પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નાગરિક સેવા દિવસ પર પ્રધાનમંત્રીના જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો એનાયત કર્યા

Posted On: 21 APR 2022 1:11PM by PIB Ahmedabad

“India @100 સામાન્ય ન હોઈ શકે, આ 25 વર્ષના અમૃતકાળને એક યુનિટ તરીકે લેવો જોઈએ અને આપણે હવે પછીના વિઝન સાથે અગ્રેસર થવું જોઈએ, ચાલુ વર્ષની ઉજવણી વળાંક સમાન હોવી જોઈએ”

 

“દેશમાં સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન આવવું જોઈએ, તેમનું જીવન સરળ બનવું જોઈએ અને તેઓ આ સરળતા અનુભવવા જોઈએ”

 

“આપણે સામાન્ય નાગરિકના સ્વપ્નથી સંકલ્પથી સિદ્ધિની સફરમાં દરેક તબક્કામાં ઉપયોગી બનવું જોઈએ”

 

“જો આપણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રવૃત્તિઓને નહીં અનુસરીએ, તો આપણી પ્રાથમિકતાઓ અને કેન્દ્રિત ક્ષેત્ર નક્કી કરવામાં બહુ મુશ્કેલી પડશે, આપણે આ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણી યોજનાઓ અને વહીવટી મોડલ્સ વિકસાવવા જોઈએ”

 

“સમાજની ક્ષમતાનું પાલનપોષણ કરવું, તેને ખીલવવી અને ટેકો આપવો એ સરકારી વ્યવસ્થાની ફરજ છે”
“વહીવટમાં સુધારો આપણું સ્વાભાવિક વલણ હોવું જોઈએ”

 

“આપણા દરેક નિર્ણયોમાં હંમેશા ‘રાષ્ટ્ર પ્રથમ’ની માનસિકતા હોવી જોઈએ”

 

“આપણે અછતના ગાળામાં ઊભા થયેલા નિયમનો અને માનસિકતા દ્વારા વહીવટ ન કરવો જોઈએ, પણ આપણે પ્રચૂરતાનો અભિગમ ધરાવવો જોઈએ”


“હું રાજનીતિનો સ્વભાવ ધરાવતો નથી, પણ સ્વાભાવિક રીતે જનનીતિ તરફ ઝુકાવ ધરાવું છું”

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિક સેવા દિવસના ઉપક્રમે આજે નવી દિલ્હીમાં વિજ્ઞાનભવનમાં પ્રધાનમંત્રીનાં જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો એનાયત કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી જિતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રી મુખ્ય સચિવ શ્રી પી કે મિશ્રા, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ નાગરિક સેવા દિવસ પર તમામ ‘કર્મયોગીઓ’ને અભિનંદન આપ્યાં હતાં. તેમણે વહીવટ સુધારવા અને માહિતી-જાણકારીની વહેંચણી વધારવા સૂચનો સાથે તેમના સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે સૂચન કર્યું હતું કે, તમામ તાલીમ સંસ્થાઓ સાપ્તાહિક ધોરણે પુરસ્કાર વિજેતાઓના અનુભવો અને પ્રક્રિયાઓ વર્ચ્યુઅલ માધ્યમો થકી વહેંચી શકે છે. બીજું, પુરસ્કાર વિજેતા વિવિધ પ્રોજેક્ટમાંથી થોડા જિલ્લાઓમાં અમલીકરણ માટે કોઈ એક યોજના પસંદ કરી શકાશે અને આ અંગેના અનુભવની ચર્ચા આગામી વર્ષના નાગરિક સેવા દિવસે થઈ શકશે.

પ્રધાનમંત્રીએ એ બાબત યાદ કરી હતી કે, તેઓ છેલ્લાં 20થી 22 વર્ષથી સનદી અધિકારીઓ સાથે સંવાદ કરે છે, પહેલા મુખ્યમંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે. તેમણે કહ્યું હતું કે, આ સંવાદપ્રક્રિયા આ એકબીજા પાસેથી શીખવાનો અનુભવ આપે છે. શ્રી મોદીએ ચાલુ વર્ષની ઉજવણીના મહત્વ પર ભાર મૂક્યો હતો, કારણ કે આ ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં થઈ રહી છે. તેમણે વહીવટદારોને આ વિશેષ વર્ષમાં જિલ્લાના અગાઉના જિલ્લા વહીવટદારો સાથે વાત કરવા જણાવ્યું હતું. એનાથી જિલ્લામાં નવી ઊર્જાનો સંચાર થશે અને અગાઉના અનુભવ દ્વારા સુમાહિતગાર જિલ્લા વહીવટીતંત્રના પરિપ્રેક્ષ્યમાં આવકાર્ય ગતિશીલતા પ્રદાન થશે. એ જ રીતે આ સીમાચિહ્ન વર્ષી ઉજવણી કરવા રાજ્યોના મુખ્યમંત્રીઓ પૂર્વ મુખ્ય સચિવો, કેબિનેટ સચિવો સાથે વાત કરી શકે છે તથા વહીવટી મશીનરીના પથપ્રદર્શકોના અનુભવોનો લાભ લઈ શકે છે, જેમણે સ્વતંત્ર ભારતની સફરમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ આઝાદી કા અમૃત મહોત્સવના વર્ષમાં નાગરિક સેવાનું સન્માન કરવાની ઉચિત રીત બની રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, અમૃતકાળ અગાઉની ઉપલબ્ધિઓની ઉજવણી કરવા કે પ્રશંસા કરવા માટે નથી તથા આઝાદીના 75મા વર્ષથી 100મા વર્ષ સુધીની સફર સામાન્ય ન હોઈ શકે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “India @100 સામાન્ય ન હોઈ શકે. આ 25 વર્ષના અમૃતકાળને એક યુનિટ તરીકે લેવો જોઈએ અને આપણે હવે પછીના વિઝન સાથે અગ્રેસર થવું જોઈએ. આ ઉજવણી દેશના ઇતિહાસમાં વળાંકરૂપ બનવી જોઈએ. દરેક જિલ્લાએ આ જુસ્સા સાથે આગળ વધવું પડશે, અગ્રેસર થવું પડશે. આ માટેના પ્રયાસોમાં કોઈપણ પ્રકારની કચાશ કે ઢીલાશ ચલાવવી ન જોઈએ અને આ ગાળો વર્ષ 1947ના આ દિવસે સરદાર પટેલે આપેલી દિશા અને દેશવાસીઓ માટે નિર્ધારિત કરેલી કટિબદ્ધતાઓ પૂર્ણ કરવા માટે આપણી જાતિને પુનઃસમર્પિત કરવાનો કાળ છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા લોકતાંત્રિક માળખામાં આપણે ત્રણ લક્ષ્યાંકો પ્રત્યે કટિબદ્ધ થવું જોઈએ. પ્રથમ લક્ષ્યાંક છે – દેશના સામાન્ય નાગરિકોના જીવનમાં પરિવર્તન થવું જોઈએ, તેમનું જીવન સરળ બનવું જોઈએ અને તેઓ આ સરળતા અનુભવી શકવા પણ જોઈએ. સામાન્ય નગારિકોને સરકાર, સરકારી ફાયદા અને સરકારી સેવાઓ કોઈપણ પ્રકારની અડચણ વિના સરળતાપૂર્વક સુલભ થવી જોઈએ, આ માટે તેમણે સંઘર્ષ ન કરવો પડે એ આપણે જોવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, “સામાન્ય નાગરિકના સ્વપ્નોને સંકલ્પના સ્તરે લઈ જવા એ વ્યવસ્થાની જવાબદારી છે. આ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવો જોઈએ અને આ આપણા તમામ માટેનો લક્ષ્યાંક હોવો જોઈએ. આપણે સ્વપ્ન કે સંકલ્પથી સિદ્ધિ સુધીની આ સફરમાં દરેક તબક્કે ઉપયોગી થવું જોઈએ.” બીજો લક્ષ્યાંક છે – આંતરરાષ્ટ્રીય ભારતના વધતા કદ અને મહત્વને ધ્યાનમાં રાખીને હવે જરૂરી થઈ ગયું છે કે, આપણે જે કંઈ પણ કરીએ એ વૈશ્વિક સંદર્ભમાં કરવું પડશે. જો આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રવૃત્તિઓને નહીં અનુસરીએ, તો આપણી પ્રાથમિકતાઓ અને ચોક્કસ ક્ષેત્રો નિર્ધારિત કરવામાં બહુ મુશ્કેલી પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે આપણી યોજનાઓને અને વહીવટી મોડલને વિકસાવવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણી વ્યવસ્થાઓ અને મોડલ્સને નિયમિત દરે અપડેટ કરતાં રહેવું પડશે, આપણે વર્તમાન પડકારોનું સમાધાન ગત સદીની વ્યવસ્થાઓ સાથે ન કરી શકીએ. તેમણે કહ્યું હતું કે, “ત્રીજો લક્ષ્યાંક છે – આપણે આપણા દેશની વ્યવસ્થામાં ગમે તે સ્થાનમાં હોય, પણ આપણી મુખ્ય જવાબદારી દેશની એકતા અને અખંડિતતાને અક્ષ્ણુ જાળવવાની છે. તેની સાથે કોઈ સમાધાન ન થઈ શકે. આ બાબતને હાર્દમાં રાખીને દરેક સ્થાનિક નિર્ણયો પણ લેવા જોઈએ. આપણા દરેક નિર્ણયનું મૂલ્યાંકન એની દેશની એકતા અને અખંડિતતાને મજબૂતી પ્રદાન કરવાની ક્ષમતાને આધારે થવું જોઈએ. આપણા દરેક નિર્ણયોના કેન્દ્રમાં હંમેશા ‘રાષ્ટ્ર પ્રથમ’ હોવું જોઈએ.”

ભારતની મહાન સંસ્કૃતિ, આપણો દેશ શાહી વ્યવસ્થાઓ અને શાહી તાજોથી બનેલો નથી. હજારો વર્ષોની આપણી પરંપરાઓ સામાન્ય નાગરિકની તાકાત પર રહેલી એક પરંપરા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ આપણા પ્રાચીન શાણપણના વારસાને જાળવી રાખીને પરિવર્તન અને આધુનિકતાની સ્વીકાર્યતાના જુસ્સાને વ્યક્ત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, સમાજનું પાલનપોષણ, તેની સંભવિતતાને ખીલવવા ટેકો અને તેની ક્ષમતાને પ્રોત્સાહન આપવાની ફરજ સરકારી વ્યવસ્થાની છે. તેમણે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને કૃષિ ક્ષેત્રમાં થયેલી ઇનોવેશનના ઉદાહરણો ટાંક્યા હતા તથા વહીવટદારોને પ્રોત્સાહનકારકની અને પ્રેરકબળની ભૂમિકા ભજવવા કહ્યું હતું.

ટાઇપિસ્ટ અને સિતારવાદક વચ્ચેના ફરક પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ પડકારયુક્ત જીવન જીવવાની, સ્વપ્નોનું જીવન જીવવાની તથા ઉત્સાહ અને ઉદ્દેશપૂર્ણ જીવન જીવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું દરેક ક્ષણને જીવવા ઇચ્છું છું, જેથી હું અન્ય લોકોને સારી રીતે જીવવામાં મદદ કરી શકું અને સેવા કરી શકું.” શ્રી મોદીએ પડકારો ઝીલીને સફળતા મેળવનાર અને નવીન વિચારોનો સફળતાપૂર્વક અમલ કરનાર અધિકારીઓની પ્રશંસા કરી હતી. તેમણે વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, વહીવટમાં સુધારા આપણો સ્વાભાવિક અભિગમ હોવો જોઈએ તથા વહીવટી સુધારા સમય અને દેશની જરૂરિયાત મુજબ તથા પ્રયોગોત્મક હોવા જોઈએ. તેમણે તેમની મુખ્ય પ્રાથમિકતાઓ પૈકીની એક પ્રાથમિકતા જૂનાં કાયદાઓમાં અને નિયમનોની સંખ્યામાં ઘટાડાનો સંદર્ભ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે આવશ્યકતાને કારણે પરિવર્તન ન કરવું જોઈએ, પણ અતિ-સક્રિયતા સાથે સ્થિતિમાં સુધારો કરવા પરિવર્તન લાવવું જોઈએ. આપણે નિયમનો દ્વારા વહીવટ ન કરવો જોઈએ અને અછતના ગાળામાં ઊભી થયેલી માનસિકતા સાથે કામ ન કરવું જોઈએ, આપણે પ્રચૂરતાનો અભિગમ ધરાવવો પડશે. એ જ રીતે આપણે પડકારો પર પ્રતિક્રિયાઓ આપવાને બદલે સક્રિય કામગીરી કરવી જોઈએ. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “છેલ્લાં 8 વર્ષ દરમિયાન દેશમાં ઘણી મોટી પહેલો હાથ ધરવામાં આવી છે. આમાંથી ઘણા અભિયાનો એવા પ્રકારના છે, જેના મૂળમાં માનસિકતા બદલવાનો ઉદ્દેશ રહેલો છે.” તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાજનીતિનો સ્વભાવ ધરાવતા નથી, પણ સ્વાભાવિત રીતે જનનીતિ તરફ ઝુકાવ ધરાવે છે.

તેમણે સંબોધનને અંતે અધિકારીઓને તેમના અંગત જીવનમાં ચાવીરૂપ સુધારા અપનાવવાની વિનંતી કરી હતી. ઉદાહરણ તરીકે, સ્વચ્છતા, જીઇએમ કે યુપીઆઈનો ઉપયોગ તેઓ તેમના જીવનમાં કરે છે કે નહીં.

પ્રધાનમંત્રીના જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ પુરસ્કારોની શરૂઆત જિલ્લાઓ/અમલીકરણ એકમો અને કેન્દ્ર/રાજ્ય સરકારની સંસ્થઆઓએ સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે કરેલા અસાધારણ અને નવીન કાર્યને બિરદાવવા માટે થઈ છે. તેઓ ઓળખ કરાયેલા પ્રાથમિકતા ધરાવતા કાર્યક્રમો અને નવીનતાના અસરકારક અમલીકરણ માટે પણ એનાયત થાય છે.

નીચે મુજબ પાંચ ઓળખ કરાયેલા પ્રાથમિકતા ધરાવતા કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ છે, જેને નાગરિક સેવા દિવસ 2022ના રોજ પુરસ્કાર આપવામાં આવશેઃ (1) પોષણ અભિયાનમાં જન ભાગીદારીને પ્રોત્સાહન, (2) ખેલો ઇન્ડિયા યોજના મારફતે રમતગમત અને સુખાકારીમાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન, (3) પીએમ સ્વનિધિ યોજનામાં ડિજિટલ ચુકવણી અને સુશાસન, (4) એક જિલ્લો, એક ઉત્પાદન યોજના દ્વારા સર્વાંગી વિકાસ,  (5) માનવીય હસ્તક્ષેપ વિના સેવાઓ સરળતાપૂર્વક, સંપૂર્ણ રીતે પ્રદાન કરવી.

ચાલુ વર્ષે ઓળખ કરાયેલા 5 પ્રાથમિક ધરાવતા કાર્યક્રમો માટે તથા જાહેર વહીવટ/સેવાઓ પ્રદાન કરવા વગેરે ક્ષેત્રમાં ઇનોવેશન કે નવીનતા લાવવા માટે કુલ 16 પુરસ્કારો એનાયત થશે.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1818696) Visitor Counter : 211