લોકસભા સચિવાલય
azadi ka amrit mahotsav

લોકસભા અધ્યક્ષે વિકસિત ભારતના સપનાને સાકાર કરવા માટે યુવાનોને બંધારણમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું


વિકસિત ભારત 2047ની જવાબદારી યુવાનો પર છે; યુવા સંસદ નેતૃત્વ માટે મહત્વપૂર્ણ ઇન્ક્યુબેટર: લોકસભા અધ્યક્ષ

અન્ય દેશોની સરખામણીમાં ભારતે પ્રથમ દિવસથી જ સમાન મતાધિકાર પસંદ કર્યો; લોકશાહી આપણી પ્રાચીન કાર્યસંસ્કૃતિમાં સહજ છે: લોકસભા અધ્યક્ષ

ટેકનોલોજીથી લઈને રાષ્ટ્રીય સુરક્ષા સુધી, મહિલાઓ ભારતના પરિવર્તનને વેગ આપી રહી છે કારણ કે સ્થાનિક સંસ્થાઓમાં તેમનો પ્રભાવ 50%એ પહોંચ્યો છે: લોકસભા અધ્યક્ષ

લોકસભા અધ્યક્ષે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં વિકસિત ભારત યુવા સંસદ 2026 નું ઉદ્ઘાટન કર્યું

प्रविष्टि तिथि: 16 JUN 2026 4:08PM by PIB Ahmedabad

લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ આજે સંવિધાન સદનના ઐતિહાસિક સેન્ટ્રલ હોલ ખાતે, લોકસભા સચિવાલયની પાર્લામેન્ટરી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ ફોર ડેમોક્રસીઝ (PRIDE)ના સહયોગથી યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત 'વિકસિત ભારત યુવા સંસદ 2026' કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશભરમાંથી એકત્રિત થયેલા યુવા સહભાગીઓને સંબોધિત કરતા શ્રી બિરલાએ તેમને યાદ અપાવ્યું હતું કે તેઓ એ જ હોલમાં ઉભા છે જે ભારતની મહાન લોકશાહી પરંપરાઓનું પ્રતીક છે. તેમણે ભારતના બંધારણને વિશ્વનું સૌથી મોટું અને તમામ નાગરિકો માટે એક નિર્ણાયક માર્ગદર્શક દસ્તાવેજ ગણાવીને પ્રશંસા કરી હતી અને યુવાનોને વિનંતી કરી હતી કે તેઓ વિકસિત ભારતના રોડમેપ પર ચર્ચા-વિચારણા કરતી વખતે આ ઐતિહાસિક સ્થળ પરથી પ્રેરણા મેળવે.

ભારતની લોકશાહી પ્રક્રિયામાં યુવાનોના મોટા પાયે જોડાણ પર પ્રકાશ પાડતા શ્રી બિરલાએ નોંધ્યું હતું કે 50 લાખથી વધુ યુવાનો હવે યુવા સંસદ કાર્યક્રમ સાથે સક્રિયપણે જોડાયેલા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યો, ભાષાઓ અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિથી પર એવો આ વૈવિધ્યસભર સમૂહ એક જ સંકલ્પથી એકજૂથ છે: વિકસિત ભારતના વિઝનને સાકાર કરવું. વિકસિત ભારત 2047 ના સપનાને સાકાર કરવાની જવાબદારી યુવાનો પર છે તે વાત નોંધીને તેમણે દેશના યુવાનોને રચનાત્મક રાષ્ટ્રનિર્માણ તરફ દોરવા બદલ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની પ્રશંસા કરી હતી, અને ઉમેર્યું હતું કે આ પ્લેટફોર્મ લોકશાહી મૂલ્યો, સંવાદ અને નેતૃત્વ માટે એક મહત્વપૂર્ણ ઇન્ક્યુબેટર તરીકે કામ કરે છે.

લોકશાહી એ ભારતની કાર્યસંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓના તાણાવાણામાં ઊંડે સુધી વણાયેલી છે તેમ જણાવતાં લોકસભા અધ્યક્ષે ઉમેર્યું હતું કે દેશની લોકશાહી સફર વૈશ્વિક સ્તરે અજોડ રહી છે. ભારતની સ્થિતિસ્થાપકતા વિશે વાત કરતાં તેમણે પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે દેશે તેની પ્રચંડ વિવિધતા હોવા છતાં આઝાદી પછી સફળતાપૂર્વક વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યું છે. તેમણે નોંધ્યું હતું કે ભારતની લોકશાહી પ્રણાલીઓ એ કોઈ આયાતી ખ્યાલો નથી પરંતુ તે પ્રાચીન સમયથી જ પ્રાચીન સભાઓ અને સમિતિઓ દ્વારા વિકસિત થઈ છે, જેણે 75 વર્ષથી સતત મજબૂત થતી જનભાગીદારી અને મજબૂત સંસ્થાગત વિકાસનો માર્ગ મોકળો કર્યો છે.

શ્રી બિરલાએ પ્રજાસત્તાકની શરૂઆતથી જ તમામ નાગરિકોને સમાન અધિકારોની ખાતરી આપવા બદલ ભારતીય બંધારણના દીર્ઘદ્રષ્ટા ઘડવૈયાઓની પ્રશંસા કરી હતી. દેશના આ પાયાના દસ્તાવેજના મુખ્ય સિદ્ધાંતો વિશે વાત કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે સમાજના દરેક વર્ગ માટે સમાનતા, ન્યાય અને સમાન તકના સિદ્ધાંતોને અનન્ય રીતે સમાવિષ્ટ કરે છે. તેમણે ખાસ કરીને ભારતમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારને તાત્કાલિક અપનાવવાના ઐતિહાસિક સીમાચિહ્ન પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે એવા ઘણા દેશો જ્યાં મહિલાઓને મતાધિકાર ઘણો મોડો મળ્યો હતો તેની તુલનામાં ભારતે શરૂઆતથી જ સંપૂર્ણ સમાનતા પસંદ કરી હતી.

ભારતના યુવાનોને દેશની ઇનોવેશનની મુખ્ય ધરી ગણાવતા શ્રી બિરલાએ જણાવ્યું હતું કે આગામી પેઢી પાસે દેશને પરિવર્તિત કરવા માટે જરૂરી અજોડ ઊર્જા અને "નવો સંકલ્પ" છે. તેમણે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે નેતૃત્વની ભૂમિકામાં મહિલાઓના ઝડપથી વધી રહેલા પ્રભાવ પર વિશેષ ભાર મૂક્યો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીથી લઈને કૃષિ અને રાષ્ટ્રીય સુરક્ષા સુધી, તેમણે અવલોકન કર્યું કે મહિલાઓ પરંપરાગત અવરોધોને તોડી રહી છે અને સામાજિક પરિવર્તનને વેગ આપી રહી છે. તેમણે નોંધ્યું હતું કે લોકશાહી અને આર્થિક ભાગીદારીમાં આ સર્વસમાવેશી ઉછાળો દેશની ચાલુ રાષ્ટ્રનિર્માણ પ્રક્રિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે પાયાના સ્તરના શાસનમાં ભારતની શાંત ક્રાંતિની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે અસંખ્ય રાજ્યોમાં સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી ઐતિહાસિક 50 ટકા સુધી પહોંચી ગઈ છે. શ્રી બિરલાએ ઐતિહાસિક 'નારી શક્તિ વંદન અધિનિયમ' ને સર્વોચ્ચ કાયદાકીય સ્તરે આ સફળતાને પ્રતિબિંબિત કરતું એક નિર્ણાયક આગામી પગલું ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અધિનિયમ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓના પ્રતિનિધિત્વને કાયમી ધોરણે મજબૂત કરશે, જે પાયાના સ્તરથી જ ભારતના રાજકીય પરિદ્રશ્યને બદલી નાખશે.

તેમણે નોંધ્યું હતું કે નૈતિકતા, આધ્યાત્મિકતા અને લોકશાહી સંવાદમાં લીન ભારતનું વિશિષ્ટ સામાજિક માળખું સ્વાભાવિક રીતે જ યુવા નાગરિકોને જાહેર જીવન માટે સજ્જ કરે છે. તેમણે યુવાનોને દેશને અભૂતપૂર્વ વૈશ્વિક ઊંચાઈઓ પર લઈ જવા માટે તેમના નવાચાર અને સેવાભાવનાને વાળવા વિનંતી કરી હતી. તેમણે સહભાગીઓને યાદ અપાવ્યું હતું કે સાચું નેતૃત્વ એ સહાનુભૂતિ અને જે નાગરિકોનું તેઓ પ્રતિનિધિત્વ કરવા માંગે છે તેમના પ્રત્યેની સંપૂર્ણ જવાબદારીમાં રહેલું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સંવિધાન સદનની પવિત્ર દિવાલોની અંદર યુવા નેતાઓનો આ મેળાવડો આગામી પેઢીના હૃદયમાં લોકશાહી જવાબદારીની એક શક્તિશાળી જ્યોત પ્રગટાવશે.

આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા; લોકસભાના મહાસચિવ શ્રી ઉત્પલ કુમાર સિંહ; અને યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સચિવ ડૉ. પલ્લવી જૈન ગોવિલ ઉપસ્થિત રહ્યા હતા.

SM/DK/JD


(रिलीज़ आईडी: 2273610) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada