પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ થોમસ કપ અને ઉબેર કપની ટીમ સાથે સંવાદ કર્યો
“સમગ્ર દેશ વતી હું આખી ટીમને અભિનંદન પાઠવું છું, કારણ કે દાયકાઓ પછી ભારતનો ધ્વજ આટલો મજબૂત રીતે સ્થાપિત થયો છે. આ કોઇ નાનું પરાક્રમ નથી”
“હવે ભારત પાછળ રહી શકે તેમ નથી. તમારો વિજય રમત માટે પેઢીઓને પ્રેરણા આપી રહ્યો છે”
“આવી સફળતાઓ દેશમાં સમગ્ર રમતજગતની ઇકોસિસ્ટમમાં ખૂબ જ ઊર્જા અને આત્મવિશ્વાસ ભરી દે છે”
“આપણી મહિલા ટીમે વારંવાર તેમનો વર્ગ બતાવ્યો છે. આ માત્ર સમયની વાત છે, આ વખતે નહીં તો આગલી વખતે આપણે ચોક્કસ વિજય મેળવીશું”
“અભી તો બહુત ખેલનાભી હૈ, ઔર ખીલનાભી હૈ – તમારે હજુ ઘણું વધારે રમવાનું છે અને વધારે પ્રગતિ કરવાની છે”
“હું તે કરી શકુ છુ- એ જ નવા ભારતનો મૂડ છે”
“ભારતના રમતના ઇતિહાસમાં આ સોનેરી પ્રકરણ સમાન છે અને તમારા જેવા ચેમ્પિયનો અને તમારી પેઢીના ખેલાડીઓ આના રચયતા છે. આપણે આ ગતિને એકધારી જાળવી રાખવાની છે”
લક્ષ્ય સેને ટેલિફોન કૉલ પર આપેલા વચન અનુસાર ‘બાલ મીઠાઇ’ લાવ્યા હોવાથી પ્રધાનમંત્રીએ તેમનો આભાર માન્યો
પોસ્ટેડ ઓન:
22 MAY 2022 11:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ થોમસ કપ અને ઉબેર કપની બેડમિંટન ચેમ્પિયન્સ ટીમ સાથે સંવાદ કર્યો હતો. આ ટીમે થોમસ કપ અને ઉબેર કપના પોતાના અનુભવો પ્રધાનમંત્રીને જણાવ્યા હતા. ખેલાડીઓએ તેમની રમતમાં રહેલા વિવિધ પરિબળો અંગે વાત કરી હતી અને બેડમિંટનથી આગળના જીવન તેમજ બીજા ઘણા મુદ્દાઓ પર વાતો કરી હતી.
કિદામ્બી શ્રીકાંતે આટલી ગૌરવપૂર્ણ રીતે પ્રધાનમંત્રી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું તેના કારણે તેમની લાગણી વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ટીમના કેપ્ટનને તેમની નેતૃત્વની શૈલી અને પડકારો વિશે પૂછપરછ કરી હતી. શ્રીકાંતે કહ્યું હતું કે વ્યક્તિગત રીતે, દરેક ખેલાડીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ આપી રહ્યા હતા અને ટીમ તરીકે તેમનું કાર્ય શ્રેષ્ઠ રીતે આગળ વધ્યું હતું. તેમણે મહત્વપૂર્ણ નિર્ણાયક મેચ રમવાના વિશેષાધિકાર અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા થોમસ કપમાં તેમના દુનિયામાં નંબર 1 રેન્કિંગ અને ગોલ્ડ મેડલ જીતવા વિશે પૂછવામાં આવતા, આ ટોચના શટલરે કહ્યું હતું કે, બંને માઇલસ્ટોન પ્રાપ્ત કરવાનું તેમનું સપનું હતું અને તે બંને સિદ્ધિઓ પ્રાપ્ત થઇ ગઇ હોવાથી ખૂબ જ ખુશ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં આટલું શાનદાર પ્રદર્શનના થયું હોવાથી, થોમસ કપ વિશે ખાસ કંઇ વધારે ચર્ચા કરવામાં આવતી નહોતી અને તેમણે ઉમેર્યું હતું કે, આ ટીમની સિદ્ધિઓની વિશાળતામાં ઓતપ્રોત થવામાં દેશમાં થોડો સમય લાગ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સમગ્ર દેશ વતી હું તમને અને તમારી આખી ટીમને અભિનંદન પાઠવું છું કારણ કે દાયકાઓ પછી ભારતનો ધ્વજ આટલો મજબૂત રીતે સ્થાપિત થઇ શક્યો છે. આ કોઇ નાનું પરાક્રમ નથી...ખૂબ જ જોરદાર દબાણ હેઠળ માનસિક રીતે સ્થિરતા રાખવી અને ટીમને એકસાથે રાખવા તે એવી બાબત છે જેને હું સારી રીતે સમજી શકું છું. મેં તમને ફોન પર અભિનંદન પાઠવ્યા હતા પરંતુ હવે હું તમારી રૂબરૂ પ્રશંસા કરવાનો આનંદ અનુભવી રહ્યો છું.”
સાત્વિકસાઇરાજ રેન્કરેડ્ડીએ છેલ્લા દસ દિવસના આનંદ અને અવરોધો વિશે માહિતી આપી હતી. તેમણે ટીમ અને સહાયક સ્ટાફ તરફથી મળેલા યાદગાર સમર્થનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ટીમ જીતની ક્ષણોને હજું પણ વારંવાર જીવી રહી છે. પ્રધાનમંત્રીએ તેમની સાથે પોતાની ખુશી શેર કરી હતી અને ટીમના સભ્યોની ટ્વીટ્સને યાદ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, તેઓ તેમના પર મેડલ લઇને જ ઊંઘી ગયા હતા, આનંદથી સંપૂર્ણપણે નિંદ્રાધીન હતા. રેન્કીરેડ્ડીએ પોતાના કોચ સાથેના પ્રદર્શનની સમીક્ષાનું પણ વર્ણન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પરિસ્થિતિને અનુરૂપ પોતાને અનુકૂળ બનાવવાની તેમની ક્ષમતાની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને ભવિષ્યના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ચિરાગ શેટ્ટીએ પણ આ ટુર્નામેન્ટમાં પોતાની સફર કેવી રહી તેનું વર્ણન કર્યું હતું અને ઓલિમ્પિક ટૂકડી સાથે પ્રધાનમંત્રી આવાસની મુલાકાત લીધી તેની યાદો તાજી કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમનામાંથી કેટલાક ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં મેડલ ના જીતી શક્યા તેના કારણે તેમને થયેલી નિરાશાની તેમણે નોંધ લીધી હતી. જો કે, તેમણે એ પણ યાદ કર્યુ હતું કે, ખેલાડીઓ દૃઢ સંકલ્પબદ્ધ હતા અને હવે તેમણે પોતાની બધી જ અપેક્ષાઓ સાચી હોવાનું પુરવાર કરી બતાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, “એક પરાજય મળે તે કોઇ અંત નથી હોતો, જીવનમાં મક્કમ સંકલ્પ અને જુસ્સાની જરૂર હોય છે. આવા લોકો માટે વિજય એ કુદરતી પરિણામ છે, જે તમે કરી બતાવ્યું છે.” પ્રધાનમંત્રીએ ટીમને કહ્યું હતું કે, આવનારા સમયમાં તેઓ બીજા કેટલાય મેડલ જીતવાના છે. તમારે હજુ ઘણું રમવાનું છે અને ઘણી પ્રગતિ કરવાની છે (ખેલનાભી હૈ, ખીલના ભી હૈ) અને દેશને રમતની દુનિયામાં શિખરો પર લઇ જવાનો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “હવે ભારત પાછળ રહી શકે તેમ નથી. તમારો વિજય રમત માટે પેઢીઓને પ્રેરણા આપી રહ્યો છે.”
લક્ષ્ય સેને વિજય પછી તુરંત પ્રધાનમંત્રીને ટેલિફોન કૉલ પર આપેલા વચન અનુસાર તેઓ ‘બાલ મીઠાઇ’ લઇને આવ્યા હોવાથી પ્રધાનમંત્રીએ તેમનો આભાર માન્યો હતો. લક્ષ્યે અગાઉ યુવા ઓલિમ્પિક્સમાં વિજય મેળવ્યા પછી પ્રધાનમંત્રી સાથે થયેલી મુલાકાતને યાદ કરી હતી અને હવે થોમસ કપ પછી ફરી એકવાર મળવાનું થયું છે. તેમણે કહ્યું હતું કે, આવી મુલાકાતો પછી ખેલાડીઓમાં ઊંડા ઉત્સાહની લાગણી આવે છે. આ ટોચના યુવા બેડમિંટન ખેલાડીએ કહ્યું હતું કે, “મારી ઇચ્છા છે કે હું ભારત માટે સતત મેડલ જીતતો રહું અને તમારી સાથે સતત આવી રીતે મુલાકાતો કરતો રહું.” પ્રધાનમંત્રીએ ટૂર્નામેન્ટ દરમિયાન લક્ષ્યને ફૂડ પોઇઝનિંગની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે અંગે પૂછપરછ કરી હતી. આ રમતમાં ભાગ લઇ રહેલા નાના બાળકો માટે તેઓ શું સલાહ આપવા માંગે છે તેવું પૂછવામાં આવ્યું, ત્યારે લક્ષ્યે તેમને કહ્યું હતું કે સફળતા મેળવવા માટે તમારું સંપૂર્ણ ધ્યાન તાલીમમાં કેન્દ્રીત કરો. પ્રધાનમંત્રીએ લક્ષ્યને તેમની શક્તિ અને સંતુલન યાદ કરતા કહ્યું હતું કે, જ્યારે તેમણે ફુડ પોઇઝિંગના કારણે આંચકાનો સામનો કરવો પડ્યો ત્યારે જ તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમની શક્તિ અને સંકલ્પનો ઉપયોગ કરવા માટે શીખેલા પાઠ યાદ રાખવા કહ્યું હતું.
એચ. એસ. પ્રણોયે કહ્યું હતું કે, તેમના માટે આ વધારે ગૌરવની ઘડી છે કારણ કે ભારતની આઝાદીના 75 વર્ષના પ્રસંગે ટીમે આ પ્રતિષ્ઠાપૂર્ણ ટુર્નામેન્ટમાં વિજય પ્રાપ્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલ દરમિયાન તેમના પર ખૂબ જ દબાણ હતું અને તેમને એ વાતની ખુશી હતી કે ટીમના સમર્થનને કારણે આ દબાણ દૂર થઇ ગયું હતું. પ્રધાનમંત્રીએ પ્રણોયમાં રહેલા યોદ્ધાને ઓળખી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, વિજય માટે તેમનો અભિગમ જ તેમની સૌથી મોટી શક્તિ છે.
પ્રધાનમંત્રી સૌથી નાની ખેલાડી ઉન્નતિ હૂડાનું અભિવાદન કર્યું હતું જેણે મેડલ જીતનાર અને ના જીતી શકનારા ખેલાડીઓ વચ્ચે ક્યારેય ભેદભાવ ના રાખવા બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ તેમના આ મક્કમ નિર્ધારના વખાણ કર્યા હતા અને પૂછ્યું હતું કે, હરિયાણાની માટીમાં એવી કઇ વિશેષતા છે કે જેના કારણે આટલી મોટી સંખ્યામાં ત્યાંથી એથલેટ્સ આવે છે. ઉન્નતિએ આ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ઉપસ્થિત રહેલા દરેકને આનંદ આપે તેવું ‘દૂધ દહીં’નું ભોજન આનું મુખ્ય પરિબળ છે. પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતું કે, તેઓ દૃઢપણે માને છે કે ઉન્નતિ તેમના નામ પ્રમાણે જરૂર ચમકશે. તેમણે ઉન્નતિને કહ્યું હતું કે, તેણે હજું ઘણી લાંબી મજલ કાપવાની છે અને તેણે વિજયથી ક્યારેય આત્મસંતોષ ના માનવો જોઇએ પરંતુ એકધારા આગળ વધવાનું ચાલું રાખવું જોઇએ.
ટેરેસા જોલીએ તેની રમતની સફર દરમિયાન પોતાના પરિવાર તરફથી ખૂબ જ સારા પ્રમાણમાં મળેલા સહકાર અંગે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણી મહિલા ટીમે જે રીતે ઉબેર કપમાં પરફોર્મન્સ આપ્યું તેનાથી આખા દેશને ગૌરવ છે.
સમાપનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ટીમે થોમસ કપમાં વિજય પ્રાપ્ત કરીને દેશમાં જબરદસ્ત ઊર્જાનો સંચાર કર્યો છે. આખરે, સાત દાયકાની લાંબી પ્રતિક્ષાનો અંત આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘જે કોઇ પણ બેડમિંટનને સમજે છે, તેમણે આ વિશે સપનું જોયું જ હશે, આ એક એવું સપનું જે તમારા દ્વારા સાકાર થયું છે’. શ્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે, “આવી સફળતાઓ દેશની સમગ્ર રમતગમતની ઇકોસિસ્ટમમાં મોટી ઉર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે. તમાર વિજયે કંઇક એવું કરી બતાવ્યું છે જે મહાન કોચ અથવા નેતાઓના વકતૃત્વ દ્વારા પૂરું થઇ શકતું નથી.”
ઉબેર કપનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે જ્યારે વિજયની પ્રતિક્ષા કરી રહ્યા છીએ ત્યારે અમે તેની વ્યવસ્થા પણ કરીશું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, હાલની ટીમના ગુણવત્તાપૂર્ણ ખેલાડીઓ ટૂંક સમયમાં જ વધુ સારા પરિણામો મેળવશે. તેમણે ઉમેર્યું હતું કે, “આપણી મહિલા ટીમે વારંવાર તેમની ક્ષમતા બતાવી છે. આ તો માત્ર સમયની વાત છે, જો આ વખતે નહીં, તો આગલી વખતે, આપણે ચોક્કસ વિજયી થઇશું.”
દેશની આઝાદીના 75મા વર્ષના પ્રસંગે મળેલા આ વિજય અને શિખરે પહોંચવાની આ સિદ્ધિ દરેક ભારતીયોમાં ખૂબ જ ગૌરવની લાગણી ભરે છે. તેમણે કહ્યું હતું કે, ‘હું તે કરી શકુ છું’ તે નવા ભારતનો મૂડ છે. સ્પર્ધાઓથી પરેશાન થવા કરતાં, દરેક વ્યક્તિના વ્યક્તિગત પરફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તે વધારે મહત્વનું છે. તેમણે ઉમેર્યું હતું કે, હવે અપેક્ષાઓનું દબાણ વધશે જે બરાબર છે અને તેમણે દેશની અપેક્ષાઓના દબાણમાં ન આવવું જોઇએ. તેમણે કહ્યું હતુ કે, “આપણે દબાણને ઊર્જામાં પરિવર્તિત કરવાની જરૂર છે. આપણે તેને પ્રોત્સાહન તરીકે ગણવાની જરૂર છે.”
પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, છેલ્લા 7-8 વર્ષમાં આપણા ખેલાડીઓએ નવા વિક્રમો સર્જ્યા છે. તેમણે ઓલિમ્પિક્સ, પેરાલમ્પિક્સ અને ડિફ્લિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓના અદભૂત પરફોર્મન્સની નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, આજે, રમતોના સંદર્ભમાં માનસિકતા બદલાઇ રહી છે. નવો માહોલ આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ એથલેટ્સને દેશ દ્વારા તમામ પ્રકારે સહકાર આપવામાં આવશે તેવી ખાતરી આપતા કહ્યું હતું કે, “ભારતના રમતના ઇતિહાસમાં આ સોનેરી પ્રકરણ સમાન છે અને તમારા જેવા ચેમ્પિયનો અને તમારી પેઢીના ખેલાડીઓ આના લેખક છે. આપણે આ ગતિને એકધારી જાળવી રાખવાની છે.”
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1827361)
મુલાકાતી સંખ્યા : 254
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam