પ્રધાનમંત્રીનું કાર્યાલય
દિલ્હીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
08 MAR 2026 3:54PM by PIB Ahmedabad
ભારત માતાની જય. ભારત માતાની જય.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી મનોહર લાલજી, હર્ષ મલ્હોત્રાજી, તોખન સાહુ જી, પ્રદેશ સરકારના તમામ મંત્રીઓ, તમામ માનનીય સાંસદો, માનનીય ધારાસભ્યગણ અને દિલ્હીના મારા વહાલા ભાઈઓ અને બહેનો.
આજે આપણે સૌ દિલ્હીમાં વિકાસને નવી ગતિ આપવા માટે અહીં એકઠા થયા છીએ. થોડીવાર પહેલા જ અહીં સાડા તેત્રીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. મેટ્રોના વિસ્તરણથી લઈને હજારો સરકારી કર્મચારીઓના આવાસ સુધી દેશની રાજધાનીમાં સુવિધાઓનું સતત મજબૂત વિસ્તરણ થઈ રહ્યું છે, એક નવી મજબૂતી આપવામાં આવી રહી છે. દિલ્હીના આપ લોકોએ એક વર્ષ પહેલા જે નવી આશા અને નવા સંકલ્પ સાથે, અહીં ભાજપની ડબલ એન્જિન સરકાર બનાવી હતી, તેનું પરિણામ આજે અહીં વિકાસ કાર્યોમાં દેખાઈ રહ્યું છે. હું દિલ્હીના તમામ નાગરિકોને આ વિકાસની અવિરત ધારા માટે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ,
આજનો આ કાર્યક્રમ એક બીજા કારણથી પણ બહુ વિશેષ છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આજે ભારત, મહિલા સશક્તિકરણની નવી ગાથા લખી રહ્યું છે. અહીં રેખા ગુપ્તાજીના સફળ નેતૃત્વમાં રાજધાનીનો વિકાસ થઈ રહ્યો છે. રાજનીતિ, પ્રશાસન, વિજ્ઞાન, રમતગમત કે સમાજ સેવા ક્ષેત્ર હોય, ભારતની નારી શક્તિ દરેક ક્ષેત્રમાં એક નવી ઉર્જા સાથે આગળ વધી રહી છે. હું સમગ્ર દેશની નારી શક્તિને આજે મહિલા દિવસ પર હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, અને રાષ્ટ્રના વિકાસમાં તેમના અસીમિત યોગદાન માટે ઋણ સ્વીકાર કરું છું અને તેમને અનેક-અનેક શુભકામનાઓ આપું છું, જેથી તેઓ સમાજ અને રાષ્ટ્રને નિરંતર મજબૂતી આપતા રહે, રાષ્ટ્રને નિરંતર પ્રગતિના પથ પર લઈ જવામાં નવી ઉર્જા આપતા રહે.
સાથીઓ,
દુનિયાની કોઈ પણ વ્યક્તિ, જ્યારે ભારત જેવા વિશાળ લોકશાહી વિશે વિચારે છે, તો અવારનવાર તેના મનમાં દિલ્હીની તસવીર આવે છે. દિલ્હી માત્ર ભારતની રાજધાની નથી. તે ભારતની ઓળખ પણ છે, ભારતની ઉર્જાનું પ્રતીક પણ છે. તેથી દિલ્હીનો વિકાસ માત્ર એક શહેરનો વિકાસ નથી હોતો, તે સમગ્ર દેશની છબી સાથે જોડાયેલો હોય છે. દિલ્હી જેટલી આધુનિક હશે, દિલ્હી જેટલી સુવિધાજનક હશે, દિલ્હીની કનેક્ટિવિટી જેટલી બહેતર હશે, ભારતનો આત્મવિશ્વાસ દુનિયાની સામે તેટલી જ મજબૂતીથી દેખાશે. અને તેથી મને ખુશી છે કે આજે આપણી દિલ્હી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતમાં તેજીથી આગળ વધી રહી છે. એક સમય હતો, જ્યારે દિલ્હીમાં ખરાબ વ્યવસ્થાઓની જ ચર્ચા થતી હતી. શહેરના એક ભાગથી બીજા ભાગ સુધી પહોંચવામાં કલાકો લાગતા હતા, બસ સ્ટેન્ડ પર, બસો અને ઓટોની રાહ જોવામાં માતાઓ-બહેનોનો સમય બરબાદ થતો હતો. પરંતુ આજે દિલ્હીની તસવીર બદલાઈ રહી છે. થોડા દિવસો પહેલા જ, દિલ્હી નમો ભારત જેવી તેજ ટ્રેન દ્વારા મેરઠ સાથે જોડાયું છે. આનાથી દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ વચ્ચે મુસાફરી વધુ સરળ બની ગઈ છે. અને આજે, મેટ્રો ફેઝ-ફોર શરૂ થવાની સાથે દિલ્હી મેટ્રોનું નેટવર્ક 375 કિલોમીટરથી પણ આગળ પહોંચી ગયું છે. દુનિયાના મોટા-મોટા શહેરોમાં પણ મેટ્રોનું આટલું મોટું નેટવર્ક નથી.
સાથીઓ,
આજે જે મેટ્રોનો નવો સેક્શન શરૂ થયો છે, તેનાથી રાજધાનીના લાખો લોકોને બહુ મોટી સુવિધા મળવાની છે. ખાસ કરીને, પૂર્વી અને ઉત્તર-પૂર્વી દિલ્હીના લોકો માટે હવે રોજની મુસાફરી પહેલા કરતા વધુ સરળ બનશે. આ બધાની સાથે જ, ગાઝિયાબાદ, નોઈડા, ફરીદાબાદ અને ગુરુગ્રામ જેવા NCR ના શહેરોથી, દિલ્હીના અલગ-અલગ ભાગોમાં આવવા-જવાનું વધુ સરળ બની જશે.
સાથીઓ,
આજનો આ કાર્યક્રમ, એ વાતનું પણ પ્રમાણ છે કે એક વર્ષ પહેલા દિલ્હીએ જે આપત્તિમાંથી મુક્તિ મેળવી, તે કેટલી જરૂરી હતી. જો અહીંયા આપત્તિ સરકાર ન હોત, તો આ મેટ્રો ફેઝ-4 પ્રોજેક્ટ, ઘણો સમય પહેલા પૂરો થઈ ગયો હોત. પરંતુ આપત્તિવાળાઓએ પોતાના રાજકીય સ્વાર્થ માટે, દિલ્હીના લાખો લોકોની સુવિધાને નેવે મૂકી દીધી હતી. હવે અહીં ભાજપ સરકાર બન્યા પછી, દિલ્હીના ચોતરફા વિકાસમાં ઘણી તેજી આવી છે.
સાથીઓ,
ડબલ એન્જિનની સરકારમાં, દિલ્હીની દરેક ટ્રાન્સપોર્ટ ફેસિલિટીનું અપગ્રેડેશન થઈ રહ્યું છે. દિલ્હીમાં દરરોજ લાખો લોકો બસોમાં મુસાફરી કરે છે. તેથી અમારી કોશિશ છે કે, દિલ્હીના લોકોને, સ્વચ્છ, આરામદાયક અને આધુનિક બસ સેવા મળે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ચાર હજારથી વધુ ઇલેક્ટ્રિક બસો, આજે દિલ્હીના લોકોની સેવા કરી રહી છે. અને વિતેલા માત્ર એક વર્ષમાં જ લગભગ 1800 નવી બસોને, દિલ્હીના રસ્તાઓ પર ઉતારવામાં આવી છે. આમાં સેંકડો 'દેવી બસો' પણ સામેલ છે, જે દિલ્હીની કોલોનીઓ અને મોહલ્લાઓને પરસ્પર જોડી રહી છે.
સાથીઓ,
આશરે 10 વર્ષો સુધી અહીં જે આપત્તિ સરકાર હતી, તેણે વિકાસનું દરેક કામ ઠપ્પ કરી દીધું હતું. હવે દિલ્હી સાથે જોડાયેલા વિવિધ પડકારોના સમાધાન માટે અમારી સરકાર, મિશન મોડ પર કામ કરી રહી છે. પેરિફેરલ એક્સપ્રેસ-વે બનવાથી લાખો ગાડીઓને, દિલ્હીમાં દાખલ થવાની આવશ્યકતા નથી પડતી. ભાજપ સરકાર યમુનાજીની સાફ-સફાઈ માટે પણ, બહુ મોટા લેવલ પર કામ કરી રહી છે. આ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરવામાં આવ્યું છે.
