પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 3જી જાન્યુઆરીએ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે
પિપ્રહવા અવશેષો ભગવાન બુદ્ધ સાથે સીધી રીતે જોડાયેલા સૌથી પ્રાચીન અને ઐતિહાસિક રીતે અત્યંત મહત્વપૂર્ણ અવશેષોમાંના એક છે
“ધ લાઈટ એન્ડ ધ લોટસ: રિલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” શીર્ષક હેઠળનું પ્રદર્શન ભગવાન બુદ્ધના જીવન વિશે સમજ આપે છે
આ પ્રદર્શન ભારતની અમર બૌદ્ધ વિરાસતને પ્રદર્શિત કરે છે
આ પ્રદર્શન એક સદીથી વધુ સમય પછી પરત લાવવામાં આવેલા અવશેષો અને પિપ્રહવાના પુરાતત્વીય ખજાનાને એકસાથે લાવે છે
प्रविष्टि तिथि:
01 JAN 2026 5:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ નવી દિલ્હીના રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ ખાતે ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે, જેનું શીર્ષક “ધ લાઈટ એન્ડ ધ લોટસ: રિલિક્સ ઓફ ધ અવેકન્ડ વન” (The Light & the Lotus: Relics of the Awakened One) રાખવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં પ્રથમ વખત, એક સદીથી વધુ સમય પછી સ્વદેશ પરત લાવવામાં આવેલા પિપ્રહવા અવશેષોને નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય અને કોલકાતાના ભારતીય સંગ્રહાલયના સંગ્રહમાં સાચવવામાં આવેલા અધિકૃત અવશેષો અને પુરાતત્વીય સામગ્રી સાથે એકસાથે લાવવામાં આવ્યા છે.
1898માં શોધાયેલા પિપ્રહવા અવશેષો પ્રારંભિક બૌદ્ધ ધર્મના પુરાતત્વીય અભ્યાસમાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે. આ ભગવાન બુદ્ધ સાથે સીધા જોડાયેલા સૌથી પ્રાચીન અને ઐતિહાસિક રીતે સૌથી મહત્વપૂર્ણ અવશેષોમાંના એક છે. પુરાતત્વીય પુરાવાઓ પિપ્રહવા સ્થળને પ્રાચીન કપિલવસ્તુ સાથે જોડે છે, જે ભગવાન બુદ્ધે સંન્યાસ પહેલાં પોતાનું પ્રારંભિક જીવન વિતાવ્યું હતું તે સ્થળ તરીકે વ્યાપકપણે ઓળખાય છે.
આ પ્રદર્શન ભગવાન બુદ્ધના ઉપદેશો સાથે ભારતના ઊંડા અને નિરંતર સભ્યતાના જોડાણને પ્રકાશિત કરે છે અને ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને જાળવવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ અવશેષોનું તાજેતરનું પ્રત્યાર્પણ (સ્વદેશ વાપસી) સરકારના સતત પ્રયત્નો, સંસ્થાકીય સહયોગ અને નવીન જાહેર-ખાનગી ભાગીદારી દ્વારા પ્રાપ્ત થયું છે.
આ પ્રદર્શન થીમ આધારિત (વિષયવાર) રીતે આયોજિત છે. તેના કેન્દ્રમાં સાંચીના સ્તૂપથી પ્રેરિત એક પુનઃનિર્મિત મોડેલ છે, જે રાષ્ટ્રીય સંગ્રહમાંથી લેવામાં આવેલા અધિકૃત અવશેષો અને પરત લાવવામાં આવેલા કિંમતી રત્નોને એકસાથે લાવે છે. અન્ય વિભાગોમાં પિપ્રહવા રિવિઝિટેડ, બુદ્ધના જીવનની ઝલક, મૂર્ત સ્વરૂપમાં અમૂર્ત: બૌદ્ધ ઉપદેશોની સૌંદર્યલક્ષી ભાષા, સરહદોની પેલે પાર બૌદ્ધ કલા અને આદર્શોનો વિસ્તાર, અને સાંસ્કૃતિક કલાકૃતિઓનું પ્રત્યાર્પણ: સતત પ્રયત્નોનો સમાવેશ થાય છે.
જાહેર સમજ વધારવા માટે, આ પ્રદર્શનને વ્યાપક ઓડિયો-વિઝ્યુઅલ ઘટકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, જેમાં ઇમર્સિવ ફિલ્મો, ડિજિટલ પુનઃનિર્માણ, અર્થઘટન પ્રોજેક્શન અને મલ્ટીમીડિયા પ્રસ્તુતિઓનો સમાવેશ થાય છે. આ તત્વો ભગવાન બુદ્ધના જીવન, પિપ્રહવા અવશેષોની શોધ, વિવિધ પ્રદેશોમાં તેમની હિલચાલ અને તેમની સાથે સંકળાયેલી કલાત્મક પરંપરાઓ વિશે સુલભ જાણકારી પૂરી પાડે છે.
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2210575)
आगंतुक पटल : 9