પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આરોગ્ય અને તબીબી સંશોધન પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું

“અમે વિશ્વ સમક્ષ એક વિઝન રજૂ કર્યું છે - એક પૃથ્વી એક આરોગ્ય. આમાં તમામ જીવો - મનુષ્યો, પ્રાણીઓ અથવા છોડ માટે સર્વગ્રાહી આરોગ્યસંભાળનો સમાવેશ થાય છે.

"તબીબી સારવારને સસ્તી બનાવવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે"

"આયુષ્માન ભારત અને જન ઔષધિ યોજનાઓએ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓના 1 લાખ કરોડ રૂપિયાથી વધુની બચત કરી છે"

“પીએમ-આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન માત્ર નવી હોસ્પિટલોને જ નહીં પણ નવી અને સંપૂર્ણ આરોગ્ય ઈકોસિસ્ટમનું નિર્માણ કરી રહ્યું છે”

"આરોગ્ય સંભાળમાં ટેક્નોલોજી ફોકસ એ ઉદ્યોગસાહસિકો માટે એક શ્રેષ્ઠ તક છે અને સાર્વત્રિક આરોગ્યસંભાળ માટેના અમારા પ્રયાસોને પ્રોત્સાહન આપશે"

આજે ફાર્મા સેક્ટરનું બજાર કદ 4 લાખ કરોડનું છે. ખાનગી ક્ષેત્ર અને શિક્ષણવિદો વચ્ચે યોગ્ય સંકલન સાથે તે 10 લાખ કરોડનું થઈ શકે છે”

Posted On: 06 MAR 2023 11:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આરોગ્ય અને તબીબી સંશોધન' વિષય પર બજેટ પછીના વેબિનારને સંબોધન કર્યું. કેન્દ્રીય બજેટ 2023માં જાહેર કરાયેલી પહેલોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના વિચારો અને સૂચનો મેળવવા માટે સરકાર દ્વારા આયોજિત 12 બજેટ પછીના વેબિનારની શ્રેણીમાંથી આ નવમી છે.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આરોગ્ય સંભાળને કોવિડ પહેલા અને કોવિડ પછીના રોગચાળાની સિસ્ટમના સંદર્ભમાં જોઈ શકાય છે. તેમણે કહ્યું કે રોગચાળાએ સમૃદ્ધ રાષ્ટ્રોની પણ કસોટી કરી છે. તેમણે ધ્યાન દોર્યું કે, રોગચાળાએ આરોગ્ય પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રીત કર્યું હોવાથી, ભારતે એક ડગલું આગળ વધીને સુખાકારી પર ધ્યાન કેન્દ્રીત કર્યું. “એટલે જ અમે વિશ્વ સમક્ષ એક વિઝન રજૂ કર્યું છે - એક પૃથ્વી એક સ્વાસ્થ્ય. આમાં તમામ જીવો - મનુષ્યો, પ્રાણીઓ અથવા છોડ માટે સર્વગ્રાહી આરોગ્યસંભાળનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીએ રોગચાળા દરમિયાન સપ્લાય ચેઇનના સંદર્ભમાં શીખેલા પાઠનું પુનરાવર્તન કર્યું અને કહ્યું કે તે ખૂબ જ ચિંતાનો વિષય બની ગયો છે. તેમણે એ હકીકત પર શોક વ્યક્ત કર્યો કે જ્યારે રોગચાળો ચરમસીમા પર હતો ત્યારે દવાઓ, રસી અને તબીબી ઉપકરણો જેવા જીવનરક્ષક ઉપકરણોને શસ્ત્ર બનાવવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાછલા વર્ષોના બજેટમાં, સરકારે વિદેશી રાષ્ટ્રો પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો સતત પ્રયાસ કર્યો છે અને આમાં તમામ હિતધારકોની ભૂમિકા પર ભાર મૂક્યો છે.

પ્રધાનમંત્રીએ આઝાદી પછીના ઘણા દાયકાઓ સુધી સ્વાસ્થ્ય માટે એક સંકલિત લાંબા ગાળાના વિઝનની ગેરહાજરીની નોંધ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે હવે આરોગ્યના વિષયને માત્ર આરોગ્ય મંત્રાલય સુધી મર્યાદિત રાખવાને બદલે સમગ્ર સરકારના અભિગમને આગળ ધપાવી રહ્યા છીએ. “તબીબી સારવારને સસ્તી બનાવવી એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે”, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારને કારણે ગરીબ દર્દીઓના લગભગ 80 હજાર કરોડ રૂપિયાની બચત થઈ છે. આવતીકાલે એટલે કે 7મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે મનાવવામાં આવે છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે 9000 જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓએ સમગ્ર દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લગભગ 20 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. મતલબ કે આ બે યોજનાઓએ નાગરિકોના એક લાખ કરોડ રૂપિયા બચાવ્યા.

પ્રધાનમંત્રીએ ગંભીર બિમારીઓની સારવાર માટે મજબૂત સ્વાસ્થ્ય માળખાના મહત્વ પર ભાર મૂક્યો હતો. સરકારના મુખ્ય ધ્યાન પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે દેશભરમાં ઘરોની નજીકમાં 1.5 લાખથી વધુ આરોગ્ય કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યા છે જેથી પરીક્ષણ કેન્દ્રો અને પ્રાથમિક સારવાર ઉપલબ્ધ હોય. તેમણે એ પણ માહિતી આપી હતી કે આ કેન્દ્રોમાં ડાયાબિટીસ, કેન્સર અને હૃદય સંબંધિત સમસ્યાઓ જેવી ગંભીર બિમારીઓની તપાસ માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પીએમ-આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ નાના શહેરો અને ગામડાઓ માટે જટિલ આરોગ્ય માળખાકીય સુવિધાઓ સુલભ બનાવવામાં આવી રહી છે જે માત્ર નવી હોસ્પિટલોને જ નહીં પરંતુ નવી અને સંપૂર્ણ આરોગ્ય ઈકોસિસ્ટમનું નિર્માણ પણ કરી રહી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આના પરિણામે, આરોગ્ય સાહસિકો, રોકાણકારો અને વ્યાવસાયિકો માટે ઘણી તકો ઊભી થઈ રહી છે.

સેક્ટરમાં માનવ સંસાધન અંગે પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે છેલ્લા કેટલાક વર્ષોમાં 260 થી વધુ નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે. આનાથી 2014ની સરખામણીમાં સ્નાતક અને અનુસ્નાતક તબીબી અભ્યાસક્રમોમાં તબીબી બેઠકો બમણી થઈ છે. પ્રધાનમંત્રીએ આ વર્ષના બજેટમાં નર્સિંગ ક્ષેત્ર પર ભાર મૂક્યો હતો. “મેડિકલ કોલેજોની આસપાસમાં 157 નર્સિંગ કોલેજો ખોલવી એ મેડિકલ માનવ સંસાધનની દિશામાં એક મોટું પગલું છે. આ માત્ર સ્થાનિક જરૂરિયાત જ નહીં, વૈશ્વિક માંગને પરિપૂર્ણ કરવા માટે ઉપયોગી થઈ શકે છે,” એમ તેમણે ઉમેર્યું.

પ્રધાનમંત્રીએ તબીબી સેવાઓને સતત સુલભ અને સસ્તી બનાવવા માટે ટેક્નોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો અને આ ક્ષેત્રમાં ટેક્નોલોજીના અમલીકરણ પર સરકારના ધ્યાન પર વિસ્તૃતપણે જણાવ્યું હતું. “અમે ડિજિટલ હેલ્થ આઈડીની સુવિધા દ્વારા નાગરિકોને સમયસર આરોગ્યસંભાળ આપવા માગીએ છીએ. ઈ-સંજીવની જેવી યોજનાઓ દ્વારા ટેલીકન્સલ્ટેશન દ્વારા 10 કરોડ લોકોને પહેલેથી જ ફાયદો થયો છે”,એમ તેમણે જણાવ્યું હતું. 5G સ્ટાર્ટઅપ્સ માટે આ સેક્ટરમાં નવી તકો ઊભી કરી રહ્યું છે. ડ્રોન દવાની ડિલિવરી અને પરીક્ષણ સેવાઓમાં ક્રાંતિકારી ફેરફારો લાવી રહ્યા છે. "આ ઉદ્યોગસાહસિકો માટે એક મહાન તક છે અને સાર્વત્રિક આરોગ્યસંભાળ માટેના અમારા પ્રયત્નોને પ્રોત્સાહન આપશે", એમ તેમણે ઉદ્યોગસાહસિકોને કોઈપણ ટેક્નોલોજીની આયાત ટાળવા માટે આહ્વાન કરતા કહ્યું. પ્રધાનમંત્રીએ આ સંદર્ભે જરૂરી સંસ્થાકીય પ્રતિભાવની યાદી આપી હતી. તેમણે મેડિકલ ડિવાઈસ ક્ષેત્રની નવી યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસ પાર્ક, PLI સ્કીમ પર 30 હજાર કરોડથી વધુના રોકાણનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મેડિકલ ડિવાઈસમાં 12-14 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમણે માહિતી આપી હતી કે આગામી વર્ષોમાં આ બજાર રૂપિયા 4 લાખ કરોડ સુધી પહોંચી જશે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ભારતે ભવિષ્યની મેડિકલ ટેક્નોલોજી અને ઉચ્ચ સ્તરના ઉત્પાદન અને સંશોધન માટે કુશળ માનવશક્તિ પર કામ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, IIT જેવી સંસ્થાઓમાં બાયોમેડિકલ એન્જિનિયરિંગ જેવા કોર્સ ચલાવવામાં આવશે. તેમણે સહભાગીઓને ઉદ્યોગ-શિક્ષણ અને સરકારી સહયોગના માર્ગો શોધવા કહ્યું.

