પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી કુબેર ટિલાની મુલાકાત લેશે, જ્યાં ભગવાન શિવનાં પ્રાચીન મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે

Posted On: 21 JAN 2024 8:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરી, 2024ના રોજ બપોરે લગભગ 12 વાગ્યે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા (અભિષેક) સમારોહમાં ભાગ લેશે. અગાઉ ઑક્ટોબર, 2023માં પ્રધાનમંત્રીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું હતું.

ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. વિવિધ આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સહિત જીવનનાં તમામ ક્ષેત્રોના લોકો પણ આ સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે આ પ્રતિષ્ઠિત જનમેદનીને સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી શ્રી રામ જન્મભૂમિ મંદિરનાં નિર્માણ સાથે સંકળાયેલા શ્રમજીવીઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કુબેર ટિલાની પણ મુલાકાત લેશે, જ્યાં ભગવાન શિવનાં પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તેઓ આ પુનઃસ્થાપિત મંદિરમાં પૂજા અને દર્શન પણ કરશે.

ભવ્ય શ્રી રામ જન્મભૂમિ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફિટ છે; પહોળાઈ 250 ફિટ અને ઊંચાઈ 161 ફિટ છે; અને કુલ 392 સ્તંભો અને 44 દરવાજા દ્વારા સમર્થિત છે. મંદિરના સ્તંભો અને દિવાલો હિન્દુ ભગવાનો, દેવતાઓ અને દેવીઓના જટિલ મૂર્તિકળા ચિત્રો દર્શાવે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ (શ્રી રામલલ્લાની મૂર્તિ)નું બાળપણનું સ્વરૂપ મૂકવામાં આવ્યું છે.

મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર પૂર્વ બાજુએ આવેલું છે, જ્યાં સિંહદ્વાર દ્વારા 32 પગથિયાં ચડીને પહોંચી શકાય છે. મંદિરમાં કુલ પાંચ મંડપ (હૉલ) છે-નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ. મંદિરની નજીક એક ઐતિહાસિક કૂવો (સીતા કૂપ) છે, જે પ્રાચીન યુગનો છે. મંદિર સંકુલના દક્ષિણપશ્ચિમ ભાગમાં કુબેર ટિલા ખાતે જટાયુની પ્રતિમાની સ્થાપના સાથે ભગવાન શિવનું પ્રાચીન મંદિર પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.

મંદિરનો પાયો રોલર-કોમ્પેક્ટેડ કોંક્રિટ (આર.સી.સી.)નાં 14 મીટર જાડા સ્તર સાથે બાંધવામાં આવ્યો છે, જે તેને કૃત્રિમ ખડકનો દેખાવ આપે છે. મંદિરમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ થતો નથી. જમીનના ભેજ સામે રક્ષણ માટે, ગ્રેનાઈટનો ઉપયોગ કરીને 21 ફૂટ ઊંચો આધારસ્તંભ બનાવવામાં આવ્યો છે. મંદિર સંકુલમાં ગટર પ્રક્રિયા પ્લાન્ટ, જળ પ્રક્રિયા પ્લાન્ટ, આગ સલામતી માટે પાણી પુરવઠો અને એક સ્વતંત્ર પાવર સ્ટેશન છે. આ મંદિરનું નિર્માણ દેશની પરંપરાગત અને સ્વદેશી તકનીકનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે.

CB/GP/JD



(Release ID: 1998467) Visitor Counter : 105