પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇટાલીના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
20 MAY 2026 7:19PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રોમમાં રાષ્ટ્રપતિ ભવન 'ક્વિરિનાલે' ખાતે ઇટાલિયન રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સર્જિયો મેટરેલા સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારત-ઇટાલીના સંબંધોને મજબૂત કરવા માટે રાષ્ટ્રપતિ મેટરેલાના સમર્થન અને નેતૃત્વ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓએ ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીમાં થઈ રહેલી પ્રગતિની નોંધ લીધી હતી અને વેપાર તેમજ રોકાણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંશોધન અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, અવકાશ, ઊર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને નિર્ણાયક ટેકનોલોજીઓ, શિક્ષણ, સંસ્કૃતિ તેમજ લોકો વચ્ચેના પરસ્પર સંબંધોમાં ચાલી રહેલા સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ ઉભરતી ટેકનોલોજીઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.
બંને નેતાઓએ નોંધ્યું હતું કે ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વ્યાપાર કરાર પર વહેલી તકે હસ્તાક્ષર થવાથી આ ભાગીદારીને નવી ગતિ મળશે. તેઓએ દરિયાઈ સુરક્ષા, ડિજિટલ કનેક્ટિવિટી અને ઊર્જા પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે મલ્ટિમોડલ ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) ના મહત્વ વિશે ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી અને પશ્ચિમ એશિયા તેમજ યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેઓએ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા, નૌકાપરિવહનની સ્વતંત્રતા (ફ્રીડમ ઓફ નેવિગેશન) જાળવવા અને વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેટરેલાનો તેમની ઉષ્માભરી અને ભવ્ય આતિથ્ય સત્કાર બદલ આભાર માન્યો હતો અને રાષ્ટ્રપતિને પરસ્પર અનુકૂળ સમયે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
IJ/NP/JD
(રીલીઝ આઈડી: 2263428)
મુલાકાતી સંખ્યા : 8