પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓના પ્રશંસનીય કાર્યની સરાહના કરી


​​​​​​​એકલ પ્રવાસ (સોલો ટ્રાવેલ) એ પોતાની જાતને શોધવાની સાથે સાથે વિશ્વને શોધવાનો એક માર્ગ છે: પ્રધાનમંત્રી

દેશનો દરેક યુવાન અને દેશની દરેક દીકરી આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા સાથે આગળ વધવી જોઈએ: પ્રધાનમંત્રી

સરહદી ગામો ભૌગોલિક રીતે દૂર હોઈ શકે છે, પરંતુ તેના રહેવાસીઓ ભાવાત્મક રીતે રાષ્ટ્ર સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે: પ્રધાનમંત્રી

જેઓ અગાઉ પ્રાથમિકતામાં છેલ્લે હતા તેઓ હવે પ્રથમે છે: પ્રધાનમંત્રી

યુવા સહભાગીઓની યાત્રા એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને દર્શાવે છે: પ્રધાનમંત્રી

નાગરિકોએ તેમના પ્રવાસ બજેટના ઓછામાં ઓછા પાંચ ટકા સ્થાનિક ઉત્પાદનો ખરીદવા માટે ખર્ચવા જોઈએ: પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 26 JUL 2026 10:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વર્ચ્યુઅલ રીતે વાર્તાલાપ કર્યો હતો, જે દરમિયાન યુવા માય ભારત વોલન્ટિયર્સે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદાખના સરહદી ગામડોમાંથી તેમના અનુભવો શેર કર્યા હતા. આ વાર્તાલાપે બહેતર માળખાકીય સુવિધાઓ, કનેક્ટિવિટી અને સાર્વજનિક સેવાઓની સાથે મહિલા સંચાલિત વિકાસ, પ્રવાસન, સમુદાય ભાગીદારી અને મજબૂત રાષ્ટ્રીય એકીકરણ દ્વારા આ ગામોના પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. દેશભરના 245 જિલ્લામાંથી 5,000થી વધુ માય ભારત વોલન્ટિયર્સ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.

કાર્યક્રમનો પરિચય આપતાં, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના માય ભારત વોલન્ટિયર શ્રી દિવ્યાંશ જોશીએ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ, વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ, બજેટ ટ્વિસ્ટ, મેન્ટરશિપ અને વોલન્ટિયરિંગ પ્રોગ્રામ્સ સહિતની પહેલોની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 2.30 કરોડથી વધુ યુવાનોએ માય ભારત પહેલોથી લાભ મેળવ્યો છે, જ્યારે ભારતભરમાં ક્વિઝમાં 2.86 લાખ યુવાનોએ ભાગ લીધો હતો જેના દ્વારા સરહદી ગામોની મુલાકાત લેવા માટે 403 વોલન્ટિયર્સ પસંદ કરવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના લિયો ગામની તેમની મુલાકાતને સંભાળતા, તેમણે સ્થાનિક લોકો, વરિષ્ઠ નાગરિકો અને શાળાના બાળકો સાથે વાર્તાલાપ, સ્થાનિક યુવાનો માટે કરિયર કાઉન્સેલિંગ, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મહિલા સરપંચના નેતૃત્વ અને આયુષ્માન આરોગ્ય મંદિરની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે તેમના હોમસ્ટેના અનુભવે દર્શાવ્યું કે પોતાનાપણું ભાષા અને રાજ્યની સીમાઓથી પર છે, વધુમાં ઉમેર્યું કે વોલન્ટિયર્સે કારગિલ વોર મેમોરિયલ ખાતે દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને વિકસિત ભારતના વિઝન માટે પ્રતિબદ્ધ રહીને પ્રધાનમંત્રીને સબમિટ કરવા માટે તેમના અનુભવોનું સંકલન કરશે.

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની માય ભારત વોલન્ટિયર કુમારી નિકિતા પ્રવીણ સોલંકીએ જણાવ્યું હતું કે માય ભારત ક્વિઝ દ્વારા તેમની પસંદગીથી કિન્નૌર જિલ્લાના ધાર ચાંગો નીચેલા ગામની તેમની પ્રથમ સોલો જર્ની શક્ય બની હતી. ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા પ્રેમાળ સ્વાગતે તેમના આત્મવિશ્વાસને મજબૂત બનાવ્યો અને મહિલાઓ પ્રત્યેના બદલાતા સામાજિક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કર્યો. મહિલા પ્રધાન, પંચાયત પ્રતિનિધિઓ, ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથેના તેમના વાર્તાલાપ દ્વારા, તેમણે ગ્રામીણ મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવતી બહુવિધ જવાબદારીઓ પ્રત્યક્ષ જોઈ અને તેમની અગાઉની ધારણાઓથી વિપરીત ગુણવત્તાયુક્ત રસ્તાઓ, નિયમિત વીજળી, પીવાના પાણીના કનેક્શન અને ડિજિટલ કનેક્ટિવિટી જોઈ, જેનો શ્રેય રહેવાસીઓએ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, જલ જીવન મિશન અને આયુષ્માન ભારતને આપ્યો હતો. તેમણે સ્વચ્છતા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો, તેમના વતન ક્ષેત્ર વિશે ગામના બાળકોની ઉત્સુકતાને યાદ કરી હતી અને કહ્યું હતું કે તેઓ તેમના યજમાન પરિવાર સાથે સંપર્કમાં રહેવાનું ચાલુ રાખે છે.

2016માં ચાંગો ક્ષેત્રની તેમની દિવાળી દરમિયાનની મુલાકાતને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે કુમારી સોલંકીની યાત્રા ભારતની દીકરીઓના વધતા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે અને માય ભારતએ વ્યક્તિગત યાત્રાઓને એક રાષ્ટ્રીય પરિવારમાં રૂપાંતરિત કરી છે. શ્રી મોદીએ અવલોકન કર્યું કે, "એકલ પ્રવાસ (સોલો ટ્રાવેલિંગ) એ તમારી જાતને શોધવાની સાથે સાથે વિશ્વને શોધવાનો એક માર્ગ છે."

રાજસ્થાનના જાલોરના માય ભારત વોલન્ટિયર શ્રી સુનીલ કુમાર કેલાએ જણાવ્યું હતું કે પોતે સરહદી ગામમાંથી હોવાથી તેઓ હિમાચલ પ્રદેશના ધાર ચાંગો ઉપરેલા ગામના લોકો સાથે સહેલાઈથી જોડાઈ શક્યા હતા. ભૌગોલિક અને આબોહવાની વિષમતાઓ હોવા છતાં, તેમણે બંને પ્રદેશોના લોકોને સાહસ, દેશભક્તિ અને હૂંફ દ્વારા એક થયેલા જોયા. તેઓ વિડિયો કોલ દ્વારા તેમના પરિવાર સાથે જોડાયેલા રહ્યા હતા, તેમને સતલજ નદી, શાળા, જન ઔષધિ કેન્દ્ર, હોસ્પિટલ અને રમતગમતની સુવિધાઓ બતાવી હતી, જ્યારે તેમની સોશિયલ મીડિયા પોસ્ટે મિત્રોને માય ભારતને એક્સપ્લોર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. રસ્તાઓ, રહેઠાણ, વીજળી અને મોબાઇલ કનેક્ટિવિટી અંગેની તેમની પ્રારંભિક આશંકાઓ હોમસ્ટે સુધી પહોંચતા ઉચ્ચ ગુણવત્તાવાળા રસ્તાઓ, સૌર ઉર્જા સ્થાપનો અને સુધારેલી માળખાકીય સુવિધાઓ દ્વારા દૂર થઈ ગઈ હતી જેણે દૈનિક જીવન બદલી નાખ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેઓ તેમના યજમાન પરિવાર સાથે સંપર્કમાં છે અને તેમને રાજસ્થાનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે રાજસ્થાન, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તર-પૂર્વના સરહદી ગામોના યુવાનો સામાન્ય દ્રષ્ટિકોણ ધરાવે છે અને સરહદી રહેવાસીઓ, ભૌગોલિક રીતે દૂર હોવા છતાં, રાષ્ટ્ર સાથે ભાવાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા રહે છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "જેઓ અગાઉ પ્રાથમિકતામાં છેલ્લે હતા તેઓ હવે પ્રથમે છે."

આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના માય ભારત વોલન્ટિયર કુમારી ભવ્યા શ્રીએ જણાવ્યું હતું કે એકેડેમિક્સથી પર શીખવાની તેમની ઈચ્છા તેમને માય ભારત અને ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાની હર્ષિલ ઘાટી તરફ લઈ ગઈ. અજાણી આબોહવા, ખોરાક, સંસ્કૃતિ અને જીવનશૈલી વિશેની તેમની પ્રારંભિક ચિંતાઓ સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા આતિથ્ય સત્કારથી દૂર થઈ ગઈ હતી, જ્યારે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના જવાનો સાથેના વાર્તાલાપે તેમની શિસ્ત, નમ્રતા, સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા પ્રત્યેની તેમની પ્રશંસાને ગાઢ બનાવી હતી. તેમણે કહ્યું કે વિવિધ રાજ્યો, ભાષાઓ અને સંસ્કૃતિના સહભાગીઓ અજાણ્યા તરીકે આવ્યા હતા પરંતુ એક પરિવાર તરીકે પાછા ફર્યા હતા, જે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને દર્શાવે છે. નેલાંગ અને જાદુંગ ઘાટીઓ અને સફરજનના બગીચાઓના ફોટોગ્રાફ્સે તેમના મિત્રોમાં નોંધપાત્ર રસ જગાડ્યો હતો, જેમાંથી ઘણાએ પાછળથી માય ભારત પર નોંધણી કરાવી હતી. તેમણે સહભાગીઓને ઠંડી આબોહવાને અનુકૂળ થવામાં મદદ કરવા માટે પૂરા પાડવામાં આવેલા સાધનો, મુશ્કેલીઓ છતાં તેમના ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વતનના ગામમાં જ રહેવાનું પસંદ કરનાર એક રહેવાસીની સ્થિતિસ્થાપકતા અને તેમના હોમ સ્ટેટના ઉર્જાવાન લોકનૃત્યોના વિરોધાભાસમાં ગઢવાલી નૃત્યના શાંતિપૂર્ણ, ધ્યાનપૂર્ણ ચરિત્રને પણ યાદ કર્યું.

ઉત્તરાખંડના મુખવા ગામની તેમની મુલાકાતને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વાર્તાલાપે તેમના તે વિશ્વાસને પુનઃપુષ્ટ કર્યો કે ભારતનો યુવા દેશને સર્વોપરી રાખે છે. શ્રી મોદીએ અવલોકન કર્યું હતું કે, "તમે જે રીતે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના જીવી છે તે બીજા ઘણા યુવાનોને પ્રેરણા આપશે."

અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહના 21 વર્ષીય માય ભારત વોલન્ટિયર કુમારી સયંતિકા મિસ્ત્રીએ કરોડો યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવતા મંચ તરીકે માય ભારતની કલ્પના કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. સમુદ્ર સપાટીથી લગભગ 17,000 ફીટની ઉંચાઈ પર આવેલા લડાખના માન ગામ સુધીની તેમની યાત્રાને સંભાળતા, તેમણે એક્યુટ માઉન્ટેન સિકનેસથી પીડાવા વિશે અને માય ભારત ટીમ અને ITBPના જવાનો દ્વારા કરવામાં આવેલી સંભાળનું વર્ણન કર્યું હતું, જેમાં એવા ડોકટરોનો પણ સમાવેશ થાય છે જેમણે પોતાના જવાનોની સારવાર કરતા પહેલા તેમને તેમના અતિથિ તરીકે સારવાર આપવાને પ્રાથમિકતા આપી હતી. તેમણે કહ્યું કે આ અનુભવે દર્શાવ્યું કે ITBPના જવાનો માત્ર સરહદોનું રક્ષણ જ નથી કરતા પરંતુ નાગરિકોની પણ ઊંડી કાળજી રાખે છે અને ઉચ્ચ ઉંચાઈવાળી પરિસ્થિતિઓમાં જીવવા માટે જરૂરી સ્થિતિસ્થાપકતાની પ્રશંસા કરી હતી. તેમના પરિવારની નબળી કનેક્ટિવિટીની અપેક્ષાથી વિપરીત, તેમણે સરહદી વિસ્તારમાં વિશ્વસનીય ઈન્ટરનેટ, QR-કોડ અને UPI પેમેન્ટ સુવિધાઓ અને Wi-Fi જોયા. તેમણે સ્થાનિક બાળકો સાથે પણ વાર્તાલાપ કર્યો, જેમાંથી એકે અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી, અને સમુદાયની ભાવના પર પ્રકાશ પાડ્યો જેમના દ્વારા રહેવાસીઓએ સામૂહિક રીતે લગ્નો અને મઠના કાર્યક્રમોનું આયોજન કર્યું, ક્ષતિગ્રસ્ત મોબાઈલ ટાવરનું સમારકામ કર્યું અને તેની બેટરીઓ માટે સંગ્રહ સુવિધાનું નિર્માણ કર્યું.

કુમારી મિસ્ત્રીને લેખો અથવા પુસ્તક દ્વારા તેમના અનુભવને દસ્તાવેજીકૃત કરવા પ્રોત્સાહિત કરતા જેથી કરીને અન્ય લોકો દેશની વિશાળતા, લોકો અને અપનાપણાની વહેંચાયેલી ભાવનાને વધુ સારી રીતે સમજી શકે, શ્રી મોદીએ ટિપ્પણી કરી, "જ્યારે તમે આનંદ વહેંચો છો, ત્યારે તે ગુણવંત બને છે."

ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના માય ભારત વોલન્ટિયર શ્રી આશિષ સોની, જેઓ સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમણે બજેટ નિર્માણ પ્રક્રિયા દરમિયાન યુવાનોને સૂચનો આપવા માટે સક્ષમ બનાવવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. હિમાચલ પ્રદેશના સ્પિતિ પ્રદેશના કાઝા ખાસના તેમના અનુભવને શેર કરતા તેમણે કહ્યું કે તેમના માતા-પિતા, જેમને એવો સમય યાદ હતો જ્યારે દૂરના વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી મુશ્કેલ હતી, જ્યારે તેમણે લગભગ 14,000 ફીટ પરથી વિડિયો-કોલ કર્યો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. MYBharat ને સંઘર્ષની સાક્ષી રહેલી પેઢી અને પરિવર્તનની સાક્ષી રહેલી બીજી પેઢી વચ્ચેના સેતુ તરીકે વર્ણવતા, તેમણે સિક્કિમમાં વિશ્વની સૌથી ઊંચી પોસ્ટ ઓફિસમાંથી પ્રધાનમંત્રી, તેમના પરિવાર, યુવા બાબતોના મંત્રાલય, સંરક્ષણ મંત્રી અને તેમના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને પત્રો લખ્યા હોવાનું યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત માત્ર મેટ્રો અને એરપોર્ટ દ્વારા જ નહીં પરંતુ તેના સૌથી દૂરના વિસ્તારોમાં સેવા આપતી સંસ્થાઓ દ્વારા પણ જોડાયેલું છે અને ડિજિટલ ઈન્ડિયા દેશભરમાં વિશ્વાસનો સ્ત્રોત બન્યું છે તેના પુરાવા તરીકે લગભગ 14,500 ફીટ પર QR-કોડ પેમેન્ટ પર પ્રકાશ પાડ્યો હતો. મહિલા સ્વસહાય જૂથો સાથેના તેમના વાર્તાલાપે તેમને હોમસ્ટે, ડિજિટલ પ્લેટફોર્મ અને સી બકથોર્ન-આધારિત ઉત્પાદનો દ્વારા ઉદ્યોગસાહસિકતાનો પરિચય કરાવ્યો, જ્યારે PM MUDRA યોજના અને દીનદયાળ અંત્યોદય યોજના પરની ચર્ચા આજીવિકાની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. તેમણે કનેક્ટિવિટી, પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિમાં સુધારો કરવામાં બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા નિર્મિત ચીચમ બ્રિજની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો, આ ઉપરાંત નાઈટ ટુરિઝમ માટે પ્રદેશની ક્ષમતા નોંધાવી હતી.

ટેક્નોલોજી દેશના ખૂણે-ખૂણે પહોંચી ગઈ છે અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવાથી રોજગારી મળશે, આજીવિકાને ટેકો મળશે અને સમગ્ર ભારતમાં પ્રાંતિય ઓળખ પહોંચશે તેવું અવલોકન કરતાં શ્રી મોદીએ વિનંતી કરી, "તમે જ્યાં પણ પ્રવાસ કરો, તમારા પ્રવાસ બજેટના ઓછામાં ઓછા પાંચ ટકા સ્થાનિક લોકો પાસેથી ઉત્પાદનો ખરીદવા પર ખર્ચ કરો."

વાર્તાલાપનું સમાપન કરતાં, પ્રધાનમંત્રીએ યુવા સહભાગીઓને પોતાની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમે યુવાનોને ભારતના સરહદી ગામડાઓના પરિવર્તનનો પ્રત્યક્ષ અનુભવ કરવા, જૂની ધારણાઓને દૂર કરવા અને દેશની સાંસ્કૃતિક વિવિધતા, વિકાસલક્ષી પ્રગતિ, સમુદાય ભાગીદારી અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના પ્રત્યેની તેમની સમજને ઊંડી બનાવવા માટે સક્ષમ કરવામાં MYBharat ની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

 

IJ/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2289762) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Malayalam