સાથીઓ,
દિલ્હીમાં પહેલા જે આપત્તિ સરકાર હતી, તેને અહીંના ગરીબ, મધ્યમ વર્ગ, કોઈની પણ પરેશાનીથી કોઈ ફરક પડતો નહોતો. આપત્તિ સરકારે હેલ્થ સેક્ટરની પણ હાલત બગાડી નાખી હતી. અમે આપત્તિ સરકારને પત્રો લખતા હતા, ભારત સરકાર પત્રો લખતી હતી, અને કહેતા રહ્યા કે આયુષ્માન સ્કીમ લાગુ કરો. પરંતુ આપત્તિવાળાઓએ ક્યારેય ગરીબોની પરવા ન કરી. મને ખુશી છે કે અહીં રેખાજીના નેતૃત્વમાં, ભાજપ સરકાર નિરંતર સ્થિતિઓ બદલવામાં લાગેલી છે. વિતેલા એક વર્ષમાં જ, અનેક આયુષ્માન આરોગ્ય મંદિર અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે. આનાથી ગરીબ અને મિડલ ક્લાસને ઘણો ફાયદો મળી રહ્યો છે. હવે દિલ્હીમાં આયુષ્માન સ્કીમ પણ લાગુ છે. દિલ્હીના લોકોને મફત ઈલાજ પણ મળી રહ્યો છે. ફરક સાફ છે. આપત્તિવાળાઓની રીત હતી- કામ ઓછું, બહાના વધારે. આજે દિલ્હીમાં વિકાસનું મોડલ છે, બહાના બંધ, કામ શરૂ. પહેલા પ્રોજેક્ટ્સ ફાઈલોમાં દમ તોડતા હતા. આજે પ્રોજેક્ટ્સ જમીન પર ઉતરે છે.
સાથીઓ,
આજે અહીં આવતા પહેલા, હું સરોજિની નગર ગયો હતો. ત્યાં મને નવા બનેલા સરકારી આવાસો જોવાનો અવસર મળ્યો. આ આવાસ તે સરકારી કર્મચારીઓ માટે બનાવવામાં આવ્યા છે, જે રાષ્ટ્રના દરેક સંકલ્પને પૂરો કરવામાં દિવસ રાત પરિશ્રમ કરે છે. એ જરૂરી છે કે તેમને રહેવા માટે, સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાજનક આવાસ મળે. અને એટલા માટે જ આ નવી અને આધુનિક ઇમારતો બનાવવામાં આવી રહી છે. આજે આવા હજારો નવા ફ્લેટ્સ લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે આ નવા આવાસ આપણા કર્મયોગીઓ અને તેમના પરિવારના જીવનમાં, નવી ખુશીઓ અને નવી આશા લઈને આવશે.
સાથીઓ,
આજે દેશમાં જ્યાં પણ ભાજપની સરકાર છે, દરેક રાજ્યમાં, દરેક ગામ-દરેક શહેરમાં, લોકોને કોઈ ને કોઈ યોજનાનો લાભ જરૂર મળી રહ્યો છે. આપણા જે ગરીબ પરિવારો છે, જે માતાઓ-બહેનો છે, જે મજૂર અને ખેડૂત છે, જે નાની-મોટી નોકરી કરનારા મારા ભાઈ-બહેનો છે, સરકાર તે બધા માટે કંઈક ને કંઈક જરૂર કરી રહી છે. હું તમને આપણા લારી-ગલ્લા (રેહડી-પટરી) પર કામ કરનારા સાથીઓનું ઉદાહરણ આપું છું. તેમનું આપણા રોજિંદા જીવનમાં કેટલું મહત્વ છે, તે આપણે કોરોના કાળ દરમિયાન અનુભવ્યું છે. આ તે લોકો છે, જેમને એક જમાનામાં પોતાની લારી પણ ભાડે લેવી પડતી હતી. નાનો વ્યવસાય કરવા માટે હજાર-બે હજાર રૂપિયા સુધી પણ તેમને કોઈ બીજા પાસેથી ઊંચા વ્યાજે લેવા પડતા હતા. પરંતુ અમારી સરકારે આ સાથીઓનું દર્દ સમજ્યું, અને તેમને બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા. આજે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના માધ્યમથી આવા લાભાર્થીઓને પોતાના કામ માટે સરળ લોન મળવા લાગી છે. દિલ્હીમાં પણ લારી-ગલ્લા પર કામ કરનારા આશરે 2 લાખ સાથીઓને, આ યોજનાથી આશરે 350 કરોડ રૂપિયાની મદદ મળી છે.
સાથીઓ,
મને હમણાં, આ લારી-ગલ્લા વાળી કેટલીક બહેનો સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો, તેઓ કઈ રીતે સફળતાપૂર્વક આગળ વધી રહી છે, તેનું વિસ્તૃત વર્ણન સાંભળીને મારું મન ગર્વથી ભરાઈ ગયું.
સાથીઓ,
આ જ દિલ્હીમાં, ક્યારેક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માત્ર અમીર લોકો પાસે રહેતા હતા. પરંતુ આજે સ્થિતિ બદલાઈ રહી છે. આજે લારી અને લારીઓ પર કામ કરનારા સાથીઓ પાસે પણ ક્રેડિટ કાર્ડની સુવિધા પહોંચી રહી છે. સરકારે લારી-ગલ્લાવાળા સાથીઓ માટે સ્વનિધિ ક્રેડિટ કાર્ડ આપવાનું અભિયાન ચલાવ્યું છે. હવે તેમના ખિસ્સામાં જ ક્રેડિટ કાર્ડ હશે જેને તેઓ પોતાની જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકશે. અત્યારથી થોડીવાર પહેલા અહીં મંચ પર મને કેટલીક બહેનોને આ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ આપવાનો અવસર મળ્યો છે. આ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ, ગરીબના સ્વાભિમાનનું નવું માધ્યમ બની રહ્યું છે.
સાથીઓ,
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, હું દેશની મારી કરોડો બહેનો સાથે, એક બીજી ખુશી શેર કરવા માંગું છું. થોડા વર્ષો પહેલા આપણે સંકલ્પ લીધો હતો કે, આપણે દેશમાં 3 કરોડ બહેનોને 'લખપતિ દીદી' બનાવીશું. ઘણા લોકોએ મારી મજાક ઉડાવી હતી, કે દેશના ગામડામાં મહિલા લખપતિ દીદી બને, આ મોદી ચૂંટણી જીતવા માટે નવી-નવી વાતો કહેતો રહે છે, ઘણું ભલું-બૂરું કહેવામાં આવ્યું હતું, ઘણી મજાક ઉડાવવામાં આવી હતી, ભાત-ભાતના સોશિયલ મીડિયા પર ખેલ ચાલી રહ્યા હતા. પરંતુ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બહુ ગર્વ સાથે કહું છું કે, મારી માતાઓ-બહેનોમાં કેટલું સામર્થ્ય છે, જો તેમને અવસર આપવામાં આવે, તો તેઓ કેવી-કેવી, નવી-નવી સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. મારે આજે ખુશી સાથે કહેવું છે કે દેશે, ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો, તે પૂરો થઈ ચૂક્યો છે. 3 કરોડથી વધુ બહેનો હવે લખપતિ બની ચૂકી છે.
સાથીઓ,
દાયકાઓથી ગામડાઓમાં આપણી બહેનો પાસે હુનર પણ હતું, મહેનત પણ હતી, પરંતુ તેમને મૂડી અને અવસર નહોતા મળતા. અને એટલા માટે જ અમે આ બહેનોને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (SHGs) સાથે જોડ્યા, બેંકો સાથે જોડ્યા, અને તેમને નવી ટ્રેનિંગ, નવા અવસર અને બજાર સાથે જોડવાનું કામ કર્યું. આજે દેશમાં 10 કરોડથી વધુ બહેનો, આવા જૂથો સાથે જોડાયેલી છે. આ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને, લાખો કરોડ રૂપિયાની આર્થિક મદદ મળી છે. તેનું પરિણામ એ છે કે આજે ગામડાઓની નારીશક્તિ, આત્મનિર્ભર બની રહી છે, પોતાના પરિવારની આવક વધારી રહી છે અને લખપતિ દીદી બનીને, ગ્રામીણ અર્થતંત્રને પણ બહુ મજબૂત કરી રહી છે.
સાથીઓ,
આપણી બહેનોની આ જ સફળતાએ, અમને એક નવો સંકલ્પ લેવાની પ્રેરણા આપી છે. ત્રણ કરોડ લખપતિ દીદી, આ અશક્ય લાગતું હતું, પરંતુ સાકાર કરી દીધું. હવે સરકારે નક્કી કર્યું છે કે દેશમાં 3 કરોડ લખપતિ દીદી, અને નવી ત્રણ કરોડ ઉમેરવામાં આવશે. એટલે કે ત્રણ કરોડ લખપતિ દીદી બની ચૂકી, આજે આપણે સંકલ્પ લઈ રહ્યા છીએ, ત્રણ કરોડ વધુ દીદી લખપતિ દીદી બનશે. મને પૂરો વિશ્વાસ છે કે દેશની નારી શક્તિના આશીર્વાદથી આ સંકલ્પ પણ જરૂર પૂરો થશે.
ભાઈઓ અને બહેનો,
આજે જ્યારે દેશ, પોતાની માતાઓ-બહેનો-દીકરીઓની સિદ્ધિઓનું ગૌરવગાન કરી રહ્યો છે, ત્યારે હું દિલ્હી-વાસીઓ સાથે, દેશવાસીઓ સાથે એક પીડા પણ શેર કરવા માંગું છું. આ પીડા છે, આ દુઃખ છે, દિલને ઊંડી ચોટ લાગી છે, જે હું આજે દેશવાસીઓ સામે, દિલ્હીવાસીઓ સામે, વ્યક્ત કરવા માંગું છું. આજે દેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવી રહ્યો છે, અને કાલે પશ્ચિમ બંગાળમાં TMC સરકારે, દેશના રાષ્ટ્રપતિ, આદરણીય દ્રૌપદી મુર્મૂજીનું ઘોર અપમાન કર્યું છે. દ્રૌપદી મુર્મૂજી, સંથાલ આદિવાસી પરંપરાના બહુ મોટા ઉત્સવમાં સામેલ થવા માટે બંગાળ ગયા હતા. પરંતુ રાષ્ટ્રપતિજી અને તે કાર્યક્રમનો, આદિવાસીઓના તે મહત્વપૂર્ણ કાર્યક્રમનો, આદિવાસીઓનું ગૌરવ કરવાને બદલે TMC એ, આદિવાસીઓના સંથાલ લોકોના અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો અને રાષ્ટ્રપતિનો બહિષ્કાર કર્યો. તેઓ સ્વયં આદિવાસી સમાજમાંથી આવે છે. સંથાલ આદિવાસી સમાજના વિકાસ માટે તેમણે ચિંતા કરી છે. TMC સરકારે તે કાર્યક્રમને ગેરવ્યવસ્થાને હવાલે કરી દીધો.
સાથીઓ,
આ રાષ્ટ્રપતિજીના અપમાનની સાથે-સાથે, દેશના બંધારણનું પણ અપમાન છે, દેશના બંધારણના સ્પિરિટનું પણ અપમાન છે, લોકશાહીની મહાન પરંપરાનું પણ અપમાન છે. જેમણે જીવનના સંઘર્ષોથી તપીને ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે, એવી દરેક બહેન-દીકરી, આ તેનું પણ અપમાન છે.
સાથીઓ,
આપણા અહીં કહેવાયું છે, અહંકારે હતઃ પુષ્ટઃ સમૂલં ચ વિનશ્યતિ. એટલે કે અહંકારમાં ચૂર વ્યક્તિ, ગમે તેટલો શક્તિશાળી કેમ ન હોય, અંતે નાશ પામે છે! હું આજે દેશની રાજધાનીથી, આપ સૌની વચ્ચે આ આહવાન કરી રહ્યો છું, એક આદિવાસી રાષ્ટ્રપતિનું ઘોર અપમાન કરનારી TMC ની આ ગંદી રાજનીતિ અને સત્તાનો અહંકાર, બહુ જ જલ્દી ચૂર-ચૂર થઈને રહેશે. પશ્ચિમ બંગાળની પ્રબુદ્ધ જનતા TMC ને, એક નારીના અપમાન માટે, એક આદિવાસીના અપમાન માટે અને દેશના મહામના રાષ્ટ્રપતિના અપમાન માટે ક્યારેય માફ નહીં કરે, દેશ પણ ક્યારેય માફ નહીં કરે, દેશનો આદિવાસી સમાજ પણ ક્યારેય માફ નહીં કરે, દેશની નારીશક્તિ પણ ક્યારેય માફ નહીં કરે.
સાથીઓ,
આપણી સંસ્કૃતિ આપણને દરેક વર્ગનું, દરેક વિચારનું સન્માન કરવાનું શીખવે છે. આપણી સંસ્કૃતિ આપણને આપણી વિરાસત પર ગર્વ કરવાનું પણ શીખવે છે. આ જ પ્રેરણાથી આજે આપણે દિલ્હીની વિરાસતના સંરક્ષણનું કામ પણ કરી રહ્યા છીએ. વિતેલા વર્ષોમાં કેન્દ્રની ભાજપ સરકારે, વિકાસ પણ અને વિરાસત પણ, આ મંત્ર સાથે, દિલ્હીની અનેક ઐતિહાસિક જગ્યાઓને વધુ બહેતર કરવાનું કામ શરૂ કર્યું છે. દિલ્હીમાં અનેક નવા સ્થળો પણ બનાવવામાં આવ્યા છે. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની યાદમાં નેશનલ વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. નવું સંસદ ભવન, કર્તવ્ય પથ, કર્તવ્ય ભવન અને સેવા તીર્થ, આ બધું 21મી સદીના ભારતની નવી વિચારસરણીને બતાવે છે. હમણાં થોડા દિવસો પહેલા જ ભારત મંડપમમાં ઐતિહાસિક ગ્લોબલ AI સમિટ થઈ. ભારત મંડપમ અને યશોભૂમિ જેવા સ્થળો, દુનિયાને ભારતની સંસ્કૃતિ, ભારતનો વેપાર અને ભારતની ક્ષમતાથી પરિચિત કરાવવાનું મોટું માધ્યમ બની ચૂક્યા છે. પ્રધાનમંત્રી સંગ્રહાલય અને યુગે-યુગીન ભારત સંગ્રહાલય જેવા નવા મ્યુઝિયમ પણ, દિલ્હીની ઓળખને વધુ મજબૂત કરવા જઈ રહ્યા છે.
સાથીઓ,
દિલ્હી ભારતની ઐતિહાસિક યાત્રાનું શહેર છે, અને આજે આ જ દિલ્હી દેશના એક નવા યુગનું સાક્ષી બની રહ્યું છે. આ નવા ભારતના આત્મવિશ્વાસનો યુગ છે. ભારતનો આ જ આત્મવિશ્વાસ, હવે આપણને વિકસિત ભવિષ્ય તરફ લઈ જશે. તેથી આપણે સૌએ મળીને પોતાના દરેક સંકલ્પની સિદ્ધિ માટે કામ કરતા રહેવાનું છે. મને વિશ્વાસ છે, રેખા ગુપ્તાજી અને તેમની પૂરી ટીમના નેતૃત્વમાં દિલ્હીમાં વિકાસનું દરેક કામ વધુ ગતિ પકડશે. દિલ્હીના દરેક પરિવારનું જીવન બહેતર થશે, સુખી થશે, સમૃદ્ધ થશે. આ જ સદભાવના સાથે, એકવાર ફરી તમામ વિકાસ કાર્યો માટે, હું આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. મારી સાથે બોલો-
ભારત માતાની જય! ભારત માતાની જય! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ! વંદે માતરમ!
ખૂબ-ખૂબ ધન્યવાદ!
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2236595)
મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada