પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17માં સિવિલ સર્વિસીસ દિવસને સંબોધિત કર્યો
આજે આપણે જે નીતિઓ પર કામ કરી રહ્યા છીએ, જે નિર્ણયો આપણે લઈ રહ્યા છીએ, તે આગામી હજાર વર્ષના ભવિષ્યને આકાર આપનારા છે: પ્રધાનમંત્રી
ભારતનો મહત્વાકાંક્ષી સમાજ - યુવાનો, ખેડૂતો, મહિલાઓ - તેમના સપના અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી રહ્યા છે, આ અસાધારણ આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે, અસાધારણ ગતિ જરૂરી છે: પ્રધાનમંત્રી
વાસ્તવિક પ્રગતિનો અર્થ નાના ફેરફારો નથી પરંતુ વ્યાપક અસર છે; દરેક ઘરમાં સ્વચ્છ પાણી, દરેક બાળક માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, દરેક ઉદ્યોગસાહસિક માટે નાણાકીય સુલભતા અને દરેક ગામ માટે ડિજિટલ અર્થતંત્રના લાભ, આ સર્વાંગી વિકાસ છે: પ્રધાનમંત્રી
શાસનની ગુણવત્તા યોજનાઓ લોકો સુધી કેટલી ઊંડે સુધી પહોંચે છે અને પાયાના સ્તરે તેનો વાસ્તવિક પ્રભાવ કેટલો પડે છે તેના પરથી નક્કી થાય છે: પ્રધાનમંત્રી
છેલ્લા 10 વર્ષોમાં ભારતે વૃદ્ધિશીલ પરિવર્તનથી આગળ વધીને અસરકારક પરિવર્તન જોયું છે: પ્રધાનમંત્રી
ભારત શાસન, પારદર્શિતા અને નવીનતામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
'જન ભાગીદારી'ના અભિગમે G20ને જનઆંદોલનમાં ફેરવી દીધું છે અને દુનિયાએ સ્વીકાર્યું છે કે, ભારત ફક્ત ભાગ જ નથી લઈ રહ્યું, પરંતુ તેનું નેતૃત્વ પણ કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
ટેકનોલોજીના યુગમાં શાસન વ્યવસ્થાપન વિશે નથી, પરંતુ શક્યતાઓ વધારવા વિશે છે: પ્રધાનમંત્રી
આપણે સિવિલ સેવકોની ક્ષમતા વધારવી જોઈએ જેથી આપણે ભવિષ્ય માટે તૈયાર સિવિલ સેવાનું નિર્માણ કરી શકીએ; એટલા માટે હું મિશન કર્મયોગી અને સિવિલ સર્વિસીસ ક્ષમતા નિર્માણ કાર્યક્રમ બંનેને ખૂબ જ મહત્વપૂર્ણ માનું છું: પ્રધાનમંત્રી
Posted On:
21 APR 2025 1:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ વર્ષે બંધારણની 75મી જન્મજયંતિ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. 21 એપ્રિલ, 1947ના રોજ સરદાર પટેલના ઐતિહાસિક નિવેદન, જેમાં તેમણે સનદી અધિકારીઓને 'સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખાવ્યા હતા ને યાદ કરતા શ્રી મોદીએ પટેલના નોકરશાહીના દ્રષ્ટિકોણ પર ભાર મૂક્યો હતો. જે શિસ્ત, પ્રામાણિકતા અને લોકશાહી મૂલ્યોને જાળવી રાખે છે અને સંપૂર્ણ સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરે છે. તેમણે ભારતના વિકસિત ભારત બનવાના સંકલ્પના સંદર્ભમાં સરદાર પટેલના આદર્શોની પ્રાસંગિકતા પર ભાર મૂક્યો હતો તથા સરદાર પટેલના વિઝન અને વારસાને હૃદયપૂર્વક અંજલિ અર્પણ કરી હતી.
લાલ કિલ્લા પરથી પોતાનાં અગાઉનાં નિવેદનનો ઉલ્લેખ કરીને આગામી હજાર વર્ષ માટે ભારતનો પાયો મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ સહસ્ત્રાબ્દીમાં 25 વર્ષ વીતી ચૂક્યાં છે, જે નવી સદી અને નવી સહસ્ત્રાબ્દિનાં 25માં વર્ષને ચિહ્નિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, "આજે આપણે જે નીતિઓ પર કામ કરી રહ્યાં છીએ, અમે જે નિર્ણયો લઈ રહ્યા છીએ, તે આગામી હજાર વર્ષના ભવિષ્યને આકાર આપશે." પ્રાચીન શાસ્ત્રોને ટાંકીને તેમણે કહ્યું હતું કે, જે રીતે રથ એક પૈડા સાથે આગળ વધી શકતો નથી, તેવી જ રીતે પ્રયાસ વિના માત્ર ભાગ્ય પર આધાર રાખીને જ સફળતા મેળવી શકાતી નથી. વિકસિત ભારતનાં લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સહિયારા પ્રયાસો અને દ્રઢ નિશ્ચયનાં મહત્ત્વ પર ભાર મૂકીને તેમણે દરેકને આ સહિયારા વિઝન માટે દરરોજ અને દરેક ક્ષણે અવિરતપણે કામ કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે થઈ રહેલા ઝડપી ફેરફારોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કેવી રીતે પરિવારોમાં પણ, યુવા પેઢી સાથે વાતચીત કરવાથી પરિવર્તનની ઝડપી ગતિને કારણે વ્યક્તિ જૂની થઈ ગઈ હોય તેવું અનુભવી શકે છે. તેમણે દર બે થી ત્રણ વર્ષે ગેજેટ્સના ઝડપી વિકાસ અને આ ફેરફારો વચ્ચે બાળકોના ઉછેર પર પ્રકાશ પાડ્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની અમલદારશાહી, કાર્ય પ્રક્રિયાઓ અને નીતિ નિર્માણ જૂના માળખા પર કામ કરી શકતા નથી. તેમણે 2014માં રજૂ થયેલા નોંધપાત્ર પરિવર્તન પર ટિપ્પણી કરી અને તેને ઝડપી ગતિએ થતા ફેરફારોને અનુકૂલન કરવાનો એક સ્મારક પ્રયાસ ગણાવ્યો. તેમણે ભારતના સમાજ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની આકાંક્ષાઓ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે તેમના સપના અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચ્યા છે અને આ અસાધારણ આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અસાધારણ ગતિની જરૂરિયાત પર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ આવનારા વર્ષો માટે ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્યોની રૂપરેખા આપી, જેમાં ઊર્જા સુરક્ષા, સ્વચ્છ ઊર્જા, રમતગમતમાં પ્રગતિ અને અવકાશ સંશોધનમાં સિદ્ધિઓનો સમાવેશ થાય છે અને દરેક ક્ષેત્રમાં ભારતનો ધ્વજ ઊંચો લહેરાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભારતને શક્ય તેટલી વહેલી તકે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની મોટી જવાબદારી સનદી કર્મચારીઓ પર છે. તેમણે આ મહત્વપૂર્ણ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં કોઈપણ વિલંબ ટાળવાનો આગ્રહ કર્યો હતો.
આ વર્ષના સિવિલ સર્વિસીસ દિવસની થીમ - 'ભારતનો સર્વાંગી વિકાસ' પર ખુશી વ્યક્ત કરતા શ્રી મોદીએ ભાર મૂક્યો કે તે માત્ર એક થીમ નથી પરંતુ દેશના લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને વચન છે. "ભારતના સમાવેશી વિકાસનો અર્થ એ છે કે કોઈ ગામ, કોઈ પરિવાર અને કોઈ નાગરિક પાછળ ન રહી જાય." તેમણે કહ્યું કે સાચી પ્રગતિ નાના ફેરફારો વિશે નથી, પરંતુ સંપૂર્ણ અસર પ્રાપ્ત કરવા વિશે છે. તેમણે સર્વાંગી વિકાસના વિઝનની રૂપરેખા આપી, જેમાં દરેક ઘર માટે સ્વચ્છ પાણી, દરેક બાળક માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, દરેક ઉદ્યોગસાહસિક માટે નાણાકીય સુલભતા અને દરેક ગામ માટે ડિજિટલ અર્થતંત્રના લાભોનો સમાવેશ થાય છે. તેમણે ભાર મૂક્યો કે શાસનની ગુણવત્તા ફક્ત યોજનાઓના લોન્ચ દ્વારા નક્કી થતી નથી. પરંતુ આ યોજનાઓ લોકો સુધી કેટલી ઊંડે સુધી પહોંચે છે અને તેમની વાસ્તવિક અસર શું છે તેના દ્વારા નક્કી થાય છે. પ્રધાનમંત્રીએ રાજકોટ, ગોમતી, તિનસુકિયા, કોરાપુટ અને કુપવાડા જેવા જિલ્લાઓમાં દેખીતી અસરની નોંધ લીધી, જ્યાં શાળામાં હાજરી વધારવાથી લઈને સૌર ઉર્જા અપનાવવા સુધી નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમણે આ પહેલોમાં સામેલ જિલ્લાઓ અને વ્યક્તિઓને અભિનંદન આપ્યા, તેમના ઉત્કૃષ્ટ કાર્ય અને અનેક જિલ્લાઓને મળેલા પુરસ્કારોની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં ભારતે વૃદ્ધિગત પરિવર્તનથી અસરકારક પરિવર્તન તરફ આગેકૂચ કરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશનું શાસન મોડલ હવે અત્યાધુનિક સુધારા, ટેકનોલોજીનો ઉપયોગ કરવા અને સરકાર અને નાગરિકો વચ્ચેનાં અંતરને દૂર કરવા નવીન પદ્ધતિઓ પર કેન્દ્રિત છે. તેમણે નોંધ્યું હતું કે, આ સુધારાઓની અસર ગ્રામીણ, શહેરી અને અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળે છે. તેમણે મહત્વાકાંક્ષી જિલ્લાઓની સફળતા પર ટિપ્પણી કરી હતી અને મહત્વાકાંક્ષી બ્લોક્સની સમાન નોંધપાત્ર સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે આ કાર્યક્રમ જાન્યુઆરી 2023માં શરૂ કરવામાં આવ્યો હતો અને માત્ર બે વર્ષમાં અભૂતપૂર્વ પરિણામો દર્શાવ્યા છે, જેમાં આરોગ્ય, પોષણ, સામાજિક વિકાસ અને આ બ્લોક્સમાં મૂળભૂત માળખાગત સુવિધા જેવા સૂચકાંકોમાં નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડ્યો છે. પરિવર્તનશીલ પરિવર્તનનાં ઉદાહરણો ટાંકીને તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનનાં ટોંક જિલ્લાનાં પીપલુ બ્લોકમાં આંગણવાડી કેન્દ્રોમાં બાળકો માટે માપણીની કાર્યક્ષમતા 20 ટકાથી વધીને 99 ટકા થઈ છે. જ્યારે બિહારનાં ભાગલપુરનાં જગદીશપુર બ્લોકમાં પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ગર્ભવતી મહિલાઓની નોંધણી 25 ટકાથી વધીને 90 ટકા થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરનાં મારવાહ બ્લોકમાં સંસ્થાકીય ડિલિવરી 30 ટકાથી વધીને 100 ટકા થઈ છે અને ઝારખંડનાં ગુરડીહ બ્લોકમાં નળનાં પાણીનાં જોડાણો 18 ટકાથી વધીને 100 ટકા થયાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માત્ર આંકડાઓ જ નથી, પણ છેવાડાનાં ગાળા સુધી પહોંચાડવા માટે સરકારનાં સંકલ્પનો પુરાવો છે. તેમણે કહ્યું હતું કે, "યોગ્ય ઉદ્દેશ, આયોજન અને અમલીકરણ સાથે અંતરિયાળ વિસ્તારોમાં પણ પરિવર્તન શક્ય છે."
છેલ્લાં એક દાયકામાં ભારતની સિદ્ધિઓ પર ભાર મૂકીને પરિવર્તનકારી ફેરફારો અને દેશની નવી ઊંચાઈઓ હાંસલ કરવા પર ભાર મૂકતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભારતને હવે માત્ર તેના વિકાસ માટે જ નહીં, પણ શાસન, પારદર્શકતા અને નવીનીકરણમાં નવા માપદંડો સ્થાપિત કરવા માટે પણ ઓળખવામાં આવે છે." તેમણે ભારતના જી-20ની અધ્યક્ષતાને આ પ્રગતિના નોંધપાત્ર ઉદાહરણ તરીકે ઓળખાવ્યું હતું અને નોંધ્યું હતું કે, જી-20ના ઇતિહાસમાં સૌપ્રથમવાર 60થી વધારે શહેરોમાં 200થી વધારે બેઠકો યોજાઈ હતી, જેણે વ્યાપક અને સર્વસમાવેશક પદચિહ્ન ઊભું કર્યું હતું. કેવી રીતે જનભાગીદારીનાં અભિગમને કારણે જી-20ને જન આંદોલનમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દુનિયાએ ભારતના નેતૃત્વનો સ્વીકાર કર્યો છે; ભારત માત્ર ભાગ જ નથી લઈ રહ્યું, પરંતુ નેતૃત્વ પણ કરી રહ્યું છે."
પ્રધાનમંત્રીએ સરકારની કાર્યદક્ષતાની આસપાસ વધી રહેલી ચર્ચાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને એ વાત પર ભાર મૂક્યો હતો કે, આ સંબંધમાં ભારત અન્ય દેશો કરતાં 10-11 વર્ષ આગળ છે. તેમણે છેલ્લાં 11 વર્ષ દરમિયાન ટેકનોલોજીનાં માધ્યમથી થતા વિલંબને દૂર કરવા, નવી પ્રક્રિયાઓ પ્રસ્તુત કરવા અને ટર્નઅરાઉન્ડ ટાઇમ ઘટાડવા માટે કરવામાં આવેલા પ્રયાસોની નોંધ લીધી હતી. તેમણે નોંધ્યું હતું કે, 40,000થી વધારે અનુપાલન દૂર કરવામાં આવ્યાં છે અને વેપાર-વાણિજ્યની સરળતાને પ્રોત્સાહન આપવા માટે 3,400થી વધારે કાનૂની જોગવાઈઓને બિન-અપરાધિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમણે આ સુધારાઓ દરમિયાન જે પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો તેને યાદ કર્યો હતો, જેમાં ટીકાકારોએ આ પ્રકારના ફેરફારોની જરૂરિયાત પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર દબાણને વશ થઈ નથી, નવા પરિણામો પ્રાપ્ત કરવા માટે નવા અભિગમો આવશ્યક છે. તેમણે આ પ્રયાસોના પરિણામે ભારતના વેપાર-વાણિજ્ય સરળ કરવાના ક્રમાંકમાં થયેલા સુધારા પર પણ ભાર મૂક્યો હતો તથા ભારતમાં રોકાણ કરવા માટે વૈશ્વિક ઉત્સાહની નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે લાલફિતાશાહીને દૂર કરીને આ તકનો લાભ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી લક્ષ્યાંકો અસરકારક રીતે હાંસલ કરી શકાય.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "છેલ્લાં 10-11 વર્ષની સફળતાઓએ વિકસિત ભારતનો મજબૂત પાયો નાંખ્યો છે. અત્યારે દેશ આ મજબૂત પાયા પર વિકસિત ભારતની ભવ્ય ઇમારતનું નિર્માણ કરવાની શરૂઆત કરી રહ્યો છે, પણ તેમણે આગામી મહત્ત્વપૂર્ણ પડકારોનો સ્વીકાર કર્યો છે. ભારત મૂળભૂત સુવિધાઓમાં સંતૃપ્તિને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકીને દુનિયામાં સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની ગયો છે." તેમણે વિકાસમાં સર્વસમાવેશકતા સુનિશ્ચિત કરવા માટે છેવાડાનાં માઈલ સુધી તેને પહોચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. તેમણે નાગરિકોની વિકસતિ જરૂરિયાતો અને આકાંક્ષાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને નોંધ્યું હતું કે, સિવિલ સર્વિસે પ્રસ્તુત રહેવા માટે સમકાલીન પડકારોનો સ્વીકાર કરવો પડશે. શ્રી મોદીએ નવા માપદંડો સ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે અગાઉનાં બેન્ચમાર્ક સાથેની સરખામણીથી આગળ વધશે. તેમણે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં વિઝનની સામે પ્રગતિ માપવા, દરેક ક્ષેત્રમાં લક્ષ્યાંકો હાંસલ કરવાની હાલની ગતિ પર્યાપ્ત છે કે કેમ તે ચકાસવા અને જ્યાં જરૂર જણાય ત્યાં પ્રયાસોને વેગ આપવા અપીલ કરી હતી. તેમણે આજે ઉપલબ્ધ ટેકનોલોજીમાં થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો હતો અને તેની શક્તિનો લાભ લેવા અપીલ કરી હતી. વીતેલા દશકની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ગરીબો માટે 4 કરોડ મકાનોના નિર્માણનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં 3 કરોડથી વધુ મકાનોનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાં 5-6 વર્ષની અંદર 12 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળથી પાણી સાથે જોડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ માટે દરેક ગામના લોકોને ટૂંક સમયમાં નળનું જોડાણ સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય છે. છેલ્લાં 10 વર્ષમાં વંચિતો માટે 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ થયું છે. ત્યારે કચરાના વ્યવસ્થાપનમાં નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવામાં આવ્યાં છે અને લાખો વંચિત વ્યક્તિઓ માટે રૂ. 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર પ્રદાન કરવામાં આવી છે. શ્રી મોદીએ નાગરિકો માટે પોષણમાં સુધારો કરવા નવેસરથી કટિબદ્ધતા વ્યક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને જાહેરાત કરી હતી કે, અંતિમ લક્ષ્યાંક 100 ટકા કવરેજ અને 100 ટકા અસરનો હોવો જોઈએ. આ અભિગમથી છેલ્લાં એક દાયકામાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેનાથી ગરીબીમુક્ત ભારત બનશે.
ઔદ્યોગિકરણ અને ઉદ્યોગસાહસિકતાની ગતિને નિયંત્રિત કરતા નિયમનકાર તરીકે નોકરશાહીની ભૂતકાળની ભૂમિકા પર વિચાર કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશ આ માનસિકતાથી આગળ વધ્યો છે અને હવે તે એવા વાતાવરણને પ્રોત્સાહન આપી રહ્યું છે કે જે નાગરિકો વચ્ચે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે અને તેમને અવરોધો દૂર કરવામાં મદદ કરે. તેમણે જણાવ્યું હતું કે, "સિવિલ સર્વિસીસે સક્ષમકર્તામાં પરિવર્તિત થવું જોઈએ, જે માત્ર નિયમ પુસ્તકોના રક્ષક બનવાથી માંડીને વૃદ્ધિના સહાયક બનવા સુધીની તેની ભૂમિકાને વિસ્તૃત કરે." એમએસએમઇ ક્ષેત્રનું ઉદાહરણ ટાંકીને તેમણે મિશન ઉત્પાદનનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને કેવી રીતે આ મિશનની સફળતા એમએસએમઇ પર નિર્ભર છે એ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, વૈશ્વિક પરિવર્તનો વચ્ચે ભારતમાં એમએસએમઇ, સ્ટાર્ટઅપ્સ અને યુવાન ઉદ્યોગસાહસિકો પાસે અભૂતપૂર્વ તક છે. તેમણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વધારે સ્પર્ધાત્મક બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને નોંધ્યું હતું કે, એમએસએમઇને માત્ર નાના ઉદ્યોગસાહસિકો જ નહીં, પણ વૈશ્વિક સ્તરે પણ સ્પર્ધાનો સામનો કરવો પડે છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, જો એક નાનો દેશ તેના ઉદ્યોગોને અનુપાલનમાં વધુ સરળતા પ્રદાન કરે છે, તો તે ભારતીય સ્ટાર્ટઅપ્સને પાછળ છોડી શકે છે. એટલે તેમણે ભારતને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓમાં પોતાની સ્થિતિનું સતત મૂલ્યાંકન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ભારતીય ઉદ્યોગોનું લક્ષ્ય વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ ઉત્પાદનોનું સર્જન કરવાનું છે, ત્યારે ભારતની નોકરશાહીનો ઉદ્દેશ દુનિયામાં અનુપાલનમાં સરળતા લાવવાનો શ્રેષ્ઠ પર્યાવરણ પ્રદાન કરવાનો હોવો જોઈએ.
સનદી અધિકારીઓને કૌશલ્ય પ્રાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "સનદી અધિકારીઓને કૌશલ્ય પ્રાપ્ત કરવાની જરૂર છે, જે તેમને ટેકનોલોજીને સમજવામાં મદદ કરે છે, પણ સાથે સાથે સ્માર્ટ અને સર્વસમાવેશક શાસન માટે પણ તેનો ઉપયોગ શક્ય બનાવે છે. તે શક્યતાઓને ગુણાકાર કરવાની વાત છે." તેમણે ટેકનોલોજીનાં માધ્યમથી નીતિઓ અને યોજનાઓને વધારે કાર્યક્ષમ અને સુલભ બનાવવા માટે ટેક-સેવી બનવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સચોટ નીતિગત ડિઝાઇન અને અમલીકરણને સુનિશ્ચિત કરવા ડેટા-સંચાલિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં કુશળતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ક્વોન્ટમ ફિઝિક્સમાં ઝડપથી થઈ રહેલી પ્રગતિનું અવલોકન કરીને ટેકનોલોજીમાં આગામી ક્રાંતિની આગાહી કરતાં શ્રી મોદીએ ડિજિટલ અને ઇન્ફોર્મેશન યુગને વટાવી જશે એવી અપેક્ષા વ્યક્ત કરતાં સનદી અધિકારીઓને શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવા અને નાગરિકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવા આ ટેકનોલોજીકલ ક્રાંતિ માટે તૈયાર રહેવા અપીલ કરી હતી. ભવિષ્ય માટે તૈયાર સનદી સેવાનું નિર્માણ કરવા માટે સનદી અધિકારીઓની ક્ષમતાઓને વધારવાનાં મહત્ત્વ જોર આપીને તેમણે આ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે મિશન કર્મયોગી અને સિવિલ સર્વિસ કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ ઝડપથી બદલાતા સમયમાં વૈશ્વિક પડકારો પર નજીકથી નજર રાખવાની જરૂરિયાતને મહત્વ આપ્યું, ખાસ કરીને ગ્લોબલ સાઉથ માટે, જ્યાં ચાલુ સંઘર્ષો મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે. જેનાથી દૈનિક જીવન અને આજીવિકા પ્રભાવિત થઈ રહી છે. તેમણે સ્થાનિક અને બાહ્ય પરિબળો વચ્ચે વધતા જતા આંતરસંબંધને સમજવાના મહત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે જળવાયુ પરિવર્તન, કુદરતી આફતો, રોગચાળા અને સાયબર ક્રાઇમના જોખમોને સક્રિય પગલાં લેવાની જરૂર હોય તેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો તરીકે ઓળખાવ્યા, અને ભારતને આ પડકારોનો સામનો કરવામાં દસ પગલાં આગળ રહેવાનો આગ્રહ કર્યો. તેમણે આ ઉભરતા વૈશ્વિક મુદ્દાઓને અસરકારક રીતે સંબોધવા માટે સ્થાનિક વ્યૂહરચનાઓ વિકસાવવા અને સ્થિતિસ્થાપકતા બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
લાલ કિલ્લા પરથી શરૂ કરાયેલા "પંચ પ્રણ"ના ખ્યાલને પુનરાવર્તિત કરતા, વિકસિત ભારત માટે સંકલ્પ, ગુલામી માનસિકતામાંથી મુક્તિ, વારસામાં ગૌરવ, એકતાની શક્તિ અને ફરજોની પ્રામાણિક પરિપૂર્ણતા પર ભાર મૂકતા, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે સનદી કર્મચારીઓ આ સિદ્ધાંતોના મુખ્ય વાહક છે. તેમણે કહ્યું, "જ્યારે પણ તમે સુવિધા કરતાં પ્રામાણિકતાને, જડતા કરતાં નવીનતાને અથવા સ્થિતિ કરતાં સેવાને પ્રાધાન્ય આપો છો, ત્યારે તમે રાષ્ટ્રને આગળ ધપાવો છો." તેમણે સિવિલ સેવકોમાં પોતાનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. યુવા અધિકારીઓને તેમની વ્યાવસાયિક યાત્રા શરૂ કરતા સંબોધતા, તેમણે વ્યક્તિગત સફળતામાં સામાજિક યોગદાન પર પ્રકાશ પાડ્યો. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ સમાજને પાછું આપવા માંગે છે. તેમણે સમાજમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સક્ષમ નાગરિક કર્મચારીઓના વિશેષાધિકાર પર ભાર મૂક્યો, તેમને રાષ્ટ્ર અને તેના લોકો દ્વારા પૂરી પાડવામાં આવતી આ તકનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરી.
પ્રધાનમંત્રીએ સનદી અધિકારીઓ માટે સુધારાઓની પુનઃકલ્પના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને તમામ ક્ષેત્રોમાં ઝડપી ગતિ અને વિસ્તૃત પાયે સુધારાઓ માટે અપીલ કરી હતી. તેમણે માળખાગત સુવિધા, પુનઃપ્રાપ્ય ઊર્જાનાં લક્ષ્યાંકો, આંતરિક સુરક્ષા, ભ્રષ્ટાચારને નાબૂદ કરવા, સામાજિક કલ્યાણ યોજનાઓ અને રમતગમત અને ઓલિમ્પિક્સ સાથે સંબંધિત લક્ષ્યાંકો જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો પર પ્રકાશ પાડ્યો હતો તથા દરેક ક્ષેત્રમાં નવા સુધારા લાગુ કરવાની અપીલ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, અત્યાર સુધીની ઉપલબ્ધિઓને અનેકગણી વટાવી દેવી જોઈએ, જે પ્રગતિ માટે ઉચ્ચ માપદંડો સ્થાપિત કરે છે. પ્રધાનમંત્રીએ ટેકનોલોજી-સંચાલિત દુનિયામાં માનવીય નિર્ણયોનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સનદી અધિકારીઓને સંવેદનશીલ રહેવા, વંચિતોનો અવાજ સાંભળવા, તેમનાં સંઘર્ષને સમજવા અને તેમની સમસ્યાઓનું સમાધાન કરવા પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી. તેમના સંબોધનના સમાપનમાં, તેમણે "નાગરિક દેવો ભવ"ના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો, તેને "અતિથિ દેવો ભવ"ની નૈતિકતા સાથે સરખાવ્યો અને સનદી અધિકારીઓને પોતાને માત્ર વહીવટકર્તાઓ તરીકે જ નહીં પરંતુ વિકસિત ભારતના આર્કિટેક્ટ તરીકે જોવાની હાકલ કરી, સમર્પણ અને કરુણા સાથે તેમની જવાબદારીઓ નિભાવવાની હાકલ કરી.
આ પ્રસંગે કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ-2 શ્રી શક્તિકાંત દાસ, કેબિનેટ સચિવ શ્રી ટી.વી. સોમનાથન અને વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગના સચિવ શ્રી વી. શ્રીનિવાસ ઉપસ્થિત રહ્યા હતા.
પાર્શ્વભૂમિ
પ્રધાનમંત્રીએ હંમેશા દેશભરના સનદી કર્મચારીઓને નાગરિકોના હિત માટે સમર્પિત રહેવા, જાહેર સેવા માટે પ્રતિબદ્ધ રહેવા અને તેમના કાર્યમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ વર્ષે પ્રધાનમંત્રીએ જિલ્લાઓના સર્વાંગી વિકાસ, મહત્વાકાંક્ષી બ્લોક કાર્યક્રમ અને નવીનતાની શ્રેણીઓમાં 16 સનદી કર્મચારીઓને પુરસ્કારો આપ્યા. આ દ્વારા તેમને સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે કરેલા કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2123134)
Visitor Counter : 44
Read this release in:
Malayalam
,
Tamil
,
Telugu
,
Kannada
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri