રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ સંકલિત આદિજાતિ વિકાસ એજન્સીઓ અને સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ્સના સુદૃઢીકરણ પર રાષ્ટ્રીય કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું


આદિવાસી સમુદાયોનો સર્વાંગી વિકાસ દેશની પ્રગતિને સમાવેશી વિકાસનું સ્વરૂપ પ્રદાન કરશે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

प्रविष्टि तिथि: 03 JUN 2026 3:10PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (3 જૂન, 2026) નવી દિલ્હીમાં સંકલિત આદિજાતિ વિકાસ એજન્સીઓ (ITDAs) અને સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ્સ (ITDPs) ના સુદૃઢીકરણ પર રાષ્ટ્રીય કોન્ક્લેવ (મહાઅધિવેશન) નું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે રાષ્ટ્રપતિએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc), બેંગલુરુના સેન્ટર ફોર નેનો સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ખાતે 'ટ્રેનિંગ ફેબ' અને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલોમાં 75 સ્પેસ લેબ્સનું પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું.

ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ કોન્ક્લેવ આદિવાસી પરિવર્તનના વાહકો (ચેન્જ એજન્ટ્સ) નું સંમેલન છે. આદિવાસી સમુદાયો માટેના કલ્યાણ અને વિકાસ કાર્યક્રમોને સીધા તેમના ગામડાંઓ અને ઘરઆંગણે પહોંચાડવાની જવાબદારી તમામ સહભાગીઓની છે. આવું કરવાથી તેઓ આદિવાસી ભાઈ-બહેનોના જીવનમાં ગહન પરિવર્તન લાવી શકે છે. જ્યારે રાજ્ય અને પ્રોજેક્ટ સ્તરે કામ કરતા તમામ લોકો એક સહિયારા, વ્યાપક ઉદ્દેશ્ય સાથે વિચાર-વિમર્શ કરવા માટે એકસાથે આવે છે, ત્યારે અસંખ્ય રચનાત્મક ઉકેલો ઉભરી આવવા સ્વાભાવિક છે. તેમણે એ નોંધીને આનંદ વ્યક્ત કર્યો હતો કે આ કોન્ક્લેવમાં આદિવાસી વિકાસના મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચાઓ થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિવિધ એજન્સીઓ અને પ્રોજેક્ટ્સમાં કાર્યરત કર્મચારીઓ સુવિચારેલા નિર્ણયોના આધારે આગળ વધશે. આનાથી એ સુનિશ્ચિત થશે કે વિવિધ યોજનાઓના લાભો આદિવાસી સમુદાયોના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે.

રાષ્ટ્રપતિએ તમામ હિતધારકોને એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી કે દરેક પ્રોજેક્ટ ફાઇલ અને દસ્તાવેજનો અંતિમ હેતુ કોઈ મનુષ્યને મદદ કરવાનો છે. આ પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલી તમામ એજન્સીઓ અને વ્યક્તિઓએ પ્રત્યેક સગર્ભા માતાને પૂરતું પોષણ, દરેક આદિવાસી બાળકને સારી શાળામાં શિક્ષણ, તમામ આદિવાસી યુવાનોને ગૌરવપૂર્ણ આજીવિકા અને દરેક આદિવાસી પરિવારને કલ્યાણ અને વિકાસ કાર્યક્રમોના લાભો મળે તેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સંવેદનશીલતાની આ જ ભાવના સાથે આ પ્રોજેક્ટ્સમાં સામેલ તમામ એજન્સીઓ અને કર્મચારીઓએ પોતાનું કાર્ય કરવું જોઈએ.

રાષ્ટ્રપતિએ એ નોંધીને ખુશી વ્યક્ત કરી હતી કે આધુનિક વિકાસના પ્રયાસોની સાથે-સાથે આદિવાસી સમુદાયોની સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિએ વ્યક્તિ અને સમાજની પ્રગતિમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ હિતધારકોને આદિવાસી સમુદાયોના બાળકો અને યુવાનોના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે પૂરા દિલથી યોગદાન આપવા વિનંતી કરી હતી. તેમણે એ નોંધીને આનંદ વ્યક્ત કર્યો હતો કે દેશભરમાં અંદાજે 500 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો સ્થાપિત થઈ ચૂકી છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તમામ સાથી નાગરિકો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આગળ વધી રહ્યા છે. આદિવાસી સમુદાયોનો સર્વાંગી વિકાસ આ ઉદ્દેશ્યનો એક અભિન્ન ભાગ છે. આ દેશની પ્રગતિને સમાવેશી વિકાસનું સ્વરૂપ પ્રદાન કરશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ કોન્ક્લેવમાંથી ઉભરી આવેલા સૂચનો, તારણો અને રોડમેપ આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસની યોજનાઓને પાયાના સ્તરે નક્કર કાર્યવાહીમાં પરિવર્તિત કરવા સક્ષમ બનાવશે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

 

SM/DK/JD


(रिलीज़ आईडी: 2268402) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Telugu , Malayalam