીકથી જોડાયેલા રહેવા જોઈએ અને વ્યવહારુ, ક્ષેત્ર-સ્તરના ઉકેલોમાં રૂપાંતરિત થવા જોઈએ. તેમણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ટકાઉ અને ટેકનોલોજી-સંચાલિત કૃષિ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ઉત્કૃષ્ટતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શિક્ષણ, સંશોધન અને નવીનતામાં સામૂહિક પ્રયાસો કૃષિ પરિવર્તનને વેગ આપશે અને ખેડૂતોની આવક અને આજીવિકા વધારવામાં યોગદાન આપશે.

DARE ના સચિવ અને ICAR ના ડાયરેક્ટર જનરલ ડૉ. એમ.એલ. જાટે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિકસિત ભારતના દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે કૃષિ ઉચ્ચ શિક્ષણનું મૂળભૂત પરિવર્તન જરૂરી છે—પરંપરાગત મોડલમાંથી ભવિષ્ય માટે સજ્જ, કૌશલ્ય-સંચાલિત અને નવીનતા-સંચાલિત ઇકોસિસ્ટમ તરફ. તેમણે ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીને મજબૂત કરવા, માંગ-સંચાલિત સંશોધનને પ્રોત્સાહન આપવા, મજબૂત એક્સ્રેડિટેશન સુનિશ્ચિત કરવા અને ડેટા-સંચાલિત નિર્ણય ક્ષમતાનો લાભ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ટાંક્યું હતું કે વૈજ્ઞાનિક જ્ઞાનને ક્ષેત્ર-સ્તરના ઉકેલો અને ખેડૂતો માટે પ્રત્યક્ષ લાભોમાં રૂપાંતરિત કરવા માટે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનું નિર્મળ સંકલન આવશ્યક છે. તેમણે ઉમેર્યું, "ભવિષ્યના કૃષિ શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રીઓ આપવાથી આગળ વધીને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને ભારતીય કૃષિની વિકસતી જરૂરિયાતો સાથે સુસંગત કૌશલ્યપૂર્ણ, નવીન અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક માનવ મૂડી તૈયાર કરવાનો હોવો જોઈએ."

આ પરિષદ 14 એજન્ડા આઇટમ્સને આવરી લેતા પાંચ સત્રોમાં સંરચિત છે, જે વિદ્યાર્થી-કેન્દ્રિત સુધારા, ઉચ્ચ શિક્ષણ, ફેકલ્ટી ડેવલપમેન્ટ, સંસ્થાકીય મજબૂતીકરણ, ગુણવત્તામાં સુધારો, શૈક્ષણિક સુધારા, સંશોધન, નવીનતા અને સંસ્થાકીય ઉત્કૃષ્ટતા પર કેન્દ્રિત છે. વિદ્યાર્થી-કેન્દ્રિત સુધારા અને કૃષિ ઉચ્ચ શિક્ષણ પરની ચર્ચાઓમાં અગાઉની કુલપતિ પરિષદના એક્શન ટેકન રિપોર્ટ, પ્રવેશ પ્રણાલીઓ, રિસર્ચ ફેલોશિપ અને સીટ ફાળવણીમાં રાજ્ય/કેટેગરી મુજબના 40% નિયંત્રણને આવરી લેવામાં આવ્યા હતા.
ચર્ચાઓમાં સમયસર ICAR-AIQ કાઉન્સેલિંગ અને વેરિફિકેશન, પશુ ચિકિત્સા વિજ્ઞાન માટે અલગ Ph.D. કાઉન્સેલિંગ અને કૃષિ-લાયકાત ધરાવતા અને હિન્દી-માધ્યમના વિદ્યાર્થીઓ માટે UG લાયકાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેથી કૃષિ શિક્ષણ વધુ સુલભ અને સમાવેશી બની શકે.
પરિષદે JRF/SRF સંશોધનને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે જોડવા, એક્સ્રેડિટેશન અને ગુણવત્તા ખાતરીને મજબૂત કરવા, અને નાણાકીય વ્યવસ્થાપન, જવાબદારી અને કાર્યક્ષમતા-આધારિત ફંડિંગ સુધારવાના ઉપાયોની પણ સમીક્ષા કરી હતી. ઉદ્યોગ-શૈક્ષણિક સંબંધો, એપ્રિન્ટિસશિપ અને ઇન્ટર્નશિપ, અભ્યાસક્રમ સુધારો, અને ડ્યુઅલ, ટ્વિનિંગ અને સંયુક્ત ડિગ્રી કાર્યક્રમો તેમજ શૈક્ષણિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ફેકલ્ટી ડેવલપમેન્ટ અને સંસ્થાકીય મજબૂતીકરણ હેઠળ, સહભાગીઓએ કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનમાં ડિગ્રીઓની સમકક્ષતા, તાલીમની જરૂરિયાતોની ઓળખ, તાલીમ મોડ્યુલ્સનો વિકાસ અને એક્સપર્ટ/ડોમેન મેપિંગ પર વિચાર-વિમર્શ કર્યો હતો. શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં વ્યાવસાયિક કુશળતા અને વ્યવહારુ જ્ઞાન લાવવા માટે કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રોફેસર્સ ઓફ પ્રેક્ટિસના પ્રસ્તાવિત સમાવેશ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પરિષદે પુરાવા-આધારિત આયોજન, દેખરેખ અને નિર્ણય લેવા માટે એક વ્યાપક કૃષિ શિક્ષણ ડેટા ઇકોસિસ્ટમના વિકાસ પર વધુ વિચારણા કરી હતી. વિદ્યાર્થીઓને ગ્રામીણ વાસ્તવિકતાઓ સાથે જોડવા અને ગ્રામીણ પરિવર્તનને ટેકો આપવા માટે રૂરલ એગ્રીકલ્ચરલ વર્ક એક્સપિરિયન્સ (RAWE) ને મજબૂત બનાવવાની બાબત મહત્વપૂર્ણ માર્ગ તરીકે રેખાંકિત કરવામાં આવી હતી. ચર્ચાઓમાં મોનિટરિંગ, ઇવેલ્યુએશન, લર્નિંગ એન્ડ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (MELIA) અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે એગ્રીયુનિફેસ્ટ અને એગ્રીસ્પોર્ટ્સ2026 માં કૃષિ યુનિવર્સિટીઓની વધુ ભાગીદારી પણ આવરી લેવામાં આવી હતી.
શૈક્ષણિક સુધારા, સંશોધન, નવીનતા અને સંસ્થાકીય ઉત્કૃષ્ટતા પરની વિચારણાઓમાં ઇન્ડિયન એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઝ એસોસિએશન (IAUA) ની સામાન્ય એજન્ડા આઇટમ્સ, UGC Ph.D. નિયમો, 2016 નું સમાન અમલીકરણ, અને સંશોધનને વ્યવહારુ તકનીકો અને નવીનતાઓમાં ઝડપથી રૂપાંતરિત કરવા માટે સ્ટેટ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઓ વચ્ચે ટેકનોલોજી રેડીનેસ લેવલ (TRL) ના પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. પરિષદે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે NIRF રેટિંગ પરિમાણો અને પ્રોફેસર્સ ઓફ પ્રેક્ટિસ દ્વારા કુશળતા શેર કરવાની પદ્ધતિઓ પર પણ ચર્ચા કરી હતી.
આ ચર્ચાઓએ સામૂહિક રીતે કૃષિ યુનિવર્સિટીઓને શિક્ષણ, સંશોધન, નવીનતા, ઉદ્યોગ અને ગ્રામીણ જોડાણને એકીકૃત કરતી ગતિશીલ, ટેકનોલોજી-સક્ષમ અને પરિણામ-લક્ષી ઇકોસિસ્ટમમાં વિકસિત થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મજબૂત શૈક્ષણિક ભાગીદારી, ગુણવત્તા ખાતરી, ડેટા-સંચાલિત શાસન અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે જોડાયેલા સંશોધનને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સંસ્થાઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ તરીકે ઓળખવામાં આવ્યા હતા.
અગાઉ, ડૉ. યશપાલ મલિક, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (કૃષિ શિક્ષણ), ICAR એ સ્વાગત અને સંદર્ભ-સેટિંગ સંબોધન આપ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં અગાઉની પરિષદના એક્શન ટેકન રિપોર્ટનું પ્રસ્તુતિકરણ અને ચર્ચા તેમજ અગાઉના નિર્ણયો પરની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2303258)
મુલાકાતી સંખ્યા : 15