ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ 2023માં પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી થયેલા નુકસાન પછી પુનર્નિર્માણ અને પુનર્વસન યોજના માટે હિમાચલ પ્રદેશને 2006.40 કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર કુદરતી આપદાઓ અને આફતો દરમિયાન રાજ્ય સરકારો સાથે ખભે ખભો મિલાવીને ઉભી છે
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, કેન્દ્ર સરકારે SDRF હેઠળ 28 રાજ્યોને 20,264.40 કરોડ રૂપિયા અને NDRF હેઠળ 19 રાજ્યોને 5,160.76 કરોડ રૂપિયા જારી કર્યા છે
Posted On:
18 JUN 2025 11:02AM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી થયેલા નુકસાન પછીની પુનઃપ્રાપ્તિ અને પુનર્નિર્માણ યોજના 2023 માટે હિમાચલ પ્રદેશને રૂ. 2006.40 કરોડની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. નાણાંમંત્રી, કૃષિમંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (NDRF) હેઠળ પુનઃપ્રાપ્તિ અને પુનર્નિર્માણ ભંડોળ વિંડોમાંથી રાજ્યને નાણાકીય સહાય માટેના પ્રસ્તાવ પર વિચારણા કરી હતી.
ઉચ્ચ સ્તરીય સમિતિએ હિમાચલ પ્રદેશ માટે રૂ. 2006.40 કરોડની પુનઃપ્રાપ્તિ યોજનાને મંજૂરી આપી છે, જે રાજ્યને 2023ના ચોમાસા દરમિયાન પૂર, વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી થયેલા નુકસાન અને વિનાશમાંથી બહાર નીકળવામાં અને પુનર્નિર્માણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં મદદ કરશે. આમાંથી, રૂ. 1504.80 કરોડ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ હેઠળ પુનઃપ્રાપ્તિ અને પુનર્નિર્માણ ભંડોળ વિંડોમાંથી કેન્દ્રનો હિસ્સો હશે. અગાઉ 12 ડિસેમ્બર, 2023ના રોજ ગૃહ મંત્રાલયે આ આપત્તિથી પ્રભાવિત હિમાચલ પ્રદેશ માટે NDRF તરફથી રૂ. 633.73 કરોડની વધારાની નાણાકીય સહાયને મંજૂરી આપી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર કુદરતી આફતો અને અન્ય આફતો દરમિયાન રાજ્ય સરકારો સાથે ખભે ખભો મિલાવીને ઉભી રહે છે. પ્રધાનમંત્રી મોદીના આપત્તિ-પ્રતિરોધક ભારતના વિઝનને પૂર્ણ કરવા માટે, ગૃહમંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે દેશમાં આફતોનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા માટે અનેક પહેલ કરી છે. ભારતમાં આફતો જોખમ ઘટાડા પ્રણાલીને મજબૂત બનાવીને આફતો દરમિયાન જાન-માલના કોઈપણ મોટા નુકસાનને રોકવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે જોશીમઠ ભૂસ્ખલન પછી ઉત્તરાખંડ માટે 1658.17 કરોડ રૂપિયા અને 2023ના GLOF ઘટના પછી સિક્કિમ માટે 555.27 કરોડ રૂપિયા પુનઃપ્રાપ્તિ (રીકવરી) યોજનાઓની મંજૂરી આપી હતી.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે શહેરી પૂર (3075.65 કરોડ રૂપિયા), ભૂસ્ખલન (1000 કરોડ રૂપિયા), GLOF (150 કરોડ રૂપિયા), જંગલમાં આગ (818.92 કરોડ રૂપિયા), વીજળી (186.78 કરોડ રૂપિયા) અને દુષ્કાળ (2022.16 કરોડ રૂપિયા) આ વિસ્તારોમાં બહુવિધ જોખમોના સંકટને ઘટાડવા માટે 7253.51 કરોડ રૂપિયાના કુલ નાણાકીય ખર્ચ સાથે અનેક શમન યોજનાઓને મંજૂરી આપી હતી.
આ વધારાની સહાય રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ (SDRF)માં કેન્દ્ર દ્વારા રાજ્યોને જારી કરાયેલા ભંડોળ ઉપરાંત છે, જે પહેલાથી જ રાજ્યો પાસે છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન, કેન્દ્ર સરકારે SDRF હેઠળ 28 રાજ્યોને 20,264.40 કરોડ રૂપિયા અને NDRF હેઠળ 19 રાજ્યોને 5,160.76 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. વધુમાં, રાજ્ય આપત્તિ નિવારણ ભંડોળ (SDMF)માંથી 19 રાજ્યોને 4984.25 કરોડ રૂપિયા અને રાષ્ટ્રીય આપત્તિ નિવારણ ભંડોળ (NDMF)માંથી 08 રાજ્યોને 719.72 કરોડ રૂપિયાની સહાય પણ જાહેર કરવામાં આવી છે.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2137113)