માહિતી અને પ્રસારણ મંત્રાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેરક ભાષણોના સંકલન 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની આવૃત્તિ-2 અને 3નું વિમોચન કરાયું

Posted On: 26 AUG 2023 4:37PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ભોપાલમાં કુશભવ ઠાકરે આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલાં ભાષણો અને સંબોધનો પરથી સંકલિત પુસ્તક 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની બે આવૃત્તિનું વિમોચન કર્યું હતું જેમાં જૂન 2020 થી મે 2021 અને જૂન 2021 થી મે 2022 સુધીના પ્રધાનમંત્રીના સફળ બીજા કાર્યકાળ દરમિયાન આપેલા સંબોધનોને આવરી લેવામાં આવ્યા છે. આ પુસ્તકોનું સંકલન માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આપેલા સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનો સતત પ્રેરણાના સ્રોત તરીકે મદદરૂપ થાય છે તે બાબત પર પ્રકાશ પાડ્યો હતો.

તેમના દરેક ભાષણમાં શીખવા માટેના મૂલ્યવાન બોધપાઠો હોય છે. પ્રધાનમંત્રીના ભાષણોમાં વિપુલ પ્રમાણમાં સમજદારીપૂર્ણ સામગ્રી હોવાથી પુસ્તકનું સંકલન કરવા માટે તેમાંથી ભાષણો પસંદ કરવાનું કામ પડકારજનક રહ્યું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ પુસ્તકના એક વિભાગમાં 86 પ્રેરણાદાયી ભાષણો અને બીજા વિભાગમાં 80 પ્રેરણાત્મક ભાષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પસંદગીનાં ભાષણોને ઘણા મહત્વના વિષયોને ધ્યાનમાં રાખીને સંકલન કરવામાં આવ્યું છે. આ ભાષણોમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ગુડ ગવર્નન્સ, મહિલા સશક્તિકરણ, રાષ્ટ્ર શક્તિ, આત્મનિર્ભર ભારત, જય વિજ્ઞાન, જય કિસાન વગેરે જેવા વિષયો પર સામાન્ય નાગરિકોને પ્રધાનમંત્રીએ આપેલું સંબોધન સામેલ છે.

મંત્રીશ્રીએ વધુમાં યુવાનો અને સંશોધકોને અનુરોધ કર્યો હતો કે, તેમણે આ પુસ્તકને અવશ્ય વાંચવું જોઇએ. આમાં ઘણું જાણવા અને શીખવાનું છે. શ્રી ઠાકુરે પ્રથમ વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વિક્રમ લેન્ડરના સફળ ઉતરાણની નોંધપાત્ર સિદ્ધિમાં ભારતે જે રીતે નોંધપાત્ર સફળતા અંકિત કરી છે તેની પણ પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય મંત્રીએ UPI અને BHIM એપ્લિકેશન જેવી એપ્સનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ડિજિટલ પેમેન્ટની દુનિયામાં હવે ભારતમાં સૌથી વધુ 46 ટકા લેવડદેવડો થઇ રહી છે.

તેમણે એ વાતની નોંધ લીધી હતી કે, અગાઉની સરખામણીમાં, 45 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, અને લોકોને મળતા લાભની રકમ હવે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સિસ્ટમ દ્વારા લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચી રહી છે.

શ્રી ઠાકુરે યુવાનોની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ભારતના યુવાનો હવે નોકરી આપનાર બની ગયા છે. વિશ્વની સરખામણીમાં ભારતમાં એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ છે.

શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, વિશ્વનો સૌથી સસ્તો ડેટા હવે ભારતમાં ઉપલબ્ધ છે. રાષ્ટ્રએ પોતાની 5G ટેક્નોલોજી તૈયાર કરી છે અને ભવિષ્યમાં 6G ટેક્નોલોજી તૈયાર કરવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, અમૃત મહોત્સવના 75માં વર્ષમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

મધ્યપ્રદેશ દ્વારા કરવામાં આવેલી પ્રગતિની પ્રશંસા કરતા શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં મધ્યપ્રદેશની ગણના બીમારુ રાજ્યમાં કરવામાં આવતી હતી, પરંતુ નવી સરકાર સત્તારૂઢ થયા પછી, આ રાજ્ય દેશના અગ્રણી અને પ્રગતિશીલ રાજ્યો પૈકી એક તરીકે ઉભરી આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, આપણે આપણી માતૃભાષામાં શિક્ષણમાં ઘણી પ્રગતિ કરી છે અને માત્ર મધ્યપ્રદેશમાં જ હિન્દીમાં તબીબી અભ્યાસ માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ‘શીખો કમાઓયોજના એક અનોખી યોજના છે અને અત્યાર સુધીમાં 86 હજારથી વધુ નોંધણી થઇ ચુકી છે અને મધ્યપ્રદેશે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું પણ સફળતાપૂર્વક આયોજન કર્યું છે.

માનનીય મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આ સમારંભમાં આપેલા સંબોધનમાં યુવાનોને આ પુસ્તક વાંચવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ અમૂલ્ય ખજાનો છે અને તેમાં બુદ્ધિના મોતી જોવા મળશે.

તેમણે એ વાતની નોંધ લીધી હતી કે, પ્રધાનમંત્રીની 'મન કી બાત' એ સામાન્ય નાગરિકોનો અવાજ છે, જે સામાજિક મુદ્દાઓ પર ભાર મૂકવા માટે એક મંચ પૂરો પાડે છે. તે એક એવી અદ્ભુત પહેલ છે જે તેની અંદર પ્રધાનમંત્રીની પ્રેરણાનો સાર મળે છે.

મુખ્યમંત્રીશ્રીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને એક સ્વપ્નદૃષ્ટા પ્રધાનમંત્રી તરીકે વર્ણવતું આ પુસ્તક ચોક્કસપણે વાંચવા અને તેમની સાથેની તેમની યાદો તાજી કરવા માટે ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ઇન્દોરે સમગ્ર દેશમાં સ્માર્ટ સિટીના ક્ષેત્રમાં તેની શ્રેષ્ઠતા સ્થાપિત કરી હોવાથી તેને પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ સ્માર્ટ સિટી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. સાથે સાથે, મધ્યપ્રદેશને ભારતીય સ્માર્ટ સિટી શ્રેણીમાં પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ઇન્દોરને સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત ટોચનું સ્થાન મળતું રહ્યું છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વિક્રમ સહાયએ આપેલા ઉષ્માભર્યા સ્વાગત પ્રવચન સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને ત્યારબાદ પુસ્તકો પર આધારિત એક ટૂંકી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ખજુરાહોના સાંસદ શ્રી વી.ડી. શર્મા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશન વિભાગના મહાનિદેશક સુશ્રી અનુપમા ભટનાગર દ્વારા રજૂ કરવામાં આવેલા આભાર વચન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

કાર્યક્રમની શરૂઆત પહેલાં, કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે માનનીય મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મળીને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા 'નયા ભારત: સશક્ત ભારત' થીમ પર યોજવામાં આવેલા મલ્ટી-મીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું તેમજ '9 વર્ષ: સેવા, સુશાસન ઔર ગરીબ કલ્યાણ'નો પ્રારંભ કરાવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા પુસ્તકોની શ્રેણી દર્શાવતો એક સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત લોકોને પુસ્તકો જોવા અને ખરીદવાની સુવિધા પૂરી પાડવામાં આવ હતી.

 

CB/GP/JD



(Release ID: 1952509) Visitor Counter : 170