પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર પ્રધાનમંત્રી શ્રીનો જવાબ


“અમારી સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોને પડતી સમસ્યાઓનો કાયમી ઉકેલ પૂરો પાડવાનો અને તેમને સશક્ત બનાવવાનો છે”

“આધુનિક ભારતનું નિર્માણ કરવા માટે અમે માળખાકીય સુવિધાઓ, વ્યાપકતા અને ઝડપના મહત્વને સમજીએ છીએ”

“અમારી વિચારસરણી અસ્તવ્યસ્ત વિખરાયેલી નથી, અમે ટોકનિઝમમાં નથી માનતા”

“આપણે સફળ થયા છીએ અને અમે સામાન્ય નાગરિકોના સશક્તિકરણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ”

“ડિજિટલ ઇન્ડિયાને મળેલી સફળતાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે”

“અમે દેશની પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને પ્રાદેશિક આકાંક્ષાઓ પર પણ ધ્યાન આપ્યું છે”

“અમારો સંકલ્પ છે કે, ભારત 2047 સુધીમાં 'વિકસિત ભારત' બને”

Posted On: 09 FEB 2023 3:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં વિકસિત ભારતનું વિઝન રજૂ કરીને બંને ગૃહોને માર્ગદર્શન આપવા બદલ રાષ્ટ્રપતિજીનો આભાર વ્યક્ત કરીને પોતાના જવાબની શરૂઆત કરી હતી.

પ્રધાનમંત્રીએ અગાઉના સમય કરતાં વિરોધમાં કહ્યું હતું કે “અમારી સરકારનો ઉદ્દેશ્ય નાગરિકો માટે કાયમી ઉકેલ પૂરો પાડવાનો અને તેમનું સશક્તિકરણ કરવાનો છે.” તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પહેલાના સમયમાં લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની જવાબદારી સરકારની હતી, ત્યારે તેમની પ્રાથમિકતાઓ અને હેતુઓ અલગ હતા. તેમણે ઉમેર્યું હતું કે, “આજે આપણે સમસ્યાઓના કાયમી ઉકેલ તરફ આગળ વધી રહ્યા છીએ”. પ્રધાનમંત્રીએ પાણીના મુદ્દાનું ઉદાહરણ આપ્યું અને સમજાવ્યું કે ટોકનિઝમને બદલે, જળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જળ શાસન, ગુણવત્તા નિયંત્રણ, જળ સંરક્ષણ અને સિંચાઇ ઇનોવેશન તૈયાર કરવાનો સર્વગ્રાહી સંકલિત અભિગમ અપનાવવામાં આવ્યો છે. આવા જ પગલાંઓએ નાણાકીય સમાવેશ, જન ધન-આધાર-મોબાઇલ દ્વારા DBT, પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અને અમલીકરણમાં કાયમી ઉકેલો બનાવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આધુનિક ભારતના નિર્માણ માટે અમે માળખાકીય સુવિધા, વ્યાપકતા અને ઝડપના મહત્વને સમજીએ છીએ”. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટેક્નોલોજીની તાકાતથી દેશમાં કાર્ય સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યું છે અને સરકાર ઝડપ વધારવા માટે અને તેની વ્યાપકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “મહાત્મા ગાંધી ‘શ્રેય’ (યોગ્યતા) અને ‘પ્રિય’ (ગમતું) કહેતા હતા. અમે ‘શ્રેય’ (યોગ્યતા)નો માર્ગ પસંદ કર્યો છે.” પ્રધાનમંત્રીએ એ વાતને રેખાંકિત કરી હતી કે, સરકાર દ્વારા પસંદ કરાયેલો રસ્તો એ નથી કે જ્યાં આરામને પ્રાથમિકતા આપવામાં આવતી હોય, પરંતુ તે રસ્તો છે જ્યાં આપણે સામાન્ય લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે દરરોજ દિવસ અને રાત અથાક મહેનત કરીએ.

પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, સરકારે આઝાદીના અમૃતકાળમાં સંતૃપ્તિનું સ્તર પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે સરકારના એવા પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો જ્યાં 100 ટકા લાભ દેશના દરેક લાભાર્થી સુધી પહોંચે છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ સાચી ધર્મનિરપેક્ષતા છે. આનાથી ભેદભાવ અને ભ્રષ્ટાચાર દૂર થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “દાયકાઓથી, આદિજાતિ સમુદાયોના વિકાસની ઉપેક્ષા કરવામાં આવતી હતી. અમે તેમના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.તેમણે માહિતી આપી હતી કે, પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન આદિજાતિઓના કલ્યાણ માટે એક અલગ મંત્રાલયની રચના કરવામાં આવી હતી અને આદિજાતિ કલ્યાણ માટે સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નાના ખેડૂતો ભારતના કૃષિ ક્ષેત્રની કરોડરજ્જુ છે. અમે તેમના હાથ મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ઘણા લાંબા સમય સુધી નાના ખેડૂતોની ઉપેક્ષા કરવામાં આવી હતી. વર્તમાન સરકારે તેમની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને નાના વિક્રેતાઓ અને કારીગરો સાથે નાના ખેડૂતો માટે ઘણી તકો ઊભી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ મહિલા સશક્તિકરણ માટે લેવામાં આવેલા પગલાં વિશે પણ વિગતે જણાવ્યું હતું અને ભારતમાં મહિલાના જીવનના દરેક તબક્કે સશક્તિકરણ, ગૌરવ સુનિશ્ચિત કરવા અને ઇઝ ઓફ લિવિંગ શક્ય બનાવવા માટે સરકારે હાથ ધરેલી વિવિધ પહેલ વિશે વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ જ્યારે કેટલાક લોકોએ ભારતના વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને રસી ઉત્પાદકોને નિરાશ કરવાનો પ્રયાસ કર્યો હતો તે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ પર સૌનું ધ્યાન દોર્યું ત્યારે ટિપ્પણી કરી હતી કે, “આપણા વૈજ્ઞાનિકો અને સંશોધકોના કૌશલ્યથી, ભારત સમગ્ર દુનિયાનું ફાર્મા હબ બની રહ્યું છે”. પ્રધાનમંત્રીએ અટલ ઇનોવેશન મિશન અને ટિંકરિંગ લેબ જેવા પગલાં દ્વારા વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની વાત કરી હતી. સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી તકોનો સંપૂર્ણ ઉપયોગ કરવા બદલ અને ખાનગી ઉપગ્રહો લોન્ચ કરવા બદલ તેમણે યુવાનો અને વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આપણે સફળ થયા છીએ અને સામાન્ય નાગરિકોના સશક્તિકરણ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ”.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “દેશ આજે ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સમગ્ર દુનિયામાં અગ્રેસર છે. ડિજિટલ ઇન્ડિયાને મળેલી સફળતાએ આજે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે”.  તેમણે એ સમયને યાદ કર્યો હતો જ્યારે ભારત મોબાઇલ ફોનની આયાત કરતું હતું, જ્યારે આજે આપણે ગૌરવ અનુભવીએ છીએ કે આપણા દેશમાંથી બીજા દેશોમાં મોબાઇલ ફોનની નિકાસ થઇ રહી છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “અમારો સંકલ્પ છે કે, ભારત 2047 સુધીમાં 'વિકસિત ભારત' બને”. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, અમે જે તકો શોધી રહ્યા છીએ તે મેળવવા માટે સરકારે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. પ્રધાનમંત્રીએ સમાપન કરતા કહ્યું હતું કે, “ભારત વિશાળ છલાંગ ભરવા માટે તૈયાર છે અને હવે પાછું વળીને જોવું નથી”.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1897714) Visitor Counter : 221