પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મેંગલુરુ ખાતે વિવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો


પ્રધાનમંત્રીએ મેંગલુરુમાં આશરે રૂ. 3800 કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા

“વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, ‘મેક ઇન ઇન્ડિયા’ અને દેશના ઉત્પાદન ક્ષેત્રનું વિસ્તરણ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે”

“કર્ણાટક સમગ્ર દેશમાં સાગરમાલા યોજનાના સૌથી મોટા લાભાર્થીઓ પૈકી એક છે”

“પ્રથમ વખત, કર્ણાટકના 30 લાખથી વધુ ગ્રામીણ પરિવારોમાં પાઇપથી પાણી પહોંચ્યું છે”

“કર્ણાટકના 30 લાખ કરતાં વધુ દર્દીઓને આયુષ્માન ભારતનો લાભ પણ મળ્યો છે”

“જ્યારે પર્યટનમાં વૃદ્ધિ થાય છે, ત્યારે તે આપણા કુટીર ઉદ્યોગો, આપણા કારીગરો, ગ્રામ્ય ઉદ્યોગો, શેરી પરના વિક્રેતાઓ, ઓટો-રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઇવરોને લાભ આપે છે”

“આજે ડિજિટલ પેમેન્ટ્સનો આંકડો ઐતિહાસિક સ્તરે છે અને BHIM-UPI જેવા આપણા આવિષ્કારો તરફ દુનિયાનું ધ્યાન ખેંચાઇ રહ્યું છે”

“લગભગ 6 લાખ કિમી ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક પાથરીને ગ્રામ પંચાયતોને જોડવામાં આવી રહી છે”

“ભારતે $418 બિલિયન એટલે કે 31 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની વ્યાપારી નિકાસ કરવાનો નવો વિક્રમ બનાવ્યો છે”

“PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અંતર્ગત, રેલવે અને માર્ગોને લગતી અઢીસોથી વધુ પરિયોજનાઓને ઓળખી કાઢવામાં આવી છે જે અવિરત પોર્ટ કનેક્ટિવિટીમાં મદદરૂપ થશે”

Posted On: 02 SEP 2022 4:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મેંગલુરુ ખાતે આશરે રૂપિયા 3800 કરોડના યાંત્રિકીકરણ અને ઔદ્યોગિકીકરણને લગતી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઇતિહાસમાં લાલ અક્ષરે અંકિત દિવસ છે. પ્રાદેશિક સુરક્ષાની વાત હોય કે પછી આર્થિક સુરક્ષાની વાત હોય, ભારત વિશાળ તકોનું સાક્ષી રહ્યું છે. આજના દિવસે જ INS વિક્રાંતની નિયુક્તિને યાદ કરતા, આજે દરેક ભારતીયને જે ગૌરવ અનુભવાઇ રહ્યું છે તે લાગણી પ્રધાનમંત્રીએ ગૌરવ વ્યક્ત કરી હતી.

આજના દિવસે જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અથવા જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તેનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પરિયોજનાઓ કર્ણાટકમાં ઇઝ ઓફ લિવિંગ અને રોજગારીની તકોમાં વધારો કરશે, જેમાં ખાસ કરીને એક જિલ્લો અને એક ઉત્પાદનયોજના આ પ્રદેશના માછીમારો, કારીગરો અને ખેડૂતોના સ્થાનિક ઉત્પાદનો માટે બજારની ઉપલબ્ધતાને સરળ બનાવશે.

પાંચ પ્રતિજ્ઞાઓ (પંચપ્રણ) અંગે ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમણે લાલ કિલ્લા પરથી જે પાંચ પ્રતિજ્ઞાઓ વિશે વાત કરી હતી તેમાંથી પ્રથમ વિકસિત ભારતનું નિર્માણ કરવાની પ્રતિજ્ઞા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, દેશના ઉત્પાદન ક્ષેત્ર, ‘મેક ઇન ઇન્ડિયાનું વિસ્તરણ કરવું ખૂબ જ જરૂરી છે.”

બંદરો આધારિત વિકાસ માટે દેશ જે પ્રકારે પ્રયાસો કરી રહ્યો છે તેના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વિકાસ કરવા માટે તે એક ખૂબ જ મહત્વપૂર્ણ મંત્ર છે. આવા પ્રયાસોના પરિણામ સ્વરૂપે માત્ર 8 વર્ષમાં જ ભારતના બંદરોની ક્ષમતા લગભગ બમણી થઇ ગઇ છે.

છેલ્લાં 8 વર્ષોમાં માળખાગત વિકાસના કાર્યો પર પ્રાથમિકતાના આધારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંગે ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આનાથી કર્ણાટકને ઘણો લાભ પ્રાપ્ત થયો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “સાગરમાલા યોજનાના સૌથી મોટા લાભાર્થીઓમાંથી એક કર્ણાટક પણ છે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં રાજ્યમાં રૂપિયા 70 હજારના મૂલ્યની રાષ્ટ્રીય ધોરીમાર્ગોને લગતી પરિયોજનાઓ ઉમેરવામાં આવી છે અને એક લાખ કરોડ રૂપિયા કરતાં વધુની પરિયોજનાઓ હાલમાં પાઇપલાઇનમાં છે. છેલ્લા 8 વર્ષમાં કર્ણાટકમાં રેલવેલક્ષી વિવિધ પરિયોજનાઓના રેલવે બજેટમાં ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે.

છેલ્લાં 8 વર્ષ દરમિયાન થયેલા વિકાસનું અવલોકન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ગરીબો માટે 3 કરોડથી વધુ મકાનો બાંધવામાં આવ્યા છે અને કર્ણાટકમાં ગરીબો માટે 8 લાખ કરતાં વધારે પાકા મકાનોને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, “હજારો મધ્યમ-વર્ગીય પરિવારોને પણ તેમને પોતાનું ઘર બનાવવા માટે કરોડો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, જલજીવન મિશન અંતર્ગત માત્ર 3 વર્ષમાં જ દેશના 6 કરોડ કરતાં વધારે ઘરો સુધી પાઇપથી પાણીની સુવિધા પહોંચાડવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “પ્રથમ વખત, કર્ણાટકના 30 લાખ કરતાં વધુ ગ્રામીણ પરિવારો સુધી પાઇપથી પાણી પહોંચી ગયું છે.” પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના લગભગ 4 કરોડ ગરીબ લોકોએ હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન મફત સારવાર મેળવી છે. આના કારણે ગરીબોના ખિસ્સામાંથી ખર્ચ થનારા લગભગ 50 હજાર કરોડ રૂપિયા બચી ગયા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, કર્ણાટકના 30 લાખથી વધુ દર્દીઓને પણ આયુષ્માન ભારત યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, જે લોકોને તેમની નબળી આર્થિક સ્થિતિના કારણે ભૂલી જવામાં આવ્યા હતા તેમની હવે ઉપેક્ષા ન થાય તે પણ સરકાર સુનિશ્ચિત કરી રહી છે કે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે નાના ખેડૂતો, નાના વેપારીઓ, માછીમારો, શેરી પરના વિક્રેતાઓ અને આવા કરોડો લોકોને પ્રથમ વખત દેશના વિકાસનો લાભ મળવા લાગ્યો છે. તેમણે કહ્યું હતું કે, “તેઓ હવે ભારતના વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઇ રહ્યા છે.”

પ્રધાનમંત્રીએ ભારતની સાડા સાત હજાર કિલોમીટર લાંબા દરિયાકાંઠા તરફ સૌનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, આપણે દેશની આ ક્ષમતાનો પૂરેપૂરો લાભ ઉઠાવવો પડશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે પર્યટનમાં વૃદ્ધિ થાય છે, ત્યારે તે આપણા કુટીર ઉદ્યોગો, આપણા કારીગરો, ગ્રામ્ય ઉદ્યોગો, શેરી પરના વિક્રેતાઓ, ઓટો-રિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઇવરોને લાભ આપે છે. મને આનંદ છે કે ન્યુ મેંગલોર પોર્ટ ક્રુઝ દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સતત નવી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે ડિજિટલ પેમેન્ટ્સનો આંકડો ઐતિહાસિક સ્તર સુધી પહોંચી ગયો છે અને BHIM-UPI જેવા આપણા આવિષ્કારો આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યા છે.” તેમણે આગળ જણાવ્યું હતું કે આજે દેશના લોકો મજબૂત કનેક્ટિવિટીની મદદથી ઝડપી અને સસ્તું ઇન્ટરનેટ ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજે લગભગ 6 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબરનું નેટવર્ક પાથરીને દેશભરની ગ્રામ પંચાયતોને જોડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, “5Gની સુવિધા આ ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવા જઇ રહી છે. મને આનંદ છે કે, કર્ણાટકની ડબલ-એન્જિનની સરકાર પણ લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓને ઝડપી ગતિએ પૂરી કરવા માટે કામ કરી રહી છે.

થોડા દિવસો પહેલા બહાર આવેલા GDPના આંકડાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયગાળા દરમિયાન ભારત દ્વારા ઘડવામાં આવેલી નીતિઓ અને સરકારે લીધેલા નિર્ણયોએ ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ગયા વર્ષે, ઘણા બધા વૈશ્વિક અવરોધો આવ્યા હોવા છતાં, ભારતની નિકાસ કુલ $670 બિલિયન એટલે કે 50 લાખ કરોડ રૂપિયાની હતી. ભારતે, દરેક પડકારને પાર કરીને, કુલ $418 બિલિયન એટલે કે 31 લાખ કરોડ રૂપિયાની વ્યાપારી નિકાસનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના વિકાસ એન્જિન સાથે સંકળાયેલું દરેક ક્ષેત્ર આજે સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધી રહ્યું છે. સેવા ક્ષેત્ર પણ ઝડપી ગતિએ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વિનિર્માણ ક્ષેત્રમાં હવે PLI યોજનાઓની અસર ખૂબ જ સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. તેમણે કહ્યું હતું કે, “મોબાઇલ ફોન સહિત સમગ્ર ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન ક્ષેત્રમાં અનેકગણો વિકાસ થયો છે. પ્રધાનમંત્રીએ એ બાબતે પણ દરેક લોકોનું ધ્યાન દોર્યું હતું કે, ભારતમાં રમકડા ક્ષેત્ર અત્યારે ઉભરતું ક્ષેત્ર છે અને આ ક્ષેત્રમાં છેલ્લા 3 વર્ષમાં રમકડાંની આયાત ઘટી છે અને સામા પક્ષે લગભગ એટલા જ પ્રમાણમાં નિકાસ વધી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “આ બધાને સીધો ફાયદો દેશના દરિયાકાંઠાના વિસ્તારો દ્વારા થઇ રહ્યો છે, જે ભારતીય માલની નિકાસ માટે તેમના સંસાધનો પૂરા પાડે છે, જેમાં મેંગલુરુ જેવા મોટા બંદરો છે.”

પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોના પરિણામે દેશમાં વર્ષોવર્ષ દરિયાકાંઠાના ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે, “દેશના વિવિધ બંદરો પર સુવિધાઓ અને સંસાધનોમાં વધારો કરવામાં આવ્યો છે જેના કારણે, દરિયાકાંઠા પર સામનાની હેરફેર હવે સરળ બની ગઇ છે.” પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, પોર્ટ કનેક્ટિવિટી વધુ સારી હોવી જોઇએ, તેને ઝડપી બનાવવી જોઇએ તેવો હંમેશા સરકારનો પ્રયાસ રહ્યો છે. આથી જ, પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ, રેલવે અને રસ્તાઓ સંબંધિત 250 થી વધુ પરિયોજનાઓને ઓળખી કાઢવામાં આવી છે જે અવિરત પોર્ટ કનેક્ટિવિટીમાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પર ઉપસ્થિત લોકોનું ધ્યાન દોર્યું હતું અને ભારતની ધરતીને ગુલામીના શકંજામાંથી બહાર લાવવા માટે રાણી અબક્કા અને રાણી ચેન્નાભૈરા દેવીએ કરેલા સંઘર્ષને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આજે, આ બહાદુર મહિલાઓ નિકાસના ક્ષેત્રમાં આગળ વધવા માટે ભારત માટે એક મહાન પ્રેરણા સમાન છે.”

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપન વખતે કર્ણાટકના કારાવલી પ્રદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “દેશભક્તિ, રાષ્ટ્રીય સંકલ્પની આ ઊર્જાથી હું હંમેશા પ્રેરિત હોઉં તેવો અનુભવ કરું છું. મેંગલુરુમાં જોવા મળેલી આ ઊર્જા આવા વિકાસના માર્ગને ઉજ્જવળ કરતી રહે, એવી જ ઇચ્છા સાથે, આ વિકાસ પરિયોજનાઓ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઇ, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશી, કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી શ્રી બી.એસ. યેદિયુરપ્પા, કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ શ્રી શ્રીપદ યેસો નાયક, શ્રી શાંતનુ ઠાકુર અને સુશ્રી શોભા કરંડલાજે, સંસદ સભ્ય શ્રી નલિન કુમાર કાટીલ, રાજ્યના મંત્રીઓ શ્રી અંગારા એસ,. શ્રી સુનિલ કુમાર વી. અને શ્રી કોટા શ્રીનિવાસ પૂજારી ઉપસ્થિત રહ્યા હતા.

પરિયોજનાઓની વિગતો

પ્રધાનમંત્રીએ મેંગલુરુ ખાતે આશરે રૂ. 3800 કરોડના યાંત્રિકીકરણ અને ઔદ્યોગિકીકરણને લગતી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ન્યૂ મેંગલોર પોર્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા કન્ટેનર અને અન્ય કાર્ગો સંચાલન માટે બર્થ નંબર 14ના યાંત્રિકીકરણ માટે રૂપિયા 280 કરોડથી વધુની પરિયોજના ઉદ્ઘાટન કર્યું હતું. યાંત્રિકીકૃત ટર્મિનલ કાર્યક્ષમતામાં વધારો કરશે અને ટર્નઅરાઉન્ડ ટાઇમ, બર્થિંગ પહેલાંનો વિલંબ અને બંદરમાં રહેવાના સમયમાં લગભગ 35% જેટલો ઘટાડો કરશે, આમ તેના કારણે વ્યવસાયિક માહોલને પ્રોત્સાહન મળશે. આ પરિયોજનાનો પહેલો તબક્કો સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો છે, જેનાથી કાર્ગોના સંચાલનની ક્ષમતામાં 4.2 MTPAનો ઉમેરો થયો છે અને વર્ષ 2025 સુધીમાં 6 MTPAથી વધુનો ઉમેરો થશે.

પ્રધાનમંત્રીએ આ બંદર દ્વારા હાથ ધરવામાં આવનારી આશરે રૂ. 1000 કરોડની કિંમતની પાંચ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો હતો. અત્યાધુનિક ક્રાયોજેનિક LPG સ્ટોરેજ ટાંકી ટર્મિનલથી સજ્જ એકીકૃત LPG અને જથ્થાબંધ લિક્વિડ POL સુવિધા અત્યંત કાર્યક્ષમ રીતે 45,000 ટનના ફુલ લોડ VLGC (ખૂબ મોટા ગેસ કેરિયર્સ)ને અનલોડ કરવામાં સક્ષમ હશે. આ સુવિધા દેશના ટોચના LPG આયાત કરતા બંદરો પૈકી એક તરીકે આ બંદરની સ્થિતિને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે આ પ્રદેશમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને પણ પ્રોત્સાહન આપશે. પ્રધાનમંત્રીએ સ્ટોરેજ ટાંકી અને ખાદ્ય તેલ રિફાઇનરીના બાંધકામ, બિટ્યુમેન સ્ટોરેજ અને સંલગ્ન સુવિધાઓના બાંધકામ અને બિટ્યુમેન તેમજ ખાદ્ય તેલના સંગ્રહ અને સંલગ્ન સુવિધાઓના નિર્માણ માટેના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજનાઓ બિટ્યુમેન અને ખાદ્ય તેલના જહાજોના ટર્નઅરાઉન્ડ સમયમાં સુધારો કરશે અને વેપાર માટે એકંદરે નૂર ખર્ચમાં ઘટાડો કરશે. પ્રધાનમંત્રીએ કુલાઇ ખાતે ફિશિંગ હાર્બરના વિકાસ માટે પણ શિલાન્યાસ કર્યો હતો, જે માછલી પકડવાની સલામત સંચાલનની સુવિધા પૂરી પાડશે અને વૈશ્વિક બજારમાં વધુ સારી કિંમતો મળી શકશે. આ કામગીરી સાગરમાલા કાર્યક્રમના નેજા હેઠળ હાથ ધરવામાં આવશે અને તેના પરિણામ સ્વરૂપે માછીમાર સમુદાયને નોંધપાત્ર રીતે સામાજિક અને આર્થિક લાભ થશે.

પ્રધાનમંત્રીએ મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલી બે પરિયોજનાઓ એટલે કે - BS VI અપગ્રેડેશન પરિયોજના અને સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. રૂપિયા 1830 કરોડની અંદાજિત કિંમતની BS VI અપગ્રેડેશન પરિયોજના અતિ-શુદ્ધ પર્યાવરણ માટે અનુકૂળ BS-VI ગ્રેડ ઇંધણ (10 PPM કરતાં ઓછી સલ્ફર સામગ્રી સાથે)ના ઉત્પાદનની સુવિધા પૂરી પાડશે. આશરે રૂ. 680 કરોડના ખર્ચે સ્થાપવામાં આવેલો સી વોટર ડિસેલિનેશન પ્લાન્ટ, તાજા પાણી પરની નિર્ભરતા ઘટાડવામાં અને આખા વર્ષ દરમિયાન હાઇડ્રોકાર્બન અને પેટ્રોકેમિકલ્સનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. દૈનિક 30 મિલિયન લીટર (MLD)ની ક્ષમતા ધરાવતો આ પ્લાન્ટ સમુદ્રના પાણીને રિફાઇનરી પ્રક્રિયાઓ માટે જરૂરી પાણીમાં રૂપાંતરિત કરે છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1856335) Visitor Counter : 309