સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

રક્ષા મંત્રીએ સૌપ્રથમ ત્રિ-સેવા સર્વ મહિલા વિશ્વ-પરિક્રમા નૌકાયાન અભિયાનનું સ્વાગત કર્યું


ચાર મહાસાગરોમાં લગભગ 25,500 નોટિકલ માઇલ આવરી લેતી સફળ 314-દિવસીય સફર બાદ નવ મહિલા અધિકારીઓ ઘરે પરત ફર્યા

'સમુદ્ર પ્રદક્ષિણા' એ નવા ભારતનો સંકલ્પ, નારી શક્તિ અને ત્રિ-સેવાની સંયુક્તતાનું પ્રતીક છે: શ્રી રાજનાથ સિંહ

“IASV ત્રિવેણી ભારતની એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા, સ્વદેશી ક્ષમતા અને વ્યૂહાત્મક આત્મવિશ્વાસના પુરાવા તરીકે ઊભી છે”

प्रविष्टि तिथि: 22 JUL 2026 4:23PM by PIB Ahmedabad

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે 22 જુલાઈ, 2026 ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સૌપ્રથમ વિશ્વ-પરિક્રમા નૌકાયાન અભિયાન 'સમુદ્ર પ્રદક્ષિણા'નું સ્વાગત (ફ્લેગ-ઇન) કર્યું હતું. ઇન્ડિયન આર્મી સેઇલિંગ વેસલ (IASV) ત્રિવેણી પર સવાર ત્રણેય સેવાઓના નવ મહિલા અધિકારીઓ ચાર મહાસાગરોમાં લગભગ 25,500 નોટિકલ માઇલ આવરી લેતી 314-દિવસીય સફર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી મુંબઈ પરત ફર્યા હતા. આ અભિયાનને શ્રી રાજનાથ સિંહે 11 સપ્ટેમ્બર, 2025ના રોજ મુંબઈથી વર્ચ્યુઅલી લીલી ઝંડી આપીને રવાના કર્યું હતું.

 

આ પ્રસંગે રક્ષા મંત્રીએ આ અભિયાનના સફળ સમાપનને ભારતની નારી શક્તિના પુરાવા તરીકે, દેશના સંકલ્પના પ્રતીક તરીકે, ત્રિ-સેવાના તાલમેલ અને સંયુક્તતાની અસરકારકતાના પુરાવા તરીકે, અને ઇતિહાસ રચવા માટે પડકારોને પાર કરનારા 'નવા ભારત' ના ઉત્સવ તરીકે વર્ણવ્યું હતું.

આ મિશનની સફળતા ઝીણવટભર્યું આયોજન, લગભગ બે વર્ષની સઘન તાલીમ, ચોવીસે કલાક (24X7) કાર્યરત સમર્પિત કિનારા-આધારિત સહાયક નેટવર્ક અને અનેક સંસ્થાઓ તથા સહાયક એજન્સીઓની અતૂટ પ્રતિબદ્ધતાને કારણે શક્ય બની હતી. આ અભિયાને પૃથ્વીની પ્રદક્ષિણા (પરિક્રમા) માટેના તમામ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા; જેમાં તમામ રેખાંશવૃત્તો (meridians of longitude) પસાર કરવા, વિષુવવૃત્તને બે વાર ઓળંગવું, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા (International Date Line) પાર કરવી અને ત્રણ મહાન ભૂશિરો – કેપ લ્યુવિન (Cape Leeuwin), કેપ હોર્ન (Cape Horn) અને કેપ ઓફ ગુડ હોપ (Cape of Good Hope) – ની પ્રદક્ષિણા કરવાનો સમાવેશ થાય છે.

બિકટ ડ્રેક પેસેજમાંથી સફળતાપૂર્વક પસાર થવા અને કેપ હોર્નની પ્રદક્ષિણા કરવાથી ક્રૂને કેપ હોર્નર્સની પ્રતિષ્ઠિત બિરાદરીનું સભ્યપદ મળ્યું છે, જે વિશ્વના સૌથી મુશ્કેલ દરિયાઈ માર્ગોમાંથી એક પર વિજય મેળવનારા ખલાસીઓ માટે વિશેષ સન્માન છે. IASV ત્રિવેણીના ક્રૂની હિંમત, ભાવના અને દ્રઢ નિશ્ચયની પ્રશંસા કરતા શ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ અભિયાને સાબિત કર્યું છે કે માનવ હિંમત કોઈપણ તોફાન કરતા ઘણી મોટી છે. તેમણે કહ્યું, "સમુદ્રના મોજા ઊંચા ઉછળી શકે છે, પરંતુ ભારતની પુત્રીઓનો જુસ્સો તેનાથી પણ વધુ ઊંચો ઉડે છે," તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે દેશની મહિલાઓ તકો ઊભી કરી રહી છે, આગળ વધીને નેતૃત્વ કરી રહી છે અને ઇતિહાસના પુસ્તકોમાં પોતાના નામ લખી રહી છે.

આ અભિયાનમાં આર્મી, નેવી અને એરફોર્સના અધિકારીઓને એક જ મિશન પર એકસાથે લાવવામાં આવ્યા હતા, જે સંકલિત આયોજન, સીમલેસ ઇન્ટરઓપરેબિલિટી અને સહિયારા નેતૃત્વની તાકાત દર્શાવે છે. દસ મહિનાથી વધુ સમય સુધી સાથે રહીને, તાલીમ લઈને અને નૌકાવિહાર કરીને, ક્રૂ એ એક સુગ્રથિત ટીમ તરીકે કામ કર્યું, જે દર્શાવે છે કે સંયુક્તતા એ માત્ર એક સંસ્થાકીય વિભાવના નથી પરંતુ એક ફોર્સ મલ્ટિપ્લાયર છે જે ઓપરેશનલ અસરકારકતા અને રાષ્ટ્રીય ક્ષમતામાં વધારો કરે છે.

રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે 'સમુદ્ર પ્રદક્ષિણા' માત્ર એક દરિયાઈ અભિયાન તરીકે યાદ નહીં રાખવામાં આવે, પરંતુ એક એવું અભિયાન કે જ્યાં ત્રણેય સેવાઓના મહિલા અધિકારીઓએ એક જ ઝંડા, એક સંકલ્પ અને એક જ ઉદ્દેશ્યથી એક થઈને વૈશ્વિક સંદેશ આપ્યો કે ભારતની તાકાત તેની એકતામાં રહેલી છે. "એવા સમયે જ્યારે વિશ્વ સંયુક્ત કામગીરી (જોઇન્ટ ઓપરેશન્સ), સંકલિત કમાન્ડ્સ અને મલ્ટી-ડોમેન વોરફેર પર ચર્ચા કરી રહ્યું છે, ત્યારે IASV ત્રિવેણીએ સંયુક્તતાનું મહત્વ દર્શાવ્યું છે. જ્યારે તાલમેલ હોય ત્યારે ક્ષમતા ગુણવત્તાયુક્ત રીતે વધે છે. જ્યારે ત્રણેય દળો એકસાથે કૂચ કરે છે ત્યારે વિજય પોતાનો માર્ગ જાતે બનાવે છે," તેમણે કહ્યું.

તેની નોંધપાત્ર દરિયાઈ સિદ્ધિ ઉપરાંત, 'સમુદ્ર પ્રદક્ષિણા' લશ્કરી મુત્સદ્દીગીરીના (મિલેટ્રી ડિપ્લોમસી) એક મહત્વપૂર્ણ સાધન તરીકે ઉભરી આવી છે. સમગ્ર વિશ્વમાં પોર્ટ કોલ્સ દરમિયાન, IASV ત્રિવેણીએ મિત્ર રાષ્ટ્રો સાથે સદ્ભાવનાને પ્રોત્સાહન આપતાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, દરિયાઈ પરંપરાઓ, લશ્કરી વ્યાવસાયિકતા અને ટકાઉ મૂલ્યો પ્રદર્શિત કર્યા હતા. રક્ષા મંત્રીએ ઉમેર્યું હતું કે આ અભિયાન માત્ર એક સઢવાળી નૌકા તરીકે જ નહીં પરંતુ ભારતના તરતા રુદ્રદૂત (ફ્લોટિંગ એમ્બેસેડર) તરીકે સેવા આપે છે અને વિવિધ રાષ્ટ્રોમાં પોર્ટ કોલ્સે દેશની 'સોફ્ટ પાવર' ને મજબૂત બનાવી છે.

શ્રી રાજનાથ સિંહે IASV ત્રિવેણીને 'આત્મનિર્ભર ભારત' ના મૂર્ત સ્વરૂપ તરીકે ઓળખાવ્યું હતું કારણ કે સ્વદેશી રીતે નિર્મિત 50-ફૂટના આ જહાજે ભારતની તકનીકી કૌશલ્ય, નવીનતા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું છે. "આ જહાજ ભારતની એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા, સ્વદેશી ક્ષમતા અને વ્યૂહાત્મક આત્મવિશ્વાસના પુરાવા તરીકે ઊભું છે," તેમણે જણાવ્યું હતું.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એનએસ રાજા સુબ્રમણિ, ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન, ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ જનરલ ધીરજ સેઠ, વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ એર માર્શલ અશુતોષ દીક્ષિત, ડિરેક્ટર જનરલ ઇન્ટિગ્રેટેડ ટ્રેનિંગ લેફ્ટનન્ટ જનરલ અજય રામદેવ અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકાના સંરક્ષણ પ્રતિનિધિઓ નવી દિલ્હીના કર્તવ્ય ભવન-2 ખાતેથી રક્ષા મંત્રી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, સધર્ન કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર, એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ એર માર્શલ પીવી શિવાનાંદ, ડિપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ વિપુલ સિંઘલ, ચીફ ઓફ સ્ટાફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ વાઇસ એડમિરલ રાહુલ વિલાસ ગોખલે, અન્ય લશ્કરી મહાનુભાવો, નિવૃત્ત સૈનિકો અને ક્રૂના પરિવારો ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે ક્રૂનું સ્વાગત કરવા એકત્રિત થયા હતા.

SM/GP/DK/ JD


(रिलीज़ आईडी: 2287799) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Telugu , Telugu , Malayalam