ભારતના ફાર્મા સેક્ટરમાં વિશ્વના વધતા વિશ્વાસને ઉજાગર કરતા, પ્રધાનમંત્રીએ આનો લાભ ઉઠાવવાની અને આ છબીને બચાવવા માટે કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે માહિતી આપી હતી કે ફાર્મા સેક્ટરમાં સંશોધન અને નવીનીકરણને ઉત્કૃષ્ટતા કેન્દ્રો દ્વારા પ્રોત્સાહન આપવા માટે એક નવો કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે જે અર્થતંત્રને મજબૂત કરવાની સાથે સાથે રોજગારની નવી તકોનું સર્જન કરશે. "ભારતમાં ફાર્મા સેક્ટરનાં બજારનું કદ આજે 4 લાખ કરોડનું છે",એમ પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે ખાનગી ક્ષેત્ર અને બૌધ્ધિકો વચ્ચે સંકલન શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કારણ કે તેમાં બજારનું કદ 10 લાખ કરોડથી આગળ વધવાની ક્ષમતા છે. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે ફાર્મા ક્ષેત્રો રોકાણ માટે મહત્વપૂર્ણ ક્ષેત્રો ઓળખે. આ ક્ષેત્રમાં વધુ સંશોધન કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક પગલાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ICMR દ્વારા સંશોધન ઉદ્યોગ માટે ઘણી નવી લેબ ખોલવામાં આવી છે.

શ્રી મોદીએ નિવારક આરોગ્યસંભાળ પર સરકારના પ્રયાસોની અસરની નોંધ લીધી. તેમણે સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત અભિયાન, ધૂમ્રપાનથી સંબંધિત રોગો માટે ઉજ્જવલા યોજના, પાણીજન્ય રોગોનો સામનો કરવા માટે જલ જીવન મિશન અને એનિમિયા અને કુપોષણને સંબોધિત કરવા માટે રાષ્ટ્રીય પોષણ મિશનની યાદી આપી. તેમણે બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષમાં શ્રી અન્નની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો. એ જ રીતે, પીએમ માતૃ વંદના યોજના, મિશન ઇન્દ્રધનુષ, યોગ, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને આયુર્વેદ લોકોને રોગોથી બચાવે છે એ બાબત પર ધ્યાન દોર્યું. ભારતમાં WHOના નેજા હેઠળ પરંપરાગત દવા માટે વૈશ્વિક કેન્દ્રની સ્થાપનાની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ આયુર્વેદમાં પુરાવા આધારિત સંશોધન માટે તેમની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો હતો.

શ્રી મોદીએ આધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને મેડિકલ માનવ સંસાધન સુધી સરકાર દ્વારા લેવામાં આવેલા પ્રયાસોને રેખાંકિત કર્યા અને કહ્યું કે નવી ક્ષમતાઓ માત્ર તેના નાગરિકો માટે સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી મર્યાદિત નથી પરંતુ ભારતને વિશ્વનું સૌથી આકર્ષક તબીબી પ્રવાસન સ્થળ બનાવવાનું લક્ષ્ય છે. તેમણે ધ્યાન દોર્યું કે મેડિકલ ટુરિઝમ એ ભારતમાં ખૂબ જ મોટું ક્ષેત્ર છે અને દેશમાં રોજગારીનું સર્જન કરવા માટેનું એક વિશાળ માધ્યમ પણ બની રહ્યું છે.

સંબોધન સમાપ્ત કરતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં માત્ર સબકા પ્રયાસ (દરેકના પ્રયાસો) વડે જ વિકસિત આરોગ્ય અને સુખાકારી ઇકોસિસ્ટમ બનાવી શકાય છે અને તમામ હિતધારકોને તેમના મૂલ્યવાન સૂચનો આપવા વિનંતી કરી હતી. “આપણે નક્કર રોડમેપ સાથે નિર્ધારિત લક્ષ્યો માટે સમય મર્યાદામાં બજેટ જોગવાઈઓને અમલમાં મૂકવા સક્ષમ હોવા જોઈએ. તમામ હિતધારકોને સાથે લઈને આગામી બજેટ પહેલા જમીન પરના તમામ સપનાઓને સાકાર કરવા માટે તમારા અનુભવનો લાભ લેવાની જરૂર પડશે”, એમ તેમણે સહભાગીઓને કહ્યું.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1904479) Visitor Counter : 260